Categories
વાચન સમૃદ્ધિ

રવિ કોંડોલા રાવ

જ. 11 ફેબ્રુઆરી 1932 અ. 28 જુલાઈ 2020

ભારતીય અભિનેતા, પટકથાલેખક, નાટ્યકાર, પત્રકાર અને લેખક રવિ કોંડોલા રાવનો જન્મ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં થયો હતો. પિતા પોસ્ટમાસ્તર હતા. રવિ કોંડોલા રાવનું પ્રાથમિક શિક્ષણ શ્રીકાકુલમમાં થયું હતું. 1948માં રાજમુન્દ્રીમાં આરએસએસ અને હિન્દુ મહાસંમેલન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. એની સામે જે સત્યાગ્રહ થયો તેમાં રવિ કોંડોલા રાવે ભાગ લીધો હતો પરિણામે જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેમણે સાહિત્યનાં પુસ્તકોનું વાચન કર્યું. રાવ એક કુશળ પત્રકાર હતા. તેમણે તેલુગુ અખબારો અને સામયિકોમાં લેખનકાર્ય કર્યું હતું. રવિ કોંડોલા રાવ ‘મહોદય’ સાપ્તાહિક અખબાર માટે લેખ લખતા હતા. તેમણે ‘આનંદવાણી’ સાપ્તાહિક મૅગેઝિનમાં સહતંત્રી તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ‘વિજયા ચિત્રા’, ‘સિતારા’, ‘આંધ્ર જ્યોતિ’ અને અન્ય પ્રકાશનો સાથે પણ સંકળાયેલા હતા. તેમને લેખનની પ્રેરણા કોડાવતિગંતી કુટુમ્બા રાવ પાસેથી મળેલી. ‘મન ઓહાલુ’ એ ઉપનામથી તેઓએ વાર્તા લખવાનું શરૂ કરેલું. શ્રેષ્ઠ વાર્તાલેખન માટે નંદી પુરસ્કાર મળેલો. રવિ કોંડોલા રાવે તેલુગુ સિનેમા અને તેલુગુ થિયેટરમાં પણ કાર્ય કરેલું. તેમને ફિલ્મોમાં અભિનય કરવા માટેનું પ્રોત્સાહન મુલ્લાપુડી વેંકટા રમના, ગુથા રામીનેડુએ આપ્યું હતું. ફિલ્મમાં પ્રવેશ 1958માં શોભા સાથે અભિનેતા તરીકે કર્યો હતો. તેઓએ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કાર્ય કર્યું હતું. 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. તેમને ‘પ્રેમિંચી ચૂડુ’(1964)એ અભિનેતા તરીકે ઓળખ અપાવી હતી. ‘બ્લૅક ઍન્ડ વ્હાઇટ’ તેલુગુ સિનેમા પરના શ્રેષ્ઠ પુસ્તક માટે નંદી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પીઢ અભિનેત્રી રાધા કુમારી તેમનાં પત્ની હતાં. તેઓની સાથે લગભગ 100 ફિલ્મોમાં તેમણે સહ-અભિનેતા તરીકે કાર્ય કરેલું. તેમના ભાઈ આર. કામેશ્વર રાવ એક અગ્રણી ડબિંગ કલાકાર હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રવિ કોંડોલા રાવનું 88 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

તેગુસિગાલ્પા (Tegucigalpa)

મધ્ય અમેરિકાના હોન્ડુરાસ દેશનું પાટનગર તથા મોટામાં મોટું નગર. દેશના દક્ષિણ-મધ્ય વિસ્તારમાં પર્વતીય પ્રદેશમાં તે વસેલું છે. તે આશરે 14° 05´ ઉ. અક્ષાંશ તથા 87° 14´ પ. રેખાંશ પર અને સમુદ્રસપાટીથી લગભગ 1007 મીટરની ઊંચાઈએ આવેલું છે. ‘તેગુસિગાલ્પા’નો અર્થ ‘ચાંદીની ટેકરી’ એવો થાય છે. હકીકતમાં આ શહેરના ઉદ્ભવ અને વિકાસમાં તેની નજીક આવેલી ચાંદી અને સોનાની ખાણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હોન્ડુરાસના આ ડુંગરાળ પ્રદેશમાં શરૂઆતના ચાંદી અને સોનાની ખનન-છાવણી(mining camp)માંથી પિકાસો પહાડના ઢોળાવ  પર ચોલ્યુટેકા નદીના ઉત્તર કાંઠે એક ખાણકેન્દ્ર તરીકે મૂળ સ્પેનના લોકોએ ઈ. સ. 1578માં આ શહેરની સ્થાપના કરી હતી. 1880માં તે દેશનું પાટનગર બન્યું. ધીમે ધીમે તેનો વિકાસ થતો ગયો અને ઈ. સ. 1938માં ચોલ્યુટેકા નદીના સામેના કાંઠે વસેલા કોમાયાગ્વેલા શહેર સાથે તે ભળી ગયું. તેગુસિગાલ્પાનું જાન્યુઆરી માસનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 25° સે. અને 14° સે. તેમજ જુલાઈનું દૈનિક સરેરાશ ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 28° સે. અને 18° સે. જેટલું હોય છે. તેનો વાર્ષિક સરેરાશ વરસાદ 832 મિમી. જેટલો હોય છે.

તેગુસિગાલ્પા શહેર

આ નગરને હજુ સુધી રેલમાર્ગની સુવિધા મળી નથી. રેલમાર્ગની સેવાથી વંચિત એવાં દુનિયાનાં ખૂબ થોડાં પાટનગરો પૈકીનું તે એક છે. રેલપરિવહન સેવાઓની ત્રુટિના બદલામાં તેની હવાઈ તથા સડકપરિવહન સેવાઓ ઘણી સંતોષજનક છે. તે ટોકોન્ટિન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ધરાવે છે, જેનાથી તે દેશ અને દુનિયા સાથે સંકળાયેલું છે. વળી તેની નજીકથી પસાર થતા પાન અમેરિકન ધોરી માર્ગ દ્વારા તે ગ્વાટેમાલા, અલ સૅલ્વાડોર, નિકારાગુઆ અને મધ્ય અમેરિકાના અન્ય દેશો સાથે સંકળાયેલું છે. તે પૅસિફિક કાંઠા પરના દેશના અગત્યના બંદર સાન લોરેન્ઝો તેમજ દેશનાં અગત્યનાં નગરો સાથે સડકમાર્ગે જોડાયેલું છે. આ નગરમાં માત્ર સ્થાનિક વપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતી નાના પાયા પરની ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. આ પૈકી કાપડ, ખાંડ અને સિગારેટ જેવા ઉદ્યોગો મહત્ત્વના છે. આ નગરની અગત્યની ઇમારતોમાં ધારાસભાગૃહ, સરકારી સચિવાલય અને અન્ય વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે. આ નગર દેશની રાજકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હોન્ડુરાસની સ્વાયત્ત યુનિવર્સિટી (1847) અહીં છે. આ શહેરમાં 18મી સદીનાં ચર્ચ અને કેથીડ્રલ જોવાલાયક સ્થળો છે. વસ્તી : 13,26,460 (2023, આશરે).

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેગુસિગાલ્પા (Tegucigalpa), પૃ. 904 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેગુસિગાલ્પા/)

Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ શંકરશેઠ મુરકુટે

જ. 10 ફેબ્રુઆરી, 1803 અ. 31 જુલાઈ, 1865

ભારતીય પરોપકારી શિક્ષાવિદ અને સમાજસેવક જગન્નાથ મુરકુટેનો જન્મ મુરબાદમાં ધનિક મરાઠી પરિવારમાં થયો હતો. પિતા શંકરશેઠ સુવર્ણકાર હતા અને તેઓ શંકરશેઠ તરીકે ઓળખાતા. જગન્નાથ પોતે નાના શેઠ તરીકે જાણીતા થયા હતા. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થયું અને 18 વર્ષની વયે પિતા ગુમાવ્યા. તેઓ તેમનો પારંપરિક વ્યવસાય છોડીને મુંબઈમાં આવી વસ્યા. અહીં તેમણે પારસી અને અફઘાની વેપારીઓ સાથે વ્યવસાય કર્યો અને મુંબઈના વિકાસ અને શિક્ષણક્ષેત્રે અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે અનેક શાળાઓની સ્થાપના કરી. એ માટે તેમણે સ્કૂલ સોસાયટી અને નેટિવ સ્કૂલ ઑફ મુંબઈની સ્થાપના કરી. 1856માં તેમના દ્વારા સ્થાપિત મુંબઈ વિશ્વવિદ્યાલયની સૌથી પ્રાચીન કૉલેજમાંથી એક તે ઍલ્ફિન્સ્ટન કૉલેજ છે, જેમાં પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને નેતા, દાદાભાઈ નવરોજી, મહાદેવ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલગંગાધર ટિળક જેવા મહાનુભાવોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

તેમણે દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં સ્થપાયેલી સ્ટુડન્ટ લાઇબ્રેરી માટે આર્થિક સહાય કરી. હિન્દુ સમાજનો ભારે વિરોધ હોવા છતાં તેમણે મહિલાઓ માટેની શાળાની સ્થાપના માટે વિપુલ ધનરાશિ અર્પણ કરી. પોતાની શાળાઓમાં તેમણે અંગ્રેજી સાથે સંસ્કૃત લાઇબ્રેરી પણ સ્થાપી. 26 ઑગસ્ટ, 1852માં તેમણે બૉમ્બે ઍસોસિયેશનના નામે રાજનીતિક દળની સ્થાપના કરી જેમાં તત્કાલીન મુંબઈની એક પ્રસિદ્ધ વ્યક્તિ સભ્ય બની હતી. ગિરગાંવમાં નાના ચોક પાસે ભવાની – શંકરમંદિર અને રામમંદિર જગન્નાથ મુરકુટેની જ દેણ છે. પ્રાચીન મુંબઈનાં અનેક ક્ષેત્રે આજે પણ તેમનાં સ્થાપત્યો મુંબઈના વિકાસ અને મહત્ત્વપૂર્ણ યોગદાનનાં સાક્ષી છે. તત્કાલીન બ્રિટિશ રાજને પણ તેમણે મુંબઈનાં અનેક વિકાસકાર્યો માટે આર્થિક સહાયતા પ્રદાન કરી છે. જગન્નાથ મુરકુટેને મુંબઈના ‘આદ્ય શિલ્પકાર’ માનવામાં આવે છે.