Categories
વાચન સમૃદ્ધિ

પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો

બનાવશો નહીં ================

કલ્પના પણ કરી ન હોય તેમ માતાપિતા પોતાના બાળક પર બોજરૂપ બને છે. તેઓ તેમના મનની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાનો બોજ નાની વયના શિશુ પર લાદે છે અને એને એ દિશામાં દોરવાનો યત્ન કરે છે. પિતાની ઇચ્છા પુત્ર વેપારી બને તેવી હોય, તો તે પુત્રના જન્મથી જ એને વેપારી તરીકે જોશે. એની વેપારી તરીકેની કુનેહ ખીલવવા કોશિશ કરશે. પોતાના અનુભવો અને સિદ્ધિઓ કહીને બાળકને એ દિશામાં વાળવા પ્રયાસ કરશે. એને માટે કોઈ રસ્તો પણ બનાવી રાખશે.

આમ પિતા જે હોય છે તે અથવા તો જે બની શક્યા નથી તે, પોતાનો પુત્ર બને તેને માટે પ્રયાસ કરતા હોય છે અને તેથી જ પિતાની અતૃપ્ત ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષાઓનો બોજ બાળક પર પડતો હોય છે. બાળકને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવવા વિચારતા હોય છે. પુત્રને એન્જિનિયર બનાવવાની ઇચ્છાવાળા પિતાને એમ જાણ થાય કે પુત્રને નાટ્યવિદ્યા કે સંગીતકલામાં રસ છે, તો પિતા બેચેન બની જશે, કારણ કે એને તો બાળકને પોતાની ઇચ્છાના ઢાંચામાં ઢાળવો છે. એમાં કશુંક પ્રતિકૂળ થાય તો પિતાનો દિમાગ જતો રહે છે અને બાળકના ભાવિ વિશે ઘણી વાર નાહી નાખે છે.

પિતાના આ ‘બોજને કારણે બાળકનો નૈસર્ગિક વિકાસ રૂંધાય છે. એની અંદર પડેલી સર્જનાત્મકતા ગૂંગળાય છે. પિતા એના ખ્યાલોથી બાળકને બાંધવા પ્રયાસ કરે છે ત્યારે પિતાને મન જેનું મૂલ્ય હોય છે, તે બાળકને મન સાવ તુચ્છ હોય છે. બાળક કલાકાર બનવા માગતો હોય, તો એને ક્યારેય અઢળક ધનસંપત્તિના સ્વામી થવાનો વિચાર નહીં આવે, પરંતુ અઢળક સંપત્તિનો સ્વામી એવો એનો પિતા બાળકની કલારુચિ પ્રત્યે તિરસ્કાર દાખવીને એને પોતાને રસ્તે લઈ જવા પ્રયાસ કરશે. બાળકને માત્ર પ્રેમ આપવો એ જ પૂરતું નથી, એને ઓળખવો જોઈએ અને એની ઇચ્છાઓને આદર આપવો ઘટે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાવજી પટેલ

જ. ૧૫ નવેમ્બર, ૧૯૩૯ અ. ૧૦ ઑગસ્ટ, ૧૯૬૮

આધુનિક કવિ, વાર્તાકાર, નવલકથાકાર રાવજી પટેલનો જન્મ ભાટપુરામાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ. વતન ખેડા જિલ્લાનું વલ્લવપુરા ગામ. પ્રારંભિક શિક્ષણ વતનમાં ને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં. એસ.એસ.સી. અમદાવાદમાં. કૉલેજના બીજા વર્ષથી આર્થિક સંકડામણો અને બીમારીને લીધે અભ્યાસ છોડી દેવો પડેલો. મિલ, પુસ્તકાલય, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ વગેરેની કચેરીઓમાં નોકરી કરેલી ને મૂકી પણ દીધેલી. સ્વમાની સ્વભાવ. ક્ષયની બીમારીને લીધે ઝીંથરી(અમીરગઢ)ના તથા આણંદના ટી.બી. સૅનેટોરિયમમાં પણ રહેલા. તેમણે કેટલુંક સર્જન ત્યાં જ કરેલું.

‘અંગત’ (૧૯૭૦) એમનો મરણોત્તર અને એકમાત્ર કાવ્યગ્રંથ છે. એમની કવિતામાં રંગદર્શિતા અને આધુનિક વલણોનો સહજ સ્વીકાર જોવા મળે છે. જીવનની કપરી પરિસ્થિતિ, મૃત્યુની અનુભૂતિ અને જિજીવિષા, શહેરનો વસવાટ ને તેમાંની કૃતકતા સામે ચીડ, ગ્રામજીવનનું, સીમ-ખેતરનું આકર્ષણ, પ્રેમ માટેનો ઝુરાપો તેમની કવિતાના વિષયો રહ્યા છે. કૃષિજીવન આધારિત કલ્પન-પ્રતીકોને કારણે એમની કવિતામાં તાજગી જોવા મળે છે. ઇન્દ્રિયરાગ તથા ઇન્દ્રિયવ્યત્યય બંનેની લીલા તેમની કવિતાનું જમા પાસું છે. છંદપ્રભુત્વ પણ પ્રશંસનીય છે. પોતાની સંવેદનાને અનુરૂપ લયવિધાન અને ભાષાવિધાન રચવામાં તેઓ અનન્ય ગણાયા છે. તેમની કવિતામાં ગ્રામજીવન બહુ સફળતાથી અને કવિત્વમય રીતે પ્રગટ થયું છે. ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘મેંશ જોઈ મેં રાતી’, ‘તમે રે ઊંચેરા ઘરના ટોડલા’ – જેવી તેમની રચનાઓ ગુજરાતી ગીતકવિતામાં ચિરંજીવ રહેલી છે. તેમની ‘ઠાગાઠૈયા’, ‘એક બપોરે’, ‘ઢોલિયે’, ‘સ્વ. હુંશીલાલની યાદ’માં વગેરે રચનાઓ પણ ખૂબ પ્રશંસા પામી છે. ‘અશ્રુઘર’ લઘુનવલકથામાં ક્ષયગ્રસ્ત નાયક સત્યના અભાવોની, રોગની અને જીવનસંવેદનાની કથા નિરૂપાઈ છે. લલિતા અને સૂર્યા જેવી બે નારીઓની વચ્ચે સંઘર્ષ દર્શાવીને તેમાં તીવ્રતા અને ઊંડાણ લવાયાં છે. ‘ઝંઝા’ – ડાયરી શૈલીમાં લખાયેલી નવલકથા છે. બંને નવલકથાઓમાં ભાષા પરત્વે કવિ રાવજીનો પ્રભાવ વધુ જોવા મળે છે. ‘વૃત્તિ અને વાર્તા’ પણ તેમનું મરણોત્તર પ્રકાશન છે. ગ્રામપરિવેશ અને નગરપરિસર બેઉને પીઠિકા રૂપે આલેખતી ભાષાભિવ્યક્તિ આસ્વાદ્ય છે. તેમની ‘સગી’, ‘છબીલકાકાનો બીજો પગ’ તથા ‘ઘેટાં’ જેવી વાર્તાઓ ધ્યાનપાત્ર છે.

ક્ષયમાં ફેફસાં સપડાતાં અમદાવાદમાં યુવાનવયે તેમનું અવસાન થયેલું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

જસદણ

રાજકોટ જિલ્લાના રાજકોટ સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તે જ નામનું તાલુકા  મથક. આ તાલુકામાં જસદણ અને વીંછિયા બે શહેરો અને ૧૦૦ ગામો છે. જસદણ નામ ક્ષત્રપ રાજા ચષ્ટનના નામ ઉપરથી પડ્યું હોવાનું અનુમાન છે. આ તાલુકાની દક્ષિણે અમરેલી જિલ્લો, પશ્ચિમે રાજકોટ જિલ્લાના ગોંડળ, કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકાઓ, ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો અને પૂર્વમાં ભાવનગર જિલ્લો આવેલા છે. આ તાલુકાનો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાને સ્પર્શતો ઉત્તર તરફનો ભાગ ડુંગરાળ છે. બાકીનો સમગ્ર તાલુકો સરેરાશ ૧૫૦ મી.ની ઊંચાઈ ધરાવતો સપાટ પ્રદેશ છે. જસદણથી શરૂ થતી યાંગા ડુંગરમાળાવાળો ઉચ્ચ પ્રદેશ આનંદપુર ભાડલા પાસે ૩૦૩ મી. ઊંચો છે અને તેના ફાંટા દક્ષિણ અને ઉત્તર તરફ ફેલાયેલા છે. જમણી બાજુનો ફાંટો મંદાર ટેકરીઓ તરીકે ઓળખાય છે. આ તાલુકામાં સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર જસદણથી ઉત્તરે ૧૧.૨ કિમી. દૂરથી નીકળે છે અને શરૂઆતના ૧૯.૨ કિમી. સુધી દક્ષિણે વહે છે. આ નદીમાં બારે માસ પાણી રહે છે. બીજી એક નદી ઘેલો છે. તેની ઉપર ઘેલા સોમનાથનું પ્રખ્યાત શિવમંદિર છે.

આ તાલુકો સમુદ્રથી દૂર છે તેથી આબોહવા વિષમ છે. મે માસમાં વધારે ગરમી પડે છે. તાપમાન ૪૦ સે.થી વધીને ૪૫ સે. થાય છે. જાન્યુઆરી સૌથી વધુ ઠંડો માસ છે. સરેરાશ દૈનિક તાપમાન ૨૯.૪ સે. અને લઘુતમ સરેરાશ તાપમાન ૧૦ સે. રહે છે. ઑક્ટોબર માસમાં બીજી વખત વધુ તાપમાન રહે છે. તાલુકામાં ૬૧૭.૫ મિમી. વરસાદ પડે છે, જ્યારે જિલ્લામાં સરેરાશ વરસાદ ૫૮૯.૭ મિમી. છે. બધો વરસાદ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં પડે છે. આ તાલુકામાં ૭૮૭૭ હેક્ટરમાં જંગલો છે. તેમાં બાવળ, ગાંડો બાવળ, ઘાસ, આવળ, ખાખરો વગેરે વૃક્ષો છે. જંગલમાં દીપડા, જરખ, શિયાળ, વરુ, ઘોરખોદિયું, ચીતળ, કાળિયાર, શેળો, નોળિયો, સસલું વગેરે પ્રાણીઓ જોવા મળે છે. બટેર, તેતર, કાળોકોશી, બાજ, ટિટોડો, કબૂતર, હોલો, સમળી, ગીધ, કાબર, કાગડો જેવાં પક્ષીઓ જોવા મળે છે. જળસાપ, નાગ, ચીતળો, ચાકણ વગેરે સાપની વિવિધ જાતો જોવા મળે છે. ગાયો, ભેંસ, ઘેટાં, બકરાં વગેરે પ્રાણીઓની પણ સારી સંખ્યા છે. જસદણ તાલુકામાં ખાદ્ય પાકો વવાય છે. કુલ ખેતીલાયક જમીન પૈકી તેનું પ્રમાણ ૩૪.૩૮% છે. જુવાર, બાજરી અને ઘઉંનું વાવેતર મુખ્ય છે. અન્ય પાકોમાં શેરડી, મગફળી, કપાસ અને જીરું છે. ૬૨,૩૩૯ હેક્ટર જમીન અખાદ્ય પાકો નીચે હતી. તલ થોડા પ્રમાણમાં વવાય છે. કપાસ ૯,૩૨૯ હેક્ટરમાં વવાય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આ જિલ્લામાં જસદણ ખાતે ઔદ્યોગિક વસાહત છે. તેલ મિલ, કપાસ લોઢવાનું જિન તથા કેટલાક હસ્તઉદ્યોગો આ તાલુકામાં આવેલ છે. ૨૦૦૧માં આ તાલુકાની વસ્તી ૨,૬૨,૯૩૦ હતી. ચોથા ભાગની વસ્તી હિંદુ છે. જૈન અને મુસલમાનોની થોડી વસ્તી છે. હિંદુઓ પૈકી કાઠી કોમની થોડી વસ્તી છે. આ કોમ લડાયક કોમ તરીકે જાણીતી છે.

ઇતિહાસ : જસદણથી ઈશાન ખૂણે ૧૧.૨ કિમી. ઉપર ક્ષત્રપકાલીન શિલાલેખ મળી આવ્યો હતો. તે તેની પ્રાચીનતા સૂચવે છે. જૂનાગઢના ઘોરી વંશના નવાબના શાસન દરમિયાન જસદણ ઘોરીગઢ તરીકે ઓળખાતું હતું. અહીં કાઠીઓના હુમલા ખાળવા કિલ્લો બંધાયો હતો. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાના સમકાલીન (૧૫૭૨) લોમા ખુમાણના વંશજ જસા ખુમાણ પાસેથી ૧૬૬૫માં વિકા ખાચરે જસદણ કબજે કરી આજુબાજુનો પ્રદેશ કબજે કર્યો હતો. જસદણ તાલુકાના હીંગોળગઢમાં ઘોડા-ઉછેર કેન્દ્ર હતું. હવે તે પક્ષીઓના અભ્યાસ માટેનું કેન્દ્ર બન્યું છે. ભોંયરાની પ્રાચીન ગુફાઓ હીંગોળગઢ નજીક છે. બીજું મોટું ગામ વીંછિયા છે. આ શહેરમાં માધ્યમિક શાળા અને કુમાર અને કન્યાશાળા, પુસ્તકાલય અને બાલમંદિર છે. શહેરનો નાનકડો બગીચો છે. વીંછિયા વેપારી કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્ર્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જસદણ, પૃ. ૬૪૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર