Categories
વાચન સમૃદ્ધિ

જમાદાર નંદ સિંહ

જ. ૨૪ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૧૨ ડિસેમ્બર, ૧૯૪૭

જમાદાર નંદસિંહ પંજાબના માનસા જિલ્લાના બહાદુરપુરના વતની હતા. તેઓ ૨૪ માર્ચ, ૧૯૩૩ના રોજ શીખ રેજિમેન્ટની ૧ શીખ બટાલિયનમાં ભરતી થયા. માર્ચ ૧૯૪૪માં બર્મામાં જાપાનીઓએ ઇન્ડિયા હિલ નામની જગ્યા પર કબજો કર્યો. આ તીવ્ર ઢોળાવવાળી ટેકરી પર કબજો કરવાનો આદેશ નંદ સિંહ અને એમની પલટનને આપવામાં આવ્યો. દુશ્મનોના ગોળીબારમાં નંદ સિંહ ઘાયલ થયા. જાંઘમાં તેમજ ખભા અને ચહેરા પર ઈજાઓ થઈ છતાં તેમણે ત્રણ ખાઈઓ કબજે કરી. તેઓ છ વખત ઘાયલ થયા તેમ છતાં જીત મેળવી. તેમના પરાક્રમ બદલ તેમને બ્રિટનનું સર્વોચ્ચ સન્માન વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા પછી તેમને ભારતીય સેનામાં જમાદારનો હોદ્દો મળ્યો. ૧૨ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ ઉરી ખાતે દુશ્મનોએ શીખ બટાલિયન પર હુમલો કર્યો. તેમની ડી કંપનીને આદેશ મળતાં જમાદાર નંદ સિંહે દુશ્મનો પર હુમલો કર્યો. હાથોહાથની લડાઈ કરી. પોતે ઘાયલ થયા. તેમ છતાં પાંચ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આખરે દુશ્મનો ભાગી ગયા. વિજય પ્રાપ્ત કરી નંદ સિંહ બંકરની ટોચ પર ઊભા હતા ત્યારે દુશ્મનની ગોળી તેમની છાતીમાં વાગી અને તેઓ શહીદ થયા. તેમના અદભુત પરાક્રમ, કુશળ નેતૃત્વ અને બલિદાન માટે ભારત સરકાર દ્વારા તેમને ‘મહાવીરચક્ર’ મરણોત્તર એનાયત કરવામાં આવ્યો. એક અહેવાલ મુજબ પાકિસ્તાની સૈનિકોએ તેમના ડ્રેસ પર વિક્ટોરિયા ક્રૉસ-રિબનને કારણે તેમને ઓળખ્યા. તેમના મૃતદેહને મુઝફરાબાદ લઈ જઈ ટ્રક પર બાંધીને શહેરમાં ફેરવવામાં આવ્યો. તેમના મૃતદેહને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવ્યો. વિક્ટોરિયા ક્રૉસ અને મહાવીરચક્ર એમ બે સન્માનો પ્રાપ્ત કરનાર નંદ સિંહ એકમાત્ર વીર સૈનિક છે. પંજાબના બરેટમાં બસસ્ટૅન્ડનું નામ શહીદ નંદ સિંહ વિક્ટોરિયા બસસ્ટૅન્ડ રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેઘધનુષના રંગો

બોરધીલ્ડ ડાહલે એના જીવનનાં લગભગ પચાસ વર્ષ અંધારી દુનિયામાં ગાળ્યાં. એણે એક આંખની રોશની ગુમાવી દીધી હતી અને બીજી આંખ પર થયેલા ઊંડા ઘાને કારણે એ પોણી ઢંકાયેલી રહેતી અને માત્ર બીજી આંખમાં આવેલા નાના કાણાથી એ માત્ર ડાબી બાજુનું જ જોઈ શકતી. આથી કંઈ પણ વાંચવું હોય, તો એને એ આંખની છેક નજીક રાખવું પડતું અને મહામુશ્કેલીએ થોડુંક વાંચી શકતી. ખેલકૂદના મેદાન પર જતી, ત્યારે મેદાન પર આંકેલી લીટીઓ એ જોઈ શકતી નહોતી, પછી રમવું કઈ રીતે? ડાહલ આ સ્થિતિથી મૂંઝાઈ નહીં. બધા રમીને જતા રહે પછી એ જમીન પર બેસીને અને ભાંખોડિયાભેર ચાલીને મેદાન પર આંકેલી એ લીટીઓ બરાબર જોતી અને મનમાં યાદ રાખી લેતી. એ પછી ધીરે ધીરે પ્રૅક્ટિસ કરવા લાગી અને બન્યું એવું કે ડાહલ એ રમત ખેલવા લાગી અને એમાં કામયાબ થવા લાગી. આંખની સાવ નજીક રાખીને પુસ્તક વાંચવું પડતું. ક્યારેક તો એની પાંપણ પાનાંને અડી જતી, આમ છતાં એણે યુનિવર્સિટીની બે-બે પદવી હાંસલ કરી. પહેલી પદવી મિનેસોટા યુનિવર્સિટીમાંથી મેળવી અને એ પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઑફ આર્ટ્સની પદવી મેળવી. સમય જતાં કૉલેજમાં અધ્યાપિકા બની. એ છેક બાવન વર્ષની થઈ ત્યારે એના જીવનમાં એક ચમત્કાર સર્જાયો. જાણીતા ક્લિનિકમાં એની આંખનું ઑપરેશન થયું અને એને ચાળીસ ટકા જેટલું દેખાવા લાગ્યું. બસ, પછી તો એની દુનિયા આનંદથી ઊભરાઈ ગઈ. સાબુના પરપોટાને પ્રકાશની વિરુદ્ધની દિશામાં રાખીને જોવા લાગી અને એમાં રચાતાં નાનાં નાનાં મેઘધનુષના રંગો આનંદભેર નીરખવા લાગી. બરફ વચ્ચે ઊડતી ચકલીને જોઈને આનંદથી નાચી ઊઠતી અને નાની નાની સુંદરતાઓનો અનુભવ મેળવીને પોતાની જિંદગીને આનંદથી ભરપૂર માણવા લાગી.

Categories
વાચન સમૃદ્ધિ

બળવંતરાય ભટ્ટ

જ. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૨૧ અ. ૨ મે, ૨૦૧૬

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર બળવંતરાય ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે મુંબઈની ‘ધ વિક્ટોરિયા મ્યુઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં ડૉક્ટર ઇન મ્યુઝિક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી. શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ પંડિત ઓમકારનાથજી પાસે લીધી. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા, અંધજનોની વિવિધ સંસ્થાઓ માટે પણ તેમણે સેવા બજાવી. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની ખયાલ ગાયકીમાં, ધ્રુપદ, તરાના ખયાલ ગાયકીની રચનાઓ સંગીતબદ્ધ કરવામાં અને મંત્રો તથા શ્લોકોના ગાયનમાં પ્રશંસનીય પ્રભુત્વ મેળવ્યું હતું. તેમને ભાવનગર મહારાજા તરફથી (૧૯૪૧-૪૨) અને હંસરાજ પ્રાગજી ઠાકરસી ટ્રસ્ટ તરફથી (૧૯૪૩-૪૫) શિષ્યવૃત્તિ મળી હતી. આ ઉપરાંત તાનસેન-વિષ્ણુ દિગંબર શિષ્યવૃત્તિ(૧૯૪૯)માં પ્રથમ વિજેતા બન્યા હતા. આકાશવાણીનાં કેન્દ્રો પરથી તેઓ ઈ. સ. ૧૯૩૩થી ગાયક તથા વાદક તરીકે કાર્યક્રમો આપતા હતા. દેશ-વિદેશમાં અનેક સ્થળે સંગીત પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ૨૫૦ ઉપરાંત વિવિધભાષી ભજનોનું સંગીતનિયોજન કર્યું હતું. અમેરિકાનો પ્રવાસ ખેડી અનેક વ્યાખ્યાન-નિદર્શનો યોજ્યાં હતાં. તેઓ ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીમાં સભ્યપદે હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી બજાવી હતી. ગાયક કલાકાર ઉપરાંત તેમણે સંગીતની અન્ય બાબતો પરત્વે પણ રસ લીધો હતો. ભારત સરકારે તેઓને ૧૯૯૦માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા, ૨૦૦૪માં સંગીત નાટક અકાદમી તરફથી ઍવૉર્ડ મળ્યો હતો. ત્યારબાદ ૨૦૦૭-૦૮માં તેમને કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.