Categories
વાચન સમૃદ્ધિ

છોટુભાઈ સુથાર

જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૯૩

ગુજરાતના સુપ્રસિદ્ધ ખગોળવિદ છોટુભાઈ સુથારનો જન્મ ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં થયો હતો. શાળાકીય શિક્ષણ નડિયાદમાં લઈ પુણેની કૉલેજમાંથી બી.એસસી.ની ઉપાધિ મેળવી ખેડા જિલ્લાની કેટલીક શાળાઓમાં અધ્યાપન કર્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા. ત્યારબાદ ખગોળવિદ હરિહર ભટ્ટ અને ગણિતજ્ઞ ડૉ. પી. સી. વૈદ્યની રાહબરી હેઠળ ખગોળના ઇતિહાસમાં સંશોધન કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચડી. થયા. જે ‘ભારતીય ખગોળશાસ્ત્ર, મૌલિક કે પરપ્રાપ્ત’ નામે પુસ્તક રૂપે પ્રગટ થયું. આ ઉપરાંત ૧૯૬૭માં વલ્લભવિદ્યાનગરમાંથી ઉત્તમ સંદર્ભગ્રંથશ્રેણી જ્ઞાન-ગંગોત્રી ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક ‘બ્રહ્માંડદર્શન’ પણ તેમણે લખ્યું. ૧૯૬૮માં નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં તૈયાર થતી પ્રથમ વેધશાળાના પ્રથમ નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો અને અઢી વર્ષ દરમિયાન ખગોળના પ્રચાર માટે નોંધપાત્ર કામ કર્યું. ૧૯૭૪માં ‘અવકાશની સૃષ્ટિ’ નામે ખગોળનું એક પાઠ્યપુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત પણ તેમણે બીજાં ત્રણ પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમણે ‘વિજ્ઞાનદર્શન’ નામે પણ એક સામયિકનું તંત્રીપદ સંભાળ્યું હતું. વળી ‘કુમાર’ ઉપરાંત અનેક સામયિકોમાં તેમણે વિજ્ઞાનવિષયક લેખો લખ્યા હતા. ૧૯૬૭માં તેમણે ‘આપણાં પક્ષીઓ’ નામક પક્ષીજીવનના બે ગ્રંથો લખ્યા હતા. આમ નાનાંમોટાં થઈ તેમણે લગભગ પચાસેક પુસ્તકો લખ્યાં છે. વિજ્ઞાનક્ષેત્રે તેમની સેવાઓ બદલ રાષ્ટ્રીય ઍવૉર્ડ આપી તેમને સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ડાકોર

ગુજરાતનું અગ્રગણ્ય વૈષ્ણવ તીર્થધામ. તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ૨૨° ૪૫´ ઉ. અ. અને ૭૩° ૦૬´ પૂ. રે. ઉપર શેઢી નદીના કિનારે આવેલું છે. નડિયાદથી તે ૩૮ કિમી., આણંદથી ૩૦ કિમી. અને તાલુકામથક ઠાસરાથી ૮ કિમી. દૂર છે.  અહીં ડંક ઋષિનો આશ્રમ હતો, જેના નામ ઉપરથી આ નગર પ્રાચીન કાળમાં ડંકપુર કહેવાયું હતું. તેની આસપાસના પ્રદેશમાં ખાખરાનાં ઘણાં વૃક્ષો હોવાથી તે ભૂતકાળમાં ખાખરિયા તરીકે અને અનુશ્રુતિ પ્રમાણે ડાકોરની આસપાસનો પ્રદેશ હિડિંબા વન તરીકે ઓળખાતો હતો. સમુદ્રથી દૂર હોઈ આબોહવા સામાન્ય રીતે વિષમ હોય છે. મે માસમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૪૧° અને ૨૬° સે. રહે છે, જ્યારે જાન્યુઆરી માસમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન ૨૯° સે. અને ૧૪° સે. રહે છે. સરાસરી વાર્ષિક વરસાદ ૮૩૦.૮ મિમી. પડે છે. ડાકોર અનાજના વેપારનું કેન્દ્ર છે. અહીં પતરાળાં બનાવવાનો ગૃહઉદ્યોગ મોટા પાયા ઉપર ચાલે છે, જેની ત્યાંથી નિકાસ થાય છે. ઘરગથ્થુ  વપરાશનાં વાસણો તથા બીડી બનાવવાનો ગૃહઉદ્યોગ, કપાસ લોઢવાનું જિન, સાબુ તથા રબરની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં વિકસ્યાં છે. ડાકોર આણંદ–ગોધરા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. નડિયાદ અને ગોધરા સાથે તે પાકા માર્ગથી જોડાયેલું છે. રાજ્ય-પરિવહનની  બસો દ્વારા તે રાજ્યનાં લગભગ બધાં શહેરો સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીયકૃત બૅંકોની શાખા ઉપરાંત ત્યાં સહકારી બકો છે.

રણછોડરાયનું મંદિર, ડાકોર

ડાકોરની વસ્તી ૩૭,૨૦૦ (૨૦૨૫, આશરે) છે. કુલ વસ્તી પૈકી ૮૩.૨૬% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.

અહીં રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર છે. અનુશ્રુતિ અનુસાર ઈ. સ. ૧૧૫૬માં ભક્ત બોડાણા દ્વારકાથી રણછોડરાયની મૂર્તિ લાવ્યા હતા. દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો આ મૂર્તિ પાછી લેવા આવ્યા હતા, પણ તેના બદલામાં ભારોભાર સોનું આપવાનું કહેતાં તેમણે આ દરખાસ્ત સ્વીકારી હતી. વજન કરતાં એક વાળી જેટલું જ વજન થયું હતું ! નવું મંદિર ૧૭૭૨માં ગાયકવાડના શ્રોફ કે શરાફ ગોપાળરાવ તાંબેકરે બંધાવ્યું હતું. આ મંદિર મહારાષ્ટ્રમાં પ્રચલિત હેમાદ્રિ શૈલીનું છે. મંદિરના નિભાવ માટે ડાકોર અને કંજરી ગામો અપાયાં હતાં. અહીં ગોમતી નામનું ઉત્તર–દક્ષિણ ૮૦૪.૭ મી. લાંબું અને ૨૦૧.૨ મી. પહોળું એક પવિત્ર તળાવ છે. ઉપરાંત, લક્ષ્મીજી, ડંકનાથ મહાદેવ, વિશ્વકર્મા-મંદિર, શેષષાયી વિષ્ણુનું મંદિર, કબીર-મંદિર, મહાપ્રભુજીની બેઠક, શ્રીયંત્ર સ્વરૂપનું સરસ્વતી મંદિર વગેરે અનેક મંદિરો છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કૉલેજો, સંસ્કૃત પાઠશાળા, પુસ્તકાલયો અને ધર્મશાળાઓ છે. કાર્તિકી અને અશ્વિન માસની પૂનમના દિવસે તથા હોળીના દિવસે મોટો મેળો ભરાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

રાજિન્દર પુરી

જ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૪ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫

જાણીતા કાર્ટૂનિસ્ટ, કૉલમલેખક અને રાજકારણી રાજિન્દર પુરીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના પિતા હવામાનશાસ્ત્રી હતા. પાંચ સંતાનોમાં સૌથી નાના રાજિન્દર પુરી ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે માત્ર તેર વર્ષની ઉંમરે પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા. નાનપણથી જ કાર્ટૂન પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતા રાજિન્દર પુરીએ સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ તેમની ઇચ્છા ઇંગ્લૅન્ડ જઈને કાર્ટૂન અંગે અભ્યાસ કરવાની હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી થોડો સમય તેમણે ‘ધ માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધ ગ્લાસગો હેરલ્ડ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ઇંગ્લૅન્ડથી ૧૯૫૯માં ભારત આવ્યા પછી તેમણે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં ૧૯૬૭ સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ‘ધ સ્ટેટ્સમૅન’માં કાર્ટૂનિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમનાં કાર્ટૂન ‘શંકર્સ વીકલી’માં પણ પ્રકાશિત થતાં હતાં. કટોકટી પછી તેમણે ૧૯૭૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેઓ જનતા પાર્ટીના સ્થાપક જનરલ સેક્રેટરી બન્યા. જનતા પાર્ટીના ભાગલા પડ્યા પછી થોડો સમય લોકદળ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા, પરંતુ ૧૯૮૮ પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના જીવનનાં પાછલાં પચીસ-ત્રીસ વર્ષ તેઓ ફ્રીલાન્સ પત્રકાર તરીકે અનેક અખબારો અને સામયિકોમાં કૉલમ લખતા હતા. તેમણે ‘ઇન્ડિયા ૧૯૬૯ : અ ક્રાઇસિસ ઑફ કૉન્સિયસ, ‘ઇન્ડિયા ધ વેસ્ટેડ ઇયર્સ : ૧૯૬૯-૧૯૭૫, ‘ગવર્નમેન્ટ ધેટ વર્ક્સ ઍન્ડ હાઉ’, ‘રિકવરી ઑફ ઇન્ડિયા’, ‘બુલ્સ આઈ’ જેવાં પુસ્તકો લખ્યાં છે.