Categories
વાચન સમૃદ્ધિ

પોપટને પાંજરું જ વહાલું લાગશે

વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે. આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નરકનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે. મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્તિ વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપ કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રશેખર આઝાદ

જ. ૨૩ જુલાઈ, ૧૯૦૬ અ. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧

ભારતીય ક્રાંતિકારી તરીકે જાણીતા ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. પિતા સીતારામ અત્યંત ગરીબીમાં જીવતા હતા, ચોકીદારની નોકરી કરતા હતા અને વાંસ તથા માટીથી બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. માતા જાગરાણી દેવીની ઇચ્છાથી ૧૪ વર્ષની વયે તેઓ વારાણસીની એક સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. આજીવન અપરિણીત રહેનાર ચંદ્રશેખર આઝાદને ગાંધીજી પ્રેરિત રાષ્ટ્રીય આંદોલનનો નાદ લાગતાં તેમણે તેમાં ઝંપલાવ્યું હતું. પોલીસના હાથે તેઓ પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી ! આથી નિષ્ઠુર પોલીસે તેમને ચાબખાની સજા કરી હતી, જે તેમણે હસતા મોંએ સહન કરી હતી. પોલીસના હાથે પકડાયા ત્યારે પોતાની ઓળખ ‘આઝાદ’, પિતાની ઓળખ ‘સ્વતંત્ર’ અને સરનામું ‘કેદખાનું’ એવી ઓળખ આપી હતી. પછીના દિવસોમાં ચંદ્રશેખર હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન લશ્કરમાં જોડાયા હતા અને ઉપરાઉપરી રચાતાં ક્રાંતિકારીઓનાં ષડયંત્રોમાં સામેલ થયા હતા. કાકોરીનું ષડયંત્ર (૧૯૨૬), વાઇસરૉયની ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો બનાવ, દિલ્હીનું કાવતરું, લાહોર ખાતે સૉન્ડર્સ ઉપરનો હુમલો વગેરે ષડયંત્રોમાં તેમની સામેલગીરી હતી. ‘હું જીવતો અંગ્રેજોના હાથમાં નહીં પકડાઉં’ તેવી પ્રતિજ્ઞા લેનાર ચંદ્રશેખરને ૧૯૩૧માં અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે પોલીસે ઘેરી લીધા ત્યારે તેમણે આત્મહત્યાનો આશરો લીધો હતો. તેમની શહીદીના ૨૪ દિવસ બાદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. તેમના નેતૃત્વથી રાજગુરુ અને સુખદેવ જેવા કેટલાય યુવાનો પ્રભાવિત થયા હતા. ચંદ્રશેખર આઝાદના નામ સાથે ગામેગામ અને શહેર શહેરમાં જાહેર માર્ગ અને ચોકનાં નામ જોવા મળે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સીરિયા

ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો આરબ દેશ. દેશનું સત્તાવાર નામ સીરિયન આરબ પ્રજાસત્તાક છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં ઇરાક, દક્ષિણે જૉર્ડન તથા પશ્ચિમે ઇઝરાયલ, લેબેનૉન અને ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. તેનો વિસ્તાર આશરે ૧,૮૫,૧૮૦ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી લગભગ ૨,૫૨,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. દમાસ્કસ તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. દેશનો પૂર્વ ભાગ સીરિયાના રણથી બનેલો છે. બાકીના પ્રદેશમાં અસમતળ મેદાનો, ફળદ્રૂપ નદીખીણો અને ઉજ્જડ વિસ્તારો આવેલાં છે. આ દેશ ‘ફર્ટાઇલ ક્રેસન્ટ’ (ફળદ્રૂપ અર્ધચંદ્રાક્ર વિસ્તારવાળો) – એ નામથી ઓળખાતા સમૃદ્ધ ખેતપ્રદેશના પશ્ચિમ છેડે આવેલો છે. કિનારાના પ્રદેશની આબોહવા ભેજવાળી રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧૦૦૦ મિમી. જેટલો પડે છે. રણપ્રદેશમાં ગરમ અને સૂકી આબોહવા અનુભવાય છે. અહીં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. કપાસ અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. તે ઉપરાંત જવ, શર્કરાકંદ, તમાકુ, દ્રાક્ષ, ઑલિવ અને ટામેટાં જેવાં શાકભાજી અને ફળોનું પણ વાવેતર કરવામાં આવે છે. અહીંના બેદૂઈન લોકો તેમનાં ઢોર, ઘેટાં, બકરાં લઈ વિચરતા ફરે છે.

દમાસ્કસ શહેર, સીરિયા

સીરિયાના અર્થતંત્રમાં ૭% જેટલો ફાળો ખાણકાર્યમાંથી મળી રહે છે. દેશના ઈશાન ભાગમાંથી ખનિજતેલ અને મયના પાલ્મીરામાંથી ફૉસ્ફેટ-ખડકો મળી રહે છે. અહીં ખનિજતેલની શોધ ૧૯૫૬માં થયેલી. દેશના અન્ય ભાગોમાંથી ચિરોડી, ચૂનાખડક અને કુદરતી વાયુ મળી રહે છે. દમાસ્કસ, ઍલેપ્પો, હોમ્સ અને લેતકિયા મહત્ત્વનાં ઔદ્યોગિક મથકો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં કાપડ, પીણાં, સિમેન્ટ, ખાતર, કાચ, પ્રક્રમિત ખાદ્યપેદાશો તથા ખાંડનો સમાવેશ થાય છે. દેશના અર્થતંત્રમાં ૬૦% હિસ્સો સેવા-ઉદ્યોગોનો છે. નાણાકીય બાબતો, શિક્ષણ, સ્વાસ્થ્ય-સંભાળ અને ઉપભોક્તા ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ સેવા-ઉદ્યોગમાં ગણાય છે. દમાસ્કસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. દેશનો ઘણોખરો વિદેશી વેપાર ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા લેતકિયા બંદરેથી થાય છે. દેશમાં વસતા મોટા ભાગના લોકો જૂના વખતમાં અહીં આવીને વસેલી સેમાઇટ જાતિમાંથી ઊતરી આવેલા છે. અરબી લોકો ઉપરાંત અહીં આર્મેનિયન અને કુર્દ લોકો પણ વસે છે. સીરિયાની ભૂમિ અને તેની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ઘણી પ્રાચીન ગણાય છે. આફ્રિકા, એશિયા અને યુરોપને જોડતા મુખ્ય વેપારી માર્ગોના ત્રિભેટે આ દેશ આવેલો હોવાથી તેનો ખૂબ વિકાસ થયો હતો. સ્થાપત્ય, જહાજી બાંધકામ અને લોખંડની ચીજવસ્તુઓનું કામ પણ સીરિયામાંથી શરૂ થયેલું. સાહિત્યક્ષેત્રે પણ સીરિયાનો ફાળો ઘણો અગત્યનો છે. આ દેશના જાણીતા કવિઓ, જ્ઞાનીઓ અને લેખકોમાં અલ્ મુતાનબ્બી, અલ્ મારી, અલ્ ફરાબી, ઓમર અબુ રીશ, નિઝાર કબ્બાની અને અલી અહમદ સઈદનો સમાવેશ થાય છે. અહીં આવેલાં પાલ્મીરાનાં ખંડિયેર જોવાલાયક છે. સીરિયા પ્રજાસત્તાક દેશ છે. તે ૧૩ પ્રાંતોમાં તથા દમાસ્કસ શહેરના એક અલગ એકમમાં વહેંચાયેલ છે. દમાસ્કસ ઉપરાંત ઍલેપ્પો, હોમ્સ, લેતકિયા તથા હામા અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સીરિયા, પૃ. ૨14)