Categories
વાચન સમૃદ્ધિ

ત્રણ મહાન ચિકિત્સકો

સમગ્ર ઇંગ્લૅન્ડમાં ડૉક્ટર તરીકે સિડનહામની પ્રસિદ્ધિ અભૂતપૂર્વ હતી. રાજા કે ઉમરાવથી માંડીને સામાન્ય માનવી સુધી સહુ કોઈ ડૉક્ટર સિડનહામની કાબેલિયત પર પ્રસન્ન હતા. એનું નિદાન અત્યંત સચોટ ગણાતું અને એની સારવાર કારગત મનાતી. કેટલાય અસાધ્ય રોગના દર્દીઓને એણે સાજા કર્યા હતા અને કેટલાયને માટે આ ડૉક્ટર જીવનદાતા દેવસમાન હતા. આવા ડૉક્ટર સિડનહામ ખુદ મરણશય્યા પર સૂતા હતા ત્યારે એમનાં સગાં-સ્નેહીઓ, મિત્રો, દર્દીઓ અને શિષ્યો – સહુ કોઈ એમની પાસે ઊભાં હતાં. બધાંનાં મનમાં એક જ વ્યથા હતી કે આવા સમર્થ ડૉક્ટરની વિદાય પછી એમની બીમારીમાં કોણ ઉપચાર કરશે ! ડૉક્ટર સિડનહામે આસપાસ ઊભેલા સ્વજનોને કહ્યું, ‘તમે આટલા બધા શોકગ્રસ્ત બનશો નહીં. મને સંતોષ છે કે હું તમને ત્રણ મહાન ડૉક્ટરો આપીને વિદાય લઈ રહ્યો છું.’ સહુ કોઈ વિચારમાં પડ્યા. એક વ્યક્તિ તો બોલી ઊઠી : ‘‘શું કહો છો તમે ? તમારા જેવો એક ડૉક્ટર પણ મળવો મુશ્કેલ છે ! અસંભવ. અને તમે ત્રણ ત્રણ ડૉક્ટરની વાત કરો છો ?’ સહુના ચહેરા પર જિજ્ઞાસા છવાઈ ગઈ. આજ સુધી એમને ખબર નહોતી કે સિડનહામની તોલે આવે એવો કોઈ ડૉક્ટર છે, ત્યારે એ તો ત્રણ ત્રણ ડૉક્ટર હોવાની વાત કરે છે. સિડનહામના શિષ્યએ કહ્યું, ‘આપ એ ત્રણ ડૉક્ટરોનાં નામ બતાવવાની કૃપા કરશો?’ સિડનહામે જવાબ આપ્યો, ‘એ ત્રણ મહાન ચિકિત્સકો છે – હવા, પાણી અને કસરત. શુદ્ધ હવા, સ્વચ્છ પાણી અને નિયમિત કસરત – એ ત્રણ મહાન ચિકિત્સકોને કારણે કોઈ બીમારી તમારી પાસે આવશે જ નહીં.’

Categories
વાચન સમૃદ્ધિ

કિશન મહારાજ

જ. ૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૪ મે, ૨૦૦૮

ભારતના બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક. તેમનો જન્મ જન્માષ્ટમીને દિવસે થયો હોવાથી તેમનું નામ કિશન રાખવામાં આવ્યું. તેમના પિતા હરિ મહારાજ સારા તબલાવાદક હતા, પરંતુ પિતાનું નાની વયે અવસાન થતાં કિશન મહારાજના ઉછેર અને સંગીતશિક્ષણની જવાબદારી તેમના કાકા અને વિખ્યાત તબલાવાદક કંઠે મહારાજે લીધી. માત્ર પાંચ વર્ષની વયથી કિશન મહારાજે તબલાવાદનની સાધના શરૂ કરી. તેઓ શરૂઆતથી જ અટપટા તાલ વગાડવામાં વિશેષ રસ ધરાવતા. પરિણામે સરળ માત્રાવાળા તાલ વગાડવાની કળા તેમને સહજ રીતે હસ્તગત બની. તેઓ સ્વતંત્ર એકલ તબલાવાદક તરીકે ખ્યાતિ ધરાવે છે. દેશના વિખ્યાત કંઠ્ય અને વાદ્ય સંગીતકારો સાથે સંગીત સંમેલનો તથા મહેફિલોમાં તેમણે સંગત કરી હતી. શાસ્ત્રીય કંઠ્ય તથા વાદ્યસંગીત, ધ્રુપદ, ધમાર સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત ઉપરાંત નૃત્ય જેવાં વિવિધ ક્ષેત્રોના કલાકારો સાથે તેઓ કુશળતાપૂર્વક સંગત કરી શકતા. તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બડે ગુલામ અલીખાં, ઉસ્તાદ ફૈયાઝખાં, પંડિત ભીમસેન જોષી, પંડિત રવિશંકર જેવા મોટા સંગીતકારો સાથે સંગત કરી હતી. વળી તેમણે નૃત્યની દુનિયાના મહાન કલાકાર શંભુ મહારાજ, બિરજુ મહારાજ, સિતારાદેવી વગેરેના કાર્યક્રમોમાં પણ તબલાં પર સંગત કરી હતી. તેમણે ગુરુશિષ્ય પરંપરા પદ્ધતિથી અનેક તાલીમાર્થીઓને તબલાવાદનની તાલીમ આપી છે. તેમના અનેક શિષ્યોએ તબલાવાદનક્ષેત્રે નામના મેળવી છે. તેઓ સંસ્કૃતિ અને ચિત્રકલામાં પણ ઊંડો રસ ધરાવતા હતા. હિંદી ભાષામાં લખેલી તેમની કાવ્યરચનાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમણે ૧૯૫૦-૫૧માં રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને સંગીતક્ષેત્રે તેમના પ્રદાન બદલ અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે ૧૯૭૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા અને ૨૦૦૨માં પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સેવાગ્રામ (સેગાઁવ)

વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું થયેલું ગામ.

સેવાગ્રામ વર્ધાથી ૮ કિમી. દૂર છે. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ આરંભી ત્યારે પ્રતિજ્ઞા કરી કે સ્વરાજ્ય લીધા વિના પાછા ફરી અમદાવાદમાં પગ નહિ મૂકે. આ પછી તેમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્યનો આરંભ કર્યો. તેમના અનુયાયી જમનાલાલ બજાજે તેમને વર્ધામાં રહેવા આમંત્રણ આપ્યું. ૧૯૩૪માં ગાંધીજી વર્ધા ગયા. ત્યાં થોડો સમય વસવાટ કર્યો, પરંતુ તેમને ગામડું પસંદ હતું એટલે જમનાલાલ બજાજ પાસેથી ૧ એકર જમીન લઈને સેગાંવ પસંદ કર્યું. ગામ બહુ પછાત હતું. વસ્તી મુખ્યત્વે હરિજનોની હતી. સ્વચ્છતા પણ ન જેવી હતી. વિદર્ભમાં બીજું સેગાઁવ હોવાથી ઘણી વાર ગાંધીજીની ટપાલ ત્યાં જતી, એટલે એમણે ‘સેગાઁવ’ને બદલે ‘સેવાગ્રામ’ નામ રાખ્યું. ૧૯૩૬માં ગાંધીજી આ આશ્રમમાં રહેવા ગયા અને ત્યાંથી સેવાયજ્ઞ આરંભ્યો.

વર્ધા આશ્રમમાં જ્યાં ગાંધીજી રહેતા તે કુટિર

ગાંધીજી જે ઝૂંપડીમાં રહેતા હતા તેને ‘બાપુ કુટી’ નામ આપ્યું હતું. ગાંધીજીનાં અનુયાયી મીરાંબહેન પણ અહીં વસતાં હતાં. તે વખતે મહાદેવભાઈ દેસાઈ જે કુટિરમાં રહેતા તેનું નામ પછીથી ‘મહાદેવ કુટી’ રાખવામાં આવ્યું. કિશોરલાલ મશરૂવાળા જે કુટિરમાં રહેતા હતા તે ‘કિશોર-નિવાસ’ નામથી અત્યારે ઓળખાય છે. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહ ને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનની પૂર્વતૈયારી આ આશ્રમમાં થઈ હતી. આ નાના ગામમાં ગાંધીજીને મળવા વિશ્વના અનેક દેશોના આગેવાનો તથા મહાનુભાવો આવતા. ૧૯૪૨માં અમેરિકન પત્રકાર લૂઈ ફિશર આ આશ્રમમાં એક અઠવાડિયું રહ્યા હતા. બાપુ જેલમુક્તિ પછી ૧૯૪૪માં સેવાગ્રામ આશ્રમ આવ્યા હતા અને ૧૯૪૬માં ‘જમના કુટી’ને બાપુના આખરી નિવાસ તરીકે લાભ મળ્યો હતો. આજે પણ એ ‘આખરી નિવાસ’ તરીકે ઓળખાય છે. સેવાગ્રામના નિવાસીઓ માટે ગાંધીજીએ અગિયાર વ્રતનો આગ્રહ રાખ્યો હતો : સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. બાપુ કુટી ખૂબ જ સાદગીપૂર્ણ હતી. બાપુ કુટીમાં માત્ર ચટાઈઓ પાથરેલી રહેતી. વાઇસરૉયના આગ્રહથી બાપુ માટે તેમાં ટેલિફોન મૂકવામાં આવેલો. મહાદેવભાઈ દેસાઈ, પ્યારેલાલજી અને રાજકુમારી અમૃતકૌર પણ અહીં રહેતાં. સામૂહિક ભોજનમાં ઘણી વાર બાપુ પોતે પણ પીરસતા. બાપુ એમના મેજ પર ત્રણ વાંદરાનું રમકડું રાખતા. રક્તપિત્તના રોગી પરચુરે શાસ્ત્રીજી માટે આશ્રમમાં એક કુટિર બાંધવામાં આવી હતી. બાપુ નિયમિત રીતે એમની સેવા માટે જતા. પ્રાર્થનાભૂમિમાં સવાર-સાંજ નિયમિત પ્રાર્થના થતી. બપોરના સમૂહકાંતણ થતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ (સેગાઁવ), પૃ. ૪૨)