Categories
વાચન સમૃદ્ધિ

હર્ષિદા પંડિત

જ. 15 ફેબ્રુઆરી, 1927 અ. 27 ફેબ્રુઆરી, 2012

મનોવિજ્ઞાનક્ષેત્રે ઉમદા માર્ગદર્શક અને અધ્યાપક હર્ષિદા પંડિતનો જન્મ અમદાવાદમાં થયો. પ્રારંભિક શિક્ષણ પણ અમદાવાદમાં જ લીધું. ત્યારબાદ ભાગલપુર અને મુંબઈમાં વધુ અભ્યાસ અર્થે ગયાં. 1948માં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. 1950માં માનસશાસ્ત્ર તથા તત્ત્વજ્ઞાન સાથે એમ.એ. કર્યું. આ ઉપરાંત 1944માં કોવિદ અને 1949માં વિશારદની ઉપાધિઓ પણ મેળવી. ભણવાનો એટલો શોખ કે મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને પણ 1953માં વિદેશ ભણવા ગયાં. આ પહેલાં 1951માં શ્રી રામુ પંડિત સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. 1957માં શૈક્ષણિક માનસશાસ્ત્રમાં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાંથી એમ.એસ.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ પેસેડોનાની વેસ્ટર્ન પર્સોનલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનની તાલીમ લીધી. 1958માં અમેરિકાથી ભારત આવીને અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજમાં માનસશાસ્ત્રનાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં. 1960માં એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક તરીકે જોડાયાં. 1962થી 1987 સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાં મનોવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપકપદે અને ત્યારબાદ વિભાગીય અધ્યક્ષ તરીકે સેવા આપી. 1983માં ‘વહેમનું મનોવિજ્ઞાન’ પર મહાનિબંધ લખી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1986માં યુ.એસ.એ.માંથી ઇન્ટરનેશનલ એકૅડેમી ઑફ પ્રૉફેશનલ કાઉન્સેલિંગ ઍન્ડ સાઇકોથૅરપીમાં ડિપ્લોમેટ સ્ટેટસ મેળવ્યું. 1987માં એસ.એન.ડી.ટી.માંથી નિવૃત્ત થયા બાદ એ. કે. મુન્શી યોજનાના બાળમાર્ગદર્શન કેન્દ્ર તથા યૂથ કાઉન્સેલિંગ સેન્ટરમાં સેવાઓ આપી. 1989માં સરલા શેઠ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઍન્ડ ગાઇડન્સ જેવી સંસ્થામાં માનસિક મંદબુદ્ધિ ધરાવનાર બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. માનવવર્તનમાં જુદાં જુદાં પાસાંઓ વિશેની કટારો ‘ગુજરાત સમાચાર’, ‘સ્ત્રી’, ‘સમકાલીન’ વગેરેમાં લખતાં. ‘નવનીત-સમર્પણ’, ‘અનસૂયા’, ‘ઉજાસ’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ અને ‘અખંડ આનંદ’ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા. તેમણે અનેક પુસ્તિકાઓ અને પુસ્તકો પણ લખ્યાં છે જેવાં કે, ‘બાળકોને જાતીય જ્ઞાન કેમ આપવું’, ‘ફ્રોઇડ પછીનું મનોવિશ્લેષણ’, ‘બાળમાનસને ઓળખીએ’, ‘મૂંઝવતું બાળવર્તન’, ‘સ્ત્રી-માનસશાસ્ત્ર’ અને ‘માનવમનની આંટીઘૂંટીઓ’ વગેરે. તેમનાં પુસ્તકો સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

હોળી

હિન્દુઓનો એક અગત્યનો તહેવાર. હોળી આપણો સામાજિક તહેવાર છે. તે જનસામાન્યનું પર્વ છે. ખાસ કરીને આદિવાસીઓ તે ખૂબ ઉત્સાહથી  ઊજવે છે. આ પર્વ ફાગણ મહિનાની પૂનમે ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક આ ઉત્સવ ઊજવાય છે. રાજસ્થાનમાં તો આ પર્વને દિવાળીથી પણ વધુ મહત્ત્વ અપાય છે. ત્યાંની લઠ્ઠામાર હોળી જાણીતી છે. આ ઉત્સવના સંદર્ભમાં ફાગુ-ગીતોની પરંપરા પણ પ્રચલિત છે. પુરાણકાળથી આ પર્વની સાથે પ્રહલાદની વાત જોડાયેલી છે. ઘણાં વર્ષો પૂર્વે હિરણ્યકશિપુ નામનો દૈત્યવંશનો એક રાજા હતો. તેને પ્રહલાદ નામનો એક વિષ્ણુ-ભક્ત પુત્ર હતો. હિરણ્યકશિપુ પોતાને ભગવાનથીય ચડિયાતો માનતો હોવાથી તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનું નામ લે તે તેને પસંદ નહોતું. તેણે પોતાના પુત્રને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેણે ભગવાનનું નામ લેવાનું છોડ્યું નહિ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા પણ રામ રાખે તેને કોણ ચાખે ? અંતે પ્રહલાદની ફોઈ હોલિકાને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હોવાથી તેને પ્રહલાદની હત્યા કરવાનું કામ સોંપ્યું. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ધર્મના પ્રતાપે પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને હોલિકા બળીને મૃત્યુ પામી. આમ, અધર્મ પર ધર્મનો વિજય થયો. તેની યાદમાં ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળી પ્રગટાવીને પૂજા-પ્રદક્ષિણા કરતા લોકો

ગામમાં કે શહેરમાં રહેતા લોકો અનુકૂળ જગ્યાએ લાકડાં ગોઠવીને ખડકલો કરે છે. તેમાં છાણાં પણ ગોઠવે છે. તેના પર સુકાયેલાં છાણાં(હોળૈયાં)નો હાર ચઢાવવામાં આવે છે. પછી સંધ્યાકાળે, મુહૂર્ત અનુસાર અગ્નિ પ્રગટાવી તેની પૂજા-પ્રદક્ષિણા કરવામાં આવે છે. નાળિયેર, ધાણી, ખજૂર વગેરે અગ્નિમાં હોમવામાં આવે છે. હોળીને મથાળે નાનકડી ધજા રોપાય છે. કેટલાક તેને પ્રહલાદ ભગતનું પ્રતીક માને છે. કેટલાક ધજા ફરકે કે પડે તેની દિશા ઉપરથી ઋતુમાનનો સંકેત ગ્રહણ કરે છે. હોળીના દિવસે લોકો ધાણી-ચણા તથા ખજૂર વગેરે લે છે, કેટલાક ઉપવાસ પણ રાખે છે. આ ટાણે ખાંડના હારડા લોકો લે છે. વળી ઢોલ-નગારાં પણ વગાડાય છે. પ્રાચીન કાળમાં તો આ સમયે ખેતરોમાંથી નવું પાકેલું ધાન્ય ઘરોમાં લવાતું. આ નવું અનાજ પ્રથમ દેવને અર્પણ કરીને પોતાના ઉપયોગમાં લેવાતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હોળી, પૃ. 207)

Categories
વાચન સમૃદ્ધિ

અરવિંદ રાઠોડ

જ. 14 ફેબ્રુઆરી, 1941 અ. 1 જુલાઈ, 2021

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અભિનેતા અને અખબારી છબીકાર અરવિંદ રાઠોડનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા અમદાવાદમાં દરજીકામ કરતા હતા. શાળામાં ભણતા હતા ત્યારથી સંગીત અને નાટકમાં રસ હતો. શાળામાં પ્રાર્થના ગવડાવતા. દસેક વર્ષની ઉંમરે ‘નટુ-ગટુ’ નાટકમાં નટુનું પાત્ર ભજવનાર છોકરો બરાબર નહોતો તેથી તેનું પાત્ર તેમણે ભજવ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ. શાળા-કૉલેજમાં અભિનય માટે ઇનામો મળ્યાં હતાં. તેઓ મિત્રના સ્ટુડિયોમાં જતા અને ફોટોગ્રાફીની બધી જ ટૅકનિક શીખ્યા. તેમને અભિનય અને સારામાં સારાં કપડાં પહેરવાનો શોખ હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ મુંબઈ ગયા. ફિલ્મજગતમાં તસવીરકાર તરીકે ઘૂમતા હતા. એમણે અરુણા ઈરાનીના પિતા ફરદૂન ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કરી. એ ભૂમિકાને કારણે તેમણે પત્રકાર તરીકેની નોકરી છોડવી પડી. તેમણે રાજેશકુમાર નામે બાર વર્ષ સુધી નાટકો કર્યાં. તેમણે દિલીપકુમાર અને સાયરાબાનુના નિકાહ વખતે ફોટા પાડ્યા અને બદરી કાચવાલાના સામયિકના છેલ્લા પાને એ ફોટા છપાયા. બીજા દિવસે દિલીપકુમારે કહ્યું કે એ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ ! 1967-68માં ‘પ્રીત પિયુ ને પાનેતર’ નાટક માટે મુંબઈ ગયા. રાજ કપૂરે તેમને ‘મેરા નામ જોકર’માં નાનકડો રોલ આપ્યો અને ત્યારથી ફિલ્મો સાથે જોડાયા. 1967માં તેમની પહેલી ફિલ્મ ‘ગુજરાતણ’ આવી. એ પછી ‘કંકુ’, ‘સંસારલીલા’, ‘જનનીની જોડ’, ‘જનમટીપ’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘જેસલ તોરલ’ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ‘જેઠા’ની ભૂમિકાથી તેઓ ખલનાયક તરીકે લોકપ્રિય બન્યા. તેમણે 250 જેટલી ફિલ્મો, ધારાવાહિકો અને 70થી વધુ નાટકોમાં કામ કર્યું. તેમણે ‘કોરાકાગઝ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે ‘મને અજવાળાં બોલાવે’ નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમને અનેક ઍવૉર્ડઝ મળ્યા હતા. 2006માં ‘થોડી ખુશી થોડે ગમ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા તરીકે ભારતીય ટેલિ ઍવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.