Categories
વાચન સમૃદ્ધિ

જગદીપ

જ. 29 માર્ચ, 1939 અ. 8 જુલાઈ, 2020

હિંદી ફિલ્મજગતના હાસ્યઅભિનેતાનો જન્મ મધ્યપ્રદેશના દતિયા ગામે થયો હતો. હિંદી સિનેમામાં પોતાના આગવા અભિનયથી આગવી ઓળખ ધરાવતા જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તાક જાફરી હતું. એમના પિતા દતિયામાં વકીલાતનો વ્યવસાય કરતા હતા. એમનો પરિવાર સમૃદ્ધ હતો. દસ ભાઈ-બહેનોમાં જગદીપ સૌથી નાના હતા. એમણે આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ સંતાનો સાથે કરાંચીમાં પોતાનાં સગાંસંબંધીઓ પાસે સ્થળાંતર કર્યું, પરંતુ ત્યાં તેમનું જીવન વધુ કપરું બન્યું. પરિવાર વિખરાઈ ગયો. માતા બાળક જગદીપ સાથે મુંબઈ આવ્યાં, જ્યાં બાળપણમાં જગદીપે સાબુ, રમકડાં, પતંગ જેવી ચીજો વેચીને માતાને મદદ કરવાનું શરૂ કર્યું. રસ્તા પર ફેંકાયેલો ખોરાક ખાઈને પણ દિવસો વિતાવ્યા. દરમિયાન નિર્દેશક-નિર્માતા બી. આર. ચોપરાની નજર જગદીપ ઉપર પડતાં 1951માં ફિલ્મ ‘અફસાના’માં બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક મળી. ત્યારબાદ ‘દિલ્લી દૂર નહિ’,  ‘હમ પંછી એક ડાલ કે’, ‘આરપાર’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને ફિલ્મ-કારકિર્દી શરૂ થઈ. ગુરુદત્ત એ. એ. અબ્બાસ, બિમલ રૉય જેવા નિર્માતા-નિર્દેશકો સાથે કામ કરતાં કરતાં અભિનય શીખતા ગયા. યુવાન અભિનેતા તરીકે ‘ભાભી’, ‘બરખા’, ‘બિંદિયા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક સાંપડી. 1968માં ફિલ્મ ‘બ્રહ્મચારી’માં એમનો હાસ્ય-અભિનય દર્શકોએ આવકાર્યો. ત્યારથી હાસ્યઅભિનેતા તરીકે એમની ઓળખ બની. આગવી સંવાદપ્રસ્તુતિ, આગવો આંખોનો અભિનય અને અવાજપ્રક્ષેપણે (voice projection) એમને અનોખા અભિનેતા તરીકે અનોખું સ્થાન અપાવ્યું. ‘પુરાના મંદિર’, ‘3 D સામરી’ જેવી કેટલીક હૉરર ફિલ્મોમાં પણ એમણે અભિનય કર્યો. પરંતુ દર્શકોએ એમને હાસ્યઅભિનેતા તરીકે જ આવકાર્યા. 1975માં ફિલ્મ ‘શોલે’માં સૂરમા ભોપાલીના પાત્રએ એમને હાસ્યની દુનિયામાં એક અમર મુકામ ઉપર મૂકી દીધા. એમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો જે લગભગ યાદગાર બની રહ્યો. ‘શહેનશાહ’, ‘કાલિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મોમાં એમનું પાત્ર દર્શકોના ચિત્તમાં આજે પણ અકબંધ છે. 2009માં ફિલ્મ ‘લાઇફ પાર્ટનર’માં એમનો અભિનય એમની અંતિમ યાદ બની રહ્યો. મુંબઈમાં કૅન્સરની બીમારીમાં 81 વર્ષની વયે એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતસર

પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, તાલુકામથક તથા જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : ૩૧° ૩૫´ ઉ. અ. અને ૭૪° ૫૩´ પૂ. રે.. તે ભારત-પાકિસ્તાનને જુદી પાડતી વાઘા સીમાથી ૫૦ કિમી.ને અંતરે છે. શહેરનું નામ ‘અમૃતસર’ અમૃત સરોવર પરથી પાડવામાં આવેલું છે. તે શીખોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ આપેલી જાગીર ઉપર ૧૫૭૭–૭૯માં આ શહેરની સ્થાપના કરી હતી. ગુરુ રામદાસનું અધૂરું કાર્ય પાંચમા ગુરુ અર્જુનદેવે પૂર્ણ કર્યું હતું. તેમણે અમૃત સરોવરની મધ્યમાં ભવ્ય હરિમંદિરનું નિર્માણ કરાવ્યું. ગુરુ ગ્રંથસાહિબનું સંકલન કરીને હરિમંદિરમાં તેની સ્થાપના કરી. ૧૮૦૩માં મહારાજા રણજિતસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. મંદિરનો નીચેનો અર્ધો ભાગ આરસજડિત કરાવ્યો અને ઉપરના તાંબાના પતરાના ઘુમ્મટને પણ સુવર્ણના પતરાથી મઢાવ્યો. આ કારણે આ મંદિર સુવર્ણમંદિર તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થયું. અમૃતસર જિલ્લાની વસ્તી ૨૮,૭૦,૦૦૦ (૨૦૨૫, આશરે) અને વિસ્તાર ૫૦૭૫ ચોકિમી. છે. જ્યારે શહેરની વસ્તી ૧૬,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) લાખ જેટલી છે.

અમૃતસરનું સુવર્ણમંદિર

સુવર્ણમંદિર ઉપરાંત અહીં અકાલ તખ્ત, બાબા અટલરાયનો ટાવર અને દુર્ગિયાનું મંદિર જોવાલાયક છે. અમૃતસર આઝાદીની ચળવળ સાથે પણ જોડાયેલું છે. ૧૯૧૯માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અહીં અંગ્રેજો દ્વારા થયેલા જલિયાંવાલા હત્યાકાંડના સ્થળે શહીદોની સ્મૃતિમાં એક સ્મારક તૈયાર કરાયેલું છે. આ શીખ યાત્રાધામ સમય જતાં વેપારધંધાનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં ઊની તથા રેશમી કપડાં, ધાબળા, શાલ, સ્વેટર, ગાલીચા, શેતરંજીઓ તેમ જ વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. અહીંનો મુખ્ય પાક ઘઉં છે. ૧૮૯૩માં અહીં ખાલસા કૉલેજ સ્થપાઈ. શહેરમાં ગુરુ નાનક યુનિવર્સિટી, મેડિકલ કૉલેજ, આયુર્વેદિક કૉલેજ તથા માનસિક રોગોની હૉસ્પિટલ આવેલી છે. દર વર્ષે વસંતપંચમીએ અહીં મેળો ભરાય છે. દિવાળીમાં પશુમેળો યોજાય છે. અમૃતસર સંતશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું મુખ્ય મથક છે. વર્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની મુલાકાત લેતા રહેતા હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. વીણા મઝુમદાર

જ. 28 માર્ચ, 1927 અ. 30 મે, 2013

ભારતીય શિક્ષણવિદ, ડાબેરી કાર્યકર અને નારીવાદી મહિલાનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા પ્રકાશ મઝુમદાર. પાંચ ભાઈબહેનોમાં સૌથી નાનાં વીણા મઝુમદાર હતાં. પિતા એન્જિનિયર અને કાકા જાણીતા ઇતિહાસવિદ હતા. પરિવારની સ્થિતિ સાધારણ હતી. નિશાળનું શિક્ષણ કૉલકાતામાં લીધું. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહિલા કૉલેજ અને કૉલકાતાની આશુતોષ કૉલેજમાં અભ્યાસ કર્યો. આશુતોષ કૉલેજમાં મહિલા વિદ્યાર્થી યુનિયનનાં સેક્રેટરી બન્યાં. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે રામારાવ સમિતિના સમર્થનમાં એક બેઠકનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કાયદા સુધારા દ્વારા પુત્રીઓ માટે વારસાના અધિકારોના વિસ્તરણની ભલામણ કરવામાં આવી. 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડની સેન્ટ હ્યુજ કૉલેજમાં ગયાં. ત્યાં 1951માં સ્નાતકની પદવી મેળવી. દેશમાં પાછાં ફર્યાં. 1951માં પટણા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. જ્યાં તેઓ રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરાવતાં હતાં. થોડા જ સમયમાં ત્યાં ટીચર્સ ઍસોસિયેશનનાં સેક્રેટરી બન્યાં. આમ, કિશોરાવસ્થાથી જ નેતા બનવાના ગુણો તેમનામાં હતા. તેમના મિત્ર પ્રોફેસર બિધુ ભૂષણ દાસની ભલામણથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ. ત્યાં થોડાં વર્ષો કાર્ય કર્યાં પછી ભારત આવ્યાં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ શિક્ષણઅધિકારી તરીકે જોડાયાં હતાં. તેમનો વિશેષ અભ્યાસ દેશમાં મહિલાઓની સ્થિતિ વિશેનો રહ્યો છે. તેઓ 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થા, સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝ(CWDS)નાં સ્થાપક ડિરેક્ટર હતાં અને બે વર્ષ ફેલો તરીકે પણ કાર્ય કરેલું. તેમનાં સંસ્મરણોનું પુસ્તક ‘મેમોરિઝ ઑફ એ રોલિંગ સ્ટોન’ નામે પ્રકાશિત થયું છે.