Categories
વાચન સમૃદ્ધિ

સન્માન પદમાં કે માનવતામાં ?

સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સૂબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.’ સૂબેદારે કહ્યું, ‘ના શહેનશાહ, બલ્કે હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે’ સિકંદરે કહ્યું, ‘એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?’ સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.’ સૂબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

રૉય ઓ ડિઝની

જ. 24 જૂન, 1893 અ. 20 ડિસેમ્બર, 1971

મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ભાઈઓ રૉય અને વૉલ્ટ પૈકીના એક રૉય ડિઝનીનો જન્મ શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ કેન્સાસ (મિઝોરી) આવ્યા. તેમના પિતા એલિયાસે વર્તમાનપત્રોની વહેંચણીનું કામ માથે લીધું હતું. જેમાં રૉય અને વૉલ્ટ પિતાને મદદ કરતા. થોડા મોટા થયા ત્યારબાદ તેઓએ બૅંકમાં નોકરી કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કાર્ગો જહાજ પર નૌકાદળમાં કાર્ય કર્યું પરંતુ ક્ષયરોગ થયા પછી તેમને રજા આપવામાં આવી. પછી વૉલ્ટ સાથે હોલિવુડમાં જોડાયા. બે ભાઈઓએ સંપ અને ખંતથી કામ કરી વિશ્વમાં પોતાનું નામ બનાવી દીધું. મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ચલચિત્રનિર્માતા તરીકે વૉલ્ટ ડિઝનીએ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ સ્થાપી દીધી. મોટા ભાઈ રૉય ડિઝનીએ કંપનીની બધી ધંધાકીય અને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી જેથી નાનો ભાઈ વૉલ્ટ પોતાનો બધો સમય તેની ફેન્ટસીને કચકડાના રીલમાં ઉતારી વિશ્વ સમક્ષ મૂકી શકે. બંને ભાઈઓએ સાથે મળીને ઑક્ટોબર, 1923માં વૉલ્ટ ડિઝની કંપનીની સ્થાપના કરી અને સાથે મળીને મનોરંજનનું સામ્રાજ્ય સ્થાપ્યું. બંને ભાઈઓની આ કંપનીમાં સરખી ભાગીદારી હતી જેમાં સર્જનની જવાબદારી વૉલ્ટની હતી અને નાણાકીય અને બિઝનેસની જવાબદારી રૉયની હતી. 1929માં રૉય ડિઝની કંપનીના પ્રથમ સીઈઓ બન્યા. 1945માં બંને ભાઈઓ બોર્ડના ચૅરમૅન બન્યા. 1960માં વૉલ્ટે કંપનીના ચૅરમૅન તરીકે રાજીનામું આપ્યું જેથી તેઓ સર્જનમાં વધારે ધ્યાન આપી શકે. રૉય ડિઝની હંમેશાં પ્રસિદ્ધિ અને કીર્તિથી દૂર રહ્યા. બંનેએ 1971માં ડિઝની વર્લ્ડની સ્થાપના કરી. વૉલ્ટનું અવસાન થયા પછી તેમણે ‘ડિઝની વર્લ્ડ’નું નામ તેમના ભાઈની સ્મૃતિમાં ‘વૉલ્ટ ડિઝની વર્લ્ડ’ રાખ્યું. રૉયની સ્મૃતિમાં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ આર્ટસ ખાતે હર્બ અલ્પર્ટ સ્કૂલ ઑફ મ્યુઝિકના પ્રદર્શનસ્થળનું નામ રૉય ઓ ડિઝની કોન્સર્ટ હૉલ રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

આંબો

કેરી આપતું વૃક્ષ.

આંબો દ્વિદળી વર્ગની વનસ્પતિ છે. તેનું વૃક્ષ ૧૫થી ૨૦ મીટર ઊંચું હોય છે. તે સદા લીલુંછમ રહે છે. તેની ઉપર આછી તરંગિત કિનારીવાળાં સાદાં પર્ણો બારે માસ હોય છે. ઘણાં ઝીણાં પુષ્પો ઝૂમખામાં આવે છે, જેમને ‘મૉર’ કહેવાય છે. આંબાનું ફળ તે કેરી કહેવાય છે. જે કાચી હોય ત્યારે લીલા રંગની હોય છે અને પાકે પછી કેસરી રંગની થાય છે. તેની અંદર ગોટલો હોય છે. આંબાનું વૃક્ષ ઘણાં વર્ષો સુધી કેરી આપે છે. કેરી ઘણા દેશોમાં થાય છે; પણ ભારતમાં તેનું સ્થાન અનેરું છે. તેનું મૂળ વતન પૂર્વ ભારત અને ઉત્તર હિમાલયના પહાડી પ્રદેશો ગણાય છે. ગુજરાતમાં વલસાડની આફૂસ (આલ્ફોન્સો) કેરી અને જૂનાગઢની કેસર કેરીઓ તથા રત્નાગિરિ(મહારાષ્ટ્ર)ની આફૂસ કેરી જગવિખ્યાત છે. બીજા દેશોના મુકાબલે ભારતમાંની કેરીની જાતોની વિવિધતા, વિપુલતા અને મીઠાશ અનન્ય છે. ભારતમાં લગભગ ૧,૦૦૦ કરતાં પણ વધુ જાતો વવાય છે. આફૂસ, કેસર, રાજાપુરી, તોતાપુરી, બનારસી, લંગડો, પાયરી, દાડમિયો, મલગોબા, દશેરી, નીલમ વગેરે તેની પ્રચલિત જાતો છે. ભારતમાં કેરીનું વાર્ષિક ઉત્પાદન ૨.૧ કરોડ મેટ્રિક ટન છે. ભારતમાં આંબાનું વાવેતર ૪૦૦૦થી ૬૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન છે. મહાભારત અને રામાયણમાં આમ્રવનોનાં વર્ણન આવે છે. ચરક અને સુશ્રુત જેવા મહાન આયુર્વેદાચાર્યોએ પણ કેરીનાં વખાણ કર્યાં છે.

કેરીના પાકા ગરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી શર્કરાઓ અને વિટામિન ‘એ’ અને પોટૅશિયમ-તત્ત્વ સારા પ્રમાણમાં હોય છે. કેરીમાં ખટાશ સાઇટ્રિક ઍસિડને કારણે હોય છે. પાકી કેરીનો ખાવામાં સીધો ઉપયોગ થાય છે. તેનો રસ કે તેના ટુકડાઓ કે અથાણાં ડબ્બાઓમાં પૅક કરેલાં કોઈ પણ ઋતુમાં મળે છે. પાકી કેરીના રસને સૂકવી પાપડ બનાવવામાં આવે છે. કાચી કેરીમાંથી ચટણી, અથાણાં, આંબોળિયાં વગેરે બનાવવામાં આવે છે. કેરીના ઔષધ તરીકે પણ ઘણા ઉપયોગો છે. તેની છાલમાંથી મળતો રંગ સુતરાઉ કે રેશમી કાપડ અને ઊનને આછા પીળા રંગથી રંગે છે. ભારતના કેટલાક પ્રદેશમાં અછત દરમિયાન બીજ(ગોટલી)નો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. આંબાના લાકડાનો ફર્નિચર, છતનાં પાટિયાં, બારીનાં ચોકઠાં, પેટીઓ, હલેસાં, હોડીઓ, ખેતીનાં ઓજારો વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. તેના લાકડામાંથી સારો કોલસો પણ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી