Categories
વાચન સમૃદ્ધિ

દમાસ્કસ

સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30´ ઉ. અ. અને 36° 18´ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો કુલ વિસ્તાર 105 ચોકિમી. છે તથા વસ્તી આશરે 28 લાખ જેટલી (2026, આશરે) છે. ઈ. સ. પૂ. 3000માં તેની સ્થાપના થઈ ત્યારથી બરડા નદી જે શહેરને બે વિભાગમાં વહેંચે છે તે શહેરના લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આ શહેરમાં 90 ટકા સીરિયન અરબો અને બાકીના 10 ટકામાં ખ્રિસ્તીઓ, કુર્દ, અલ્જિરિયન, અફઘાન, પર્શિયન, તુર્કમનનો તથા ડ્રુઝનો સમાવેશ થાય છે. એક સમયે ત્યાં યહૂદીઓની વસ્તી પણ હતી, પરંતુ 1948 પછી મોટા ભાગના યહૂદીઓ ઇઝરાયલમાં સ્થળાંતર થયા છે.

દમાસ્કસ શહેરનો સુવિકસિત મધ્યવિસ્તાર

નગરનું તાપમાન શિયાળાની ઋતુમાં 3.4° સે. તથા ઉનાળાની ઋતુમાં 25.2° સે.ની આજુબાજુ હોય છે. શહેરનો વાર્ષિક સરેરાશ વરસાદ 217 મિમી. હોય છે. સીરિયાનું સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય કેન્દ્ર ગણાતા આ શહેરનો દક્ષિણ તરફનો વિસ્તાર હજારો વર્ષ જૂનો છે તથા ઉત્તર તરફનો વિસ્તાર અદ્યતન નગર તરીકે વિકસ્યો છે. દક્ષિણ તરફના જૂના વિસ્તારમાં વણેલી, ગૂંથેલી વસ્તુઓ તથા ધાતુનાં વાસણોનાં બજાર છે, જ્યારે ઉત્તર તરફના વિસ્તારમાં આધુનિક ઢબની ઇમારતો, આવાસો, હોટેલો, વાણિજ્ય અને વ્યાપારની પેઢીઓનાં કાર્યાલયો, બૅંકો તથા અન્ય નાણાસંસ્થાઓની ઇમારતો, ધનિકોના આલીશાન બંગલાઓ વગેરે નજરે પડે છે. ઉત્તર તરફનો વિસ્તાર સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણરૂપ છે. દમાસ્કસ સીરિયાનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર તથા વાણિજ્ય અને વ્યાપારનું કેન્દ્ર છે. ઉદ્યોગોમાં કાપડ તથા ખાદ્યપ્રક્રમણ મોખરે છે. અન્ય વસ્તુઓમાં રેશમના કિનખાબ, ચામડાની બનાવટો, ચાંદીની વસ્તુઓ, દારૂ, વનસ્પતિ તેલો, દીવાસળી, કાષ્ઠની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દમાસ્કસ, પૃ. 215 અથવા જુઓ https://gujarativishwakosh.org/દમાસ્કસ/)

Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સેનગુપ્તા

જ. 8 મે, 1916 અ. 23 ઑગસ્ટ, 2017

પ્રસિદ્ધ ભારતીય સિનેમૅટોગ્રાફર રામાનંદ સેનગુપ્તાનો જન્મ 1916માં ઢાકામાં થયો હતો. 2016માં તેમણે જીવનની સદી પૂરી કરી હતી. તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા.. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ 1938માં થયો, જ્યારે તેઓ અરોરા ફિલ્મ કૉર્પોરેશન કૉલકાતામાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા. ‘કુરુક્ષેત્ર’ ફિલ્મમાં તેમણે જી. કે. મહેતા સાથે સહાયક મદદનીશ તરીકે કામ કર્યું. અર્ધેન્દુ મુખરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘પૂર્વારાગ’માં તેમણે સ્વતંત્ર રીતે સિનેમૅટોગ્રાફર તરીકે કાર્ય કર્યું. તેમણે લગભગ 70થી વધુ ફિલ્મોમાં એક કુશળ સિનેમૅટોગ્રાફર તરીકે સેવાઓ આપી હતી. તેમણે વિખ્યાત ફ્રેન્ચ દિગ્દર્શક જીન રેનોઇર (Jean Renior) 1951માં તેમની ફિલ્મ ‘ધ રિવર’ માટે કૉલકાતામાં શૂટિંગ કરવા આવ્યા હતા ત્યારે રામાનંદે તેમની સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે રિત્વિક ઘટક, મૃણાલ સેન જેવા શ્રેષ્ઠ દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું હતું. 2007માં ઉત્સવ મુખરજી દ્વારા સેનગુપ્તા ઉપર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘અન્ડર એક્સપોઝ્ડ’ બનાવવામાં આવી હતી. સિદ્ધાર્થ મૈતીએ તેમના ઉપર એક પુસ્તક પણ લખ્યું હતું અને તેમણે પણ ડૉક્યુમેન્ટરી ‘ફ્રેમિંગ લાઇટ અગેન્સ્ટ ધ શેડોઝ’ બનાવી હતી. મોટા ભાગે તેઓ બંગાળી ચલચિત્રો સાથે જ સંકળાયેલા હતા. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની જાણીતી ફિલ્મોમાં ‘ડાકઘર’, ‘બિન્દુર છેલે’, ‘બંધુ’, ‘પર્સનલ આસિસ્ટન્ટ’, ‘નાગરિક’, ‘મેઘ’, ‘હેડ માસ્ટર’, ‘શિલ્પી’, ‘રાત ભોરે’, ‘ધ રિવર’ વગેરેનો સમાવેશ થાય છે. 101 વર્ષની વયે કૉલકાતામાં તેમનું નિધન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મવિશ્વાસને સહારે

ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ અત્યંત ગુસ્સે થઈ જતો અને એ વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એક વાર ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) બીમાર પડ્યો. એના ક્રોધી સ્વભાવને લીધે નગરનો એકે ડૉક્ટર એની ચિકિત્સા કરવા રાજી નહોતો. સૌને ભય હતો કે એની ચિકિત્સા કરવા જતાં એને સહેજે પીડા થાય, તો એ ડૉક્ટરને આકરામાં આકરી સજા ફરમાવે. આવા ગુસ્સાવાળા રાજાથી તો દૂર જ સારા, એમ વિચારીને શહેરનો કોઈ ડૉક્ટર તૈયાર થયો નહીં; પરંતુ ગામડામાં રહેતા એક ડૉક્ટરે હિંમત કરી અને એ રાજા જ્યોર્જનો ઉપચાર કરવા લાગ્યો. રાજા જ્યોર્જ બેભાન બની ગયો હતો. એ સમયે એના રોગનું નિદાન કરવા માટે આ ડૉક્ટરે એનું લોહી લીધું. થોડા સમય બાદ રાજા સ્વસ્થ થયો; પરંતુ જ્યારે એને ખબર પડી કે આ ડૉક્ટરે એના શરીરમાંથી પરીક્ષણ કરવા માટે લોહી લીધું હતું, ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો, ‘મારી રજા વિના મારું લોહી લીધું કેમ ? કોણે તને રાજાનું ખાનદાની લોહી લેવાનો આવો અધિકાર આપ્યો ? તારા આવા અવિનયી કૃત્યની તારે સજા ભોગવવી જ પડશે.’ ડૉક્ટરે કહ્યું, ‘આપ મને જરૂર સજા કરો; પરંતુ મારે એટલું જ કહેવાનું કે જે સમયે મેં આપનું લોહી લીધું, ત્યારે આપ બેહોશ હોવાથી મને રજા આપવાની સ્થિતિમાં નહોતા.’ ઉત્તર સાંભળતાં રાજાનો ક્રોધ શાંત થઈ ગયો અને આ ચિકિત્સકને પોતાના અંગત ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યો. અન્ય ડૉક્ટરોએ આ ડૉક્ટરને પૂછ્યું કે આવા મહાક્રોધી રાજાનો ઉપચાર કરવાનું બીડું એણે કેમ ઝડપ્યું, ત્યારે આ ડૉક્ટરે જવાબ આપ્યો, ‘મારો આત્મવિશ્વાસ જ મને અહીં સુધી લઈ આવ્યો હતો. જે લોકો જોખમ વહોરીને આત્મવિશ્વાસની સાથે પોતાનું કામ કરવા પ્રયત્ન કરે છે, એને અવશ્ય સફળતા સાંપડે છે.’