Categories
વાચન સમૃદ્ધિ

રંગા રાવ દિવાકર

જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૮૯૪ અ. ૧૬ જાન્યુઆરી, ૧૯૯૦

સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક દિવાકર રંગા રાવનો જન્મ મડીહાલ કર્ણાટકમાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખડતલ યુવાન દિવાકરે પોતાના વ્યાયામશિક્ષક પાસેથી મલ્લકુસ્તી અને કટારયુદ્ધની તાલીમ હાંસલ કરી હતી. તેમણે બેલગામ, પુણે અને મુંબઈમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને ભાષામાં તેઓએ એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૧૯માં કાયદાની પરીક્ષા આપી, પરંતુ કાયદાની ઉપાધિ ન સ્વીકારતાં, અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા, પણ કૉંગ્રેસના નાગપુર અધિવેશન વખતે તેમણે પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્લાઇલ, ઇમર્સન, વર્ડ્ઝવર્થ, રસ્કિન વગેરે લેખકોનાં લખાણ વાંચ્યાં હતાં. તેમણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તથા કર્ણાટકના ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. રાષ્ટ્રવાદી આંદોલનના એક સાધન તરીકે તેમણે ‘કર્મવીર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ પોતાના અખબારમાં ‘સ્વતંત્ર ભારત’ અને એકતંત્ર કર્ણાટક પર લખતા હતા. તેમણે સિરસી, સિદ્ધાપુર, અંકોલા અને હિરેકુરુર તાલુકાઓમાં ના-કરની લડતની આગેવાની લીધી તથા મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. તેમના રાજકીય વિચારો પર ઉપનિષદો અને ભગવદગીતાની પ્રગાઢ અસર હતી. આઝાદી પ્રાપ્ત થતાં તેમણે પોતાની જાહેર કારકિર્દીને બે પાસાંઓમાં વહેંચી નાંખી. પ્રથમ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની સેવાઓના સારતત્ત્વ રૂપે ગાંધીચિંતનને પ્રચારવાનું – પ્રસારવાનું કાર્ય હાથ ધર્યું તો બીજી બાજુએ બધા કન્નડભાષી લોકોને એક કરીને કર્ણાટકને એકીકૃત કરવાનું કાર્ય કર્યું. તેમનાં લખાણો ઇતિહાસ, ધર્મ અને ચિંતન તથા સાહિત્ય – એમ ત્રણ વિભાગોમાં જોવા મળે છે. તેમના  પુસ્તક ‘સત્યાગ્રહ : તેનો ઇતિહાસ અને ટૅકનિક’નો યુરોપના દેશોની ભાષામાં અનુવાદ થયો છે. તેમણે અનેક સંસ્થાઓનાં સભ્યપદ શોભાવ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી (૧૯૪૮-૫૨), બિહારના ગવર્નર (૧૯૫૨-૫૭) તથા રાજ્યસભાના સભ્ય (૧૯૬૨-૬૮) પણ રહી ચૂક્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે

જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુ:ખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી. જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય. પોતાના જીવનની સ્વકેન્દ્રી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે. પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેક એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે.

Categories
વાચન સમૃદ્ધિ

મનહરલાલ ચોક્સી

જ. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૪ મે, ૨૦૦૫

‘મુનવ્વર’ તખલ્લુસ ધરાવનાર મનહરલાલનો જન્મ સૂરતમાં નગીનદાસ ચોકસીને ત્યાં થયો હતો. તેમનું વતન અને નિવાસ બંને સૂરત. ૧૯૪૭માં મૅટ્રિક થયા. તેમણે હિંદી ‘વિનીત’ પરીક્ષા પણ પાસ કરી હતી. ડિપ્લોમા વિથ બૅન્કિંગ કર્યા બાદ ધ સૂરત ડિસ્ટ્રિક્ટ કો-ઑ. બૅન્ક લિ., સૂરતમાં તેમણે નોકરી કરેલી. સૂરતના ‘ગુજરાત મિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ તેમણે ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ મન મૂકીને કરાવ્યો હતો. એમણે ગઝલો અને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી. તેમની પાસેથી ‘પ્રીતનાં પારેવડાં’ (૧૯૬૩), ‘ઝળહળ અંતરજ્યોત’, ‘હૂંફ’ વગેરે નવલકથાઓ તથા ‘ગંગાસ્નાન’ એ વાર્તાસંગ્રહ મળ્યાં છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું છે. ‘મુનવ્વર’ ઉપનામથી તેઓ ઉર્દૂ શાયરી પણ કરતા. વીસમી સદીના મધ્યભાગમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો ત્યારે ગઝલો ખૂબ લખાતી ગઈ. આ દરમિયાન કેટલાક પરંપરામાં લખતા ગઝલકારો પણ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા તેમાં સૂરતના આ ગઝલકાર મનહરલાલનું પ્રદાન નોંધપાત્ર હતું. ‘ગુજરાતી ગઝલ’ (૧૯૬૪) અને ‘અક્ષર’ (૧૯૭૩) તેમના મહત્ત્વના સંગ્રહો છે. તેમણે ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં ગઝલસાધના કરી હતી. આધુનિક કાવ્ય વિભાવનાની અસરથી ગઝલ પણ રંગાવા લાગેલી. મનહરલાલ પરંપરા સાચવીને પણ નવા માહોલમાં ગોઠવાતા ગયા. સૂરતમાં ગની દહીંવાળા, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, અમીન આઝાદ જેવા સર્જકોની વચ્ચે રહીને મનહરલાલે ગઝલની જ્યોત જલતી રાખી હતી. એમણે પરંપરા નિભાવવા સાથે બદલાતી સ્થિતિ સાથે પણ કદમ મેળવી રાખ્યા હતા. મનહરલાલને કશાની આશા-અપેક્ષા ન હતી. એમને કોઈ ચંદ્રક મળ્યો નથી, પણ એમને નામે ચંદ્રક અપાય છે.