Categories
વાચન સમૃદ્ધિ

શ્વાસ જેવું જ્ઞાન

શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯થી ઈ. સ. પૂ. ૩૯૯) એમ કહેતા કે મેં મારાં માતાપિતાનો વારસો બરાબર જાળવ્યો છે. જેમ શિલ્પી પથ્થરમાંથી માનવની આકૃતિ કંડારે છે, એ જ રીતે હું મારા વિચારોથી માનવવ્યક્તિત્વને કંડારું છું અને જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળક બહાર કાઢે છે, એ રીતે હું લોકોના મનમાંથી અજ્ઞાન બહાર કાઢું છું. આવા અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતા મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો અને એણે કહ્યું, ‘મારે તમારી માફક ખૂબ જ્ઞાન મેળવવું છે. સમર્થ જ્ઞાની બનવું છે. તમારા જેવા થવું છે, તો જ્ઞાની બનવાનો કોઈ ઉપાય બતાવો ને ?’ સૉક્રેટિસે એ યુવાનને પોતાની પાછળ આવવા ઇશારો કર્યો અને પછી એને દરિયાની વચ્ચે લઈ ગયા અને એનું માથું પકડીને દરિયાના પાણીમાં ડુબાડ્યો. યુવક ગૂંગળાઈ ગયો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સૉક્રેટિસની પકડમાંથી છૂટવા અને પાણીમાંથી બહાર નીકળવા હવાતિયાં મારવા લાગ્યો. એને સામે મૃત્યુ દેખાવા લાગ્યું. આખરે એને એમ લાગ્યું કે હવે તો એ મરી જશે, ત્યારે સૉક્રેટિસે એને પાણીમાંથી બહાર કાઢ્યો. યુવાનના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આવું હિંસક કૃત્ય કેમ કર્યું ?’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘એ કૃત્ય કરવાના કારણમાં જ તારી વાતનો જવાબ છે. જ્યારે તું ગૂંગળાઈ મરવાની તૈયારીમાં હતો, ત્યારે તને સૌથી વધુ શેની જરૂર લાગી હતી?’ યુવાને કહ્યું, ‘શ્વાસની, હવાની. તરફડિયાં મારતો હતો, ત્યારે એમ લાગ્યું કે હવે મારું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે. શ્વાસ લેવા મળશે, તો જ બચીશ.’ ‘બસ, તો જ્યારે શ્વાસ જેટલી જરૂર તને જ્ઞાનની લાગે, ત્યારે જ તું જ્ઞાની બની શકીશ. ખ્યાલ આવ્યો ને !’ યુવાન સૉક્રેટિસની વાતનો મર્મ પારખી ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ

જ. ૬ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૩ એપ્રિલ, ૨૦૦૦

વાર્તા, નાટક, નિબંધ અને ઇતિહાસના ગ્રંથો લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર શંભુપ્રસાદનો જન્મ ચોરવાડ, જૂનાગઢમાં થયો હતો. પિતા હરપ્રસાદ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચશિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે ૧૯૩૦માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. એલએલ.બી. પાસ થયા બાદ તેમણે વેરાવળમાં વકીલાત શરૂ કરી. ૧૯૩૩માં તેઓ જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતામાં વહીવટદારના હોદ્દાના પ્રોબેશનર નિમાયા. તે પછી તેમણે વહીવટદાર તથા રાજ્યના સચિવાલયમાં સુપરિન્ટેન્ડેન્ટની ફરજો બજાવી. જૂનાગઢ રાજ્ય ભારત સાથે જોડાયા બાદ તેમને નવી સરકારમાં પાટણ તથા તલાળાના ઍડ્મિનિસ્ટ્રેટર નીમવામાં આવ્યા. ૧૯૫૦માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક થવાથી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાં જોડાયા અને ૧૯૬૬માં અમરેલીના કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. તેઓ સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓના અભ્યાસી હતા. ૧૯૩૩માં તેમણે ‘પ્રભાસના વાજા રાજાઓ’ શીર્ષક હેઠળ મુંબઈના ‘ગુજરાતી’ પત્રમાં લેખ લખીને ઇતિહાસલેખનની શરૂઆત કરી. તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. તેમાં તેમણે પ્રાચીન કાળથી ૧૯૬૫ સુધીનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે. ‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં તેમણે પ્રાગ્ ઐતિહાસિક કાળથી શરૂ કરીને ૧૯૫૦ સુધીની બધી માહિતી ભેગી કરીને આપી છે. ૧૯૭૫માં પ્રગટ થયેલા ‘જૂનાગઢ અને ગિરનાર’ ગ્રંથમાં જૂનાગઢ રાજ્યને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ લખ્યો છે. આ ઉપરાંત ‘શ્રીકૃષ્ણનું દ્વારકા’, ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’માં તેમણે ખાસ કરીને નાગર દીવાનો તથા મુત્સદ્દીઓને રસપ્રદ રીતે આલેખ્યા છે. શંભુપ્રસાદ ઇતિહાસ ઉપરાંત સંસ્કૃતિ, સિક્કાઓ, સાહિત્ય, ભાષાઓ અને પુરાતત્ત્વના અભ્યાસી હતા. ઇતિહાસમાં રસ ધરાવતા અનેક સજ્જનો દરરોજ સાંજે તેમના નિવાસસ્થાને ભેગા મળીને ચર્ચા કરતા. તેમણે ‘પ્રભાસ સંશોધનસભા’, ‘સોરઠ સંશોધનસભા’ સ્થાપી હતી જે પછીથી ‘સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ’ નામથી જાણીતી થઈ. ૧૯૭૮થી ૮૦ સુધી તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૯૮૮માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. તેમના ‘જૂનાગઢ અને ગિરનાર’ નામના ગ્રંથને ૧૯૭૮માં ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ ગ્રંથનો પુરસ્કાર મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સુથાર

લાકડામાંથી જુદા જુદા ઘાટ ઘડનાર કારીગર. ‘સુથાર’ કે ‘સુતાર’ શબ્દ સંસ્કૃત ‘સૂત્રધાર’ પરથી ઊતરી આવ્યો છે. ‘સૂત્ર’ એટલે દોરી અને ‘ધાર’ એટલે ધારણ કરનાર. તે પરથી તેઓ ‘સુત્તહાર  સુથાર’ કહેવાયા. સુથારી કામમાં લાકડું ધારેલા માપ પ્રમાણે વહેરવા માટે સૂત્ર એટલે સૂતરને ગેરુવાળું કરી એની છાંટ પાડવામાં આવે છે. આ ક્રિયા પરથી સૂતર ધરવાવાળો, સૂત્રધાર સુથાર કહેવાયો છે. આવી જાતનું અંકન આંકવાની વિદ્યા માત્ર લાકડા વહેરવા પૂરતી જ મર્યાદિત નહોતી, પણ પહેલાં સ્થપતિઓ નહોતા ત્યારે, ઘરોના નકશા બનાવવા સુધી તે વિકાસ પામી હતી. તેમાં દેવ વિશ્વકર્માને દેવોના રથ કરનારા સુથારથી માંડીને હજારો શિલ્પના કર્તા કહ્યા છે. આ સુથારો વિશ્વકર્માના વંશજ ગણાય છે. વિશ્વકર્માના પાંચ પુત્રોમાંથી ‘મય’ નામના પુત્રે સુથારી કામ સ્વીકાર્યું. આમ સુથારો વિશ્વકર્માના પુત્ર મયના વારસદારો ગણાય છે.

સુથારી કામ

સુથાર મુખ્યત્વે લાકડાને વહેરવાનું, કાપવાનું અને આકાર આપવાનું કાર્ય કરે છે. નાની-મોટી ઇમારતો, વહાણ, પુલ (લાકડાના) વગેરેનાં બાંધકામોમાં સુથારો લાકડાનું કામ કરે છે. વળી, તે ઇમારતોમાં બારીબારણાં, રાચરચીલું કબાટો, ટેબલ, ખુરશીઓ, પટારાઓ જેવો ઘરનો સરસામાન, રસોડામાં વપરાતાં પાટલા-પાટલી, આડણી-વેલણ તથા બાળકોને રમવાનાં રંગબેરંગી રમકડાં વગેરે બનાવે છે. સુથારી કામ એ અઘરો અને કુશળતા માગી લેતો વ્યવસાય છે. કેટલાક લોકો પોતાના પિતા પાસેથી પેઢી-દર-પેઢીથી ચાલી આવતા આ કામને શીખે છે. તો કેટલાક લોકો આ કામ એ માટેની ખાસ શાળાઓમાં જઈને શીખે છે. કેટલીક શાળાઓ અને કૉલેજોમાં પણ સુથારી કામનું શિક્ષણ આપવામાં આવે છે. સુથારો તેમના કામ માટે મોટે ભાગે વિવિધ જાતની કરવતો, હથોડીઓ, સ્ક્રૂડ્રાઇવર, રંધો, વાંસલો, શારડી કે ડ્રિલ જેવાં અનેક સાધનોનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોલી એ ચાર જાતિઓ વંશપરંપરાથી કાષ્ઠકળા-કારીગરી કરતી આવી છે. મેવાડા સુથારો મંદિરનાં રથ, પાલખી, ભંડાર વગેરે બનાવે છે. વળી તેઓ કાષ્ઠકામ ઉપર ચાંદીનાં પતરાં જડવાનું કામ પણ કરે છે. ગુર્જર અને પંચોલી સુથારો જૂના કાળે ગામડાંઓમાં રહીને ખેતીવાડીનાં ઓજારો બનાવવાનું કામ કરતા હતા. આજે તો તેઓ શહેરોમાં વસવા લાગ્યા છે અને ફર્નિચર બનાવવાનું અને આંતરિક સુશોભનનું કામ કરે છે. સુથારી કામના અલંકારપૂર્ણ કાષ્ઠસ્થાપત્યનો ઉપયોગ પહેલાંના સમયમાં મંદિરો, દેરાસરો અને શ્રેષ્ઠીઓનાં ઘરોમાં થતો હતો. ગુજરાતમાં સુથારી કામની અપાર સમૃદ્ધિ સિદ્ધપુર, પાટણ, અમદાવાદ, વસો, ખંભાત, ડભોઈ, સૂરત, મહુવા, જામનગર, ભાવનગર, વઢવાણ, ભુજ, છોટાઉદેપુર વગેરે અનેક સ્થળોમાં જોવા મળે છે. અમદાવાદ એક કાળે કાષ્ઠકોતરણી માટેનું જાણીતું કેન્દ્ર હતું. અહીંના સુથારો સીસમના લાકડા પર કોતરણી કરવા માટે અત્યંત કુશળ ગણાતા હતા. એકાદ સૈકા પહેલાં અમદાવાદમાં કાળુપુર પાંચપટ્ટીમાં રહેતા ચકુ ભૂદર અને સોમનાથ ભૂદરનો કાષ્ઠકંડારણ ક્ષેત્રે ડંકો વાગતો હતો. તેમના પિતા ભૂદર મિસ્ત્રી પાસે જાણીતા કવિ શ્રી દલપતરામે ‘રાસમાળા’નાં ચિત્રોની કોતરણી કરાવી હતી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી