Categories
વાચન સમૃદ્ધિ

રાજીવ કપૂર

જ. ૨૫ ઑગસ્ટ, ૧૯૬૨ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧

હિન્દૃી ફિલ્મજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા. હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર તથા ક્રિષ્ના કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરને અભિનય તેમજ ફિલ્મસર્જનની સૂઝ ગળથૂથીમાં જ મળી હતી. અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સહજ અભિનય એ એમની ઓળખ હતી. ૧૯૮૩માં ફિલ્મ ‘એક જાન હૈ હમ’ સાથે રાજીવ કપૂરે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ૧૯૮૫માં સ્વ. રાજ કપૂરના નિર્માણ અને નિર્દેશનવાળી અંતિમ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં મુખ્ય ભૂમિકા કરીને તેઓ અત્યંત લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘આસમાન’ (૧૯૮૪), ‘લવર બૉય’ (૧૯૮૫), ‘મેરા સાથી’ (૧૯૮૫), ‘ઝબરદસ્ત’ (૧૯૮૫), ‘લાવા’ (૧૯૮૫), ‘જલજલા’ (૧૯૮૮) અને ‘હમ તો ચલે પરદેશ’ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો, પરંતુ ત્યારબાદ અભિનયને તિલાંજલિ આપીને આર. કે. બૅનર હેઠળ નિર્માણ-નિર્દેશન કરવાનું શરૂ કર્યું. ‘આ અબ લોટ ચલે’, ‘પ્રેમગ્રંથ’ વગેરે ફિલ્મોમાં નિર્માણ તથા દિગ્દર્શન કર્યું. આરતી સભરવાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પરંતુ બે વર્ષમાં જ બંને અલગ થઈ ગયાં. તેમણે ૧૯૯૫-૯૬ દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ ‘વંશ’નું નિર્માણ કર્યું. પૃથ્વીરાજ કપૂરના પરિવારના કલાવારસાને રાજીવ કપૂરે ખૂબ આદરપૂર્વક જાળવ્યો. સહજ અભિનેતા અને સરળ વ્યક્તિ તરીકે રાજીવ કપૂરને ભાવકો યાદ કરે છે. હૃદયરોગના અચાનક હુમલાથી એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

‘હું’ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે

અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું’ સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું’ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું’ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું’ના મૃત્યુના ભયમાં જીવે છે. ‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં’ એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું’ સતત મોટો થાય છે, પછી એ ‘હું’ જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યે કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું’ જ મૂરખ બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ’ એમ વ્યક્તિ માનતી હોય છે. હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું’ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને તેથી જ એના ‘હું’ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય છે. ‘હું’ ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને એવું થાય તો વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે. અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચારે દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં; પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી, ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મહેતા, યશોધર નર્મદાશંકર

જ. ૨૪ ઑગસ્ટ, ૧૯૦૯ અ. ૨૯ જૂન, ૧૯૮૯

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ૧૯૩૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. ૧૯૪૦માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારનાં જુદાં જુદાં કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (૧૯૪૭), ‘મંબો જંબો’ (૧૯૫૧), ‘ઘેલો બબલ’ (૧૯૫૨) અને ‘સમર્પણ’ (૧૯૫૭) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે. ‘સરી જતી રેતી’ ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨), ‘મહારાત્રિ’ (૧૯૫૪), ‘વહી જતી જેલમ‘ (૧૯૫૫), ‘તુંગનાથ (૧૯૫૭), ‘સંધ્યારાગ (૧૯૬૩), ‘મહમદ ગઝની’ (૧૯૬૬) તેમણે લખેલી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (૧૯૭૪-૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે. ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘કીમિયાગરો’ (૧૯૫૧), ‘પ્રેમગંગા’ (૧૯૫૪) અને ‘રસનંદા’ (૧૯૫૪) વગેરે. ‘શ્રી નંદા’ (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ’ (૧૯૬૦) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (૧૯૫૪), ‘યશોધારા’ (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ’ (૧૯૫૯) હળવા નિબંધનાં પુસ્તકો; ‘નદીઓ-નગરો’ (૧૯૫૦) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. અધ્યાત્મના અનુભવો ‘અગમનિગમ‘ (૧૯૫૯), ‘શૂન્યતા અને શાંતિ’ (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ’ (૧૯૬૯), ‘આનંદધારા’ (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે’ (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (૧૯૭૫) અને ‘સમાપ્તિ’ (૧૯૭૭)માં સમાયેલા છે. ‘ભાવિના ભેદ’ (૧૯૫૪), ‘ભાવિના ગગનમાં’ (૧૯૬૬), ‘ભાવિના મર્મ’ (૧૯૭૮) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે. તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ૧૯૪૬માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.