Categories
વાચન સમૃદ્ધિ

અરુણા દેસાઈ

જ. 13 મે, 1924 અ. 16 ફેબ્રુઆરી, 2007

મહિલાઓનાં સ્વાતંત્ર્ય અને રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા અરુણાબહેનનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક બન્યાં હતાં. માત્ર ત્રણ વર્ષની વયે માતાનું અવસાન થતાં ફોઈ પુષ્પાબહેનની છત્રછાયામાં ઉછેર થયો. પુષ્પાબહેન ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાજસેવિકા હતાં. અરુણાબહેનને પુષ્પાબહેન પાસેથી બાળપણથી જ જીવનઘડતરના પાઠ શીખવા મળ્યા અને તેમણે આજીવન સમાજસેવાનો ભેખ લઈ લીધો. પુષ્પાબહેનના વિકાસગૃહનાં કાર્યોમાં મદદ કરતાં. તેઓ સ્વાતંત્ર્યચળવળમાં પણ પુષ્પાબહેનની પ્રવૃત્તિઓમાં સહકાર આપતાં. 1945માં પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલા વિકાસ વિદ્યાલયમાં સમાજસેવાની જવાબદારી અરુણાબહેને ઉપાડી લીધી હતી. અહીં અનાથ નિરાધાર બાળકો, ત્યક્તાઓ, વિધવાઓ, તિરસ્કૃત સ્ત્રીઓને આશ્રય અપાતો. તેઓ વઢવાણની ભૂમિ પર બાળકો ભણીગણીને પોતાના પગ પર ઊભા રહી સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ હતાં. આવી બાળાઓનું ખૂબ સુંદર જીવનઘડતર કરતાં. સમાજસેવા અને સ્ત્રીઉન્નતિ સાથે તેના પાયા સમી આર્થિક વિકાસની સમસ્યાને હલ કરવા ખૂબ પરિશ્રમ કર્યો. અરુણાબહેનના કઠિન પરિશ્રમને કારણે વિકાસ વિદ્યાલય આજે એક મોટું સેવાશ્રમ બની રહ્યું છે. આ સંસ્થાની ઘણી શાખાઓ ગુજરાતમાં સ્થપાઈ છે. વઢવાણની ધરતી પરથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી તેમનાં સત્કાર્યોની સુવાસ પહોંચી. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા, જેમાં મુખ્યત્વે 1981માં બાલકલ્યાણક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર, 1989માં મહિલા સુરક્ષા પુરસ્કાર, 2002માં રાજીવ ગાંધી માનવસેવા પુરસ્કાર અને 2005માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ ફોર ડેવલપમેન્ટ ઍન્ડ વેલ્ફેર ઑવ્ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

આઇસલૅન્ડ

સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં ૮૦૦ કિમી. દૂર આટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : તે ૬૫° ઉ. અ. અને ૧૮° પ. રે.ની આજુબાજુનો આશરે ૧ લાખ ચો.કિમી. જેટલો છે. આઇસલૅન્ડમાં વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. આઇસલૅન્ડમાં ધરતીકંપ વારંવાર થાય છે; પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. તેના કુલ ૧૩૦ જ્વાળામુખીમાંથી ૩૨ જેટલા હાલ સક્રિય છે. હેકલા (Hekla) અને લાકી (Laki) જાણીતા જ્વાળામુખીઓ છે. કુલ જમીનના ૨%માં જ જંગલો છે અને ૧,૦૨,૭૭૫ ચો.કિમી.ના વિસ્તારમાંથી ૧% વિસ્તાર જ ખેડાણલાયક છે. આ દેશ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં ત્યાંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહને કારણે ત્યાંનો દરિયો હૂંફાળો રહે છે અને ઠંડીની તીવ્રતા ઓછી અનુભવાય છે. અહીંના રીજવિક(પાટનગર)નું જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન – ૧° સે. જ્યારે જુલાઈનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૧° સે. રહે છે. વરસાદની સરેરાશ ૭૮૮ મિમી. જેટલી રહે છે.

લાકી જ્વાળામુખી

આઇસલૅન્ડની નદીઓ વહાણવટાને લાયક નથી. ‘ગોલ્ડન ફૉલ્સ’ અને ‘ગોડા ફૉલ્સ’ ત્યાંના જાણીતા ધોધ છે. આઇસલૅન્ડમાં સુંદર સરોવરો આવેલાં છે. અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. માછીમારી માટે પણ આ સરોવર ખૂબ ઉપયોગી છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આઇસલૅન્ડની કુલ વસ્તી ૪,૦૦,૦૦૦ લાખ (૨૦૨૬, આશરે) જેટલી છે. આઇસલૅન્ડના મોટા ભાગના લોકો નૉર્ડિક છે. ૯૬.૯% પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. મત્સ્ય-ઉદ્યોગ અહીંના લોકોની જીવાદોરી છે. અહીંના જળવિસ્તારોમાં માછલીઓના ભંડાર આવેલા છે; જેમાં કોડ, કૅપલીન અને રેડફિશ મુખ્ય છે. મોટા ભાગની માછલીઓને સૂકવી, ડબ્બામાં કૅનિંગ કરી (canned) નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણીના ઝરા અને ફુવારા આઇસલૅન્ડની લાક્ષણિકતા છે. આ પાણીની મદદથી તેઓ ટમેટાં, કાકડી, લેટિસની ભાજી (lettuce) અને ફૂલો ઉગાડે છે. રાજધાની રીજવિકનાં ઘરોમાં, ઑફિસોમાં ઝરાનું ગરમ પાણી પાઇપ વડે પૂરું પાડવામાં આવે છે. રાજધાની રીજવિક ઉપરાંત કોપવોગુર (Kopavogur), અકુરેયરી (Akureyri) જાણીતાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આઇસલૅન્ડ, પૃ. 95)

Categories
વાચન સમૃદ્ધિ

રાધાકૃષ્ણ તાહિલિયાની

જ. 12 મે, 1930 અ. 14 ઑક્ટોબર, 2015

ભારતીય નૌકાદળના ફ્લેગ ઑફિસર, એડમિરલ રાધાકૃષ્ણ તાહિલિયાનીનો જન્મ સિંધી પરિવારમાં  થયો હતો. તેમણે નેવલ વૉર કૉલેજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને નૅશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.

1 સપ્ટેમ્બર, 1950ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા અને 17 મે, 1952ના રોજ સબ-લેફ્ટનન્ટ તરીકે બઢતી મળી. તેઓ ભારતીય નૌકાદળ વાયુસેનામાં જોડાયા. 1960માં લેફ્ટનન્ટ કમાન્ડર બન્યા. 18 મે, 1961ના રોજ હોકર સી હોક ફાઇટરને લૅન્ડ કરીને INS વિક્રાંતના ડેક પર વિમાન લૅન્ડ કરનાર પ્રથમ નૌકાદળ પાઇલટ બન્યા. 1970માં કૅપ્ટન બન્યા. તેમણે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં INAS300 સ્ક્વૉડ્રનને કમાન્ડ કર્યું. તેમણે INS ત્રિશૂલ અને ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાંતનું પણ કમાન્ડ કર્યું હતું. 1977માં કાર્યકારી રીઅર એડમિરલ તરીકે બઢતી મળી, તેઓ ગોવા નેવલ એરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ બન્યા. 1978માં તેમને સબસ્ટેન્ટિવ રીઅર એડમિરલ તરીકે બઢતી મળી. તેઓ નેવલ હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા પછી ડેપ્યુટી ચીફ ઑફ નેવલ સ્ટાફ બન્યા. તેઓ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નેવલ કમાન્ડ, ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, વાઇસ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા હતા. 1 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય નૌકાદળના ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 11મા નૌકાદળના વડા તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી 8 ફેબ્રુઆરી, 1990થી 20 સપ્ટેમ્બર, 1994 સુધી સિક્કિમના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભારતીય ચેપ્ટરના સ્થાપક સભ્ય અને અધ્યક્ષ હતા. તેમણે બે નૌકાદળના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્ય કર્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.