Categories
વાચન સમૃદ્ધિ

અન્તોન પાવલોવિચ ચેહફ

જ. 29 જાન્યુઆરી, 1860 અ. 14 જુલાઈ, 1904

રૂસી વાર્તાકાર અને નાટ્યકાર ઉપરાંત તબીબી વ્યવસાય ધરાવતા અન્તોનનો જન્મ તાગન્રોગ, રશિયામાં થયો હતો. 1884માં તેઓએ મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબીની ઉપાધિ મેળવી હતી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈના અનુકરણે, છાપાં અને સામયિકોમાં વાર્તાઓ, રેખાચિત્રો, હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું. પછીનાં ત્રણ વર્ષમાં સંગ્રહો પણ ઉપનામથી પ્રસિદ્ધ કર્યા. આથી ચેહફની આવક વધી, વાર્તાઓની ગુણવત્તા સુધરી અને લોકપ્રિયતા પણ વધી. દાક્તરી અભ્યાસ સમયે જ થયેલા ક્ષયના રોગે 1890માં રશિયાના દૂર પૂર્વમાં આવેલ સહાલીન ટાપુની મુલાકાત દરમિયાન માઝા મૂકી. આ મુલાકાતના અનુભવો એણે 1893માં પ્રસિદ્ધ કર્યા. ત્યારબાદ મૉસ્કો નજીક મેલીહોવો નગરમાં એણે તબીબી વ્યવસાય શરૂ કર્યો. આ ગાળામાં ચેહફે ‘વૉર્ડ નં. 6’, ‘માય લાઇફ’, ‘પેઝન્ટ’ વગેરે ખૂબ જાણીતી વાર્તાઓ લખી. તેઓેને લિયો તૉલ્સ્તૉય અને મૅક્સિમ ગૉર્કી જેવા લેખકોનો પરિચય થયો, આથી ‘ધ લેડી વિથ ધ ડૉગ’, ‘બિટ્રોથ્ડ’ વગેરે જાણીતી વાર્તાઓ તેમણે લખી. 1901માં મૉસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઑલ્ગા કનિપર સાથે લગ્ન કર્યાં. અભિનય માટે ઑલ્ગા મૉસ્કોમાં અને તબિયત સાચવવા ચેહફ યાલ્ટામાં રહેતા. ચેહફે બે શકવર્તી નાટકો લખ્યાં – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ અને ‘ધ થ્રી સિસ્ટર્સ’. જીવનના અનેકવિધ અનુભવોમાંથી અને તબીબી વ્યવસાય કરેલ નિરીક્ષણોમાંથી તેઓએ પોતાનાં પાત્રો સર્જ્યાં છે. ચેહફનાં નાટકોમાં રૂસી જીવનનું ચિત્રણ આબેહૂબ થયેલ છે. ચેહફ મહાન ગદ્યકારોની પંક્તિમાં સર્જક તરીકે સ્થાન પામ્યા, તે ઉપરાંત તેઓ સવાયા દિગ્દર્શક તરીકે પંકાયા. આ ઉપરાંત તેઓએ લખેલ સુંદર નાટિકાઓ એટલી સરસ કે તેના લીધે પણ વિશ્વસાહિત્યમાં તેઓ સ્થાન પામી શકે. તેમની ટૂંકી વાર્તાઓનાં અનેક ભાષામાં ભાષાંતરો થયાં છે. અર્નેસ્ટ જે સિમૉન્સે ‘ચેહફ (chekhov) : અ બાયૉગ્રાફી’ પુસ્તક 1970માં પ્રસિદ્ધ કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

જરા સમજ તો

ડૉક્ટરે નિદાન કરતાં જ્હૉન વેન શેલ્ટરને કહ્યું કે તમને કૅન્સર થયું છે. ઘણું વધી ગયું છે. હવે તમારું આયુષ્ય છ માસથી અથવા તો વધુમાં વધુ એક વર્ષનું રહેશે. જ્હૉને ડૉક્ટરને કહ્યું, ‘માફ કરજો ડૉક્ટરસાહેબ, આપની વાત હું સ્વીકારતો નથી. ભલેને કૅન્સર હોય પણ હું તો જીવીશ જ અને એક વર્ષથી વધુ જીવીશ.’ એંશી વર્ષના જ્હૉન આરામથી જીવન વિતાવવા લાગ્યા. સમય વીતતો ચાલ્યો. એમની સ્ફૂર્તિ એટલી જ રહી. ચહેરાનો આનંદ સહેજે લેપાયો નહીં. મહિનાઓ પર મહિના વીતવા લાગ્યા. નિદાન થયાને વર્ષ વીતી ગયું. લોકો જ્હૉનને ‘જીવંત ચમત્કાર’ તરીકે ઓળખવા લાગ્યા. ડૉક્ટરો પણ વિચારતા હતા કે કૅન્સરને કારણે એમનું શરીર આટલું બધું ક્ષીણ થઈ ગયું છે, તેમ છતાં આટલી બધી મોજથી કેવી રીતે જીવતા હશે ? કોઈએ જ્હૉનને આનું રહસ્ય પૂછ્યું તો જ્હૉને કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ તબીબ તરીકે ઘાયલ સૈનિકોની છાવણીમાં કામ કરતા હતા. એમણે ઘવાયેલા સૈનિકોને હસતા જોયા. કોઈનો હાથ કપાઈ ગયો હતો, કોઈનો પગ કપાઈ ગયો હતો, પણ એ સૈનિકો મોજથી જીવતા હતા. જ્હૉને આનું રહસ્ય એ શોધ્યું કે સૈનિકો એમની શારીરિક સ્થિતિ વિશે વિચારતા જ નહોતા, તેથી એમના મનને શારીરિક યાતના સ્પર્શતી નહોતી. જ્હૉને પોતાના જીવનમાં આ વાત અપનાવી અને નક્કી કર્યું કે શરીરનો હું ગુલામ નથી, કિંતુ શરીર મારું ગુલામ છે. શરીરે કેમ વર્તવું એ પોતાના શરીરને શીખવવા લાગ્યા. એક વાર એ ઊભા થયા અને એકાએક માથામાં તીવ્ર શૂળ જેવી વેદના જાગી. વેદનાને જ્હૉને કહ્યું, ‘ચૂપ રહે. મિત્રોની મહેફિલમાં બેઠો છું. એનો ખ્યાલ રાખીને ચૂપચાપ બેસ.’ ક્યારેક છાતીમાં દર્દ થતું તો બોલી ઊઠતા, ‘ખામોશ થઈ જા. જરા સમજ તો,  સવારનો સુંદર નાસ્તો હું કરી રહ્યો છું.’ આ રીતે જ્હૉને પોતાના શરીરને સૂચનાઓ આપીને અંકુશમાં રાખ્યું અને એક વર્ષથી તો ઘણું વધુ જીવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત જસરાજ

જ. 28 જાન્યુઆરી, 1930 અ. 17 ઑગસ્ટ, 2020

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના યુગપુરુષ, મેવાતી ઘરાનાના મહાન અને પ્રતિભાશાળી કલાકાર પંડિત જસરાજનો જન્મ હરિયાણાના સંગીતપ્રેમી કુટુંબમાં થયો હતો. જસરાજજી માત્ર ચાર વર્ષના હતા ત્યારે જ તેમના પિતા અને ગુરુશ્રી મોતીરામજી અવસાન પામ્યા હતા. સતત અને સખત સંઘર્ષ, ગરીબી અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જસરાજજીનો સંગીત પ્રત્યેનો પ્રેમ અવિરત વહ્યો. સાત વર્ષની ઉંમરે તેમણે મોટા ભાઈ પંડિત પ્રતાપનારાયણ પાસેથી તબલાં શીખવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરથી તેમણે માત્ર ગાવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં બેગમ અખ્તર તેમનો પ્રેરણાસ્રોત રહ્યાં. તેઓ અવારનવાર ગુજરાતના સાણંદમાં, મેવાતી ઘરાનાના ગુરુ ઠાકુરસાહેબ જયવંતસિંહજી વાઘેલા પાસે સંગીત શીખવા આવતા. 1946માં તેમણે કલકત્તા રેડિયો પર શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસના 14 કલાક રિયાઝ કરતા. 1952માં માત્ર 22 વર્ષની ઉંમરે કાઠમંડુમાં નેપાળનરેશ ત્રિભુવનજી સમક્ષ તેમણે ગાયન પ્રસ્તુત કર્યું. પરંપરાગત રીતે ગવાતા ખયાલ, ઠૂમરી વગેરે ગાનપ્રકારોને તેમણે એવી હળવી શૈલીમાં રજૂ કર્યા કે ભારતીય શાસ્ત્રીય સંગીત વૈશ્વિક સ્તરે પહોંચી ગયું. નિયમોને આધીન રહીને તેમણે પરંપરાગત બંદીશોને નવું સ્વરૂપ આપ્યું. હવેલીસંગીત અને કૃષ્ણભક્તિથી ભરપૂર પદોમાં છલકતી તેમની આધ્યાત્મિકતા શ્રોતાઓને આકર્ષતી. પ્રાચીન ગાનપ્રકાર મૂર્છનાને તેમણે નવા સ્વરૂપે જુગલબંદીમાં રજૂ કરી. જે હવે ‘જસરંગી શૈલી’ તરીકે ઓળખાય છે. ભારત ઉપરાંત વિદેશમાં તેમણે શાસ્ત્રીય સંગીત માટેની શાળાઓ શરૂ કરી. સંગીત માત્ર કારકિર્દી જ નહીં, પણ જીવનપદ્ધતિ છે, એમ માનનાર જસરાજજીએ અનેક શિષ્યો તૈયાર કર્યા. તેમની ગુરુ-શિષ્ય પરંપરા આજે પણ જીવંત છે. સંગીતમાર્તંડ જસરાજજીના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા અનેક પુરસ્કારો એનાયત કર્યા. 2023માં તેમની ટપાલટિકિટ પણ બહાર પડી છે. 1972થી તેમણે શરૂ કરેલ પંડિત મોતીલાલ મણિરામ સંગીત સમારોહ દર વર્ષે હૈદરાબાદમાં યોજાય છે. સ્વરને ઈશ્વર સાથે જોડીને સંગીતને આત્મિક અનુભૂતિ અપાવનાર જસરાજજીનું જીવન સંઘર્ષ, સાધના અને સફળતાનો પર્યાય અને પ્રેરણાસ્રોત હતું.