Categories
વાચન સમૃદ્ધિ

જાદુઈ દવા

અમેરિકામાં મનોચિકિત્સક તરીકે આલ્ફ્રેડ ઍડલરની ઘણી મોટી ખ્યાતિ હતી. એમ કહેવાતું કે એમની પાસે જનારો મનોરોગી થોડા જ દિવસમાં રોગમુક્ત થઈને સ્વસ્થ બની જતો. કોઈ દર્દી આવીને ડૉક્ટરને કહેતો કે એના મનને ચારે બાજુથી હતાશા ઘેરી વળી છે, તો કોઈ કહેતો કે એ કદી બહાર ન નીકળી શકે એવા ડિપ્રેશનમાં ડૂબી ગયો છે. કોઈ દર્દીની એવી ફરિયાદ હોય કે મારી જિંદગી એટલી બધી બેચેન અને બહાવરી બની ગઈ છે કે મારા મનને ક્યાંય ચેન પડતું નથી, શું કરવું તે સૂઝતું નથી તેથી હાથપગ વાળીને ઘરમાં સૂનમૂન બેસી રહું છું. પ્રણયભંગ થનાર કે ધારેલી સિદ્ધિ નહીં મેળવનાર પણ એમની પાસે આવતા અને એ જ રીતે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા પણ આવતા. આલ્ફ્રેડ ઍડલરની ખૂબી એ હતી કે તેઓ આ પ્રકારના દર્દીઓને એક જ વાત કરતા, ‘તમે જો મારું માનો, તો માત્ર ચૌદ દિવસમાં તદ્દન રોગમુક્ત બની જશો.’ દર્દીઓ ડૉક્ટરના ઉત્સાહને જોતા અને કહેતા, ‘એવી તે કઈ જાદુઈ દવા તમારી પાસે છે કે અમારો આ વર્ષો જૂનો રોગ ચૌદ દિવસમાં દૂર થઈ જશે.’ આલ્ફ્રેડ ઍડલર કહે, ‘દવા સાવ સાદી છે. બસ, તમે રોજ સવારે ઊઠો ત્યારે એક જ વિચાર કરો કે આજે મારે ઓછામાં ઓછા એક માણસને આનંદિત કરવો છે. એક એવું સત્કર્મ કરો કે જેનાથી અન્યના ચહેરા પર ખુશી આવે.’ ડૉક્ટર આલ્ફ્રેડ એડલરે પોતાના પુસ્તકમાં એવાં અનેક દૃષ્ટાંતો આપ્યાં છે કે જેમાં આ ઉપચારથી અનેક લોકોના જીવનમાંથી હતાશા, નિરાશા કે આત્મહત્યાના વિચારે વિદાય લીધી હોય. જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગ્યો હોય.

Categories
વાચન સમૃદ્ધિ

જહાંગીર બાદશાહ

જ. ૩૦ ઑગસ્ટ, ૧૫૬૯ અ. ૨૮ ઑક્ટોબર, ૧૬૨૭

મૂળ નામ સલીમ પણ ઈ. સ. ૧૬૦૫ના ઑક્ટોબરની ૨૪મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્તા ઉપર તેઓ બેઠા. બાબરના વંશમાં ચોથા બાદશાહ અને મુઘલ બાદશાહ અકબરના તેઓ પુત્ર હતા. તેઓ અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યા હતા. તેમણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી.  તેમણે તખ્તા પર બેઠા પછી પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતા છતાં તેમણે પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી હતી. ૧૬૧૨માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શેર અફઘાનને હરાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યા અને બર્દવાનની લડાઈમાં બંનેના પ્રાણ ગયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યા અને ચાર વર્ષ બાદ તેની સાથે લગ્ન કર્યાં, તેનું નામ નૂરજહાં (જગતની રોશની) રખાયું. નૂરજહાંએ જહાંગીર વતી કુશળ વહીવટ ચલાવ્યો, એના નામના સિક્કા પણ પડ્યા. ૧૬૧૪માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરિંસહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જૉન હૉકિન્સ આગ્રામાં બે વર્ષ (૧૬૦૯-૧૬૧૧) રહ્યા. બાદશાહે તેને ખૂબ મદદ કરી. સર ટૉમસ રૉ ઈ. સ. ૧૬૧૫માં હિંદ આવ્યા. તે બાદશાહને અજમેરમાં મળ્યા અને બાદશાહ સાથે માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે સાથે રહ્યા. ત્યારબાદ અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની યોગ્ય સગવડ મળી. જહાંગીર કલાના કદરદાતા હતા. બગીચા કરાવવાના ખૂબ શોખીન, કાશ્મીરના બગીચા એના દાખલા રૂપે છે. કપડાંલત્તાં તથા મિજબાનીના શોખીન હતા. લાહોરમાં બાદશાહે દેહ છોડ્યો, નૂરજહાંએ ત્યાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સેઉલ

દક્ષિણ કોરિયા પ્રજાસત્તાકનું પાટનગર. તે ૩૭° ૩૩´ ઉ. અ. અને ૧૨૬° ૫૮´ પૂ. રે. પર હૅન (Han) નદીને કાંઠે વસેલું છે. આ શહેર દક્ષિણ કોરિયાનું સાંસ્કૃતિક, શૈક્ષણિક, આર્થિક, નાણાકીય, વહીવટી અને સામાજિક પ્રવૃત્તિઓનું મથક છે. તેનો વિસ્તાર આશરે ૬૦૬ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૯૬,૦૦,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. ચૌદમી સદીના અંત વખતે જનરલ યી સોંગ્યીએ સેઉલની સ્થાપના કરેલી. ‘સેઉલ’નો અર્થ ‘પાટનગર’ થાય છે. યી સોંગ્યીએ સેઉલને કોરિયાનું પાટનગર કરેલું. ૨૦મી સદીના મધ્યકાળ પછી સેઉલ શહેરનો ખૂબ ઝડપી વિકાસ થયો છે. ૧૯૬૧થી પાર્ક ચુંગ હીએ દક્ષિણ કોરિયાનો વહીવટ પોતાને હસ્તક લીધો. ૧૯૭૯માં તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેણે દેશના ઘણા ભાગોમાં ઉદ્યોગો સ્થાપ્યા અને તેમનો વિકાસ કર્યો. હજારો લોકો કામ મેળવવા અહીં સ્થાયી થયા અને સેઉલ વિસ્તરતું ગયું.

સેઉલ શહેર

દક્ષિણ કોરિયાનાં ઘણાં વહીવટી તથા ધંધાકીય કાર્યાલયો સેઉલમાં આવેલાં છે. શહેરના મધ્ય ભાગમાં બૅંકો, હોટેલો, દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને થિયેટરો આવેલાં છે. કોરિયાની બધી જ યુનિવર્સિટીઓ સેઉલમાં છે. તેમાં સેઉલ નૅશનલ યુનિવર્સિટી, કોરિયા યુનિવર્સિટી અને યોન્સેઈ યુનિવર્સિટી મુખ્ય છે. અહીં આવેલાં રાષ્ટ્રીય સંગ્રહાલય અને અર્વાચીન કલા-સંગ્રહાલય જોવાલાયક છે. સેઉલમાં અદ્યતન આવાસો, સરકારી કાર્યાલયોની ઇમારતો ઉપરાંત અનેક ઐતિહાસિક ઇમારતો પણ આવેલી છે. પૂર્વજોના સ્મારક તરીકે રાજા યી સાંગ્યીએ ૧૩૯૫માં બંધાવેલું ચોંગમ્યો શાહી મંદિર, ૧૪૦૫ના અરસામાં બંધાવેલો ચાંગદોક મહેલ તથા સિક્રેટ ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે. સેઉલનું રક્ષણ કરતા કોટના બે દરવાજા પણ જાણીતા છે. શહેરના મધ્ય વિભાગના નૈર્ૠત્યમાં હૅન નદીમાંના યોઈડો ટાપુ પર આવેલી આધુનિક ઇમારત ખાતે રાષ્ટ્રીય સંસદની કચેરી બેસે છે. શહેરના મોટા ભાગના લોકો સંયુક્ત આવાસી ફ્લૅટોમાં રહે છે. આવાસો હૅન નદીને કિનારે કે યોઈડો ટાપુ પર આવેલા છે. શહેરના ઘણાખરા લોકો સરકારનાં વહીવટી, ધંધાકીય તેમ જ ઔદ્યોગિક કાર્યાલયોમાં નોકરી કરે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇજનેરી તથા કાપડ, ખાદ્યપ્રક્રમણ, વીજળી-વીજાણુ, રસાયણો, યંત્રસામગ્રી, મોટરગાડીઓ, રેડિયો, ટેલિવિઝન-સેટ વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશનાં મુખ્ય દૈનિકપત્રો તથા અન્ય સામયિકો પણ સેઉલથી પ્રકાશિત થાય છે. હૅન નદીના મુખ પર ઇન્કોન નામનું દરિયાઈ બંદર આવેલું છે. સેઉલમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. તે દેશનાં અન્ય શહેરો સાથે રેલમાર્ગે, સડકમાર્ગે તથા હવાઈ માર્ગે જોડાયેલું છે. ૧૯૮૬માં સેઉલમાં એશિયન રમતોત્સવ યોજાયો હતો. ત્યારબાદ ૧૯૮૮માં ઑલિમ્પિક રમતોત્સવ તથા ૨૦૦૨માં જાપાન સાથે સંયુક્ત રીતે ફૂટબૉલની ‘ફીફા’ વર્લ્ડ કપની સ્પર્ધા યોજાઈ હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10