Categories
વાચન સમૃદ્ધિ

દરજીડો અથવા દરજી

ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું નથી. જોકે ફુત્કી નામનું તેનું જાતભાઈ છેતરી જાય એવું બને. નરમાદા ઘણી વાર જોડમાં ફરે છે. લજ્જાળુ છતાં દોરા અથવા આહારની શોધમાં તે ઘરના વરંડામાં આવતાં ખચકાતું નથી.

દરજીડો

મોટા ભાગનાં પક્ષીઓની જેમ મુખ્ય આહાર જીવાત તથા તેનાં ઈંડાં છે. પુષ્પરસ પણ ભાવે. સ્વર મીઠો અને બુલંદ ટિવટ્, ટિ્વટ, ટિ્વટ અથવા જરા બદલાયેલો પ્રીત પ્રીત પ્રીત ઉદ્યાનોમાં સાંભળવા મળે. પક્ષીનું દરજીડો નામ તેના માળાને કારણે સાર્થક છે. છોડ કે વેલ અને કોઈ વાર પહોળાં પાંદડાંવાળાં નાનાં વૃક્ષ પર મીટર – બે મીટર ઊંચાઈ સુધીમાં બે કે ત્રણ પાંદડાંને સીવીને, સિલાઈ ઊકલી ન જાય તે માટે ગાંઠ વાળીને નાળચાના ઘાટનો માળો બનાવી, તેમાં વાળ, મૃદુ રેસા, રૂ, દોરા અને કુમળી ડાંખળીઓ પાથરી સુકોમળ આચ્છાદન કરે છે. માળા ઉપર ઢાંકણ જેવી રચના પણ હોય છે. તેથી ટાઢતાપ અને વર્ષામાં રક્ષણ મળે છે. સાધારણ દૃષ્ટિમાં માળો પરખાતો નથી. વર્ષાઋતુ દરજીડાનો સંવનનકાળ છે. સ્વભાવે નરમ અને લજ્જાળુ પક્ષી આ સમયે ઉન્માદમાં આવે છે. 3 કે 4 ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ રતાશ કે ભૂરાશ પડતો શ્વેત, ઉપર બદામી ટપકાં. માણસ માળાનો સ્પર્શ કરે તો પક્ષી તેનો ત્યાગ કરે છે અને નવો માળો સીવે છે.

ગુજરાતી વિશ્વકોશ

Categories
વાચન સમૃદ્ધિ

કર્નલ સોનમ વાંગચુક

જ. 11 મે, 1964 અ. 10 એપ્રિલ, 2026

ભારતીય લશ્કરના નિવૃત્ત કર્નલ. આખું નામ વાંગચુક સોનમ. હિમાચલ પ્રદેશના સોલન નગર ખાતે સેંટ લુકેની પ્રાથમિક શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. 1973માં તેમના પિતા 14મા દલાઈલામાની સુરક્ષા વિભાગમાં જોડાતાં તેમણે ધરમશાલા ખાતે સ્થળાંતર કરવું પડ્યું. 1975માં દિલ્હીની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરીને શ્રી વેંકેટશ્વર કૉલેજમાંથી ઇતિહાસ વિષયમાં સ્નાતક થયા. તેમના સગા કર્નલ વાંગડુએ તેમને લશ્કરમાં જોડાવા આગ્રહ કર્યો. વાંગચુકે ચેન્નાઈ ખાતે આવેલી ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં તાલીમ મેળવીને અસમ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટનો હોદ્દો મેળવ્યો. ભારતીય સૈન્ય દ્વારા તેઓએ ‘ભારતીય શાંતિદળ’માં જોડાઈને શ્રીલંકા ખાતે સેવા આપી. ત્યારબાદ સિંધુ વિભાગના ‘લદ્દાખ સ્કાઉટ’માં નિયુક્ત થયા. ભારત-પાકિસ્તાનના 1994ના કારગીલ યુદ્ધમાં સિંધુ વીંગ અને લદ્દાખ સ્કાઉટના સહયોગથી ઑપરેશન વિજયનો પ્રારંભ કર્યો. ચોરબાટ લા ઘાટ પાસે પાકિસ્તાનના સૈનિકોને શિકસ્ત આપીને 5,500 મીટર ઊંચાઈએ હિમાચ્છાદિત વિસ્તારની ‘Line of Control’ની કરાડ (Ridge) ઉપર પ્રભુત્વ મેળવ્યું. આ સફળતાને લક્ષમાં રાખીને ભારત સરકાર તરફથી તેમણે મહાવીર ચક્રનો ખિતાબ મેળવ્યો. તેઓએ જીવના જોખમે બટાલિક યુદ્ધ ક્ષેત્રને દુશ્મનોથી મુક્ત કર્યો. આ સાહસને લક્ષમાં રાખીને 2017ના ઑગસ્ટ માસની 21મી તારીખે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ‘Lion of Ladakh’ તરીકે નવાજ્યા હતા. ભારતીય સૈન્યમાં તેઓએ મહાવીર ચક્ર, ઑપરેશન વિજય, 50મી ઍનિવર્સરી ઑફ ઇન્ડિપેન્ડન્સ મેડલ, સૈન્ય સેવા મેડલ, સ્પેશિયલ સર્વિસ મેડલ જેવા મહત્ત્વના બાર જેટલા ઍવૉર્ડ મેળવ્યા હતા. હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

નૃત્યની પિકાસો

નાનકડી મારથાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયૉથૅરપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ મારથાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. મારથાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની જાતને કઈ રીતે પ્રતિબંધને કારણે અટકાવી શકે ? અવરોધને ફગાવીને એણે નૃત્યકલા શીખવતી એક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને એ પછી ટેડ શૉનની સાથે રહીને એણે વ્યવસાયી નૃત્ય કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. મારથાએ અથાગ પરિશ્રમ કર્યો અને ઈ. સ. 1926માં ‘મારથા ગ્રાહમ ડાન્સ કંપની’ની સ્થાપના કરી. એના નૃત્યના પ્રયોગો સતત ખ્યાતિ મેળવતા ગયા અને એની મૌલિક નૃત્યકળાને સહુએ વધાવી લીધી. મારથાએ પોતાના નૃત્યમાં અધ્યાત્મ અને ભાવને જોડી દીધા અને પાશ્ચાત્ય નૃત્યશૈલીને એક નવી દિશા આપી. એથીય વિશેષ એણે નૃત્યની કેટલીય શૈલીઓ વિકસિત કરી. ફ્રન્ટિયર, એપ્લાચેન, સ્પ્રિંગ જેવી નૃત્યકળાઓને એમાં સામેલ કરી. સમય જતાં મારથાની આ નવીન શૈલી આદર પામતી ગઈ અને નૃત્ય-વિશેષજ્ઞો પણ આ શૈલીઓને અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માનતા હતા. મારથા સિત્તેર વર્ષ સુધી નૃત્ય કરતી રહી અને નૃત્ય શીખવતી રહી. અમેરિકાના પ્રમુખના નિવાસસ્થાન ‘વ્હાઇટ હાઉસ’માં નૃત્ય કરવાનો અવસર મેળવનારી એ પહેલી નૃત્યાંગના બની. એણે સર્જેલી નૃત્યની મૌલિકતાને કારણે એને ‘નૃત્યની પિકાસો’ કહેવામાં આવી. આમ અવરોધોથી અટક્યા વિના મારથા હિંમતભેર નૃત્યકલામાં પારંગત બની અને પોતાની લગન અને મહેનતથી સાબિત કરી આપ્યું કે આ જગતમાં કશું અસંભિવત નથી. મારથાને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં તેમજ એની નૃત્યશૈલી એ આધુનિક નૃત્યશૈલી તરીકે સ્થાન પામી.