Categories
વાચન સમૃદ્ધિ

દશેરા

હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્ત્વનું છે. વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા થાય છે. શ્રવણ નક્ષત્રનો યોગ ઉત્તમ મનાય છે. મદનરત્નમાં વિજય મુહૂર્તમાં સીમા ઓળંગવાનું વિહિત છે. ભવિષ્ય પુરાણના કથન અનુસાર ઈશાનમાં શમી એટલે કે ખીજડાના વૃક્ષનું ઈશાનાભિમુખ થઈ પૂજન-અર્ચન કરવાનું વિધાન છે. ગોપથબ્રાહ્મણ અનુસાર નવાં વસ્ત્રો ધારણ કરી અશ્વ-ગજને શણગારી વાદ્યો સાથે સવારી કાઢી પુરોહિત સાથે રાજાએ સીમા પર્યંત જઈ વાસ્તુ-દેવતા, દિકપાલ અને શમીનું વેદ-પુરાણોક્ત મંત્રોથી પૂજન કરીને શત્રુની પ્રતિમૂર્તિ વીંધી સીમા પાર કરી વિજયમંત્રો અને જય-મંગલઘોષ સાથે પાછા આવી વડીલોને વંદન કરવાનાં હોય છે. ચતુરંગ સૈન્યનાં કૌતુક દર્શાવવામાં આવે છે. આ દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શુભ મનાય છે.

દશેરા પ્રસંગે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન

આ દિવસે રઘુએ કૌત્સને ચૌદ કોટિ સુવર્ણમુદ્રા કુબેર પાસેથી મેળવી આપી. રઘુએ વધેલું સોનું નાગરિકોને વહેંચ્યું હોવાથી આ દિવસે સોનું લૂંટવાની પણ પરંપરા છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. પાંડવોનો ગુપ્તવાસ આ દિવસે પૂરો થયો અને અર્જુને બૃહન્નલાના વેશે શમી વૃક્ષ ઉપરથી શસ્ત્રો મેળવ્યાં હતાં. આ દિવસે ચામુંડાએ મહિષાસુર માર્યો હતો. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે. રામલીલાની સ્મૃતિમાં રાવણદહન કરાય છે. મહારાષ્ટ્રમાં શમીપૂજા, શસ્ત્રપૂજા અને સીમોલ્લંઘનની પરંપરા છે. વિદ્વાનો-પંડિતો જૂની પોથીનું પૂજન કરે છે. યંત્રો અને વાહનોની પૂજા પણ કરાય છે. દુર્ગાની પૂજા મુશ્કેલ કાર્યને પાર પાડે છે. નવરાત્રીની સમાપ્તિનો દિવસ હોવાથી જવારા લાવી ગોખ કે કબાટમાં મૂકવાની પણ પરંપરા છે. કાયસ્થ લોકો પાંચ મંડળ બનાવી પંચ કળશ – ઘટની પૂજા, ગૃહદેવતાનું આરાધન આદિ કરે છે. ચર લગ્નમાં પૂજન-અર્ચન, સીમોલ્લંઘન વધુ શુભ ગણાય છે. બંગાળમાં મૂળ નક્ષત્રમાં દુર્ગા પધરાવી શ્રાવણમાં વિસર્જન થાય છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે પ્રદેશમાં આ પર્વનું ભારે મહત્ત્વ છે. ભારતમાં આ ઉત્સવ ઉલ્લાસભેર ઊજવાય છે. રાવણના પૂતળાનું દહન કરીને તથા ઘોડા દોડાવીને લોકો ઉત્સવ માણે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

કુમુદિની લાખિયા

જન્મ 17 મે, 1930 અવસાન 12 એપ્રિલ, 2025

 કલાપ્રેમી કુટુંબમાં જન્મેલાં કુમુદિનીબહેનનો નૃત્યપ્રેમ માતા લીલા જયકરે નાનપણમાં જ પારખી  લીધો હતો. માતા ખુદ ગાયિકા હોવાથી તેમણે કુમુદિનીને નૃત્યકળામાં પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યાં. સાત વર્ષની ઉંમરે તેમણે બનારસ અને બિકાનેર ઘરાનાના ગુરુજનો પાસે તાલીમ શરૂ કરી. 1947માં સત્તર વર્ષની ઉંમરે તેમને નૃત્યકાર શ્રી રામ ગોપાલ સાથે નૃત્યનાટિકામાં કામ કરવાની તક મળી, આ તક તેમના જીવનમાં સીમાચિહનરૂપ બની રહી. તેમણે  દેશ-વિદેશમાં તેમની સાથે અઢળક કાર્યક્રમો કર્યાં. જયપુર ઘરાનાના ગુરુઓ પાસે તથા લખનૌ ઘરાનાના ગુરુ શંભુ મહારાજ પાસે તેમણે નૃત્યની વિશેષ તાલીમ લીધી. તેમણે કથકને વ્યક્તિગત રજૂઆત સુધી સીમિત ન રાખતાં સમૂહમાં રજૂ કરવાનું બીડું ઝડપ્યું અને ખૂબ લોકચાહના પામ્યાં. કથકની રજૂઆતોમાં ચાલ્યા આવતા પરંપરાગત વાર્તાસંદર્ભોમાં પણ તે જહેમતથી આમૂલ પરિવર્તન લાવ્યાં. 1967માં તેમણે અમદાવાદમાં ‘કદંબ’ સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં નવી પેઢીને તેમણે આગવી પદ્ધતિથી કથક શીખવવાનું શરૂ કર્યું અને તેથી જ આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી. આ સંસ્થાના કલાકારોએ 1988માં રશિયામાં ઉઝબેકિસ્તાનમાં અને 2007માં ટોકિયોમાં સફળ નૃત્યપ્રસ્તુતિ કરી હતી. 1980માં દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક કથક મહોત્સવમાં  તેમણે રજૂ કરેલ ‘અત: કિમ?’, 1997-98માં આઝાદીની સુવર્ણજયંતી નિમિત્તે રજૂ કરેલ ‘ડ્રીમ ઑફ ફ્રીડમ’ અને ‘સુવર્ણ’ પણ ખૂબ વખણાઈ. તેમની અન્ય જાણીતી નૃત્યનાટિકા પ્રસ્તુતિમાં ‘ઓખાહરણ’, ‘દશાવતાર’, ‘હોરી’, ‘ધબકાર’, ‘યુગલ’ વગેરે. ‘સૂરસંગમ’, ‘ઉમરાવ જાન’ જેવી હિન્દી ફિલ્મોમાં તેમણે નૃત્યકાર તરીકે કામ કર્યું. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા, જેમાં ઇશીરા પરીખ, મૌલિક શાહ, ઊર્જા ઠાકોર, દક્ષા શેઠ વગેરેનો સમાવેશ થાય છે. નૃત્યકળાને જીવી જનાર આ નૃત્યાંગનાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને મરણોત્તર પદ્મવિભૂષણ(2025)થી સન્માનિત કરાયાં છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ કલાક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીને અપાતો ‘પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ 2022માં તેમને અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હવે એટલું બનશે !

ટૉમસ કૂપર અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન સંશોધક હતા. તેઓ અંગ્રેજીમાં શબ્દકોશ તૈયાર કરતા હતા અને લંડનમાં રહીને એમની આ સંશોધન-યાત્રા ચાલતી હતી. શબ્દકોશનું ભગીરથ કામ એકલે હાથે કરવું ઘણું મુશ્કેલ હતું, છતાં અપાર ખંત અને ચીવટથી આ કામ કરતા હતા. આઠ આઠ વર્ષના કઠોર પરિશ્રમ પછી અંગ્રેજી ભાષાના શબ્દકોશનો લગભગ બે તૃતીયાંશ ભાગ તૈયાર કર્યો. રાત-દિવસ ટૉમસ કૂપર પોતાના કામમાં ડૂબેલા રહેતા. બસ, એક જ ધૂન કે ક્યારે શબ્દકોશ પૂર્ણ કરું અને મારી માતૃભાષાને ચરણે ધરું. એક વાર ટૉમસ કૂપરનાં પત્નીએ એમને બજારમાંથી જરૂરી ચીજ-વસ્તુઓ લાવવાની યાદી આપી. ખાસ તાકીદ કરી કે સાંજે ઘેર પાછા ફરો ત્યારે આ બધું સાથે અવશ્ય લેતા આવજો. આમાંની એકે ચીજવસ્તુ ભૂલશો નહીં. સંશોધક ટૉમસ કૂપર તો એમના કામમાં ડૂબી ગયા. સાંજ પડી ગઈ, ઘેર પાછા ફરવાનો સમય થયો. પેલી યાદી જ યાદ નહોતી આવતી, ત્યારે ચીજ-વસ્તુઓ ખરીદવાની શી વાત ? આથી કશુંય લીધા વિના ટૉમસ કૂપરે એમના ઘરમાં પ્રવેશ કર્યો. એમને સાવ ખાલી હાથે જોઈને એમની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એણે ટેબલ પર પડેલી શબ્દકોશની બધી જ ફાઈલો લઈને સગડીમાં નાખી દીધી. ટૉમસ કૂપર આ જોઈને હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. સારું થયું કે તેં આ ફાઈલો સળગાવી દીધી. કારણ કે હું પોતે જ આ શબ્દકોશમાં હજી વધુ શુદ્ધિ-વૃદ્ધિ કરવા ચાહતો હતો. હા, હવે એટલું બનશે કે મારા કામને પૂર્ણ થતાં આઠ વર્ષથી વધુ સમય લાગશે.’ શબ્દકોશનું ધૈર્યભર્યું કાર્ય કરનાર ટૉમસ કૂપરની અપાર સહિષ્ણુતાએ એમને કાર્યસિદ્ધિ અપાવી !