માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.
‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.
જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે ૩૫° ૪૦´ ઉ. અક્ષાંશવૃત્ત અને ૧૩૯° ૪૫´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી ૩.૭ કરોડ અને શહેરની વસ્તી ૧,૪૨,૫૪,૦૦૦ છે (૨૦૨૫, આશરે), વિસ્તાર ૨૧૮૭ ચોકિમી. છે. તે સમુદ્રની સપાટીથી ૨૪ મી. ઊંચાઈ પર છે. તેનું તાપમાન જાન્યુઆરીમાં ૫.૮° અને જુલાઈમાં ૨૫.૪° સે રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧૪૬૭ મિમી. પડે છે. જાપાનના કુલ વિસ્તારમાં આ નગરનો વિસ્તાર માત્ર ૦.૫% જમીન, કુલ વસ્તીમાં ૧૦% વસ્તી તથા કુલ આર્થિક લેવડદેવડમાં ૪૦% હિસ્સો ધરાવે છે.
ટોકિયોનું એક દૃશ્ય
ટોકિયો કાન્ટોનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે, જ્યાં સુમિદા નદી વહે છે. વળી આ મેદાનો નહેરોની વિસ્તૃત જાળ ધરાવે છે. ટોકિયોની આસપાસ હરિયાળાં ખેતરો અને પર્વતીય ગામડાં નજરે પડે છે. યોકોહામા તેનું દરિયાઈ બંદર છે. આમ છતાં સુમિદા નદીના મુખ પાસે પણ એક માનવસર્જિત બંદર છે. અહીંથી લોખંડ, પોલાદ, યંત્રસામગ્રી અને રસાયણોની નિકાસ સારા પ્રમાણમાં થાય છે. ટોકિયો પોતાની રેલ-સેવા ધરાવે છે. તેનો નીચાણવાળો ભાગ અને નજીકનું હેનેડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ રેલ-સેવાથી સંકળાયેલાં છે. વળી, ટોકિયો અને ઓસાકા વચ્ચે વિશ્વની અત્યંત ઝડપી ટ્રેનો પૈકીની ‘હિકારી’ નામની રેલગાડી દોડે છે, જેની ઝડપ કલાકે ૪૮૦ કિમી. જેટલી છે. ટોકિયો અને તેની આસપાસનાં ઉપનગરો વૈવિધ્યસભર અનેક ઔદ્યોગિક સંકુલો ધરાવે છે. અહીં જહાજ-બાંધકામ, યંત્રસામગ્રી, ધાતુકામ, છાપકામ અને પ્રકાશનકાર્ય, ખાદ્યચીજોનું પ્રક્રમણ, ખનિજતેલ-શુદ્ધીકરણ અને પેટ્રો-રસાયણો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો, મોટરવાહનો, લોખંડ-પોલાદ, રસાયણો, કૅમેરા તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણો, ફર્નિચર, ચામડાની ચીજવસ્તુઓ, વિવિધ શ્રેણીબદ્ધ વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો મુખ્ય છે. ટોકિયો વિવિધ પ્રકારનાં સંગ્રહસ્થાનો, ૨૦૦ કરતાં પણ વધુ બાગ-બગીચા તથા અનેક જોવાલાયક સ્થળો ધરાવે છે. તે પૈકી ટોકિયો નગરના મધ્યભાગમાં આવેલા બાગમાં સમ્રાટ મેઇજી તથા તેમની પત્નીનાં સ્મારકો અને સંગ્રહસ્થાન છે. આ ઉપરાંત આ નગર અનેક પ્રાચીન મંદિરો ધરાવે છે. ટોકિયો ટાવર (૧૯૫૮), એ ધાતુના બનેલા વિશ્વના સૌથી ઊંચા ટાવરો પૈકીનો એક છે, જેમાં દુકાનો, રેસ્ટોરાં અને વિજ્ઞાનસંગ્રહાલય છે. ઇદેમિત્સુ કલા-સંગ્રહાલયમાં જાપાની કલાકારીગરીના નમૂના રાખવામાં આવ્યા છે. ટોકિયોનું ખરીદી તથા આનંદપ્રમોદનું કેન્દ્ર ગિન્ઝા છે. મારુનૉચી ક્વાર્ટર તેનું ધંધાકીય પ્રતિષ્ઠાન છે. આ ઉપરાંત મધ્ય ટોકિયોથી આશરે ૧૦ કિમી. અગ્નિદિશામાં ટોકિયો વાન ઉપસાગરની ઉત્તરમાં ‘ટોકિયો ડિઝનીલૅન્ડ’ આવેલ છે. આ સિવાય ટોકિયો એ વિશ્વનું પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર છે. તે ટોકિયો યુનિવર્સિટી (૧૮૭૭) અને ૧૦૦ જેટલી કૉલેજો ધરાવે છે. ૧૯૨૩ના ભયંકર ધરતીકંપ અને અગ્નિતાંડવ પછીથી ઝડપથી પુન: બંધાયેલા અને બીજા વિશ્વયુદ્ધના ભારે બૉમ્બમારા પછી પુનર્જીવિત થયેલા ટોકિયોને પૃથ્વીના ગોળા પરનું અત્યંત આધુનિક નગર કહી શકાય. અહીં અવારનવાર ભૂકંપ થતા રહે છે. આ શહેર બારમી સદીમાં કાન્ટો પ્રદેશમાં સ્થપાયું, તે સમયે તે ‘એદો’ કે ‘યેદો’ નામની ગ્રામીણ વસાહત રૂપે હતું. આ પ્રદેશના એક લશ્કરી અધિકારીએ બારમી સદીમાં અહીં એક કિલ્લો બાંધ્યો. ૧૪૫૬માં ઓટા ડોકાને તેના પર વ્યાપક સમારકામ કર્યું અને ત્યારપછીના સમયમાં આ વસાહત વિકસિત થઈને પ્રાંતીય પાટનગર બની. ૧૮૬૮માં જાપાનના પાટનગર તરીકે તેની વરણી થતાં તેનું નવું નામ ‘ટોકિયો’ રાખવામાં આવ્યું. તે પહેલાં જાપાનનું પાટનગર ક્યોટો હતું. હાલના ટોકિયો મહાનગરના ૨૩ ભૌગોલિક પેટાવિભાગો છે, તે ઉપરાંત સાઇટામા, ચિબા તથા કનીગાવાના ભૌગોલિક વિભાગોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.