Categories
વાચન સમૃદ્ધિ

સૂરત

અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર. તે ૨૧° ૧૨´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે. પર વસેલું છે. ‘સૂરત’ નામ સૂર્ય પરથી, ‘રાંદેર’નું નામ સૂર્યપત્ની રાંદલ પરથી, ‘તાપી’ નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી અને ‘અશ્વિનીકુમાર’ વિસ્તારનું નામ સૂર્યપુત્ર અશ્વિનીકુમાર પરથી પડ્યું છે; એટલે કોઈ સૂર્યપૂજક જાતિ અહીં રહેતી હશે એવું માની શકાય. સૂરત ક્યારે વસ્યું એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. દક્ષિણ ગુજરાતમાં તાપી નદીને કાંઠે પ્રાચીન કાળથી તે વસેલું છે. મૂળ સૂરત તો દરિયામહેલ, ફુરજા, શાહપોર, સોદાગરવાડ, નાણાવટ વગેરે વિસ્તારો પૂરતું મર્યાદિત હતું; પરંતુ ઈસુની ૧૫મી સદીના અંતમાં અથવા ૧૬મી સદીની શરૂઆતમાં મલિક ગોપી નામના હિંદુ અમીર અને અધિકારીએ ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ અને રાણીતળાવ બંધાવી તેનો વિકાસ કર્યો. ભૂતકાળમાં સૂરત ‘સોનાની મૂરત’ તરીકે જાણીતું હતું.

સૂરતના ડાયમંડ-બજારમાં તૈયાર થતા હીરા

આઝાદીની ચળવળમાં પણ સૂરતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ૧૯૦૭માં કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન અહીં યોજાયું હતું. પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ સૂરતની સ્વાતંત્ર્ય-ચળવળનાં બે મુખ્ય કેન્દ્રો હતાં : ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તેઓ ઘણી વખત સૂરત આવ્યા હતા. સૂરતના નોંધપાત્ર રાજકીય નેતાઓમાં કલ્યાણજી મહેતા, દયાળજી દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા વગેરેને ગણાવી શકાય. ગુજરાતમાં સમાજ-સુધારાની ચળવળની શરૂઆત પણ સૂરતથી થઈ હતી. ૧૮૭૩માં ગુજરાતી ભાષાનો પહેલો કોશ નર્મદે આપ્યો. સુધારાયુગના અગ્રણી સાહિત્યકાર નર્મદનું મૂળસ્થાન સૂરત હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં સૂરત શહેરની વસ્તી અને વિસ્તારમાં ઘણો વધારો થયો છે. સૂરત શહેરની વસ્તી ૬૩,૪૫,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. તેનો વિસ્તાર આશરે ૩૨૭ ચોકિમી. જેટલો છે. સૂરતની આબોહવા સમધાત રહે છે. ઉનાળા અને ચોમાસાની ૠતુ ભેજવાળી રહે છે. શિયાળો સમધાત હોય છે. ચોમાસામાં વરસાદ પડે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૫૦૦થી ૨૦૦૦ મિમી. જેટલો પડે છે. તાપી અહીંની મુખ્ય નદી છે. વર્તમાનમાં સૂરત ‘હીરાની નગરી’ (ડાયમન્ડ સિટી) તરીકે પ્રસિદ્ધ છે. અહીં આર્ટ સિલ્ક, કાપડ, જરી અને હીરાના ઉદ્યોગો વિકસ્યા છે. હજીરા નજીક મોટાં કારખાનાંઓ આવેલાં છે. સૂરતમાં ભૌતિક સગવડ-સુધારા પણ દાખલ થયા છે. ટ્રાફિકને સરળ બનાવવા કેટલાક ફ્લાય ઓવરબ્રિજ બન્યા છે. તે ઉપરાંત અહીં નહેરુપુલ, સરદારપુલ, વિવેકાનંદપુલ આવેલા છે. રંગઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સરદાર સ્મૃતિ ભવન તથા ઇનડૉર સ્ટેડિયમમાં નાટકો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય તથા સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય પણ જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સૂરત, પૃ. ૩૧)

Categories
વાચન સમૃદ્ધિ

રાજીવ કપૂર

જ. ૨૫ ઑગસ્ટ, ૧૯૬૨ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧

હિન્દૃી ફિલ્મજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા. હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર તથા ક્રિષ્ના કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરને અભિનય તેમજ ફિલ્મસર્જનની સૂઝ ગળથૂથીમાં જ મળી હતી. અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સહજ અભિનય એ એમની ઓળખ હતી. ૧૯૮૩માં ફિલ્મ ‘એક જાન હૈ હમ’ સાથે રાજીવ કપૂરે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ૧૯૮૫માં સ્વ. રાજ કપૂરના નિર્માણ અને નિર્દેશનવાળી અંતિમ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં મુખ્ય ભૂમિકા કરીને તેઓ અત્યંત લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘આસમાન’ (૧૯૮૪), ‘લવર બૉય’ (૧૯૮૫), ‘મેરા સાથી’ (૧૯૮૫), ‘ઝબરદસ્ત’ (૧૯૮૫), ‘લાવા’ (૧૯૮૫), ‘જલજલા’ (૧૯૮૮) અને ‘હમ તો ચલે પરદેશ’ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો, પરંતુ ત્યારબાદ અભિનયને તિલાંજલિ આપીને આર. કે. બૅનર હેઠળ નિર્માણ-નિર્દેશન કરવાનું શરૂ કર્યું. ‘આ અબ લોટ ચલે’, ‘પ્રેમગ્રંથ’ વગેરે ફિલ્મોમાં નિર્માણ તથા દિગ્દર્શન કર્યું. આરતી સભરવાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પરંતુ બે વર્ષમાં જ બંને અલગ થઈ ગયાં. તેમણે ૧૯૯૫-૯૬ દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ ‘વંશ’નું નિર્માણ કર્યું. પૃથ્વીરાજ કપૂરના પરિવારના કલાવારસાને રાજીવ કપૂરે ખૂબ આદરપૂર્વક જાળવ્યો. સહજ અભિનેતા અને સરળ વ્યક્તિ તરીકે રાજીવ કપૂરને ભાવકો યાદ કરે છે. હૃદયરોગના અચાનક હુમલાથી એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

‘હું’ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે

અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું’ સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું’ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું’ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું’ના મૃત્યુના ભયમાં જીવે છે. ‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં’ એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું’ સતત મોટો થાય છે, પછી એ ‘હું’ જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યે કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું’ જ મૂરખ બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ’ એમ વ્યક્તિ માનતી હોય છે. હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું’ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને તેથી જ એના ‘હું’ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય છે. ‘હું’ ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને એવું થાય તો વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે. અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચારે દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં; પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી, ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.