Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મણરાવ કાશીનાથ કિર્લોસ્કર

જ. 20 જૂન, 1869 અ. 26 સપ્ટેમ્બર, 1956

વિખ્યાત  ઉદ્યોગપતિ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક લક્ષ્મણરાવ કિર્લોસ્કરનો જન્મ બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂરમાં થયો હતો. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હોવાથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટસમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. તે આંશિક રંગઅંધત્વથી પીડાતા હોવાથી ચિત્રકલાનો અભ્યાસ છોડી મિકૅનિકલ ડ્રૉઇંગ અભ્યાસક્રમમાં જોડાયા. 1887માં મુંબઈની V.J.T.I.માં મિકૅનિકલ ડ્રૉઇંગના શિક્ષક બન્યા. નોકરી સિવાયના સમય દરમિયાન વધારાની આવક મેળવવા માટે યંત્રોની સ્થાપના તથા સમારકામ શરૂ કર્યું. 1888માં કિર્લોસ્કર બ્રધર્સ નામની પેઢી કરી જે ભવિષ્યના વિશાળ ઔદ્યોગિક સંકુલનું પ્રારંભિક કેન્દ્રબિંદુ સાબિત થયું. 1897માં બેળગાંવ ખાતે પોલાદનાં કૃષિયંત્રો અને ઓજારોના ઉત્પાદનનું કારખાનું સ્થાપ્યું. ત્યારપછી એન્જિનિયરિંગની વિચક્ષણ કોઠાસૂઝને કારણે બૅંગાલુરુ, પુણે તથા દેવાસ જેવી જગ્યાઓએ નવા ઔદ્યોગિક એકમો પ્રસ્થાપિત થયા. સંકુલના આ એકમોમાં કૃષિઉપકરણો ઉપરાંત ડીઝલ એન્જિન, વીજળીની મોટર તથા મશીનટૂલ્સનું વૈવિધ્યપૂર્ણ ઉત્પાદન શરૂ કર્યું. લક્ષ્મણરાવ ઉદ્યોગપતિ ઉપરાંત પ્રખર દેશભક્ત તથા સમાજસુધારક પણ હતા. તેમણે જીવનભર ખાદીનાં વસ્ત્રો અપનાવ્યાં હતાં. ભારતની સ્વાધીનતાની લડતને તેઓ સક્રિય સહાય આપતા હતા. તેમના માર્ગદર્શન હેઠળ કિર્લોસ્કરવાડી સામાજિક રીતે એક આદર્શ વસાહત તરીકે વિકસી હતી જ્યાં શ્રમ, સહકાર તથા સમભાવ – આ ત્રણેયને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. 1910માં અસ્પૃશ્યતાનિવારણ અપનાવવામાં આવ્યું હતું. ઔધ રિયાસતમાં પ્રજાકીય શાસનપ્રણાલી દાખલ થઈ ત્યારે લક્ષ્મણરાવ મંત્રીપદે નિમાયા. આ કારકિર્દીમાં પણ તેમણે ઔદ્યોગિક વિકાસ, ગ્રામોદ્ધાર તથા કેળવણીમાં ખૂબ રસ દાખવ્યો હતો. આ અગ્રણી ઉદ્યોગપતિના સાહસ, સૂઝ તથા નિયોજન કુશળતાની જાહેર પ્રશંસા કરનારામાં લોકમાન્ય તિલક, જવાહરલાલ  નહેરુ, શ્યામાપ્રસાદ મુખર્જી, ચક્રવર્તી રાજગોપાલાચારી તથા એમ. વિશ્વેશ્વરૈયા જેવી મહાન વિભૂતિઓનો સમાવેશ થાય છે. તેમના ચારે પુત્રો કુટુંબના વ્યવસાયમાં જોડાયેલા છે.

1969માં તેમની જન્મશતાબ્દીને અનુલક્ષીને ભારત સરકારે એક ખાસ ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દીવ

સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42´ ઉ. અ. અને 70° 59´ પૂ. રે. ઉપર આવેલો છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર તરફ જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો આવેલો છે. સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી તે યાસી નદીની સેસલખડા ખાડીને કારણે અલગ પડેલ છે. વિક્રમની પહેલી સદી સુધી તે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો હતો. સમગ્ર ટાપુનું ક્ષેત્રફળ 40 ચોકિમી. છે. ટાપુમાં દીવ ઉપરાંત માણેકવાડા, બોચરવાડા, નાગવા અને બરાંકવાડા ગામો આવેલાં છે. શહેરનો વિસ્તાર 40 ચોકિમી. છે. ટાપુની કુલ વસ્તી આશરે 72,000 (2026) છે. ત્યાંની આબોહવા ખુશનુમા અને સમધાત છે. વાર્ષિક સરેરાશ વરસાદ 694 મિમી. પડે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મુખ્ય પાક બાજરી, જુવાર અને મગફળી છે. થોડા પ્રમાણમાં ઘઉં અને શેરડીનું ઉત્પાદન પણ થાય છે. નારિયેળી, કેળાં, કેરી વગેરે ફળફળાદિના બગીચા અને સિંચાઈ માટેના કૂવા ઘણા છે. થોડા લોકો મચ્છીમારીમાં રોકાયેલા છે. ઔદ્યોગિક વસાહતની સ્થાપના પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેલની મિલો, સાબુનું કારખાનું, ફર્નિચર તથા દારૂ બનાવવાનાં કારખાનાં તથા મીઠાના અગરો છે. લઘુ અને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. 1988–89થી વીજળીઘર શરૂ કરાયું છે.

ટાપુ ઉપર વણાકબારા, દીવ અને ઘોઘલા ખાતે જેટીઓ છે. બાધક ખડકો (barrier reefs) નૈઋત્ય અને દક્ષિણના પવનોથી વહાણોનું રક્ષણ કરે છે. બજરા (barge) દ્વારા માલની ચડ-ઊતર થાય છે. દીવમાં રેલવે નથી. પાકા રસ્તાની લંબાઈ 60 કિમી. છે. એક હવાઈ મથક દ્વારા તે મુંબઈ સાથે જોડાયેલું છે. તે પ્રવાસન-મથક તરીકે વિકસ્યું છે. અહીં કિલ્લો, ચર્ચ, મ્યુઝિયમ, કંઠારરેતપટ જોવાલાયક છે. અનાજ, વિલાયતી નળિયાં, ઇમારતી લાકડું, બળતણ, કેરોસીન, કોપરાં, સિમેન્ટ વગેરેની આયાત અને મીઠું, દારૂ અને મચ્છીની નિકાસ મુખ્યત્વે છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દીવ/)

Categories
વાચન સમૃદ્ધિ

ઘેલુભાઈ નાયક

જ. 19 જૂન, 1924 અ. 16 જાન્યુઆરી, 2015

ડાંગના ગાંધી તરીકે ઓળખાતા સ્વાતંત્ર્યસેનાની ઘેલુભાઈનો જન્મ ગણદેવી તાલુકાના કોલવા ગામમાં થયો હતો. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ લક્ષ્મીબહેન. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ગાંધીજી અમલસાડની રેંટિયાશાળામાં આવ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા. તેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સાયન્સ, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. અનુસ્નાતક થયા પછી સમાજકલ્યાણ વિભાગના ડિરેક્ટર તરીકે જોડાવા નિમણૂકપત્ર મળ્યો, પરંતુ તેમણે એ પદનો અસ્વીકાર કર્યો. 1942માં ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. 1948માં સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી તેઓ ડાંગમાં ગયા અને આદિવાસીઓ માટે પ્રવૃત્તિઓ શરૂ કરી. 7 સપ્ટેમ્બર, 1948ના રોજ તેમના ભાઈ અને ચુનીલાલ વૈદ્ય સાથે મળીને તેમણે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરી. એ પછી 1949માં આહવા તાલુકાના કાળીબેલ ગામમાં આશ્રમશાળા શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે આજીવન ખાદી પહેરી. આદિવાસીઓને સાક્ષર બનાવવા માટે ગામડાંઓમાં લોકશાળાઓ શરૂ કરી અને છાત્રાલયો શરૂ કર્યાં. તેમણે રોજગારી મળી રહે એ માટે ગૃહનિર્માણ, ખાદીગ્રામોદ્યોગ અને પશુઉછેરને મહત્ત્વ આપ્યું. તેમણે નશાબંધી માટે મહત્ત્વનું કાર્ય કર્યું. તેમણે તંદુરસ્તી માટે શરીર સફાઈને મહત્ત્વ આપ્યું. એ માટે ‘ગામ ચાલ્યું નાહવા’ નામે કાર્યક્રમ શરૂ કર્યો. આખા ગામના લોકો નાચતાં-ગાતાં નદીકિનારે જઈ સ્નાન કરતા. વાળ લાંબા હોય તો વાળ કાપવામાં આવતા. આ રીતે સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવતા. તેમણે ખ્રિસ્તીઓ દ્વારા થતી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો. ઘેલુભાઈ સાચા અર્થમાં સેવક હતા. તેમણે ડાંગ જિલ્લામાંથી પાંચ હજાર જેટલા સાપ પકડ્યા હતા. તેમણે સાડા ત્રણસો કરતાં વધુ પ્રસૂતિ કરાવી હતી. તેઓ સહુ કોઈના ‘ઘેલુકાકા’ બની રહ્યા. 1960માં મહાગુજરાત આંદોલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. ડાંગનું મહારાષ્ટ્ર સાથે જોડાણ ન થાય અને એ ગુજરાતમાં રહે એ માટે આંદોલન કર્યું હતું. તેમના કારણે જ આજે ડાંગ ગુજરાતમાં છે. 88 વર્ષની ઉંમરે તેમણે સાપુતારામાં પેરાગ્લાઇડિંગ કર્યું હતું. તેમને 1999માં ગૂજરાત વિદ્યાપીઠ તરફથી ગ્રામસેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.