Categories
વાચન સમૃદ્ધિ

સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે

જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુ:ખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી. જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય. પોતાના જીવનની સ્વકેન્દ્રી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે. પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેક એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે.

Categories
વાચન સમૃદ્ધિ

મનહરલાલ ચોક્સી

જ. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૪ મે, ૨૦૦૫

‘મુનવ્વર’ તખલ્લુસ ધરાવનાર મનહરલાલનો જન્મ સૂરતમાં નગીનદાસ ચોકસીને ત્યાં થયો હતો. તેમનું વતન અને નિવાસ બંને સૂરત. ૧૯૪૭માં મૅટ્રિક થયા. તેમણે હિંદી ‘વિનીત’ પરીક્ષા પણ પાસ કરી હતી. ડિપ્લોમા વિથ બૅન્કિંગ કર્યા બાદ ધ સૂરત ડિસ્ટ્રિક્ટ કો-ઑ. બૅન્ક લિ., સૂરતમાં તેમણે નોકરી કરેલી. સૂરતના ‘ગુજરાત મિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ તેમણે ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ મન મૂકીને કરાવ્યો હતો. એમણે ગઝલો અને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી. તેમની પાસેથી ‘પ્રીતનાં પારેવડાં’ (૧૯૬૩), ‘ઝળહળ અંતરજ્યોત’, ‘હૂંફ’ વગેરે નવલકથાઓ તથા ‘ગંગાસ્નાન’ એ વાર્તાસંગ્રહ મળ્યાં છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું છે. ‘મુનવ્વર’ ઉપનામથી તેઓ ઉર્દૂ શાયરી પણ કરતા. વીસમી સદીના મધ્યભાગમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો ત્યારે ગઝલો ખૂબ લખાતી ગઈ. આ દરમિયાન કેટલાક પરંપરામાં લખતા ગઝલકારો પણ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા તેમાં સૂરતના આ ગઝલકાર મનહરલાલનું પ્રદાન નોંધપાત્ર હતું. ‘ગુજરાતી ગઝલ’ (૧૯૬૪) અને ‘અક્ષર’ (૧૯૭૩) તેમના મહત્ત્વના સંગ્રહો છે. તેમણે ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં ગઝલસાધના કરી હતી. આધુનિક કાવ્ય વિભાવનાની અસરથી ગઝલ પણ રંગાવા લાગેલી. મનહરલાલ પરંપરા સાચવીને પણ નવા માહોલમાં ગોઠવાતા ગયા. સૂરતમાં ગની દહીંવાળા, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, અમીન આઝાદ જેવા સર્જકોની વચ્ચે રહીને મનહરલાલે ગઝલની જ્યોત જલતી રાખી હતી. એમણે પરંપરા નિભાવવા સાથે બદલાતી સ્થિતિ સાથે પણ કદમ મેળવી રાખ્યા હતા. મનહરલાલને કશાની આશા-અપેક્ષા ન હતી. એમને કોઈ ચંદ્રક મળ્યો નથી, પણ એમને નામે ચંદ્રક અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ડિટ્રૉઇટ

યુ.એસ.ના મિશિગન રાજ્યનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : ૪૨° ૨૦´ ઉ. અ. અને ૮૩° ૦૩´ પ. રે.. રાજ્યની દક્ષિણ-પૂર્વ દિશામાં તે ડિટ્રૉઇટ નદીના પશ્ચિમ કાંઠા પર વસેલું છે. આ મહાનગરની વસ્તી ૪૪,૦૦,૫૦૦ (૨૦૨૪, આશરે) છે. નગરનો ભૌગોલિક વિસ્તાર ૧૩૩૭ ચોકિમી. જેટલો છે. તેનું સરેરાશ તાપમાન જાન્યુઆરી માસમાં ૩° સે. તથા જુલાઈ માસમાં ૨૩° સે. હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૭૯૦ મિમી. પડે છે. યુ.એસ. અને કૅનેડાની સરહદે આવેલાં પાંચ સરોવરોમાં મિશિગન સરોવર મહત્ત્વનું છે. તેના પરથી આ રાજ્યને મિશિગન નામ આપવામાં આવ્યું છે. આ શહેર મોટર-કારના પાટનગર તરીકે વિશ્વવિખ્યાત છે. યુ.એસ.માં બનતી કુલ મોટર-કારમાંથી અર્ધાથી પણ અધિક મોટર-કારો અહીં તૈયાર થાય છે. વિશ્વમાં સૌથી મોટું અને જાણીતું ફૉર્ડ કંપનીનું વિશાળ કારખાનું અહીં આવેલું છે. આ ઉપરાંત મોટર-કાર ઉત્પન્ન કરતી અનેક કંપનીઓમાં ફિલન્ટ, લાન્સિંગ, ગ્રાન્ડ રેપિડ્સ અને પોન્ટિઆકનો સમાવેશ કરી શકાય. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતાં યંત્રો, રસાયણો, મશીન ટૂલ્સ તથા લોખંડ અને પોલાદની વસ્તુઓનું અહીં ઉત્પાદન થાય છે. અમેરિકાની મોટામાં મોટી મીઠાની ખાણો તેના આસપાસના પ્રદેશમાં આવેલી છે.

ડિટ્રૉઇટ શહેરનું એક દૃશ્ય

આ નગર રાજ્યનું મોટામાં મોટું બંદર છે.  આંતરિક જળ વાહનવ્યવહારની બાબતમાં ડિટ્રૉઇટ નદીનું સ્થાન વિશ્વમાં મોખરે છે. ૧૯૫૯માં સેન્ટ લૉરેન્સ જળમાર્ગ કાર્યરત થતાં આ નગરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ઈરી સરોવરના કિનારે આવેલા આ શહેરને જળમાર્ગે લોખંડ-પોલાદની પ્રાપ્તિ સરળતાથી થાય છે. શહેરની ઉત્તરે સેન્ટ ક્લૅર નદી તથા દક્ષિણે વિશાળ કાંપનું મેદાન તૈયાર કરતી રાયસીન નદી વહે છે. મોટર-કાર ઉપરાંત તૈયાર કપડાં અને વિશેષત: શર્ટના ઉત્પાદન માટે યુ.એસ. અને વિશ્વમાં આ શહેર જાણીતું છે. સરોવરકિનારે તેની રમણીયતા અને સુંદરતાને કારણે આ ઔદ્યોગિક શહેર પર્યટક શહેર તરીકે પંકાય છે. નગરમાં વેને રાજ્ય યુનિવર્સિટી (૧૮૬૮), યુનિવર્સિટી ઑવ્ ડિટ્રૉઇટ (૧૮૭૭) તથા ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (૧૮૯૧) છે. તે ઉપરાંત ડિટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ, ઐતિહાસિક સંગ્રહાલય તથા કૅનબ્રૂક અકાદમી ઑવ્ આર્ટ પણ ત્યાં આવેલાં છે. આ વિસ્તારમાં શ્વેત લોકો દાખલ થયા તે પહેલાં વ્યાનડોટ જનજાતિના લોકો અહીં વસતા હતા. ૧૭૦૧માં ફ્રેન્ચોએ ડિટ્રૉઇટ નદીના  ઉત્તર કિનારા પર દુર્ગ બાંધ્યો. ૧૭૬૦માં આ દુર્ગ પર બ્રિટિશ સૈનિકોએ કબજો કર્યો. ૧૭૯૬માં તેમણે તે કિલ્લો અમેરિકાને સોંપ્યો. ૧૮૨૫માં ઈરી નહેર ખુલ્લી મુકાતાં ત્યાંની વસ્તીમાં ધરખમ  વધારો થયો. ૧૮૩૭–૪૭ દરમિયાન આ શહેર મિશિગન રાજ્યનું પાટનગર હતું. અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧–૬૫) પછી નગરના ઔદ્યોગિક વિકાસની ઝડપમાં  વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪–૧૮) તથા બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન આ નગરમાં લશ્કર માટેનાં સાધનો બનાવતાં કારખાનાં વિકસ્યાં. વીસમી સદીના આઠમા દશકમાં અમેરિકામાં ચાલતી મંદીની વિપરીત અસર આ નગરના ઔદ્યોગિક ઉત્પાદન પર પણ થઈ, પરંતુ સદીના નવમા દશકમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમે ધીમે ઉછાળો આવતો ગયો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮