જ. 22 નવેમ્બર, 1884 અ. 22 નવેમ્બર, 1953

સૈયદ સુલેમાન નદવીનો જન્મ બિહારમાં આવેલા નાલંદા જિલ્લાના દેસના નામના ગામમાં થયો હતો. તેઓ દક્ષિણ એશિયાના ઇતિહાસકાર, લેખક અને ઇસ્લામના વિદ્વાન હતા. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તેઓ 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર થયા. મૌલાના શિબ્લીએ તેમને મદરેસામાંથી પ્રસિદ્ધ થતા સામયિકના સહતંત્રી બનાવીને ધાર્મિક તથા વિવિધ સાહિત્યના સંપાદનની જવાબદારી સોંપી. તેઓ કૉલકાતાથી પ્રસિદ્ધ થતા મૌલાના અબુલ કલામ આઝાદના ખ્યાતનામ અખબાર ‘અલ-હિલાલ’ના સંપાદકમંડળમાં જોડાયા. મૌલાના શિબ્લી નોંમાનીએ 1914માં આઝામગઢ ખાતે દારુલ મુસન્નિફીનના નામે એક સંસ્થા ઊભી કરી. તેનો આશય વિદ્વાન લેખકો-સંશોધકો વગેરેને પ્રોત્સાહન આપવાનો હતો. સૈયદ સુલેમાન પોતાના ઉસ્તાદના આગ્રહથી આઝમગઢ આવ્યા અને સંસ્થાની જવાબદારી સંભાળી લીધી. તેના સર્વાંગી વિકાસમાં તેઓ તનમનથી પરોવાઈ ગયા. તેમની અંતિમ અને સર્વોત્તમ રચના ‘સીરતુન્નબી’ છે. તેના ફક્ત બે ભાગ છપાયા પછી તબિયતના કારણે પથારીવશ થયા. એ પુસ્તકનું કામ પૂરું કરવા તેઓ ખૂબ ચિંતિત હતા, પણ તે પુસ્તક તેઓ પૂરું કરી શક્યા નહિ. પરંતુ કુદરતે સૈયદ સુલેમાનને જશ આપ્યો કારણ કે તેમણે પોતાના ઉસ્તાદના આ ભગીરથ કાર્યને પૂરેપૂરા ન્યાય સાથે બીજા પાંચ ભાગમાં પૂરું કર્યું. આજે આ ખ્યાતનામ ગ્રંથની ભારત-પાકિસ્તાનમાં અનેક આવૃત્તિઓ થયેલી છે અને અરબી તથા અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ પણ થયો છે. તેમનાં અનેક પુસ્તકોમાં ઉમર-ખય્યામ ઉપરનો તેમનો ગ્રંથ ‘ખય્યામ’ ખૂબ મહત્ત્વનો લેખાય છે. ભાષાવિજ્ઞાન અને ભાષાના ઇતિહાસ ઉપર તેમના અનેક નિબંધો છપાયા છે. ‘નુકૂશે સુલેમાની’ નામનો ગ્રંથ આજેય ઘણાં વિશ્વવિદ્યાલયોના ઉર્દૂના અભ્યાસક્રમોમાં સામેલ છે. 1940માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લિટ્.ની પદવી એનાયત કરી હતી.
અંજના ભગવતી


