Categories
વાચન સમૃદ્ધિ

ઇન્ડોનેશિયા

મલેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. તે ૬° ઉ. અ.થી ૧૧° દ. અ. અને ૯૫° પૂ. રે.થી ૧૪૧° પૂ. રે. વચ્ચેનો ૧૯.૯૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પાપુઆ ન્યૂ ગીનીઆ, પૂર્વ તિમોર અને મલેશિયાના પૂર્વ ભાગ સાથે જમીન સરહદો ધરાવે છે. જ્યારે સિંગાપોર, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપિન્સ, ઑસ્ટ્રેલિયા, પલાઉ અને ભારત (આંદામાન નિકોબાર ટાપુઓ) સાથે મેરીટાઇમ સરહદો ધરાવે છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. ઇન્ડોનેશિયાના નાનામોટા ૧૭,૫૦૪ ટાપુઓ વિષુવવૃત્ત આસપાસ ચાપ-આકારે વિસ્તરેલા છે. આમાંથી ૬,૦૦૦ ટાપુઓ પર જ માનવવસવાટ નથી. તે વિશ્વનો ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

ઇન્ડોનેશિયામાં લગભગ ૧૫૦ જ્વાળામુખીઓ છે. તેમાં ૭૬ જેટલા આજે પણ સક્રિય છે, તેમાં ક્રાકાટોઆ મુખ્ય છે. ઇન્ડોનેશિયાના ભૂમિવિસ્તારના ૬૫% ભાગ ઉપર જંગલો છવાયેલાં છે. આ જંગલોમાં મેહૉગની, સાગ, યુકેલિપ્ટસ, નેતર, રબર, તાડ, સિંકોના, અબનૂસ, રોઝવૂડ, વાંસ વગેરે જેવાં મુખ્ય વૃક્ષો થાય છે. અહીં સુમાત્રા, જાવા અને અન્ય ટાપુઓનાં પંકભૂમિનાં ક્ષેત્રોમાં ચેર(mangroe)નાં જંગલો જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં હાથી, વાઘ, વાંદરાં, ગેંડા, ઉરાંગઉટાંગ, અજગર, મગર, મહાકાય કાચિંડા, વિવિધરંગી પક્ષીઓ અને જંતુઓ જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં લાવારસની કાળી જમીન ખૂબ ફળદ્રૂપ છે. અહીંના મુખ્ય પાક ડાંગર, શેરડી, રબર, નાળિયેર, કૉફી, જાયફળ, સોપારી, મરી, ચા, સિંકોના, તાડ અને તમાકુ છે. અહીં બાગાયતી ખેતીનું મહત્ત્વ વધુ છે. કાપડ ઉપરનું બાટિકકામ અહીંનો ખૂબ મહત્ત્વનો ગૃહ-ઉદ્યોગ છે. ઇન્ડોનેશિયાની વસ્તી આશરે ૨૮ કરોડ ૯૦ લાખ (૨૦૨૬, મુજબ) જેટલી છે. ઇન્ડોનેશિયાના મોટા ભાગના લોકો મલય જાતિના છે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા છે. તે સિવાય જાવા, સુમાત્રા, બોર્નિયો, સેલિબિસ અને બાલી અગત્યના ટાપુઓ છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇન્ડોનેશિયા, પૃ. 157)

Categories
વાચન સમૃદ્ધિ

ગિરિરાજ કિશોર

જ. 8 જુલાઈ, 1937 અ. 9 ફેબ્રુઆરી, 2020

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક ગિરિરાજ કિશોરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરમાં થયો હતો. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં જુદાં પદ પર કાર્ય કર્યું. તેઓ 1964થી 1966 સુધી અલાહાબાદમાં રહ્યા અને લેખનકાર્ય કર્યું હતું. તેમણે 1966થી 1975 સુધી કાનપુર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર અને 1975થી 1983 સુધી રજિસ્ટ્રાર તરીકે કાર્ય કર્યું હતું. 1983થી 1997 સુધી તેમણે કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સર્જનાત્મક લેખન તથા પ્રકાશન કેન્દ્રના અધ્યક્ષ તરીકે સેવા આપી. તેમણે હિન્દી સામયિક ‘આકાર’ના સંપાદક તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે નવલકથા, નવલિકા, નાટક અને નિબંધક્ષેત્રે સર્જન કર્યું. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવો પર આધારિત નવલકથા ‘પહલા ગિરમિટિયા’થી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. ‘લોગ’, ‘ચિડિયાઘર’, ‘યાત્રાએં’, ‘જુગલબંધી’, ‘ઢાઈ ઘર’ નવલકથાઓ; ‘વલ્દ રોજી’, ‘યહ દેહ કિસકી હૈ’, ‘નીમ કે ફૂલ’, ‘પેપરવેટ’ નવલિકા સંગ્રહો; ‘ચહેરે-ચહેરે કિસકે ચહેરે’, ‘પ્રજા હી રહને દો’, ‘જુર્મ આયદ’, ‘પાગલ ઘર’ નાટકો તથા ‘સંવાદસેતુ’, ‘લિખને કા તર્ક’, ‘સરોકાર’ નિબંધસંગ્રહો વગેરે તેમની જાણીતી રચનાઓ છે. તેઓ સાહિત્ય અકાદમીની કાર્યકારી સમિતિ અને ભારત સરકારના રેલવે બોર્ડના સભ્ય હતા. તેમના સમૃદ્ધ સાહિત્યસર્જન માટે તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2002માં છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીએ તેમને માનદ પીએચ.ડી.ની પદવી આપી હતી. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, વ્યાસ સન્માન, મહાત્મા ગાંધી સન્માન, ભારતેન્દ્ર સન્માન, બીરસિંહ દેવજી સન્માન, સાહિત્યભૂષણ, શતદલ સન્માન વગેરે પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે 2007માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાંના માર્ગનું તેમના નામ પરથી ‘પદ્મશ્રી ગિરિરાજ કિશોર માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

દૂરબીન (Telescope)

દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય બન્યો છે, આમ દૂરબીન એ ખગોળવેત્તા માટે એક ઘણું જ ઉપયોગી સાધન છે. દૂરબીન મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) પરાવર્તક (reflecting), (2) વક્રતાકારક (refracting). વક્રતાકારક દૂરબીનની શોધ પ્રથમ થઈ હતી. એક સાદા વક્રતાકારક દૂરબીનની રચનામાં એક નળીને એક છેડે વસ્તુકાચ (object lens) તરીકે ઓળખાતો એક મોટો બહિર્ગોળ (convex) લેન્સ હોય છે. બીજે છેડે નેત્રકાચ (eyepiece) તરીકે ઓળખાતો એક નાનો બહિર્ગોળ લેન્સ હોય છે. વસ્તુ ઉપરથી આવી રહેલાં પ્રકાશકિરણોને વસ્તુકાચ એકત્રિત કરી, નળીમાં તેનું ઊલટું પ્રતિબિંબ (inverted image) ઉત્પન્ન કરે છે, જેને નેત્રકાચ આવર્ધિત કરે છે. વસ્તુકાચ તથા નેત્રકાચ વચ્ચેના અંતરની યોગ્ય ગોઠવણી કરી, સ્પષ્ટ (sharp) પ્રતિબિંબ મેળવવામાં આવે છે, જેને ‘ફોક્સિંગ’ કહે છે. આવાં દૂરબીનમાં વસ્તુનું ઊલટું પ્રતિબિંબ (upside down image) જોવા મળે છે. પણ ખગોળીય વસ્તુઓ જોવા માટે ખગોળવેત્તાને તેનાથી કોઈ તકલીફ થતી નથી. વસ્તુનું પ્રતિબિંબ સીધું (erect) દેખાય તે માટે દૂરબીનમાં એક બીજો લેન્સ ગોઠવવાની આવશ્યકતા રહે છે. આવા દૂરબીનને ભૂમીય દૂરબીન (terrestrial telescope) કહે છે.

વક્રતાકારક દૂરબીનમાં એક મોટો ગેરફાયદો એ છે કે જ્યારે પ્રકાશ લેન્સમાંથી પસાર થાય ત્યારે વિકૃતિ (distortion) ઉદ્ભવે છે. 1663માં જેમ્સ ગ્રેગરીએ લેન્સને બદલે અરીસા વાપરવાનું સૂચન કર્યું. 1668માં સર આઇઝેક ન્યૂટને સૌપ્રથમ સંતોષકારક પરાવર્તક દૂરબીન બનાવ્યું. પરાવર્તક દૂરબીનમાં એક છેડે મોટો અંતર્ગોળ અરીસો (concave mirror) રાખવામાં આવ્યો, જે વસ્તુ ઉપરથી આવતા પ્રકાશને એકત્રિત કરી, નળીને બીજે છેડે રાખેલા સાદા અરીસા ઉપરથી તેને પરાવર્તિત કરે. આ સાદો અરીસો, પ્રકાશને નળીની બાજુમાંથી પરાવર્તિત કરી નેત્રકાચ નજીક પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે, જે તેનું આવર્ધન કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દૂરબીન/)