Categories
વાચન સમૃદ્ધિ

નરકવાસી બનવા માનવી તડપે છે

સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ કે નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે. મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ. જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી. પહેલાં ભીતરના નરકને જોઈએ. પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભાં કરેલાં દુઃખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોય તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યાં? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે.

Categories
વાચન સમૃદ્ધિ

દીનદયાળ ઉપાધ્યાય

જ. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા દીનદયાળ ઉપાધ્યાયનાં માતા-પિતાનું અવસાન ખૂબ નાની વયે થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો હતો. તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી ઘણાં બધાં પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી શક્યા હતા. તેમણે કૉલેજશિક્ષણ કાનપુરમાં લીધું હતું. તેમનામાં શિક્ષક બનવાની સંપૂર્ણ લાયકાત હોવા છતાં તેઓ ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. શરૂઆતમાં સંઘની કાર્યવિધિની તાલીમ પ્રાપ્ત કર્યા બાદ સંઘના પૂર્ણકાલીન કાર્યકર થયા અને તેના પ્રમુખ પ્રચારક પણ બન્યા હતા. સંગઠનોનું ઘડતર કરવાની અપાર ક્ષમતા ધરાવનાર દીનદયાળે ક્રમશ: માસિક ‘રાષ્ટ્રધર્મ’, સાપ્તાહિક ‘પાંચજન્ય’ અને દૈનિક ‘સ્વદેશ’નો પ્રારંભ કર્યો હતો. ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના થતાં તેઓ ઉત્તરપ્રદેશશાખાના પ્રથમ મહામંત્રી નિમાયા. એ પછી પક્ષના અખિલ ભારતીય મહામંત્રીપદે ૧૫ વરસ સુધી સેવારત રહી પક્ષમાં આદર્શ-પ્રેરિત કાર્યકર્તાઓ તૈયાર કર્યા અને પક્ષનો વૈચારિક ઢાંચો ઘડ્યો. તેઓ એકાત્મ માનવવાદના હિમાયતી હતા. તેમણે વિકેન્દ્રિત અને સ્વાવલંબી આર્થિક નીતિની ભલામણ કરી હતી. આ આર્થિક નીતિઓમાં આપણી જરૂરિયાત મુજબ આધુનિક ટૅકનૉલૉજીનો સ્વીકાર કરવાનો મત તેઓ ધરાવતા હતા. ગ્રામીણ ભારતના વિકાસ સંદર્ભે તેમનો દૃષ્ટિકોણ રચનાત્મક હતો. અપ્રતિમ સફળતાને વરેલું ૧૯૬૭નું પક્ષનું કાલિકટ અધિવેશન તેમની દૂરંદેશી અને રાજકીય નેતૃત્વશક્તિનું દ્યોતક હતું. દીનદયાળ ઉપાધ્યાય પાસેથી ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ અને ‘જગદગુરુ શંકરાચાર્ય’ તેમજ તેમના ચિંતનના પરિપાક રૂપે ‘ધ ટુ પ્લાન્સ – પ્રૉમિસિસ ઍન્ડ પ્રોસ્પેક્ટ્સ’ જેવા ગ્રંથો મળે છે. લખનઉથી પટના પ્રવાસ દરમિયાન ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલવેયાર્ડમાં મળી આવ્યો હતો. તેમની સ્મૃતિમાં ટપાલખાતાએ ૨૫ પૈસાની, પાંચ રૂપિયાની, દસ રૂપિયાની અને ૨૫ રૂપિયાની ટપાલટિકિટો બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ડાંગ

ગુજરાતના બધા જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો ૨૦°-૩૩´ થી ૨૧°-૫´ ઉ. અ. અને ૭૩°-૨૮´ થી ૭૩°-૫૬´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ ૫૯ કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ ૫૦ કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૭૬૪ ચોકિમી. છે. જિલ્લાની વસ્તી ૨,૮૩,૦૦૦ (૨૦૨૪, આશરે) છે. જિલ્લામાં જિલ્લામથક આહવા અને વઘઈ બે શહેરો અને ૩૦૯ જેટલાં ગામો આવેલાં છે. ડાંગની ઉત્તરે તાપી જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો નાશિક જિલ્લો, પૂર્વ દિશાએ ખાનદેશનો ધૂળે જિલ્લો અને પશ્ચિમે નવસારી જિલ્લા આવેલા છે. આખો જિલ્લો ડુંગરાળ છે. પૂર્વ અને દક્ષિણ ભાગની ટેકરીઓ વધારે ઊંચી છે. પૂર્વ તરફનો સૌથી વધુ ઊંચો ડુંગર ૧૧૦૦ મી. ઊંચો છે. આ ડુંગરો સહ્યાદ્રિ કે પશ્ચિમઘાટના ફાંટા છે. આ પ્રદેશ તથા સમતલ પ્રદેશને બાદ કરતાં સમગ્ર પ્રદેશની ઊંચાઈ ૩૦૦ મી.થી ૭૦૦ મી. છે. આ જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ગિરા, ઘોદહાડ અને સર્પગંગા મુખ્ય નદીઓ છે. સાલ્હેર પાસેના પીપલનેરના ડુંગરમાંથી નીકળતી પૂર્ણા ૮૦ કિમી. લાંબી વહે છે. વ્યારા અને નવસારી તાલુકામાં થઈને તે અરબી સમુદ્રને મળે છે. દાવડની ટેકરીમાંથી નીકળી પીપલદહાડ વગેરે ત્રણેક ગામો પાસેથી પસાર થતી ઘોદહાડ લાવચલી પાસે પૂર્ણાને મળે છે.

તહેવારમાં નૃત્ય કરતા આદિવાસી ભાઈઓ-બહેનો

ડાંગની આબોહવા ભેજવાળી તથા રોગિષ્ઠ છે. આ જિલ્લાનું ઉનાળાનું સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૩૬° સે. અને ૨૪° સે. રહે છે. જિલ્લાની જમીન ડેક્કન ટ્રૅપની બનેલી છે. અહીં બેસાલ્ટ તથા કાળમીંઢ ખડકો જોવા મળે છે. ખીણની કાળી જમીન અને ઉચ્ચપ્રદેશની લાલ જમીન છે. જિલ્લાની કુલ ૧,૭૨,૩૫૬ હેક્ટર જમીન છે. આ જિલ્લામાં ૧૭૦૮ ચોકિમી.માં સૂકા અને લીલા ભેજવાળાં પર્ણપાતી જંગલો છે. તેમાં સાગ, સાદડ, કાકડ, સીસમ, કલમ, ખેર, હળદરવો, રોહીડો, કડા, બિયો, મહુડો, ઘામણ, આસન, આસોતરો, ગરમાળો વગેરે વૃક્ષો ને વાંસ છે. ડાંગમાં ઘણી વૈદકીય ઔષધિઓ મળે છે. ડાંગમાં નાગલી, ડાંગર, જુવાર વગેરે અનાજ અને તુવેર, અડદ, ચણા વગેરે કઠોળનું વાવેતર થાય છે. તેલીબિયાં પૈકી ખરસાણી તથા મગફળીનું વાવેતર પણ થાય છે. ડાંગમાં પશુધનમાં ગાય અને બળદ, ભેંસ અને બકરાં મુખ્ય છે. વધુ વરસાદને કારણે ઘાસ હલકા પ્રકારનું અને ઓછું પૌષ્ટિક હોય છે. જમીનનું ધોવાણ આ માટે કારણભૂત છે. આ જિલ્લામાં કાળમીંઢ પથ્થર, ઈંટની માટી, મુરમ અને બેસાલ્ટની કપચી મુખ્ય ખનિજો છે. જિલ્લાનાં બધાં ગામોને વીજળીનો લાભ મળે છે. અહીં સુતરાઉ કાપડ  અને લાકડું વહેરવાની મિલનો તેમાં સમાવેશ થાય છે. આ સિવાય હાર્ડવેર, તૈયાર કપડાં, મોટર-દુરસ્તી, બિસ્કિટ, બ્રેડ વગેરે ખાદ્યપદાર્થો, બાઇસિકલ રિપૅરિંગ, તેલઘાણી, આટામિલ વગેરે ગૃહ અને લઘુઉદ્યોગના સોએક એકમો છે. વઘઈ ખાતે સરકાર-સંચાલિત સાગ વગેરે લાકડાં વહેરવાની મિલો છે. ખરસાણીનું તેલ કાઢવાની ઘાણીઓ આહવામાં છે. માલેગાંવ, વઘઈ અને પીપરી ખાતે ઔદ્યોગિક વસાહતોનો પ્ર્રારંભ થયો છે. બીલીમોરાથી વઘઈ સુધી સાંકડા માપની રેલવે છે. આઝાદી પછી રસ્તાઓનો વિકાસ થયો છે. જિલ્લાની કુલ વસ્તી પૈકી મોટા ભાગના લોકો આદિવાસીઓ છે. ડાંગી લોકોનું આગવું નૃત્ય અને સંગીત છે; જે તેમના જીવ સાથે વણાઈ ગયું છે. સાપુતારાને ગિરિમથક તરીકે વિકસાવવામાં આવ્યું છે. વઘઈ ખાતે રાષ્ટ્રીય અભયારણ્ય ઊભું કરાયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડાંગ, પૃ. ૫૦૩)