Categories
વાચન સમૃદ્ધિ

શૅરબજાર

શૅરો અને જામીનગીરીઓ(Securities)ના ખરીદ-વેચાણ માટે માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. શૅરબજારનો હેતુ શૅરો અને જામીનગીરીઓના કામકાજમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના ખરીદ-વેચાણ તથા લેવડ-દેવડ માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કામ માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની સ્થાપના કરી છે. આમ શૅરબજાર એ લોકોની બચત અને ઔદ્યોગિક મૂડીરોકાણ વચ્ચે મહત્ત્વની કડી બની નાણાંની તરલતા પૂરી પાડે છે. સામાન્ય રીતે લોકો બચત કરવા માટે સ્થાવર (જમીન અથવા મકાન), જંગમ (સોના, ચાંદી — ઝવેરાત) મિલકતોમાં તથા શૅરો અને જામીનગીરીઓમાં નાણાંનું રોકાણ કરે છે. શૅરો અને જામીનગીરીઓમાં રોકાણ અને વેચાણ માટે શૅરબજાર તથા શૅરદલાલોની જરૂરિયાત ઊભી થઈ.

મુંબઈના શૅરબજારની ઇમારત

ભારતમાં શૅરબજારનો આરંભ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શૅરોની ફેરબદલીથી થયો હતો. ઈ. સ. ૧૮૭૫માં મુંબઈ સ્ટૉકએક્સ્ચેન્જની સ્થાપના થઈ, જે એશિયામાં પહેલું જ સ્ટૉકએક્સ્ચેન્જ હતું. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણીબધી સંગઠિત કંપનીઓની સ્થાપના સાથે શૅરો બજારમાં આવતાં ચેન્નાઈ, દિલ્હી, નાગપુર, કાનપુર, હૈદરાબાદ અને બૅંગાલુરુમાં પણ શૅરબજારો શરૂ થયાં; પણ કાયદાનું કોઈ નિયંત્રણ ન હોવાથી તેમની પ્રવૃત્તિ મોટા ભાગે સટ્ટાલક્ષી રહેતી હતી. શ્રી. જી. એસ. પટેલ કમિટીની ભલામણોને અનુલક્ષીને કેન્દ્રસરકારે ભારતીય જામીનગીરી નિયંત્રણ મંડળ (Securities and Exchange Board of India – SEBI) – સેબીની સ્થાપના કરી. તેને શૅરબજારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને અંકુશ રાખવાની સત્તા આપવામાં આવી. તેનું ધ્યેય શૅરબજારોનો વિકાસ તેમ જ નિયમન અને નિયંત્રણ દ્વારા રોકારણકારોનાં હિતોની રક્ષા કરવાનું હતું. દરેક શૅરબજારે સેબીને લવાજમ ભરીને માન્યતા મેળવવી ફરજિયાત હોય છે, વળી તેમણે તેમની પ્રવૃત્તિઓનો ઑડિટ-રિપોર્ટ તેમ જ મુશ્કેલીઓ વગેરેની માહિતી સમયાંતરે સેબીને મોકલવી ફરજિયાત બની રહે છે.શૅરબજારમાં શૅરોના દૈનિક ભાવમાં ચઢાવ-ઉતારને દર્શાવતો આંક શૅરભાવસૂચકાંક (Price Index) તરીકે જાણીતો છે. આ સૂચકાંક રોજ ટેલિવિઝન તથા અખબારોમાં વાંચવા મળે છે, જે શૅરોના ભાવની વધઘટનો અંદાજ આપે છે. રાષ્ટ્રીય શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ ૫૦ અગ્રશૅરોના ભાવની સરેરાશનો સૂચકાંક નિફ્ટી (NIFTY) તરીકે જાણીતો છે. મુંબઈ શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ ૩૦ શૅરોના ભાવોનો સૂચકાંક બીએસઇ (BSE) ઇન્ડૅક્સ તરીકે જાણીતો છે. આઝાદી મળી ત્યારે ભારતમાં ૭ શૅરબજારો હતાં. અત્યારે અમદાવાદ, મુંબઈ, બૅંગાલુરુ, કૉલકાતા, દિલ્હી, ચેન્નાઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઉપરાંત નૅશનલ સ્ટૉકએક્સ્ચેન્જ ઑવ્ ઇન્ડિયા લિમિટેડ(મુંબઈ)  શૅરબજારો આવેલાં છે. શૅરબજાર કોઈ પણ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે શૅરબજારમાં ભાવાંક ઉપર જાય ત્યારે તે દેશમાં વેપાર-ધંધામાં રોકાણકારો વધુ સક્રિય થાય છે. આથી જ જ્યારે શૅરબજારમાં ભાવાંક ઉપર જાય ત્યારે દેશનું અર્થતંત્ર પણ પ્રગતિ કરતું હોવાનું મનાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

ઉપેન્દ્રનાથ શર્મા ‘અશ્ક’

જ. ૧૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૯ જાન્યુઆરી, ૧૯૯૬

‘અશ્ક’ના તખલ્લુસથી જાણીતા ઉપેન્દ્રનાથ શર્માનો જન્મ જલંધર પંજાબમાં સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જલંદરની ડી.એ.વી. કૉલેજમાં બી.એ. સુધીનું શિક્ષણ લીધું પછી બે વર્ષ અધ્યાપન કર્યું. પછી ત્રણ વર્ષ સુધી લાલા લજપતરાયના સમાચારપત્ર ‘વંદે માતરમ્’માં પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારપછી અનુવાદક તરીકે બઢતી પામ્યા અને ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી ૧૯૩૬માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. એ જ વર્ષે તેમનાં પત્નીનું અવસાન થવાથી તેઓ આઘાતમાં સરી પડ્યા અને સર્જન પ્રત્યે વળ્યા. એ પછી એમણે આકાશવાણીમાં નોકરી કરી. પરંતુ લેખનકાર્યને જ તેમણે વ્યવસાય તરીકે અપનાવ્યું. તેમણે ફિલ્મીસ્તાન પ્રોડક્શન કંપની માટે પટકથા તથા સંવાદ લખવાનું કાર્ય પણ કર્યું. શરૂઆતમાં તેઓ પંજાબી અને ઉર્દૂ ભાષામાં લેખનકાર્ય કરતા, પરંતુ મુનશી પ્રેમચંદના કહેવાથી તેમણે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું. તેમની ગણના આધુનિક નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકારમાં થાય છે, પણ એમને સવિશેષ પ્રતિષ્ઠા તથા સિદ્ધિ નાટ્યકાર તરીકે મળી છે. ‘છટા બેટા’ (૧૯૪૦), ‘અંજોદીદી’ (૧૯૫૩-૫૪) અને ‘કૈદ’ એ એમની ઉત્તમ નાટ્યકૃતિઓ છે. ચોટદાર સંવાદો તેમનાં નાટકોની વિશિષ્ટતા હતી. એમણે એકાંકી પણ લખ્યાં છે. ‘તૂફાન સે પહલે’, ‘દેવતાઓં કી છાયા મેં’, ‘પર્દા ઉઠાઓ, પર્દા ગિરાઓ’ એ એમના એકાંકીસંગ્રહો છે. એમની નવલકથાઓમાં ‘ગીરતી દીવાર’ (૧૯૪૫), ‘ગર્મ રાખ’ (૧૯૫૨), ‘શહર મેં ઘૂમતા આઈના’ (૧૯૬૩), ‘એક નન્હી કિન્દીલ’નો સમાવેશ થાય છે. એમણે લગભગ બસ્સો જેટલી નવલિકાઓ પણ લખી છે. આ ઉપરાંત નિબંધ, રેખાચિત્ર, સમીક્ષા, સંસ્મરણો વગેરે ક્ષેત્રોમાં પણ એમણે વિપુલ લેખન કર્યું છે. પરિવર્તન પામતી સાહિત્યિક વિભાવનાઓ જોડે તેઓ કદમ મિલાવતા રહ્યા હતા. ૧૯૪૭માં ટીબી થવાથી તેમને બેલ ઍર સેનેટોરિયમ, પંચગનીમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ બે વર્ષ રહ્યા હતા. ત્યારપછી તેઓ અલાહાબાદ સ્થાયી થયા હતા. હિન્દી સાહિત્યમાં યથાર્થવાદી પરંપરાને સમૃદ્ધ કરવાનો યશ ‘અશ્ક’ના ફાળે જાય છે. ૧૯૬૫માં લલિતકલા અકાદમીએ એમને શ્રેષ્ઠ નાટ્યકારનું પારિતોષિક આપીને સન્માન કર્યું હતું.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ટીકાકારોની રુગ્ણ મનોવૃત્તિ

પર દયા કરજો ————-

સંવેદનશીલ વ્યક્તિને આલોચના અકળાવનારી લાગે છે, કારણ કે આલોચકે એને અકળાવવા માટે જ ટીકા-ટિપ્પણના તીવ્ર પ્રહાર કર્યા હોય છે. આવા ટીકાખોરની દૃષ્ટિ અન્યની ટીકા પર જ હોય છે અને તેથી એ હંમેશાં બીજાનું બૂરું જોવા ટેવાયેલા હોય છે. નઠારાની શોધ કરતો હોય છે અને તક મળે એ કોઈ ને કોઈ રીતે ટીકા કરતો હોય છે. સફળ વ્યક્તિઓએ સૌથી મોટી સજ્જતા કેળવવાની હોય તો તે ટીકાખોરોનો સામનો કરવાની છે. ટીકાખોરો એમની માત્ર ટીકા જ કરતા નથી, પરંતુ એ ટીકાને વધુ ને વધુ જાહેર અને જાણીતી કરવાની કોશિશ કરે છે. કોઈક વાર કાનાફૂસીથી, કોઈક વાર છાનીછપની રીતે તો કોઈક વાર ખોટો રસ્તો અજમાવીને પણ એ પોતાના નિંદારસને તૃપ્ત કરતા હોય છે. આવી વ્યક્તિનું લક્ષ્ય જ બીજાની ટીકા કરવાનું હોય છે અને તેથી એ સમય જતાં પોતાના ટીકાકારોથી ઘેરાઈ જતો હોય છે ! ઓછામાં ઓછો પરિશ્રમ કરનારાઓ ટીકા કરવાનો વધુ ને વધુ શ્રમ લેતા હોય છે. મનમાં વેર અને ઝેર રાખનારાઓ એને વધારવા માટે નિંદાનો ઉપયોગ કરતા હોય છે. આગળ વધી ગયેલી વ્યક્તિને પાછી પાડવાની શક્તિ ન હોય, ત્યારે તેની આલોચના કરીને એને પાછી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા હોય છે. વ્યક્તિએ પણ આવા ટીકાખોરોની ટીકાની ઉપેક્ષા કરવી જોઈએ. એમની રુગ્ણ મનોવૃત્તિ પરત્વે દયા ખાવી જોઈએ. એમની માનસિક દુર્દશા માટે સહાનુભૂતિ કેળવવી જોઈએ અને ટીકાખોરોને જવાબ આપવાનો સૌથી મોટો માર્ગ પ્રગતિના પથ પર વધુ ને વધુ આગળ વધવાનો છે.

કુમારપાળ દેસાઈ