Categories
વાચન સમૃદ્ધિ

નલિની જયવંત

જ. 18 ફેબ્રુઆરી, 1926 અ. 22 ડિસેમ્બર, 2010

રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી. 1950ના દાયકામાં ‘ફિલ્મફેર’ સામયિક પ્રમાણે સૌથી સુંદર મહિલા. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ હોવાથી માત્ર છ વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં, દસ વર્ષની ઉંમરે શાળાના કાર્યક્રમમાં અભિનય આપ્યો. ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોરના નાટક ‘શ્રીમતીજી’માં નાયિકાના અભિનયથી લોકપ્રિયતા મેળવી. નિર્દેશક વીરેન્દ્ર દેસાઈએ ‘રાધિકા’ ફિલ્મ દ્વારા નલિનીને મુખ્ય નાયિકા તરીકે સૌપ્રથમ તક આપી અને તેઓ તેમના સૌંદર્ય અને અભિનયથી લોકપ્રિય બન્યાં. ત્યારબાદ મહેબૂબખાનની ‘બહેન’, વીરેન્દ્ર દેસાઈની ‘નિર્દોષ’, આર. એસ. ચૌધરીની ‘આંખમિચૌલી’ તથા ‘અદાબ અર્જ’ ફિલ્મો દ્વારા ફિલ્મક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામ્યાં. ખૂબ જ નાની ઉંમરે વીરેન્દ્ર દેસાઈની સાથે લગ્ન થયાં અને સિને કારકિર્દીમાં રુકાવટ આવી. હિંદી ફિલ્મોમાં કામ ન મળતાં ગુજરાતી ફિલ્મ ‘વારસદાર’માં કામ કર્યું. ત્યારબાદ ધરમસીકૃત ‘અનોખા પ્યાર’ સાથે હિંદી ફિલ્મોમાં પુનઃપ્રવેશ કર્યો. આ પછી ‘આંખે’ અને ‘નૌજવાન’ ફિલ્મોથી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ અશોકકુમાર સાથે ‘સમાધિ’ અને ‘સંગ્રામ’ ફિલ્મોથી આ જોડી અત્યંત સફળ ગણાવા લાગી. આ કલાકાર-બેલડીની બીજી ફિલ્મો ‘જલપરી’, ‘કાફલા’, ‘ચંચલ’, ‘નૌ બહાર’, ‘સલોની’, ‘લકિરેં’, ‘નાઝ’, ‘મિ. એક્સ’ અને ‘શેરો’ વગેરેનો સમાવેશ થાય છે. ફ્રાન્સના સહયોગથી હિંદી અને અંગ્રેજીમાં એકસાથે બનેલી નલિનીઅભિનીત ‘લાસ્ટ જજમેન્ટ’ ભારતની  સૌપ્રથમ ગેવા કલરની ફિલ્મ હતી. નવકેતનનિર્મિત ‘કાલા પાની’ના અભિનય માટે 1959નો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ મળેલો. આ ઉપરાંત દેવ આનંદ સાથેની ‘હિન્દુસ્તાન હમારા’ અને ‘રાહી’, ફિલ્મીસ્તાનની ‘નાસ્તિક’ અને ‘મુનીમજી’, ‘હમ સબ ચોર હૈ’ તથા ‘શિકસ્ત’ ઉલ્લેખનીય છે. તેમનાં પ્રથમ લગ્ન વીરેન્દ્ર દેસાઈ સાથે થયેલાં અને બીજાં લગ્ન અભિનેતા પ્રભુ દયાલ સાથે થયેલાં. તેમણે 1961માં ‘અમર રહે યહ પ્યાર’ અને 1965માં ‘બૉમ્બે રેસકોર્સ’ ફિલ્મો બાદ ક્ષેત્રસંન્યાસ લીધો હતો. 2005માં તેમને દાદાસાહેબ ફાળકે એકૅડેમી લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હૉંગકૉંગ

ચીનના અગ્નિભાગમાં દરિયાકાંઠે આવેલો ટાપુ-વિસ્તાર. તે ૨૨° ૨૦´ ઉ. અ. અને ૧૧૪° ૧૫´ પૂ. રે.ની આજુબાજુનો ૧,૦૯૧ ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ શહેર ઝૂ જિયાંગ (પર્લ) નદીના મુખ પર વસેલું છે. હૉંગકૉંગ ચીનની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલ દ્વીપકલ્પ તેમ જ ૨૩૫ જેટલા ટાપુઓથી બનેલું છે. હૉંગકૉંગ નામ હેઠળ કાઉલૂન દ્વીપકલ્પ, હૉંગકૉંગ ટાપુ તથા બીજા ઘણા ટાપુઓનો સમાવેશ થાય છે. મુખ્ય ભૂમિ પર પણ તે બે વિભાગોમાં વહેંચાયેલું છે. ઉત્તર વિભાગ હૉંગકૉંગ તરીકે ઓળખાય છે, જ્યારે દક્ષિણ વિભાગ કાઉલૂન દ્વીપકલ્પ તરીકે. વિક્ટોરિયા શહેર હૉંગકૉંગનું પાટનગર ગણાય છે. હૉંગકૉંગની વસ્તી આશરે ૭૫,૧૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. આજનું હૉંગકૉંગ પ્રાચીન કાળથી ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધી ચીનનો જ એક ભાગ રહેલું. ચીન સાથેના સંધિકરાર મુજબ ગ્રેટબ્રિટને ૧૮૪૨માં હૉંગકૉંગ ટાપુનો અને ૧૮૬૦માં કાઉલૂન દ્વીપકલ્પનો કબજો મેળવેલો. ૧૮૯૮માં ચીને ગ્રેટબ્રિટનને ૯૯ વર્ષના પટ્ટા તરીકે પરવાનો કરી આપેલો. ૧૮૯૮થી ૧૯૯૭ સુધી તે ગ્રેટબ્રિટનની જાગીર તરીકે રહેલું. ૧-૭-૧૯૯૭એ ગ્રેટબ્રિટને હૉંગકૉંગનો કબજો ચીનને તબદીલ કરી આપ્યો ત્યારથી તે ચીનના કબજા હેઠળ છે.

વિક્ટોરિયા શિખર પરથી દેખાતું હૉંગકૉંગ અને ઝૂ જિયાંગ નદીનું દૃશ્ય

હૉંગકૉંગનું ભૂપૃષ્ઠ ઓછીવત્તી ઊંચાઈવાળી ટેકરીઓથી બનેલું છે. હૉંગકૉંગ ટાપુ પરનું વિક્ટોરિયા શિખર ૫૫૪ મી.ની ઊંચાઈ ધરાવે છે. દરિયાકિનારો ખાંચાખૂંચીવાળો અને ખડકાળ છે. મુખ્યભૂમિના કિનારે નાનાં નાનાં બંદરો આવેલાં છે. અહીંની આબોહવા ઉપઅયનવૃત્તીય છે. ઉનાળા ગરમ ભેજવાળા રહે છે. શિયાળા ઠંડા અને સૂકા રહે છે. ૭૫% વરસાદ ઉનાળામાં પડી જાય છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૨૨૫૦ મિમી. જેટલો પડે છે. હૉંગકૉંગમાં ખેતી માત્ર ૧૦% ભૂમિ પર જ થાય છે. ડાંગર, શાકભાજી અને ફૂલો અહીંની મુખ્ય કૃષિપેદાશ છે. પ્રવાસન પણ અહીંનો અગ્રગણ્ય ઉદ્યોગ છે. વર્ષે અહીં આશરે ૨૦ લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે. હૉંગકૉંગના અર્થતંત્રને વેગવંતું રાખવામાં આ ઉદ્યોગ મોટી સહાય કરે છે. અહીં હવાઈ મથક, બંદર તથા મેટ્રો-રેલની સુવિધા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હૉંગકૉંગ, પૃ. 208)

Categories
વાચન સમૃદ્ધિ

રેને લેનેડ

જ. 17 ફેબ્રુઆરી, 1781 અ. 13 ઑગસ્ટ, 1826

સ્ટેથોસ્કોપની સૌપ્રથમ શોધ કરનાર વિશ્વવિખ્યાત ફ્રેંચ ચિકિત્સક રેને લેનેકનો જન્મ ક્વિમ્પર ફ્રાન્સમાં થયો હતો. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થતાં તેઓ કાકાની દેખરેખ હેઠળ નેનટેસમાં તબીબી અભ્યાસ કરવા ગયા. બાળપણમાં નબળું સ્વાસ્થ્ય ધરાવતા રેને લેનેક અભ્યાસમાં તેજસ્વી અને પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા. પિતાની તબીબી શિક્ષણ માટેની અનિચ્છા હોવાથી રેને અભ્યાસ છોડી થોડા સમય માટે ગ્રામીણ વિસ્તારમાં જતા રહ્યા. અહીં તેમણે નૃત્ય અને સંગીતની તાલીમ લીધી. ખાસ કરીને વાંસળીવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી. વળી ત્યાં ગ્રીક ભાષાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. 1799માં તેમણે ફરી તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું. તેમણે માનવશરીરરચના તથા ખાસ કરીને છાતીને લગતા રોગોનો અભ્યાસ કર્યો. શિક્ષણ પૂરું થતાં તેઓ પૅરિસની નેકર હૉસ્પિટલમાં કાર્યરત બન્યા. તેમણે કૉલેજ ડી ફ્રાન્સમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. રેનેએ 1816માં સ્ટેથોસ્કોપની શોધ કરી. ગ્રીક ભાષામાં Stethos (chest) અને Stopos (examination). પહેલું સ્ટેથોસ્કોપ પોલી લાકડીનું હતું. આ ઉપકરણ 25 સેમી. × 2.5 સેમીના માપનું હતું. તેને લાકડીનું બનાવવા પાછળ એક કારણ, તેણે શાળામાં નાનાં બાળકોને પોલી લાકડીનો એક છેડો કાન પર રાખી બીજે છેડેથી ધ્વનિ સાંભળતાં જોયાં હતાં. બીજું કારણ, તેઓ એક સારા વાંસળીવાદક હોવાથી વાંસળીની ડિઝાઇનવાળું ઉપકરણ બનાવવાનું ઉચિત લાગ્યું. તેમના સમયમાં ડૉક્ટરો દર્દીની છાતી પર કાન રાખી ધબકારા સાંભળતા. જે તેમને અયોગ્ય લાગ્યું. ખાસ કરીને મહિલાઓને થોડું અસહજ લાગતું. 1820માં રેનેએ બનાવેલા સ્ટેથોસ્કોપની લોકપ્રિયતા ઇટાલી, જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે દેશોમાં વધવા માંડી. જોકે કેટલાક તબીબોએ તેમની મજાક કરતાં કહ્યું, ‘આપણી પાસે સાંભળવા માટે કાન છે તો સ્ટેથોસ્કોપનો ઉપયોગ શા માટે કરવો ?’ તેમણે પેરિટોઇનીટીસ, સિરોસિસ મેલાનોમા, મેટાસ્ટેસિસ, ટીબી વગેરેની પરિભાષા સમજાવી. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિ ધરાવતા દયાળુ, પરગજુ અને કટ્ટર કૅથલિક હતા. રોગનિદાન ક્ષેત્રે ક્રાંતિકારી, મૂળભૂત અને આવશ્યક શોધ માટે તથા ડૉક્ટરોની ઓળખ ગણાતા સ્ટેથોસ્કોપની શોધ કરનાર રેનેનું 45 વર્ષની વયે અવસાન થયું.