Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્તંબૂલ

તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર.

ભૌગોલિક સ્થાન : ૪૧° ૧૦´ ઉ. અ. અને ૨૮° ૪૫´ પૂ. રે.. તે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી બૉસ્ફરસની સામુદ્રધુનીના બંને કાંઠાઓ પર વસેલું છે. યુરોપ અને એશિયાને સાંકળતો આ એકમાત્ર જળમાર્ગ છે. બૉસ્ફરસ સામુદ્રધુનીની ઉપનદી ગોલ્ડન હૉર્ન આ નગરને બે વિભાગમાં જુદું પાડે છે : યુરોપીય ઇસ્તંબૂલ અને એશિયાઈ ઇસ્તંબૂલ. આ બંને વિભાગો વચ્ચે હોડીઓ મારફતે અવરજવર થાય છે; પરંતુ ઈ. સ. ૧૯૭૩માં આ બંને વિભાગોને જોડતો ૧,૦૭૫ મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. ટોપકાપી પ્રાસાદ (Topkapi Palace) જેવાં મોટા ભાગનાં ઐતિહાસિક સ્મારકો યુરોપિયન વિભાગમાં આવેલાં છે. આ ઉપરાંત નગરમાં ૪૦૦ મસ્જિદો, ૧૭૫ ગિરજાઘરો તથા ૪૦ જેટલાં યહૂદીઓનાં સિનેગૉગ (ધાર્મિક સ્થળો) આવેલાં છે. અહીં ભૂમધ્ય સમુદ્રની આબોહવા પ્રવર્તે છે.

તુર્કસ્તાનના ૩૦% જેટલા ઔદ્યોગિક એકમો ઇસ્તંબૂલ ખાતે આવેલા છે. ખાનગી માલિકીનાં સાહસો પૈકી ૭૫% આ નગરમાં કેન્દ્રિત થયેલાં છે. નાના પાયાના હસ્તકલા-એકમો પણ અહીં આવેલા છે. તુર્કસ્તાનનો ૮૦% આયાતી વેપાર અને ૩૫% નિકાસી વેપાર આ નગર મારફતે થાય છે. અહીં પ્રવાસનનો પણ સારો વિકાસ થયેલો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ નગરની સ્થાપના ઈ. સ. પૂ. ૬૬૦માં થયેલી હોવાનું ગણાય છે; પરંતુ ઈ. સ. પૂ. ૫૫૦૦થી ૩૫૦૦ (તામ્રયુગ) દરમિયાનની હસ્તકારીગરીની ચીજો અહીંથી મળી આવેલી હોવાથી એમ કહી શકાય કે અહીં તે વખતે સર્વપ્રથમ માનવ-વસાહત રહી ચૂકી હશે ! ઈ. સ. ૧૯૩૦ સુધી તે ‘કૉન્સ્ટેન્ટિનોપલ’ નામથી ઓળખાતું હતું. આ શહેરનો જૂનામાં જૂનો ભાગ સાત ટેકરીઓ પર બાંધેલો હતો, તે પરથી તે ‘સાત ટેકરીઓ પરનું શહેર’ જેવા ઉપનામથી પણ ઓળખાય છે. ઈ. સ. ૨૦૨૫ મુજબ આ નગરની વસ્તી આશરે ૧.૩૦ કરોડ જેટલી છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇસ્તંબૂલ, પૃ. 171)

Categories
વાચન સમૃદ્ધિ

ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોં

જ. 17 જુલાઈ, 1943 અ. 14 ડિસેમ્બર, 1971

1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ ફ્લાઇંગ ઑફિસર નિર્મલજીત સિંહ સેખોંનો જન્મ લુધિયાણા જિલ્લાના રૂરકા ઇસેબલ ગામમાં થયો હતો. પિતા ત્રિલોક સિંહ અને માતા હરબંસ કૌર. પિતા વાયુસેનામાં હતા. નિર્મલજીત સિંહનું શાળેય શિક્ષણ અજિતસર મોહી હાઈસ્કૂલમાં થયું હતું. 1962માં દયાલબાગ એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ થયા પરંતુ અભ્યાસ છોડીને ફાઇટર પાઇલટ તરીકે વાયુદળમાં જોડાયા. તાલીમ પછી ઑક્ટોબર, 1968માં 18 સ્ક્વૉડ્રનમાં સામેલ થયા. 1971માં લગ્ન થયા. એ સમયે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થતાં તેઓ યુદ્ધમોરચે ગયા. પાકિસ્તાન તરફથી થતા હવાઈ હુમલામાં ઍરસ્પેસની સુરક્ષાની જવાબદારી 18 સ્ક્વૉડ્રનને આપવામાં આવી હતી. 14 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાનના 6F -86 જેટે શ્રીનગર ઍરબેઝ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની વિમાનોએ સ્ટ્રીપ પર ઊડી ગોળીઓનો મારો ચલાવ્યો. આ સ્થિતિમાં ઉડાન ભરવી મુશ્કેલ હતી તેમ છતાંય નિર્મલજીત સિંહે ઉડાન ભરી અને દુશ્મનનું એક વિમાન તોડી પાડ્યું. બીજું વિમાન આગની લપેટમાં આવ્યું. આ દરમિયાન ફ્લાઇંગ લેફ્ટેનન્ટ ધુમ્મન સાથે તેમનો સંપર્ક તૂટી ગયો હોવાથી તેઓ એકલા આકાશમાં દુશ્મનો સાથે લડી રહ્યા હતા. પાકિસ્તાનના ચાર સૈબર વિમાનોએ તેમના વિમાનને ઘેરી લીધું. લડાઈ ખૂબ ઓછી ઊંચાઈ પર થઈ તોપણ તેમણે એકલાએ હિંમત હાર્યા વિના સામનો કર્યો. તેમના વિમાન પર દુ્શ્મનોએ હુમલો કરતાં તેમનું વિમાન તૂટી પડ્યું અને તેઓ શહીદ થયા. તેમનાં વિમાનનો ભંગાર મળી આવ્યો પરંતુ તેમનો મૃતદેહ ન મળ્યો. ભારત સરકારે તેમના અજોડ પરાક્રમ બદલ તેમને મરણોત્તર પરમવીરચક્રથી સન્માનિત કર્યા હતા. આંદામાન અને નિકોબારના ટાપુઓમાં એક ટાપુનું નામ નિર્મલજીત સિંહના નામ પરથી આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, લુધિયાણા જિલ્લા કોર્ટ અને શાળામાં પણ તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. ભારતના ટપાલખાતાએ જાન્યુઆરી, 2000માં પાંચ રૂપિયાની ટપાલટિકિટ તેમની સ્મૃતિમાં બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દેવચકલી

ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું ગાન તરત જ પારખી શકાય છે. આ પક્ષીની લંબાઈ આશરે 16 સેમી. નરનો રંગ મુખ્યત્વે કાળો. માદા ઝાંખા ધુમાડિયા રંગની. ચાંચ અને પગ કાળાં. બંનેની પાંખમાં સફેદ પટી. દેવચકલીનો દેહ ઝાડની અંધારી ઘટામાં ભળી જવાથી તે જવલ્લે જ શિકારી પક્ષીની નજરે પડે છે. આમ પર્યાવરણના રંગમાં દેવચકલીનો રંગ ભળી જાય છે અને દુશ્મનોથી સુરક્ષિત રહે છે. આ પક્ષીની બીજી એક ખાસિયત તે પૂંછડી અક્કડ ઊભી રાખવાની ટેવ. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકેક જોડીમાં સ્વતંત્ર ફર્યાં કરે છે. આવી ટેવને કારણે જ તેમને પિંજરામાં અલગ રાખવાં પડે છે કારણ કે અન્ય પક્ષીઓનો સહચાર તેઓ સહી શકતાં નથી.

દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વિશેષ જોવા મળે છે. તે ડુંગરાઓમાં, બગીચાઓમાં અને વાડીઓમાં કાંટાળા છોડની આસપાસ ભ્રમણ કરે છે. તેનો ખોરાક જીવાતનો હોય છે અને તેને અનુરૂપ તેની ચાંચ પાતળી, સરળ, લાંબી, અને કોમળ હોય છે. સૂક્ષ્મ જીવાતની સાથે સાથે તીડ, ઇયળો, અને અળસિયાંનું પણ ભક્ષણ કરે છે. આ માંસાહારી પક્ષીનો પ્રિય ખોરાક, ઊધઈ છે, આથી જ તો વહેલી સવારે ઊધઈના રાફડા પર બેઠેલું, નાનું પક્ષી દેખાય તો સમજવું કે દેવચકલી જ હોવાની ! સંવનનકાળમાં જ સંગીતના સૂર રેલાવી નર ફેરફૂદડી ફરે છે. પૂંછડીનો પંખો રચી, તે માદાને રીઝવવા પ્રયત્ન કરે છે. તેનો આ પ્રણય-ઉન્માદ લાંબો સમય, 15થી 20 મિનિટ ટકી રહે છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ દેવચકલી માળો બાંધવાનું કાર્ય શરૂ કરે છે. વૃક્ષોના પોલાણમાં, ખુલ્લા ઢાળિયામાં, જમીનની બખોલમાં, ઘરના ગોખલાઓમાં માળા માટેની સુરક્ષિત જગ્યા શોધી ઘાસનાં તણખલાં, લીમડાની સળીઓ, માથાના વાળ વગેરે ગોઠવી પડિયા જેવો છીછરો માળો રચે છે. ભારતીય પરંપરા મુજબ, દેવચકલીને શુકનિયાળ પક્ષી ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવચકલી/)