Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ વર્ડઝવર્થ

જ. 7 એપ્રિલ, 1770 અ. 23 એપ્રિલ, 1850

અંગ્રેજી સાહિત્યના એક મહત્ત્વના રોમૅન્ટિક કવિ તથા ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમના ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વર્ડઝવર્થની પ્રસિદ્ધ રચના ‘ધ પ્રેલ્યુડ’ (The Prelude) છે. જે એક આત્મકથાત્મક કવિતા માનવામાં આવી છે. વર્ડઝવર્થ 1843થી તેમના મૃત્યુ સુધી ઇંગ્લૅન્ડના મહાકવિ રહ્યા હતા. 1818 સુધી તેઓ સાહિત્ય અને વ્યક્તિગત જીવન પર વધારે ધ્યાન આપતા હતા. તેમનાં બે બાળકોનાં મૃત્યુએ તેમને દુઃખથી ભાંગી નાખ્યા, છતાં તેમણે લખવાનું કામ ચાલુ રાખ્યું. 1798 અને 1808ની વચ્ચેનો દસકો તેમના રચનાત્મક જીવનનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓએ ‘લ્યુસી પોએમ્સ ટીનબર્ટ એબેટી’, ‘ધ પ્રેલ્યુડ’, ‘પોએમ્સ : ઇમિટેશન ઑફ ઇમોરાલિટી’ જેવી અમર રચનાઓ લખી. આ રચનાઓથી તેઓ એક પ્રશંસિત સાહિત્યકાર તરીકે ઓળખાયા અને તેઓને અંગ્રેજી રોમૅન્ટિક આંદોલનના પ્રમુખ સ્વર બનાવી દીધા. 1843માં તેઓ બ્રિટનના મહાકવિ તરીકે નિયુક્ત થયા, આ પદ તેઓએ જીવનપર્યંત નિભાવ્યું. ઇંગ્લૅન્ડની પ્રાકૃતિક સુંદરતા માણવા તેઓએ વિસ્તૃત પદયાત્રા કરી હતી. જેમાં આલ્પ્સ પર્વત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના અનેક પ્રદેશો આવરી લીધા હતા. તેમની રચનાઓમાં તેમની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ અને માનવીય ભાવનાઓ સ્પષ્ટ રૂપમાં છલકાય છે. તેમની પ્રમુખ રચનાઓ ‘સાઇમન લી’, ‘વી આર સેવન’, ‘પ્રિફેસ ટુ ધ લિરિકલ બલ્લાડ્સ’, ‘ઑડ ટૂ ડ્યૂટી’, ‘ધ સોલિટરી રીપર’ (1802), ‘ધ વર્લ્ડ ઇઝ ટૂ મચ વિથ અસ’, ‘માર્ય હાર્ટ લિપ્સ અપ’ વગેરે રચનાઓ છે. તેઓ માનતા હતા કે કવિતાની ભાષા સ્વાભાવિક બોલચાલની ભાષા જેવી સરળ હોવી જોઈએ તો આમ જનમાનસ તેને માણી શકે.

Categories
વાચન સમૃદ્ધિ

અરબી સમુદ્ર

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો સમુદ્ર.

આ સમુદ્ર હિંદ મહાસાગરનો જ એક ભાગ ગણાય છે. તેની સીમા પર ભારત, પાકિસ્તાન, ઈરાન, યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમીરાત), ઓમાન, યેમેન અને સોમાલિયા દેશો આવેલા છે. તેમાં આવેલા મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ (ભારત), અલ મસિરા તથા ખુરિયાન-મુરિયાન (ઓમાન) અને સોકોત્રા(યેમેન)નો સમાવેશ થાય છે. હાર્મુઝની સામુદ્રધુની તથા બાબ-અલ-માન્ડેબની સામુદ્રધુની આ સમુદ્રના ભાગરૂપ છે. સિંધુ અને નર્મદા-તાપી જેવી મુખ્ય નદીઓનાં જળ આ સમુદ્રમાં ઠલવાય છે. તેનો કુલ વિસ્તાર આશરે ૩૮,૬૨,૦૦૦ ચો.કિમી. જેટલો છે. આ સમુદ્ર આશરે ૧૫ કરોડ વર્ષ પૂર્વે એટલે કે મધ્યજીવયુગના મધ્યકાળ વખતે અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ ૩,૦૦૦ મીટરની છે. તેનું સૌથી વધુ ઊંડાણ ‘વ્હેકલી ઊંડાણ’ (wheakly deep) નામથી ઓળખાય છે, જેની ઊંડાઈ ૫,૮૦૩ મીટર જેટલી છે. અરબ પાળા અને ઓમાનના અખાતને જુદી પાડતી અધોદરિયાઈ મુરે ડુંગરધાર (Murray Ridge) પણ તેના તળ ઉપર આવેલી છે. સમુદ્રની મધ્યમાં એક પણ ટાપુ નથી. સમુદ્રના અગ્નિકોણમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ પરવાળાના બનેલા છે; જ્યારે પશ્ચિમ તરફનો સોકોત્રાનો ટાપુ દરિયાતળના ઉચ્ચપ્રદેશનો ભાગ છે.

અરબી સમુદ્રનું એક દૃશ્ય

જાન્યુઆરી માસમાં આ સમુદ્રની જળસપાટીનું લઘુતમ તાપમાન આશરે ૨૪°થી ૨૫° સે. તથા જુલાઈ માસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે ૨૮° સે. રહે છે. કોઈ વાર હળવા દબાણવાળાં કેન્દ્રો સર્જાતાં ચક્રવાત જેવાં વાતાવરણીય તોફાનો પણ અનુભવાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાંથી સારડીન, બિલફિશ, વાહૂ, શાર્ક, લેનસેટફિશ, મુનફીન જેવી માછલીઓ મેળવાય છે. અહીંના જળક્ષેત્રમાં મોટે ભાગે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, યેમેન, ફ્રાન્સ, યુનાઇટેડ આરબ અમીરાત, દક્ષિણ કોરિયા અને માલદીવ વગેરે દેશોનાં જહાજો માછલીઓ પકડવા આવે છે. આ સમુદ્રને કિનારે આવેલાં મુખ્ય બંદરોમાં મુહમ્મદ બિન કાસિમ, કરાંચી, કંડલા, મુંબઈ, માર્માગોવા, કોચીન વગેરેનો સમાવેશ થાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાં જહાજોની અવરજવર વધુ જોવા મળે છે. આથી વ્યૂહાત્મક અને સંરક્ષણની દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

જેમ્સ વૉટ્સન

જ. 6 એપ્રિલ, 1928 અ. 6 નવેમ્બર, 2025

પ્રસિદ્ધ અમેરિકન જનીન-વિજ્ઞાની, જૈવ-ભૌતિકવિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિક સહવિજેતા. જન્મ શિકાગો, ઇલિનોય, યુ.એસ.એ.માં અને બાળપણ પણ શિકાગોમાં વિતાવ્યું. અભ્યાસ હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં કર્યો. ત્યારબાદ શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં 1943માં 15 વર્ષની વયે શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રયોગલક્ષી કૉલેજમાં દાખલ થયાં અને 1947માં સ્નાતકની ઉપાધિ મેળવી. બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં સૂક્ષ્મજીવવિજ્ઞાનના ક્ષેત્રે થતાં સંશોધનોથી તેઓ પ્રભાવિત હતા અને પક્ષીનિરીક્ષણનો રસ પણ તેમને જનીનવિદ્યાના અભ્યાસ તરફ દોરી ગયો. આથી શિષ્યવૃત્તિ મળતાં ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા અને વિષાણુશાસ્ત્રમાં જીવાણુભોજી વિષાણુઓ પર સંશોધન કરી 1950માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ હાંસલ કરી. 1950-51માં તેઓ મર્ક-ફેલો તરીકે કોપનહેગનમાં ગયા અને જીવાણુસંલગ્ન વિષાણુઓ પર સંશોધન કર્યું. 1951-53 દરમિયાન ક્વૅન્ડિશ પ્રયોગશાળામાં સંશોધક તરીકે જોડાયા અને X-કિરણ વિવર્તન ટૅકનિકનો અભ્યાસ કર્યો. તેઓ બ્રિટિશ જૈવ-ભૌતિકવિદ ફ્રાન્સિસ ક્રિકને મળ્યા અને બંનેએ DNA અણુઓની સંરચના ઉકેલવાના પ્રયત્નો કર્યા. પરિણામરૂપ 1953માં બ્રિટિશ જર્નલ ‘નેચર’માં DNA અણુના પ્રતિરૂપ વિશેનું પ્રકાશન બે સંશોધનપત્રો રૂપે કર્યું. આ દરમિયાન નોબેલવિજેતા ભૌતિકવિદ શ્રોડિન્જરના ‘What is life’ પુસ્તકના વાચનથી પ્રભાવિત થઈ સંભાવ્ય જટિલ સ્વરૂપના એક અણુ દ્વારા આનુવંશિકતાને લગતી જૈવિક વિધિનું નિયમન કઈ રીતે થાય છે તે જાણવા પ્રેરિત થવાથી લંડનના બાયૉફિઝિકલ યુનિટમાં જોડાયા અને કોષાંતર્ગત ન્યૂક્લીઇડ ઍસિડના પારજાંબલી સૂક્ષ્મવર્ણપટનો સ્પેક્ટ્રૉફોટોમિતીય અભ્યાસ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ન્યૂક્લીઇડ ઍસિડના અણુની સૂક્ષ્મતમ રચનાના અને આ અણુમાં સંકેતના સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી સંતાનમાં કઈ રીતે સ્થાનાંતર પામે છે તેને લગતા મૌલિક સંશોધન બદલ ક્રિક–વૉટ્સન–વિલ્કિન્સ ત્રિપુટીને 1962ના વર્ષનું દેહધર્મવિજ્ઞાન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું. વૉટ્સનનાં મહત્ત્વનાં પ્રકાશનોમાં ‘મોલેક્યુલર બાયૉલૉજી ઑવ ધ જીન’ (1965) અને ‘ધ ડબલ હેલિક્સ’(1968)ને ગણાવી શકાય. 1981માં તેમણે જોહન ટૂઝ સાથે લખેલ ‘ધ ડી.એન.એ. સ્ટોરી’ પ્રકાશિત કર્યું. 1988થી 1992 દરમિયાન ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ખાતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ ફાળો આપ્યો.