Categories
વાચન સમૃદ્ધિ

સોપારી

એકદળી વર્ગની તાડના કુળની વનસ્પતિ, જેનું ફળ મુખવાસમાં વપરાય છે.

સોપારીનું મૂળ વતન મલેશિયા છે. જૂના સમયમાં તે વસઈ પાસે આવેલા સોપારા બંદરે ઊતરતી હતી, તેથી તેનું નામ ‘સોપારી’ પડ્યું છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ તે ઊગે છે. સોપારીનું વૃક્ષ પાતળું અને ૧૨થી ૧૮ મી. જેટલું ઊંચું હોય છે. તેનાં કેટલાંક વૃક્ષો તો ૩૦ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના થડ પર વીંટી આકારનાં વલયો હોય છે. થડની ટોચ ઉપર ૧.૨થી ૧.૮ મી. લાંબાં પીંછાકાર પર્ણોનો મુકુટ હોય છે. તેને નર તથા માદા પુષ્પો આવે છે. માદા પુષ્પો નર પુષ્પો કરતાં મોટાં હોય છે. તેમાંથી ૪.૦થી ૫.૦ સેમી. લાંબું  અંડાકાર ફળ થાય છે. તે પાકે ત્યારે નારંગી કે સિંદૂરી લાલ રંગનું હોય છે. તે ફળ એક જ બીજ ધરાવે છે. આ બીજને સોપારી કહેવામાં આવે છે. સોપારી ૨થી ૪ સેમી. વ્યાસવાળી અને ભૂખરી બદામી હોય છે. તે અંદરથી રાતી-બદામી રેખાઓ અને સફેદ રંગની ગર્ભને પોષણ આપતી પેશી ધરાવે છે. આ પેશીને ભ્રૂણપોષ કહે છે.

સોપારીનું વૃક્ષ અને તેનું ફળ

સોપારીના વૃક્ષને ભેજવાળી ઉષ્ણ-કટિબંધીય આબોહવા જરૂરી છે. તે દરિયાની સપાટીથી ૧૦૦૦ મી.ની ઊંચાઈ સુધી ઊગે છે. તેને નાળિયેરીની વાડીમાં  તેમ જ એલચી ફળ મરી સાથે વાવવામાં આવે છે. એક ઝાડ પરથી દર વર્ષે ફળના બેથી ત્રણ સમૂહો ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમૂહમાં ૧૫૦થી ૨૫૦ ફળ હોય છે. મોટાં ફળો ધરાવતા સમૂહમાં ૫૦થી ૧૦૦ ફળો હોય છે. પ્રતિવર્ષ ૨૦૦થી ઓછાં ફળો આપતાં વૃક્ષોનો નિકાલ કરવામાં આવે છે. ક્ચી સોપારીમાંથી મુખવાસમાં વપરાતી જાતજાતની મસાલેદાર સોપારી બનાવાય છે. તેનો મુખવાસ તરીકે અલગ રીતે કે પાન સાથે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઔદ્યોગિક અને ઔષધીય હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે. સોપારી કૃમિનો નાશ કરે છે. તે ચામડીના રોગોમાં પણ ક્મ લાગે છે. તે પેઢાં મજબૂત બનાવે છે અને શ્વાસને તાજો રાખે છે. તેના આયુર્વેદમાં વિવિધ રોગોના ઇલાજ માટે અનેક ઉપયોગો દર્શાવ્યા છે. તેના કુમળા પાનનો શાકભાજી અને સલાડ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરીની જેમ સોપારીના વૃક્ષના બધા ભાગોનો ઉપયોગ થાય છે. તેનું ઊંચું સોટા જેવું થડ માંડવો બાંધવાના કામમાં આવે છે. તેમાંથી  નાના મછવા, તરાપા, પાણી કાઢવાનું દોરડું, લેખનની વસ્તુઓ, ફૂટપટ્ટીઓ, ટોપલીઓ, ચાલવા માટેની લાકડીઓ, હળના દાંડા, નાનાં ટેબલ વગેરે બને છે. સોપારીનો ઉપયોગ કાથો બનાવવામાં તથા રંગવાના કામમાં થાય છે. તેનાં પર્ણોમાંથી પ્યાલા અને થાળી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ટ્રે, બૅગ અને પેટીઓ જેવી ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ પણ બનાવાય છે. પર્ણનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. તે શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડાય છે. નાળિયેરીની જેમ સોપારી પણ પવિત્ર ફળ મનાય છે. તેનો પૂજામાં ઉપયોગ થાય છે. શુભ પ્રસંગે સોપારી વહેંચાય છે. સોપારીનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં રહેલું ટૅનિન મોંના કૅન્સરનું પ્રેરક બળ બની શકે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

સરતચંદ્ર બોઝ

જ. ૬ સપ્ટેમ્બર, ૧૮૮૯ અ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦

પ્રતિષ્ઠિત વકીલ, સ્વાતંત્ર્યસંગ્રામના સક્રિય કાર્યકર અને રાજકીય નેતા સરતચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના સુટ્ટક ગામમાં કુલીન કાયસ્થ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ જાનકીનાથ અને માતાનું નામ પ્રભાવતીદેવી. નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના ભાઈ થાય. વીસ વર્ષની વયે તેમનાં લગ્ન બિવાવતી ડે સાથે થયાં હતાં. પ્રેસિડન્સી કૉલેજ, સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૧૧માં બૅરિસ્ટર થયા. તેમણે છોટા નાગપુરના આદિવાસી લોકોના અધિકારો માટે કામ કર્યું હતું. ભારતમાં આવ્યા બાદ તેમની વકીલાત ધમધોકાર ચાલતી હતી, પણ પછી તેઓ સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ થયા. ૧૯૩૬થી ૧૯૪૭ સુધી તેમણે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે સેવા આપી. ચળવળ દરમિયાન તેમને પકડવામાં આવ્યા. જેલનિવાસ દરમિયાન તેમની તબિયત બગડી. ચાર વર્ષના જેલવાસ બાદ ૧૯૪૫ના સપ્ટેમ્બરમાં તેમને છોડવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલાવવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય સેનાનું સમર્થન કર્યું અને તેના સૈનિકોના પરિવારોને સહાયતા કરવાના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું. ૧૯૪૬ અને ૧૯૪૭ સુધી અંતરિમ સરકારમાં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં પણ ભાગ લીધો હતો. ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ૬૦ વર્ષની વયે કૉલકાતામાં તેમનું અવસાન થયું. કૉલકાતા હાઈકોર્ટના પ્રાંગણમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ધર્મ દીવાલ નથી, દ્વાર છે

ધર્મને મુક્તિનું દ્વાર બનાવવાને બદલે બાહ્યાડંબરની દીવાલ બનાવી દીધો છે. જ્યાં મુક્ત ગગનમાં વિહરવાની પાંખો હોવી જોઈએ, ત્યાં ઘરની ચાર દીવાલને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે. પુષ્પોથી સજાવવામાં આવે છે. એના પર કમનીય કલાકૃતિઓ મૂકવામાં આવે છે, પરંતુ આવી બાહ્ય ઉપાસનામાં ધર્મ સીમિત થઈ જાય છે અને પછી દીવાલને જોનારો જીવનભર એ દીવાલની પૂજા, પ્રતિષ્ઠા અને એના પર સતત અનુષ્ઠાન કર્યા  કરે છે. સમય જતાં ઇમારત ભુલાઈ જાય છે અને દીવાલની ઈંટોની પૂજા થાય છે. આચરણ અને અપરિગ્રહ વિસરાઈ જાય છે અને ધનવૈભવ અને પરિગ્રહની પ્રશસ્તિ રચાય છે. ધર્મનું દ્વાર તો મુક્તિનું દ્વાર છે. એની પાસે પ્રેમનું જગત અને મૈત્રીનું આકાશ છે, પરંતુ ધર્મ જો દ્વારને બદલે દીવાલ બની જાય તો એમાં અવરોધ આવશે અને એ અવરોધને કારણે પ્રગતિ અટકી જશે. જો એ દીવાલ બને તો એમાં જડતા આવશે અને જડતાને કારણે બાહ્ય ક્રિયાકાંડો વધતાં જશે અને આંતરિક શૂન્યતા સર્જાતી જશે. ધર્મ જો દીવાલ બને તો સાધકના જીવનમાં વ્યર્થતા આવશે, કારણ કે એને  ક્યાંયથી નવો પ્રકાશ નહીં મળે અને સમય જતાં ધર્મને દીવાલ બનાવનારા એને દુકાન બનાવી દેશે. ધર્મ એ તો દ્વાર છે, જેમાં સાધક વિરાટ ગગનને આલિંગન કરે છે. હસતી પ્રકૃતિને પોતાના સાથમાં લે છે અને એમાંથી પ્રેમ, મૈત્રી અને કરુણા પ્રગટાવે છે. મહાવીર હોય કે બુદ્ધ, રામ હોય કે કૃષ્ણ – કોઈનાય જીવનમાં ધર્મ અવરોધરૂપ બન્યો નથી, બલકે ધર્મના દ્વારેથી સાધનાના માર્ગે નીકળીને એણે માનવીને સર્વોચ્ચ લક્ષની ઝાંખી કરાવી છે.