Categories
વાચન સમૃદ્ધિ

જામજોધપુર

જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલા છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને ૭૯ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૦૯૧.૩ ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી ૧,૧૭,૪૩૫ (૨૦૦૧) છે. આ તાલુકાનો પોરબંદર જિલ્લાની સરહદે આવેલો દક્ષિણ ભાગ અને ઈશાન ખૂણે કાલાવડ તાલુકાની સરહદે આવેલો ભાગ ડુંગરાળ છે. બાકીનો ભાગ લગભગ સપાટ છે. કેટલીક જમીન ડેક્કન ટ્રૅપ પ્રકારના ખડકોના ઘસારાને લીધે કાળી બનેલી છે. તે ભેજ સાચવી શકે છે. કપાસ માટે તે અનુકૂળ છે. સેન્દ્રિય તત્ત્વોવાળી બાકીની જમીન હલકી અને ઓછી ફળદ્રુપ છે. જામનગર જિલ્લામાં સરેરાશ ૪૧૨ મિમી. વરસાદ પડે છે. પોરબંદર નજીક આવેલ આ તાલુકામાં સરેરાશ ૮૦૦ મિમી.થી વધુ વરસાદ પડતો નથી. મે માસમાં સરેરાશ ૩૬° સે. તાપમાન રહે છે, જ્યારે જાન્યુઆરીમાં સરેરાશ ૨૬° સે. તાપમાન રહે છે. સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે.

મગફળીનો પાક                                       

કપાસનું વાવેતર

આ તાલુકામાં જુવાર, બાજરી, ઘઉં, કપાસ, મગફળી વગેરે પાકોનું વાવેતર થાય છે. અનાજના વાવેતરની ૮૦% જમીનમાં અખાદ્ય પાક વવાય છે. બાકીની ૨૦% જમીનમાં ઘઉં, શેરડી, કઠોળ, ડાંગર, મરચાં, લસણ અને ડુંગળી જેવા ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. વળી, રોકડિયા પાકો વવાય છે તે જમીનના ૮૦% જમીનમાં મગફળી, ૯%માં કપાસ અને બાકીની જમીનમાં તમાકુ, તલ, એરંડા અને ઘાસચારો થાય છે. તાલુકાના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને ગૌણ ધંધો પશુપાલન છે. આ તાલુકામાં મગફળી અને કપાસનો વિશેષ પાક થતો હોવાથી પંદરેક તેલની મિલો અને કપાસ લોઢવાનું જિન આવેલાં છે. એક સૉલ્વન્ટનું કારખાનું છે. જામજોધપુર શહેર ૨૧° ૫૪´ ઉ. અ. અને ૭૦° ૦૧´ પૂ. રે. ઉપર આવેલું તાલુકા મથક અને એકમાત્ર શહેર છે. તેની કુલ વસ્તી ૨૨,૬૫૧ (૨૦૦૧) છે. શિક્ષણનું પ્રમાણ સારું છે. તેલ, કપાસિયાં અને ઘીની નિકાસ થાય છે. સિમેન્ટ, લોખંડની વસ્તુઓ, ખાંડ, ચા, ચોખા, કઠોળ વગેરેની આયાત થાય છે. જામજોધપુર પોરબંદર-જેતલસર મીટરગેજ રેલવેનું મહત્ત્વનું સ્ટેશન છે. તાલુકામથક હોઈને જામજોધપુર જથ્થાબંધ વેપારનું કેન્દ્ર તથા વિતરણ કેન્દ્ર છે. શહેરમાં આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલય, દવાખાનું વગેરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ બોઝ

જ. ૧ જાન્યુઆરી, ૧૮૯૪ અ. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪

ભૌતિકશાસ્ત્રના જગવિખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ ૧૯૧૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી., ૧૯૧૫માં પ્રથમ વર્ગમાં એમ.એસસી. થયા. ૧૯૧૬માં એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા.  ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોમાં ગણિતનો ઉપયોગ કરી સંશોધન કરવામાં તેમને ભારે રસ હતો. ૧૯૨૦માં એમણે પ્રો. મેઘનાદ સહાના સહયોગમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૯૨૧માં તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે નિમાયા. અહીં તેમણે નવી સંશોધનપ્રવૃત્તિ શરૂ કરી. મૅક્સ પ્લૅન્કના જાણીતા ‘પ્લૅન્ક નિયમ’ની મૌલિક સાબિતી આપતો એક નિબંધ લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિકવિજ્ઞાનના અગ્રિમ માસિકમાં છપાવ્યો. ૧૯૨૪-૨૫માં માદામ ક્યૂરી સાથે કામ કર્યું અને ૧૯૨૫-૨૬માં બર્લિનમાં તેઓ આઇન્સ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં આઇન્સ્ટાઇન સાથે કામ કરી ‘બોઝ-આઇન્સ્ટાઇન’ નામનો પ્રાથમિક કણોના કેટલાક ગુણધર્મો બતાવતો નૂતન સિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો. ૧૯૫૬થી ૫૮ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરપદે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના અને ૧૯૫૮માં રૉયલ સોસાયટી-લંડનના પણ ફેલો હતા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તથા નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેઓ માનતા કે વિજ્ઞાન માતૃભાષા દ્વારા શીખવવું જોઈએ. આથી ૧૯૪૮માં ‘બંગીય વિજ્ઞાન પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. ‘જ્ઞાન-ઓ-વિજ્ઞાન’ નામનું બંગાળી જર્નલ પ્રકાશિત કરી ઘણા લેખો લખેલા. તેમની સ્મૃતિમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રશંસાત્મક કાર્ય કરનારને પ્રતિવર્ષ ‘સત્યેન્દ્રનાથ બોઝ સ્મારક પુરસ્કાર’ આપવામાં આવે છે. ભારતની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી હતી. ૧૯૫૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

આપે તે દેવ અને રાખે તે રાક્ષસ

સંત વિનોબાજીએ માતાને ‘આચાર્ય’ કહ્યાં છે. આચાર્યનો અર્થ એ કે જે કઠણમાં કઠણ પ્રશ્ન શોધીને સરળ બનાવે. પોતે જાતે કઠણ કામ કરી જુએ, એનું આચરણ કરે અને પછી બીજાને એ વિશે કહે. સંત વિનોબાનાં માતા પડોશીની પત્ની બહારગામ ગયાં હોવાથી પોતાની રસોઈ બનાવીને પડોશીને ત્યાં રસોઈ બનાવવા જતાં હતાં. એક દિવસ વિનોબાએ એમનાં માતાને પૂછ્યું, ‘મા, પહેલાં તું આપણા ઘરની રસોઈ બનાવે છે, પછી પડોશીના ઘરની રસોઈ બનાવે છે, એ સ્વાર્થ ન કહેવાય ? પોતાનો સ્વાર્થ પૂરો કર્યા પછી પરમાર્થ થઈ શકે ખરો ?’ માતાએ જવાબ આપ્યો, ‘બેટા, પહેલાં  આપણા ઘરની રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું, જેથી એમને ઠંડું ખાવું ન પડે. ગરમ ભોજન મળે.’ વિનોબાજીના ઘરના વાડામાં ફણસનું ઝાડ હતું. એને રોજ પાણી પાય અને ક્યારે એ મોટું થાય અને પોતાને ફળ ખાવા મળે તેની વિનોબાજી રાહ જોતા હતા. ફણસનું ઝાડ મોટું થયું. ધીરે ધીરે એના પર ફળ બેઠેલાં જોયાં એટલે વિનોબાજીને તોડવાનું મન થયું. એમની માતાએ કહ્યું, ‘હજી આ ફણસ કાચું છે. એ પીળું અને ઢીલું થાય પછી તું તોડજે.’ થોડા દિવસ પસાર થયા. ફણસનું ફળ પીળું અને ઢીલું થયું. માતાની સંમતિ મેળવીને વિનોબાએ ઝાડ પરથી ફણસ  ઉતાર્યું અને સમાર્યું. એના રસાદાર ટુકડા ખાવા માટે વિનોબાજી અને એમના મિત્રો ઉત્સુક હતા ત્યારે એમની માતાએ કહ્યું, ‘પહેલું ફળ તો (ભગવાનને આપીને) વહેંચીને ખવાય. વિનોબાજી અને તેમના મિત્રો તો ફણસના રસાદાર ટુકડા ખાવા માટે  ઉત્સુક હતા. એમનો જીવ ઝાલ્યો રહેતો ન હતો ત્યારે એમનાં માતાએ પ્રશ્ન કર્યો, ‘તમને દેવ ગમે કે રાક્ષસ ?’ વિનોબાજી અને એમના મિત્રોએ એક અવાજે ‘દેવ’ કહ્યું. એટલે એમની માતાએ કહ્યું, ‘જે આપે એ દેવ અને જે રાખે તે રાક્ષસ.’ માતાની વાત સાંભળતાં બધાં બાળકો ફણસના રસાદાર ટુકડા લઈને એને વહેંચવા નીકળી પડ્યાં. એક સમયે માતાની નિશાળમાંથી બાળકને આ બધું શીખવા મળતું હતું. વિનોબાજીનાં માતા કશું ભણ્યાં નહોતાં. લખતાંવાંચતાં પણ આવડતું નહોતું, પરંતુ બાળકોને ઘડવા માટેની ઊંડી સૂઝ હતી. માતાનું આચરણ એ જ બાળકની પાઠશાળા હતી.

આજે સમાજની ભલે પ્રગતિ થઈ હોય, પણ  મૂલ્ય અને માનવતાનો હ્રાસ થયો છે. બીજાને માટે જાત ઘસનારની મજાક કરવામાં આવે છે અને બીજાના પર સત્તા જમાવનાર, શોષણ કરનારને કે બીજાના ધનની ઉચાપત કરીને ઘર ભરનારને રાક્ષસ નહીં, પણ દેવ ગણવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ