Categories
વાચન સમૃદ્ધિ

અનિલ બિશ્વાસ

જ. 7 જુલાઈ,1914 અ. 31 મે, 2003

હિન્દી ફિલ્મસંગીતના ભીષ્મ પિતામહ શ્રી અનિલનું બાળપણ સતત સંઘર્ષમાં વીત્યું હતું. આઝાદીની ચળવળના દિવસો દરમિયાન તેમના હાથમાં કલમ કે વાદ્ય ને બદલે પિસ્તોલ હતી. મૅટ્રિકની પરીક્ષાના પંદર દિવસ પહેલાં જ તેમણે પિતાજી ગુમાવ્યા છતાં તેઓ બે ડિસ્ટિંકશન સાથે ઉત્તીર્ણ થયા. અનેક મુશ્કેલીઓ વેઠી તેઓ કૉલકાતા પહોંચ્યા. હોટલમાં વાસણ માંજી પેટજોગું રળી લેતા. મનોરંજન સરકાર નામના જાદુગર સાથે તેમની ઓળખાણ થઈ અને તેમણે ગીતો ગાવાનું શરૂ કર્યું. તેમની આ શક્તિ ખીલવવામાં તેમનાં માતા યામિની, પંડિત લાલમોહન ગોસ્વામી અને કાઝી નઝરૂલ ઇસ્લામનો મોટો ફાળો રહ્યો. અનિલનાં માતા ભજનો ગાવાની સાથે ઉપશાસ્ત્રીય સંગીત પણ ગાતાં, જેની અસર અનિલ દાના સંગીતમાં જોઈ શકાય છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને પશ્ચિમી સંગીતના સાયુજ્ય થકી અદ્ભુત તરજો રચી. કૉલકાતાના રંગમહલ થિયેટરમાં સંગીતસહાયક અને ગાયક તરીકે કામ કર્યું. 1930થી 1934 સુધી નાટકો માટે સંગીતનિયોજન કર્યું. ખયાલ, ઠૂમરી, દાદરા વગેરે સાથે તેમણે કીર્તન સંગીતમાં નિપુણતા મેળવી. હિન્દુસ્તાન રેકૉર્ડિંગ કંપનીમા તેમણે કુંદનલાલ સહગલ અને એસ. ડી. બર્મન સાથે કામ કર્યું. 1934 પછી તેઓ મુંબઈ આવ્યા અને ઈસ્ટર્ન આર્ટ પ્રોડક્શનમાં જોડાયા. ‘બાલહત્યા’ અને ‘ભારત કી બેટી’ ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ધરમકી દેવી’(1935)માં તેમણે ‘કુછ ભી નહીં ભરોસા’ ગીત ગાયું અને અભિનય પણ કર્યો. ઘણી બધી સ્ટંટ ફિલ્મો સિવાય તેમણે ‘ગ્રામોફોન સિંગર’ (1938), ‘રોટી’ (1942), ‘અલીબાબા’ (1940), બૉમ્બે ટોકીઝની ‘હમારી બાત’ (1943), ‘જ્વાર ભાટા’ (1944), ‘લાડલી’ (1949), ‘આરઝૂ’ (1950) વગેરેમા સફળ સંગીતસંચાલન કર્યું હતું. ‘સીનેમે સુલગતે અરમા’ (તરાના), ‘દૂર હટો એ દુનિયા વાલો’ (કિસ્મત) ગીતો યાદગાર રહ્યાં. 1961માં મુંબઈ છોડ્યા બાદ ઓલ ઇન્ડિયા રેડિયો(દિલ્હી)માં જોડાયા અને પ્રખ્યાત ટીવી સિરિયલ ‘હમલોગ’(1984)માં પાર્શ્વ સંગીત આપ્યું. 1986માં તેમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સોનેરી વાળનાં ઝુલ્ફાં

જ્હોન નામનો જુવાન એનાં સોનેરી વાળનાં ઝુલ્ફાં માટે બધે જાણીતો હતો. યુવતીઓને માટે એના આ સોનેરી વાળ આકર્ષણનું કેન્દ્ર હતા અને જ્હોન પણ પોતાની આ ખૂબીથી પૂરેપૂરો પરિચિત હતો. એ જાણતો હતો કે સોનેરી વાળને કારણે એનું મુખ અતિ સોહામણું લાગે છે. જ્હોનની ગરીબ માતા ઘરકામ કરીને એનું અને જ્હોનનું ભરણપોષણ કરતી હતી. એવામાં બન્યું એવું કે જ્હોનની માતા બીમાર પડી. જ્હોન ડૉક્ટર પાસે દવા લેવા ગયો, ત્યારે ડૉક્ટરે આ ગરીબ બાળકને જોઈને પહેલો સવાલ કર્યો, ‘તારામાં મારી દવાનું બિલ ચૂકવવાની ત્રેવડ છે ખરી ને ?’ જ્હોનના ઘરમાં જે કંઈ રકમ હતી, તે માતાની સારવારમાં વપરાઈ ગઈ હતી. જ્હોને ડૉક્ટરને આજીજી કરતાં કહ્યું, ‘સાહેબ, તમે મારી માને સારી કરી દો. દવા આપો, થોડા સમય બાદ પૈસા રળીને બિલ ચૂકવી દઈશ.’ ડૉક્ટરે જ્હોનની વાતને ગણકારી નહીં. જ્હોન નિરાશ થઈને બહાર નીકળ્યો, પણ ત્યાં એને ખ્યાલ આવ્યો કે શેરીના નાકે એક વાળંદની દુકાન છે. એ લાંબા સુંદર વાળ કાપીને વિગ બનાવનારાઓને વેચતો હતો. જ્હોન એની પાસે ગયો. એના બધા વાળ કપાવી નાખ્યા અને વાળંદ પાસેથી મળેલા પૈસાથી ડૉક્ટર પાસે જઈને દવા લીધી. દવા લઈને જ્હોન ઘેર પહોંચ્યો, ત્યારે એની માતાએ જોયું તો દીકરાનો ચહેરો બદલાઈ ગયો હતો. એણે અતિ આઘાત સાથે પૂછ્યું, ‘જ્હોન, તારા વાળ ક્યાં ગયા ? પેલાં સરસ મજાનાં સોનેરી ઝુલ્ફાં ક્યાં ? આ તેં શું કર્યું ?’ દીકરાનો ચહેરો જોઈને માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, ત્યારે જ્હોને કહ્યું, ‘મા, રડીશ નહીં. આ દવા પી લે. એનાથી તારી તબિયત સારી થઈ જશે. સોનેરી વાળ તો ફરી પણ ઊગશે, પણ જો મા ગુમાવી દઉં, તો તે કંઈ પાછી મળે ખરી ?’

Categories
વાચન સમૃદ્ધિ

રજનીકુમાર પંડ્યા

જ. 6 જુલાઈ, 1938 અ. 15 માર્ચ, 2025

ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો જન્મ જેતપુરમાં થયો હતો. બાળપણ બીલખામાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું હતું. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1959માં બી.કૉમ. અને 1966માં બી.એ.ની પદવી મેળવી હતી. 1959-1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 1966-89 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું હતું. ‘ઝબકાર’, ‘મનબિલોરી’ તથા ‘ગુલમહોર’ તેમની લોકપ્રિય કટારો હતી. ‘ખલેલ’, ‘આત્માની અદાલત’ વાર્તાસંગ્રહ અને ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’, ‘અવતાર’, ‘કુંતી’ (ભાગ 1-2) તેમની જાણીતી નવલકથાઓ છે. તેમણે સાત નવલકથાઓ આપી, જેમાંથી અડધાથી વધુ પરથી ટીવી ધારાવાહિક કે નાટક બન્યાં છે. ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે હિન્દી ધારાવાહિકો બની. ‘અવતાર’ પરથી અરવિંદ જોષીએ ‘આયના તૂટે તો બને આભલાં’ નાટક બનાવ્યું હતું. ‘પરભવના પિતરાઈ’ પરથી ટેલિફિલ્મ બની હતી. તેમની વાર્તા ‘આકાશમાં છબી’ પરથી WHO માટે ટેલિફિલ્મ બની હતી. તેમની નવલિકાઓ પરથી અમદાવાદ દૂરદર્શને ‘ભાત ભાત કે લોગ’ના ઘણા એપિસોડ બનાવ્યા હતા. તેમને કવિ પ્રદીપ અને ગાયક જગમોહન સાથે ગાઢ સંબંધ હતો. ‘આપકી પરછાંઈયાં’ કલાકારો સાથેનાં સંસ્મરણો આધારિત છે. તેમણે જ્યુથીકા રૉય અને ‘રુસ્વા’ મઝલૂમીની ડૉક્યુમેન્ટરીનું નિર્માણ તેમજ ઉપેન્દ્ર ત્રિવેદીનું બહુરંગી તસવીરો સહિત આત્મકથન અને અન્ય આલેખ સંપાદિત કર્યું હતું. બંધ પડેલ સામયિક ‘વીસમી સદી’નું ડિજિટલાઇઝેશન કરવામાં ફાળો આપ્યો હતો. તેમણે ‘મેઘદૂત’ના ગુજરાતી સમશ્લોકી અનુવાદને સાંગીતિક સ્વરૂપ આપ્યું હતું. તેમની કૃતિઓ હિન્દી, અંગ્રેજી, સીંધી, મરાઠી, તમિલ અને જર્મન વગેરે ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો, સરોજ પાઠક ઍવૉર્ડ, ધૂમકેતુ ઍવૉર્ડ, સવિતા વાર્તાસ્પર્ધામાં બે સુવર્ણચંદ્રકો, કુમાર સુવર્ણચંદ્રક, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ તથા સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.