Categories
વાચન સમૃદ્ધિ

ધીરેન્દ્ર ગાંગુલી

જ. 26 માર્ચ, 1893 અ. 18 નવેમ્બર, 1978

એક સફળ ઉદ્યોગપતિ, હિન્દી તથા બંગાળી સિનેજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા-નિર્દેશક તથા લેખક. જેમણે અનેક ફિલ્મનિર્માણ કંપનીઓની સ્થાપના કરી. વિશેષ કરીને એ સમયમાં રમૂજી અભિનય તથા ફિલ્મો માટે એમને ઓળખવામાં આવતા હતા. તેમણે કૉલકાતામાં શાંતિનિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદ રાજ્ય કલા શાળાના મુખ્ય અધ્યાપક બન્યા અને શિક્ષણજગતમાં કારકિર્દી શરૂ કરી. દરમિયાન તેમણે ‘ભાવ કી અભિવ્યક્તિ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં મેકઅપની કમાલથી પોતાનાં વિવિધ સ્વરૂપનાં ચિત્રો એમાં પ્રકાશિત કર્યાં હતાં. પોતાની આ કલા એમણે બ્રિટિશ ભારત તથા આઝાદ ભારતના સી.આઈ.ડી. અધિકારીઓને શિખવાડી. ત્યારબાદ એમનું આ પુસ્તક નિર્માતા જે. એફ. મદનના ધ્યાનમાં આવ્યું અને ફિલ્મજગતમાં યોગદાન આપવા માટે એમને તક મળી. 1918માં ઇન્ડો-બ્રિટિશ કંપની શરૂ કરી. અહીં હૈદરાબાદના નિઝામની મદદથી એમણે ફિલ્મ સ્ટુડિયો તથા સિનેમાઘર પણ શરૂ કર્યાં. ત્યારબાદ ધીરેન્દ્ર ગાંગુલીના નિર્માણ અને નિર્દેશનમાં ફિલ્મ ‘રઝિયા બેગમ’ પ્રકાશિત થઈ. જેમાં મુસલમાન રાણીને પરજાતિના ગુલામ સાથે પ્રેમ થતો બતાડવાના ગુના બદલ નિઝામે એમને હૈદરાબાદની બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ કૉલકાતા પાછા ફરીને લોટસ ફિલ્મ કંપની શરૂ કરી, ન્યૂ થિયેટર્સ સાથે પણ ઘણું કામ કર્યું. પોતાની ફિલ્મી કારકિર્દીમાં એમણે અનેક ફિલ્મોનું નિર્માણ, નિર્દેશન, લેખન કર્યું અને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મજગતમાં એમણે સિનેજગતનાં શરૂઆતનાં વર્ષોમાં પાયાનું કામ કર્યું.  ફિલ્મજગત એમને ધીરેન ગાંગુલીના હુલામણા નામથી જાણતું હતું. હિન્દી સિનેમાના એમના યોગદાન બદલ ભારત સરકારે 1974માં એમને પદ્મભૂષણ અને 1975માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અમરનાથ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ખાતે કુદરતી રીતે થોડા સમયગાળા માટે બનતું બરફનું શિવલિંગ. શ્રીનગરની ઈશાને ૧૩૮ કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં ૩,૮૨૫ મીટરની ઊંચાઈ પર કુદરતી રીતે બનેલી ગુફામાં તેનું સ્થાનક છે. ૪૫ મીટર ઊંચી ગુફામાં શ્રાવણી પૂનમને દિવસે આ શિવલિંગ ૪ મીટર જેટલી મહત્તમ ઊંચાઈનું હોય છે. શ્રાવણી સુદ પડવાથી તેના વધવાની અને શ્રાવણ વદ પડવાથી તેના ઘટવાની શરૂઆત થાય છે. શ્રાવણી અમાસના દિવસે તે અદૃશ્ય થાય છે તેવી કિંવદંતી છે. હકીકતમાં તે સંપૂર્ણ અદૃશ્ય થતું નથી. ગુફાની ઉપરના પહાડ પર રામકુંડ છે, જેનું પાણી ગુફાની તિરાડમાંથી નીચે ટપકે છે. તેના બુંદમાંથી શિયાળામાં આ શિવલિંગ બને છે. લિંગ તથા બાણ કઠણ બરફનાં હોય છે. ગુફાની બહારના પરિસરનો બરફ તદ્દન બરડ હોય છે. ગુફામાં શિવલિંગ ઉપરાંત બરફની બીજી બે રચનાઓ બને છે, જે પાર્વતી અને ગણપતિ તરીકે પૂજાય છે. ગુફાની બહાર, નીચે અમરગંગા વહે છે. જોડે બીજી ગુફા છે. તેમાં ભસ્મ જેવી માટી મળે છે. યાત્રાળુઓ શ્રદ્ધાથી આ માટી શિવના પ્રસાદ તરીકે માથે ચડાવે છે. ગુફાની આજુબાજુ લિહાર ખીણની પર્વતમાળા છે. માત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પહોંચી શકાય છે; શિયાળામાં ત્યાં જઈ શકાતું નથી. દર વર્ષે શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે. શ્રાવણ સુદ પાંચમે શ્રીનગરથી અમરનાથની યાત્રા શરૂ થાય છે. છડી મુબારક સાથે આગળના સ્થાને કાશ્મીરમાં આવેલી શારદાપીઠના શંકરાચાર્ય હોય છે.

અમરનાથનું શિવલિંગ, અમરનાથના દર્શને જતા યાત્રીઓ

અમરનાથ જવા માટે બે માર્ગો છે : (૧) શ્રીનગરથી ૬૫ કિમી. પર આવેલા પહેલગામથી ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ. (૨) શ્રીનગરથી ૬૧ કિમી. પર આવેલા બાલતાલથી અમરનાથ. આ રસ્તો ટૂંકો પણ વિકટ છે. પગપાળા ન જઈ શકે તેવા યાત્રાળુઓ માટે બંને માર્ગ પર ટટ્ટુ ભાડે મળે છે. હિંદુઓના આ યાત્રાધામ અમરનાથની શોધ મુસ્લિમ ભરવાડ કુટુંબે કરી હતી અને તેથી આજે પણ તેની કુલ આવકનો અમુક હિસ્સો આ કુટુંબના વારસદારોને ચૂકવાય છે. જ્યાં સુધી અમરનાથની યાત્રા ન થાય ત્યાં સુધી બીજી યાત્રાઓ અધૂરી છે એવી એક માન્યતા હિંદુ સમાજમાં પ્રચલિત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

એ. એમ. અહમદી

જ. 25 માર્ચ, 1932 અ. 2 માર્ચ, 2023

ભારતની સર્વોચ્ચ અદાલતના 26મા પૂર્વમુખ્યન્યાયમૂર્તિ એ. એમ. અહમદીનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા અવિભક્ત મુંબઈ રાજ્યમાં સિનિયર ડિવિઝનમાં સિવિલ જજ હોવાથી તેમની અવારનવાર બદલીઓ થતી. આથી અહમદીએ મુંબઈ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટસની પરીક્ષા પસાર કર્યા બાદ અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી અને સૂરતની સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. જૂન, 1954માં અમદાવાદની જિલ્લા અદાલતમાં વકીલાત શરૂ કરી. 1961માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટની સ્થાપના થતાં તે કોર્ટમાં સરકારી વકીલ નિમાયા. 1964માં ન્યાયાધીશ તરીકે નિમાયા. જૂન 1974થી ડિસેમ્બર 1975 સુધી કાયદા વિભાગના સચિવ તરીકે કાર્ય કર્યું. 1976માં ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. તેઓ કાયદાના ઊંડા અભ્યાસી હતા. બંધારણ, કરવેરા, આબકારી અને કસ્ટમ, ઉદ્યોગો અને નોકરી અંગેના કેસોમાં તેમના કેટલાક શકવર્તી ચુકાદા જાણીતા થયા છે. વિદેશી મુદ્રા સંરક્ષણ તેમજ તસ્કરી નિવારણ અધિનિયમ અને ગુજરાત રાજ્ય તૃતીય વેતન આયોગ જેવા અનેક સલાહકાર બોર્ડના તેઓ સદસ્ય હતા. તેમણે દાણચોરો તથા કાળાબજાર કરનારાની અટકાયત અંગેના સલાહકાર મંડળોમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. તેમણે રાવી-બિયાસ જલવિવાદ પંચના સભ્ય તરીકે પણ કામ કર્યું. 14 ડિસેમ્બર, 1988ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમાયા. 1989માં સુપ્રીમ કોર્ટ લીગલ એઇડ કમિટીના અધ્યક્ષ બન્યા. 25 ઑક્ટોબર, 1994ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા. ભારતમાં કાનૂની સહાયતા યોજનાઓના તેઓ પ્રમુખ સંરક્ષક હતા. અદાલતોમાં ઝડપી ન્યાયવિતરણ માટે કમ્પ્યૂટરયુગ લાવનાર ન્યાયમૂર્તિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તેમને દેશ-વિદેશમાંથી અનેક સન્માનો પ્રાપ્ત થયાં. જેમાં મુખ્યત્વે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય, મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય, રોહતક, કાનપુર વિશ્વવિદ્યાલય વગેરે દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.