Categories
વાચન સમૃદ્ધિ

વિમલાતાઈ ઠકાર

જ. 25 એપ્રિલ, 1921 અ. 11 માર્ચ, 2009

અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક અને સંનિષ્ઠ જીવનસાધક વિમલાતાઈ ઠકારનો જન્મ રામનવમીના દિવસે, મહારાષ્ટ્રમાં થયો હતો. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. પિતાની તેજસ્વિતાનો વારસો પુત્રી વિમલામાં પણ ઊતર્યો હતો. નાનાના પરિવારમાં સત્સંગનું વાતાવરણ હતું. તેમની પાસેથી વિમલાતાઈએ નાનપણથી જ સ્વાશ્રય, પરિશ્રમ, સચ્ચાઈ અને વ્યવહારશુદ્ધિના સંસ્કાર લીધા. પાંચ વર્ષની વયથી જ ઈશ્વરની ખોજ શરૂ થઈ અને ચૌદ વર્ષની વયે સંન્યાસ લેવાની પ્રતિજ્ઞા કરી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. અને ત્યાંની જ મોરિસ કૉલેજમાંથી દર્શનના વિષય સાથે એમ.એ.ની પદવી સર્વોચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી. કૉલેજમાં ભણતાં હતાં ત્યારે અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑવ્ યૂથ’માં દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડી તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ યંગ વિમેન’ની વૈશ્વિક પરિષદમાં પણ ભાગ લીધો હતો. યુનેસ્કો દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવા પરિષદમાં પણ સક્રિય ભાગ લીધો હતો. નાગપુરમાં ભણતાં હતાં ત્યારથી દાદા ધર્માધિકારીના અંગત પરિચયમાં આવ્યાં અને તેમની સાથે સર્વોદય સંમેલનમાં હાજરી આપી. વિનોબા ભાવેના ‘ભૂદાન’ આંદોલનમાં ચૌદ વર્ષ સુધી સક્રિય ભાગ લીધો. દેશમાં કટોકટીનો વિરોધ કરનારાંઓમાં વિમલાતાઈ પણ જયપ્રકાશ નારાયણ સાથે મોખરે હતાં. તેઓ મૂલ્યનિષ્ઠ રાજકારણ, અર્થકારણ અને સમાજકારણનાં પ્રખર હિમાયતી હતાં. તે ઉપરાંત તેઓ ‘અનાગ્રહી ચિત્ત’ તથા ‘સંસારમુક્ત ચેતના’નાં પુરસ્કર્તા હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરેલી નથી કે અનુયાયીઓના કોઈ વર્ગને માળખાકીય માન્યતા આપેલી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં પોતાનો સમય પસાર કરતાં હતાં. તેમના માર્ગદર્શન હેઠળ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ત્રણ એકમોની નિશ્રામાં ચાલતી હતી : ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન. તેમના વિચારો પર પ્રકાશ પાડતા ગ્રંથોમાં 91 અંગ્રેજી ભાષામાં, 123 ગુજરાતીમાં, 46 હિંદીમાં અને 27 મરાઠીમાં પ્રકાશિત થયા છે. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

અલ્જિરિયા

ઉત્તર આફ્રિકાનો ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલો એક આરબ દેશ. ભૌગોલિક સ્થાન : 28° 00´ ઉ. અ. અને 3° 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. (આશરે 24 લાખ ચો.કિમી.) તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે આવે છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યૂનિસિયા અને પૂર્વે લિબિયા તથા દક્ષિણે નાઇજર અને માલી, નૈઋત્યે મોરિટાનિયા અને પશ્ચિમે સહરા તથા મૉરોક્કો આવેલા છે. મોટા ભાગનું અલ્જિરિયા રણ છે, જ્યાં કોઈ રસ્તા કે ગામ વસેલાં નથી. દક્ષિણે આવેલું સહરાનું રણ દેશનો 15 % જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલાં મેદાનોમાં એટલાસ પર્વતમાળાનો ઉત્તર છેડો છે. અલ્જિરિયા સૂકો પ્રદેશ છે. વરસાદ ઘણો ઓછો પડે છે. ચેલીફ અને હમીઝ અહીંની મુખ્ય નદીઓ છે. ઘઉં, જવ, બીટ, શાકભાજી, ફળો, તમાકુ અહીંના મુખ્ય પાક છે.

અલ્જિરિયામાંથી મળતો કુદરતી વાયુનો ભંડાર

રશિયા, અમેરિકા અને ઈરાન પછી સૌથી વધુ કુદરતી વાયુની અનામતો અલ્જિરિયામાં છે. વિશ્વનો 15 % જેટલો પારાનો પુરવઠો અલ્જિરિયા પૂરો પાડે છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અહીંનાં સૌથી મહત્ત્વનાં ખનિજો છે. અલ્જિરિયાની કમાણીનો મોટો હિસ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુના વેચાણમાંથી આવે છે. આ ઉપરાંત પારો, લોખંડ, ફૉસ્ફેટ, જસત, સીસું અને તાંબું અહીંનાં અન્ય ખનિજો છે. અહીં ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા, ગધેડાં જેવાં પ્રાણીઓ જોવા મળે છે. બૂચનાં વૃક્ષો અલ્જિરિયામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. વિશ્વમાં લાકડાના ઉત્પાદનમાં અલ્જિરિયાનો ત્રીજો ક્રમ છે. અલ્જિરિયાની કુલ વસ્તી 4.74 કરોડ (2026, આશરે) જેટલી છે. બર્બર જાતિનાં કેટલાંક સ્થાયી તો કેટલાંક ભટકતાં જૂથો આ દેશના અતિપ્રાચીન રહેવાસીઓ હોય તેમ જણાય છે. અરબોમાં કાબિલે અને ઝાબાઇટ જૂથો છે. સહરા પ્રદેશમાં તૌરેગ નામક વિચરતી જાતિ વસે છે. વળી સુદાનની નિગ્રો પ્રજાની વંશજ ગણાતી હારાતીન પ્રજા દેશભરમાં છૂટીછવાઈ વસે છે. તેઓ અરબી, ફ્રેન્ચ અને બર્બર ભાષા બોલે છે. તેઓ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અલ્જિરિયા, પૃ. 67)

Categories
વાચન સમૃદ્ધિ

એસ. એફ. નાડેલ

જ. 24 એપ્રિલ, 1903 અ. 14 જાન્યુઆરી, 1956

પ્રસિદ્ધ માનવશાસ્ત્રી એસ. એફ. નાડેલનો જન્મ તેમજ ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમણે વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી, પરંતુ તેમને શરૂઆતમાં સંગીત પ્રત્યે ઊંડી રુચિ હતી. તેમણે ઑપેરા સંગીત મંડળી પણ સ્થાપી હતી. નાડેલે સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક લખ્યું છે. તેમણે સંગીતના કેટલાક કાર્યક્રમો પણ આપ્યા હતા. 1930માં આફ્રિકામાં વાસ્તવિક રીતે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્ય દ્વારા પ્રવેશ કર્યો હતો. તેમણે Nupe જાતિ અને અન્ય આદિવાસી જાતિઓ વિશે નાઇજીરિયામાં અને ઍંગ્લો-ઇજિપ્શિયન સુદાનમાં ન્યુબા જાતિ પર સંશોધનકાર્ય કર્યું હતું. 1954માં આદિવાસી જાતિના ધાર્મિક જીવન વિશે સુંદર પુસ્તક લખ્યું છે. સમાજની સંરચનાના પૃથક્કરણની દૃષ્ટિએ તે મહત્ત્વનું ગણાય છે. આ ગ્રંથે તેમને ઍથ્નોગ્રાફર ઉપરાંત માનવશાસ્ત્રના સૈદ્ધાંતિક અભ્યાસની કક્ષામાં પ્રવેશ આપ્યો હતો. તેમના વિચારો પર અનેક ખ્યાતનામ સમાજશાસ્ત્રીઓની છાયા હતી છતાં તેમનાં લખાણો કોઈ વિચારશાખાના બીબામાં ગોઠવાયેલાં ન હતાં. તેમણે વર્ણનાત્મક રજૂઆત કરવાને બદલે સૈદ્ધાંતિક પૃથક્કરણ પર વધુ ભાર મૂક્યો છે. તેમના લખેલ ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ સોશિયલ સ્ટ્રક્ચર’માં વ્યક્તિની ક્રિયાઓ અને દિશાઓ પ્રત્યે સંરચનાત્મક વિશ્લેષણની રજૂઆત કરી છે. સામાજિક સંરચનાને દર્શાવવા તેઓ ત્રણ પ્રકારનાં ભૂમિકા સ્વરૂપોની સમજણ આપે છે. આમ સામાજિક સંરચના વિશેના માનવશાસ્ત્રમાં તેમના વિચારો માર્ગદર્શક ભૂમિકારૂપ બન્યા છે. આ રીતે સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાંના સામાજિક સંરચના વિશેના તેમના વિચારો ચિંતનમાં મહત્ત્વના બન્યા. માનવશાસ્ત્રીય પૃથક્કરણમાં તેમણે મનોવૈજ્ઞાનિક ભૂમિકાને સ્થાન આપવા પર ભાર મૂક્યો તથા સહસંબંધ બાંધવાના અભિગમને વધુ મહત્ત્વ આપ્યું. આફ્રિકાના વિદ્યાર્થીઓ માટે ઍથ્નોગ્રાફિક લખાણના સંદર્ભમાં નાડેલ આશીર્વાદરૂપ બન્યા છે.