Categories
વાચન સમૃદ્ધિ

વિષ્ણુ નારાયણ નાંબુદ્રી (નાંબુથીરી)

જ. 2 જૂન, 1929 અ. 25 ફેબ્રુઆરી, 2021

મલયાળમના પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર વિષ્ણુ નારાયણનો જન્મ કેરલમના તિરુવલ્લામાં થયો હતો. તેમની કવિતાઓમાં ભારતીય પરંપરા તથા આધુનિકતાનો અભૂતપૂર્વ સમન્વય જણાય છે. તેમણે તેમના દાદા પાસેથી વેદો, પુરાણો તથા સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પ્રિન્સ માર્તંડા વર્મા હાઈસ્કૂલ પેરિંગારાથી શાળાકીય શિક્ષણ મેળવ્યું. તે પછી બર્ચમેન્સ (Berchmans) કૉલેજ, ચાંગનાસેરી(Changanassery)થી સ્નાતક થયા અને સેંટ જોસેફ કૉલેજ, દેવગિરિથી અનુસ્નાતકની પદવી પ્રથમ ક્રમાંક સાથે મેળવી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત પેરિંગારા શાળામાં ગણિતના શિક્ષક તરીકે કરી. ત્યારબાદ માલાબાર ક્રિશ્ચિયન કૉલેજમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે કામગીરી કરી. તદ્ઉપરાંત રાજ્યના વિભિન્ન ભાગો જેવા કે, કોઝિકોડ, કોલ્લમ્, પટ્ટામ્બી, અર્નાકુલમ્, ત્રિપુનીથુરા, ચિત્તૂર, થાલાસ્સેરી વગેરે સ્થળોએ અધ્યાપનકાર્ય કર્યું. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ હતી. તેમણે કવિતાઓ ઉપરાંત નિબંધ, અનુવાદ અને બાળસાહિત્ય જેવાં લેખનક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ એક સક્રિય પર્યાવરણવિદ પણ હતા. કેરલમના અરનમુભામાં પર્યાવરણ સંરક્ષણ સંઘર્ષમાં તેમણે અગ્રણી ભૂમિકા નિભાવી હતી. તેમનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો ‘સ્વાતંત્ર્ય ટેકુરિયેચોરુગીતમ્’ ‘ભૂમિગીતંગલ’, ‘ઇન્ડિયેન્નાવિક્રમ’, ‘ચારુલતા’, ‘અપરાજિતા’ વગેરે છે. નિવૃત્તિ બાદ તેમણે તેમના પૈતૃક મંદિર શ્રી વલ્લભ મંદિરમાં પૂજારી તરીકે કામ કર્યું હતું. ભારત સરકારે 2014માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મલયાળમનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર એજુથાચન પુરસ્કારમ્, વાયલાર પુરસ્કાર, વલ્લથોલ પુરસ્કાર, આસાન પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ઓડક્કુઝલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દાર્જિલિંગ

પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50´ ઉ અ. અને 88° 20´ પૂ. રે..  તે કૉલકાતાની ઉત્તરે નેપાળ અને સિક્કિમને સીમાડે વસેલું છે. હિમાલય પર્વતમાળાના દક્ષિણ તરફના ઢાળની તળેટીમાંની ટેકરીઓની લાંબી હારમાળાની ઊંચી પાળ પર વસેલું આ સ્થળ દરિયાની સપાટીથી 2,160 મી.ની ઊંચાઈ પર છે. વિસ્તાર : 3,149 ચોકિમી. તેની વસ્તી આશરે 22,70,000 (2026) છે. ત્યાંનું તાપમાન જાન્યુઆરીમાં 4° સે. અને જુલાઈમાં 17° સે. હોય છે. વર્ષના મોટા ભાગના દિવસોમાં તે ધુમ્મસથી ઘેરાયેલું હોય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પડતા વરસાદની વાર્ષિક સરેરાશ 2,972 મિમી. હોય છે. ત્યાંના રસ્તા વધુ ઢાળવાળા છે. એક જમાનામાં ત્યાંની વસ્તીમાં અંગ્રેજ લોકોનું પ્રમાણ નોંધપાત્ર હતું.

1962માં સ્થપાયેલ યુનિવર્સિટી ઑવ્ નૉર્થ બંગાળનું તે મુખ્ય મથક છે. નગરમાં સેન્ટ જૉસેફ કૉલેજ, ખ્રિસ્તી ધર્મપંથના સંચાલન હેઠળનું લોરેટો કૉન્વેન્ટ તથા તેના સીમાડા પર હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલાં છે. નૅરોગેજ રેલમાર્ગ(ટૉય ટ્રેન)થી તે નીચાણનાં આજુબાજુનાં સ્થળો સાથે જોડાયેલું છે. ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ તથા કાંચનજંઘા પર્વતોનાં દર્શન થાય છે. ટાઇગર હિલ પરથી સૂર્યોદય નિહાળવો એ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણ હોય છે. આજુબાજુની ખીણોની હરિયાળી તથા પર્વતોનાં હિમાચ્છાદિત શિખરોનાં ત્યાંથી દેખાતાં દૃશ્યો મનોહારી હોય છે. ત્યાંની ટેકરીઓ પર ઉગાડવામાં આવતી ચા વિશ્વભરમાં વખણાય છે. ઇતિહાસ : એક જમાનામાં તે તિબેટનો ભાગ હતો, પરંતુ પાછળથી તે સ્વતંત્ર સિક્કિમના રાજ્યનો ભાગ બન્યો. 1835માં સિક્કિમના રાજાએ તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યો. 1947માં ભારતને આઝાદી મળી ત્યારથી આ પ્રદેશ સ્વતંત્ર ભારતનો ભાગ બન્યો છે. ભારત અને તિબેટ વચ્ચે પ્રાચીન કાળમાં થતા વ્યાપારના માર્ગ પરનું તે અંતિમ વિરામસ્થાન હતું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે બંગાળ પ્રાંતનું ઉનાળાનું પાટનગર હતું.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

નરગિસ

જ. 1 જૂન, 1929 અ. 3 મે, 1981

ભારતીય હિન્દી સિનેમાનાં મહાન અભિનેત્રી નરગિસનો જન્મ કૉલકાતામાં અબ્દુલ રશીદ તથા જદ્દાબાઈ રશીદને ત્યાં થયો હતો. તેનું નામ ફાતીમા રશીદ રાખવામાં આવ્યું હતું. માતા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. સભ્ય સમાજ તરફથી અવગણના પાત્ર માહોલમાં ફાતીમા રશીદનું બાળપણ વીત્યું હતું. માત્ર છ વર્ષની વયે ફિલ્મ ‘તલાશ-એ-હક’માં એમણે અભિનય કર્યો હતો. સિનેજગત માટે એમને નરગિસ નામ આપવામાં આવ્યું હતું. 1942માં ફિલ્મ ‘તમન્ના’ તથા મહેબૂબ ખાનનિર્મિત ફિલ્મ ‘તકદીર’માં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કર્યો અને દર્શકોના ધ્યાનમાં આવ્યાં. ત્યારબાદ શોમૅન રાજ કપૂર સાથે આર. કે. બૅનર હેઠળ ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’માં અભિનય કરીને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યાં. ભારત તેમજ રશિયામાં પણ એમણે ખૂબ ચાહના મેળવી. અભિનેતા દિલીપકુમાર સાથે પણ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ‘આહ’, ‘બાબુલ’, ‘અંદાઝ’, ‘ચોરીચોરી’, ‘કાલા બાઝાર’, ‘હુમાયૂં’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને તત્કાલીન સમયનાં સૌથી વધુ મહેનતાણું મેળવતાં અભિનેત્રી બન્યાં. રાજ કપૂર સાથે સોળ ફિલ્મોમાં અભિનય કર્યો. 1957માં મહેબૂબ ખાનનિર્મિત-નિર્દેશિત ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ નરગિસના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના સહઅભિનેતા સુનિલ દત્ત સાથે મનમેળ થતાં 1958માં લગ્નગ્રંથિથી જોડાયાં. ત્રણ સંતાનોનાં માતા બનીને સ્થાયી જીવનની શરૂઆત કરી. 1958માં નરગિસને ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1967માં ફિલ્મ ‘રાત ઔર દિન’માં અભિનય કર્યા બાદ ફિલ્મોમાં અભિનયની પ્રવૃત્તિને તિલાંજલી આપી. 1980માં રાજ્યસભાનાં સભ્ય તરીકે એમની પસંદગી થઈ, પરંતુ તે જ અરસામાં પિત્તાશયના કૅન્સરની બીમારી વધુ તીવ્ર બની. 1981માં મુંબઈમાં એમનું અવસાન થયું. પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’ના લોકાર્પણના ત્રણ દિવસ પહેલાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ પતિ સુનિલ દત્તે નરગિસ દત્ત મેમોરિયલ કૅન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરી તથા ફિલ્મજગતમાં અભિનયના પ્રોત્સાહન માટે નરગિસ દત્ત ઍવૉર્ડની શરૂઆત કરી. નરગિસ દત્ત ફિલ્મભાવકોનાં હૃદયમાં અમર સ્થાન ધરાવે છે.