Categories
વાચન સમૃદ્ધિ

હજારીપ્રસાદ દ્વિવેદી

જ. ૧૯ ઑગસ્ટ, ૧૯૦૭ અ. ૧૯ મે, ૧૯૭૯

હિન્દી નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, વિદ્વાન અને સાહિત્યિક ઇતિહાસકાર હજારીપ્રસાદ દ્વિવેદીનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુબે છાપરા નામના ગામમાં થયો હતો. તેમના પિતા પંડિત અનમોલ દ્વિવેદી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રમાં ‘આચાર્ય’ અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૯માં લખનૌ યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હજારીપ્રસાદ દ્વિવેદી ૧૯૩૦માં વિશ્વભારતીમાં જોડાયા હતા જ્યાં તેઓ સંસ્કૃત અને હિન્દી શીખવતા હતા. ત્યારબાદ તેઓ બે દાયકા સુધી શાંતિનિકેતનમાં રહ્યા હતા. તેમણે હિન્દી ભવનની સ્થાપના કરી અને વર્ષો સુધી તેનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમણે બંગાળી ભાષા અને સાહિત્યની સૂક્ષ્મતા, નંદલાલ બોઝની સૌંદર્યલક્ષી સંવેદનશીલતા, ક્ષિતિમોહન સેનના મૂળની શોધ અને ગુરુદયાલ મલ્લિકની સૌમ્ય પણ રહસ્યમય રમૂજને આત્મસાત્ કરેલ. આ બધા પ્રવાહોની અસર તેમનાં લખાણોમાં સ્પષ્ટ જોવા મળે છે. ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન તેમણે વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં હિન્દી વિભાગમાં રીડર તરીકે સેવા આપી હતી.૧૯૫૫માં ભારત સરકાર દ્વારા સ્થાપિત ભાષા આયોગના સભ્ય તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ૧૮૬૦માં તેઓ પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં હિન્દી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે જોડાયા અને ત્યાંથી જ સેવાનિવૃત્ત થયા હતા. હજારીપ્રસાદ દ્વિવેદીએ ‘સાહિત્ય કી ભૂમિકા’ અને ‘હિન્દી સાહિત્ય કી આદિકલા’ જેવાં પુસ્તકો દ્વારા હિન્દી સાહિત્યમાં વિવેચનને એક નવી દિશા આપી હતી. તેમના ‘કબીર’, ‘મધ્યકાલીન ધર્મસાધના’ અને ‘નાથ સંપ્રદાય’ જેવા ગ્રંથોમાં ભારતના મધ્યયુગીન ધાર્મિક જીવનનું ઐતિહાસિક વિશ્લેષણ જોવા મળે છે. તેમની ‘બાણભટ્ટ કી આત્મકથા’, ‘અનમદાસ કા પોથા’, ‘પુનર્નવા’ અને ‘ચારુ-ચંદ્રલેખા’ જેવી ઐતિહાસિક નવલકથાઓને ક્લાસિક ગણવામાં આવે છે. તેમનો ‘શિરીષ કે ફૂલ’ નામનો નિબંધ NCERT દ્વારા ધોરણ ૧૨ માટે તૈયાર કરવામાં આવેલ હિંદી પુસ્તકમાં સ્થાન પામ્યો છે. આ સિવાય તેમણે અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાંથી હિંદીમાં ઘણી કૃતિઓનો અનુવાદ પણ કર્યો હતો. હિન્દી સાહિત્યમાં વિશેષ યોગદાન બદલ તેમને ૧૯૫૭માં ‘પદ્મભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મારે શી ફિકર ?

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વમાં શરૂઆતના અગ્રણી મોટર ઉત્પાદક હેન્રી ફોર્ડે (ઈ. સ. ૧૮૬૩થી ૧૯૪૭) જગતને મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનનો ‘ઍસેમ્બ્લી પ્લાન્ટ’ આપ્યો, જે આજે મોટર, ટ્રક અને સ્કૂટરના ઉત્પાદનમાં જ નહીં, પણ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિઝરેટરો વગેરેના નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને એનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવા માટે ‘ઍસેમ્બ્લી લાઇન’ના સિદ્ધાંત તરીકે અમલમાં મુકાય છે. મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનથી અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પ્રભાવ પાડનાર આ ઉદ્યોગપતિ સતત ફોર્ડ કારનાં જુદાં જુદાં મૉડલનું ઉત્પાદન કરતા હતા તેમજ ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર ઉત્પાદન અને યુદ્ધના માલસામાનના ઉત્પાદનમાં પણ કાર્યરત હતા. એ સમયે અમેરિકાના સામાજિક અને આર્થિક જીવન પર હેન્રી ફોર્ડનો ઘણો પ્રભાવ પડ્યો. આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગપતિએ જહાજખરીદી અને ગ્રંથલેખન પણ કર્યું. આવા હેન્રી ફોર્ડના અવસાનનાં થોડાં વર્ષ પહેલાં ડેલ કાર્નેગી એની મુલાકાતે ગયા. માનવમનના પારખુ ડેલ કાર્નેગીએ એવી કલ્પના કરી હતી કે આટલાં બધાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અને કેટલાય પ્રકારના કારોબાર સંભાળતા હેન્રી ફોર્ડ અત્યંત વ્યસ્ત હશે. કામના બોજથી દબાયેલા હશે, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ હશે અને મન સ્ટ્રેસ ધરાવતું હશે. એ સમયે હેન્રી ફોર્ડની ઉંમર ૭૮ વર્ષની હતી, આમ છતાં એ તદ્દન શાંત, સૌમ્ય અને સ્વસ્થ દેખાતા હતા. ડેલ કાર્નેગીને આ જોઈને ભારે આશ્ચર્ય થયું. એણે કહ્યું કે તમે દેશની કાયાપલટ કરી છે, આટલો વિશાળ કારોબાર સંભાળો છો અને છતાં તમારા ચહેરા પર કેમ કોઈ ચિંતા દેખાતી નથી ? ‘ચિંતાઓ ? ના, હું તો એમાં દૃઢ વિશ્વાસ ધરાવું છું કે ઈશ્વર જ મારા વ્યવસાયની સઘળી વ્યવસ્થા કરે છે અને એની દેખરેખના અંતે બધાં કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થાય છે, પછી મારે એની ચિંતા-ફિકર કરવાની શી જરૂર ?’ ફોર્ડે ઉત્તર વાળ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર

જ. ૧૮ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૫

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદ્વિતીય પરાક્રમ કરી જીત અપાવનાર લે્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પૂર્વજ રતનજીબા છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં હતા. શિવાજીએ તેમને તારાપોર સહિત ૧૦૦ ગામ ઇનામ સ્વરૂપે આપ્યાં હતાં. આથી તેઓ તારાપોર કહેવાયા. પુણેની સરદાર દસ્તુર બૉય્ઝ સ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૪૦માં મૅટ્રિક થયા પછી પહેલી જાન્યુઆરી, ૧૯૪૨ના રોજ સાતમી હૈદરાબાદ ઇન્ફન્ટ્રીમાં જોડાયા. હૈદરાબાદ ભારતમાં વિલીન થયું પછી તેઓ ભારતીય સેનામાં પૂના હોર્સમાં સામેલ થયા. ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ફિલોરા પર આક્રમણ કરવા તારાપોર એમની ટુકડી સાથે આગળ વધ્યા. દુશ્મનોએ મોટી સંખ્યામાં રણગાડીઓ સાથે હુમલો કર્યો. ધમસાણ યુદ્ધ થયું. દુશ્મનની શક્તિનો તાગ મેળવવા તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા ત્યાં જ દુશ્મનનો તોપગોળો તેમની નજીક ફૂટ્યો, આથી તેઓ ઘાયલ થયા. સારવાર માટે યુદ્ધમેદાન ન છોડ્યું અને યુદ્ધ ચાલુ રાખ્યું. તેમણે દુશ્મનની ટૅન્કોનો ખાતમો બોલાવ્યો અને ફિલોરા જીત્યું. ફિલોરાથી ચવિન્દા જવાનું હતું. માર્ગમાં વઝીરવાલી મુકામે પાકિસ્તાની સેનાએ ભારે હુમલો કર્યો. તારાપોરે દુશ્મનોની ટૅન્કો ઉડાવી વઝીરવાલી કબ્જે કર્યું. ત્યાંથી આગળ વધી બુતુર દોગરણ પહોંચતાં જ કૅપ્ટન અજયિંસહના કાફલા પર હુમલો થયો. તારાપોર તેમના કાફલા સાથે બુતુર દોગરણ પહોંચ્યા. કલાકો સુધી ગોળાબાજી ચાલી. એમાં તારાપોરની ટૅન્કનું બખ્તર ભેદાયું. તેમ છતાંય તેઓ લડતા રહ્યા. સાંજ સુધીમાં ભારતીય સૈન્યએ જીત મેળવી પણ પાકિસ્તાનની ટૅન્કના ગોળાથી તારાપોર શહીદ થયા. તારાપોરની ટુકડીએ પાકિસ્તાનની ૬૦ ટૅન્કોનો નાશ કરી અસાધારણ શૌર્યથી દુશ્મનોને હરાવ્યા હતા. યુદ્ધભૂમિમાં કરેલ અપ્રતિમ પરાક્રમ માટે ભારત સરકારે પરમવીર ચક્ર(મરણોત્તર)થી અરદેશર તારાપોરને સન્માનિત કર્યા.