Categories
વાચન સમૃદ્ધિ

દમણ

ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક દૃષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25´ ઉ. અ અને 72° 51´ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી તે રક્ષિત છે. વાપી નજીકનું રેલવેસ્ટેશન છે. દમણના પ્રદેશની એક બાજુ ભૂમિભાગ છે તો બાકીની ત્રણ બાજુએ અરબી સમુદ્ર આવેલો છે. તેની પૂર્વ બાજુએ વલસાડ જિલ્લાનો પારડી તાલુકો, ઉત્તરમાં ભગવાન અને કોલક નદીઓ, દક્ષિણે કાલી નદી અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. દમણનો કુલ વિસ્તાર 72 ચોકિમી. છે અને વસ્તી આશરે 2,43,000 (2026, આશરે) છે, જ્યારે શહેરની વસ્તી 62,000 (2026, આશરે) છે. નાની અને મોટી દમણ એવા તેના બે ભાગ છે.

દમણમાં આવેલો જેમ્પોર બીચ

દમણનો સમગ્ર પ્રદેશ સપાટ છે. તે સમુદ્રકિનારે આવેલું હોવાથી તેની આબોહવા ભેજવાળી અને ખુશનુમા છે. શિયાળો અને ચોમાસું હળવાં હોય છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 1,600 મિમી. પડે છે. કિનારાના પ્રદેશમાં નારિયેળી અને આંબા, કેળ, ચીકુડી, ફણસ વગેરે ફળોનાં વૃક્ષો છે. અંતરિયાળ ભાગમાં ડાંગર, શેરડી, ઘઉં, કઠોળ, નાગલી, સપોતા વગેરે પાક થાય છે. રસ્તાને કિનારે, તળાવને કાંઠે તથા ખેતરના શેઢે સાગ, બાવળ, સાદડ વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. જંગલનું પ્રમાણ નહિવત્ છે. દમણગંગા ઉપર 1971–72થી શરૂ કરાયેલ અને 1984માં પૂર્ણ થયેલ બંધ દ્વારા દમણ વિસ્તારનાં 26 ગામોને સિંચાઈનો લાભ મળે છે અને તેથી ત્રણ વખત પાક લઈ શકાય છે. આશરે 80% લોકો ખેતીમાં રોકાયેલા છે. દીવ અને દમણમાં લઘુઉદ્યોગોના કુલ 531 ઘટકો છે, જેમાંથી મોટા ભાગના ઉદ્યોગો દમણમાં આવેલા છે. દમણમાં તલવાડા ખાતે વિદ્યુતમથક છે અને તેનાં બધાં ગામોનું વીજળીકરણ થયું છે. કાપડ, પ્લાસ્ટિક, લઘુ ઇજનેરી, દવા, રસાયણ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. દમણમાં કુલ 183 કિમી.ના રસ્તા છે. કિલ્લા નજીક નદીના મધ્યભાગમાં 4 મી. પાણી રહે છે અને 500 ટનનાં જહાજો મોટી ભરતી વખતે અહીં આવી શકે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દમણ, પૃ. 209 અથવા જુઓ https://gujarativishwakosh.org/દમણ/)

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રઘુનાથ મુર્મૂ

જ. 5 મે, 1905 અ. 1 ફેબ્રુઆરી, 1982

ઓલ ચીકી લિપિને વિકસિત કરનાર લેખક રઘુનાથ મુર્મૂનો જન્મ ઓડિશાના ડાંડબુસ ગામમાં થયો હતો. પિતા નંદલાલ અને માતા સલમા. તેમનું બાળપણનું નામ ચુનુ મુર્મૂ હતું. તેમણે શાળેય શિક્ષણ ગાંબરિયા યુ. પી. સ્કૂલ અને બહલદા પ્રાથમિક શાળામાં મેળવ્યું. 1928માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે બારીપાડા પાવરહાઉસમાં નોકરી શરૂ કરી. પછી ઔદ્યોગિક તાલીમ માટે સેરામપોર મોકલવામાં આવ્યા. તેઓ બારીપાડા ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે જોડાયા. 1933માં બદામતલિયા પ્રાથમિક શાળામાં જોડાયા. શિક્ષણકાર્ય દરમિયાન તેમને સંથાલી સાહિત્યમાં રસ જાગ્યો. સંથાલી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક અલગ લિપિની આવશ્યકતા જણાઈ. તેમણે એ માટે ઓલ ચીકી લિપિ વિકસાવી. ઓલ ચીકી લિપિમાં ‘હોર સેરેંજ’ તેમનું પહેલું પુસ્તક હતું જે 1936માં પ્રકાશિત થયું હતું. 1942માં પહેલું નાટક ‘બિદુ ચંદન’ પ્રકાશિત થયું. તેમણે ઓલ ચીકી માટે ‘પારસી પોહા’, ‘પારસી ઈતુન’, ‘રણારહ’, ‘અલખા’ વગેરે પુસ્તકો લખ્યાં. ‘દાડે ગે ધોન’, ‘સિદ્ધુ-કાન્હૂ’, ‘ખેરવાડ બીર’ તેમનાં જાણીતા પુસ્તકો છે. તેમણે વ્યાકરણ, કવિતા, નાટક, નવલકથાનાં 150થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમના માર્ગદર્શનમાં સંતાલી સાહિત્યનો વ્યાપ વધારવા માટે ‘સાગેન સકમ’ સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. તેમણે બાબા તિલક માઝી પુસ્તકાલય શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1953માં આદિવાસી સાંસ્કૃતિક સંગઠન નામની સંસ્થા શરૂ કરી. આજે એનું નામ આદિવાસી સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંગઠન છે. તેમના વિશિષ્ટ યોગદાન બદલ રાંચી યુનિવર્સિટી અને ઘુમકુરિયા સંસ્થાએ તેમને ડી.લિટ.ની પદવી આપી હતી. મયૂરભંજ આદિવાસી મહાસભાએ ‘ગુરુ ગોમકે’ની પદવી આપી હતી. ઊડિયા સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારે કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

શત્રુતાનો નાશ

પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ જુલિયસ સીઝરના જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. એક વાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યા અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે તમારા વિરોધીઓના આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપો ને !’ મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. પરમ મિત્રને દુ:ખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને કાગળોનું એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલા ઘણા આક્ષેપભર્યા કાગળો હતા. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠ્યો. જ્યારે સીઝર થોડી વાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યા. આ જોઈને એમના મિત્રએ પૂછ્યું, ‘તમે શા માટે આ બધા કાગળો સળગાવી નાખ્યા. એ તો ઘણા કીમતી હતા. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યા હોત.’ આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, ‘અરે દોસ્ત, મેં વિચાર કર્યા પછી જ આ કાગળો સળગાવ્યા છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોય, ત્યાં સુધી એને જોઈને હું મનોમન ક્રોધથી ધૂંધવાતો રહેત. મારે માટે ક્રોધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તણાવપૂર્વક જીવવાનો શો અર્થ ?’ પેલા મિત્રએ ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી.