Categories
વાચન સમૃદ્ધિ

સુગરી (સુઘરી)

ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષોત્તમદાસ ટંડન

જ. ૧ ઑગસ્ટ, ૧૮૮૨ અ. ૧ જુલાઈ, ૧૯૬૨

દેશના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની અને દેશસેવક તરીકે જાણીતા પુરુષોત્તમદાસ ટંડનનો જન્મ ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેરના એક ખત્રી પરિવારમાં થયો હતો. ૧૯૦૬માં ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેઓ સર તેજબહાદુર સપ્રુના હાથ નીચે વકીલાતમાં જોડાયા હતા. ૧૯૨૧માં વકીલાતનો ત્યાગ કરીને તેમણે પૂર્ણ સમય માટે દેશસેવા શરૂ કરી હતી. થોડા સમય માટે તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજમાં અધ્યાપક તરીકે પણ ફરજ નિભાવી હતી. પુરુષોત્તમદાસ ટંડન વિદ્યાર્થી હતા ત્યારથી જ કૉંગ્રેસમાં જોડાયા હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ કૉંગ્રેસની સત્યશોધ સમિતિના સભ્ય હતા. ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકા દરમિયાન તેઓએ અસહકાર આંદોલન અને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવ્યો હતો. આ જ દાયકામાં બિહાર કિસાનસભાના પ્રમુખ તરીકે તેમણે કિસાનોના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૯૨૧ની સાલમાં તેઓ લાલા લજપતરાય દ્વારા સ્થાપિત ભારત લોકસેવક મંડળના પ્રમુખ તરીકે નિમાયા હતા. ૧૯૩૭ની વચગાળાની સરકારની રચના બાદ તેમણે ઉત્તરપ્રદેશની પ્રાંતીય વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ૧૯૫૦ સુધી નિભાવી હતી. ૧૯૫૦માં આચાર્ય કૃપલાણીને હરાવીને પુરુષોત્તમદાસ ટંડન કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૯૫૨માં લોકસભા અને ૧૯૫૬માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. દેશની રાષ્ટ્રભાષા હિંદી જ હોવી જોઈએ તેના તેઓ આગ્રહી હતા અને તે માટે તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પુરુષોત્તમદાસ ટંડનની દેશસેવા અને સમાજસેવાથી પ્રભાવિત થઈને ગાંધીજી તેમને ‘રાજર્ષિ’ નામે ઓળખાવતા હતા. ૧૯૬૧માં તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઉતાવળે ઉત્તર આપવાની નૅગેટિવ મનની રીત

મનથી મોટું કોઈ ફરિયાદી નથી. મનને સદા આનંદ આવે છે ફરિયાદ કરવામાં. એને જેટલું સુખ બીજાના દોષ વર્ણવવામાં આવે છે, એટલું સુખ બીજા કશામાં મળતું નથી. ફરિયાદપ્રેમી મનની રીત પણ કેટલી માર્મિક છે ! માણસ ફરિયાદ કરતી વખતે ભાષાને કેટલી સિફતથી પ્રયોજતો હોય છે ! જેમ જેમ ફરિયાદ કરતો જાય, તેમ તેમ એની ભાષાના રંગ પણ બદલાતા હોય છે. ભાષાની સાથે આંખની કીકી પણ ઘૂમતી જશે. ક્યારેક ઠાવકાઈથી એ ફરિયાદ કરશે, તો ક્યારેક અકળાઈને એ ફરિયાદ કરશે. ફરિયાદનું ગાણું ગાવાનું મનને એટલું બધું પસંદ પડે છે કે એ જીવનની પ્રત્યેક બાબતમાંથી તમને કોઈ ને કોઈ ફરિયાદ શોધીને આપશે. ગમે તેવી ઉત્તમ વ્યક્તિ હોય, ગમે તેટલું સુઘડ આયોજન હોય કે ગમે તેટલો મોટો ઉત્સવ રચાયો હોય, પરંતુ એમાંથીય મન પાણીમાંથી પોરા કાઢવા જેવું કરશે. એનું કારણ છે કે ફરિયાદ એની બાબત બની ગઈ છે. વ્યક્તિ જેમ જેમ વધુ ફરિયાદ કરશે, તેમ તેમ એનું મન ‘નૅગેટિવ’ થતું જશે. આવી વ્યક્તિ કોઈ પણ બાબતમાંથી દોષ, ખામી, ક્ષતિ કે ભૂલ શોધી આપશે. આવું ફરિયાદી મન ધીરે ધીરે જીવન પ્રત્યે નકારાત્મક વલણનો અંચળો ઓઢી લેશે અને એક એવો સમય આવશે કે જ્યારે ફરિયાદ કરનારું મન શાબાશી આપવાનું જ સાવ ભૂલી જશે. પૉઝિટિવ મન શાંતિથી વિચારીને સ્વસ્થતાથી જવાબ આપતું હોય છે. એના ગુણદોષની પરીક્ષા કરીને પ્રત્યુત્તર આપતું હોય છે. નૅગેટિવ મન જેવું ઉતાવળું બીજું કોઈ નથી. વાત પૂરી સાંભળે એ પહેલાં એનો ઇન્કાર કરશે. તત્કાળ કોઈ બહાનું ધરી દેશે અથવા તો ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીનો અંદાજ આપશે.