Categories
વાચન સમૃદ્ધિ

સુભાષચંદ્ર બોઝ

જ. 23 જાન્યુઆરી, 1897 અ. 18 ઑગસ્ટ, 1945

ભારતમાં બ્રિટિશરો સામે સશસ્ત્ર લડાઈ કરનાર અને તે માટે આઝાદ હિંદ ફોજની રચના કરનાર મહાન સ્વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક, ઓડિશામાં થયો હતો. બાળપણથી જ તેમને અસામાન્ય બુદ્ધિમત્તા, ધૈર્ય, સંગઠનશક્તિ, અમોઘ વક્તૃત્વ જેવા ગુણોનું વરદાન મળ્યું હતું. કૉલકાતામાં બી.એ.ની પરીક્ષા પાસ કરી લંડનમાં આઈ.સી.એસ.નો અભ્યાસક્રમ પૂરો કર્યો. ત્યારબાદ ભારતમાં તેમના રાજકીય ગુરુ ચિત્તરંજન દાસની પ્રેરણાથી રાજકારણમાં આવ્યા અને બંગાળ કૉંગ્રેસમાં આગવું સ્થાન ઊભું કર્યું. 1938માં 41 વર્ષની વયે કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા. સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઈ 1941 સુધીમાં 11 વાર જેલવાસ ભોગવ્યો. 1939માં ગાંધીવાદી સભ્યો સાથે મતભેદ થતાં કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને કૉંગ્રેસમાં ફૉર્વર્ડ બ્લૉક સ્થાપ્યો. તેઓ માનતા કે બ્રિટિશ સામ્રાજ્યશાહી સામે સશસ્ત્ર સામનાની વધુ આવશ્યકતા છે. આ જ વર્ષ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સમગ્ર દેશનો પ્રવાસ કરી એક હજાર સભાઓ સંબોધી યુદ્ધવિરોધી પ્રચાર કર્યો. 17 જાન્યુઆરી, 1941ની રાત્રે કૉલકાતાના નિવાસસ્થાનેથી સરકારની નજરકેદમાંથી તેઓ નાસી છૂટ્યા. ત્યાંથી બર્લિન જઈ તેઓ હિટલરને મળ્યા. અહીં તેમણે હિંદી લોકોને બ્રિટિશરો વિરુદ્ધ સામનો કરવા પ્રેર્યા. ત્યારબાદ ટોકિયો ગયા અને તે પછી સિંગાપોર ગયા. સિંગાપોરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું અને તેમને ‘નેતાજી’ તરીકે વધાવી લેવામાં આવ્યા. અહીં તેમણે ‘ચલો દિલ્હી’ અને ‘જય હિંદ’ની ઘોષણા કરી. ‘તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’ એ આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો. જાન્યુઆરી, 1944માં તેઓ આઝાદ હિંદ ફોજનું મથક રંગૂન લઈ ગયા. તે પછી અંગ્રેજો સામે ભારતની સરહદે મરણિયો જંગ ખેલીને મોડક, કોહિમા, ફલામ, હાકા વગેરે મહત્ત્વનાં થાણાં કબજે કર્યાં, પરંતુ કુદરતી આફતને લીધે તથા વિશ્વયુદ્ધમાં જાપાનની હારને કારણે પીછેહઠ કરવી પડી. એમ કહેવાય છે કે નેતાજી 18 ઑગસ્ટ, 1945ની રાત્રે તાઇપેનથી ટોકિયો જતા હતા ત્યારે વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું. જોકે તેમના અવસાન અંગે હજી વિવાદ પ્રવર્તે છે. માતૃભૂમિની મુક્તિ માટે અવિરત પ્રયાસ કરનાર નેતાજી આજે પણ ભારતીય જનસમાજમાં જીવંત છે.

Categories
વાચન સમૃદ્ધિ

સંકટોની શીખ

કારમી ગરીબીને કારણે અમેરિકાની ડોરોથી ડિક્સને હંમેશાં કાળી મજૂરી કરવી પડી. વખતોવખત માંદગીથી ઘેરાઈ જતી હોવાને કારણે શરીર બીમાર હોય તોપણ જાત ઘસીને નહીં, બલ્કે તોડીને કામ કરવું પડ્યું. આને કારણે એ યુવાનીમાં જ વૃદ્ધ બની ગઈ. વળી જીવનમાં એવી કેટલીય અણધારી આપત્તિઓ આવી કે જેનો હિસાબ નહીં. એ પોતાની જિંદગીનું વિહંગાવલોકન કરતી ત્યારે એને એમ લાગતું કે જીવન એ એક યુદ્ધક્ષેત્ર જેવું છે કે જેમાં તૂટેલાં સ્વપ્નો, ભસ્મીભૂત થયેલી આશાઓ અને અણધાર્યા આઘાત ચોપાસ વિખરાયેલાં પડ્યાં છે. આકસ્મિક આફતોને કારણે એ શરીરથી નિર્બળ બની ગઈ અને સમય જતાં દિવ્યાંગ પણ થઈ ગઈ. આમ છતાં ડોરોથી ડિક્સ હંમેશાં વિચારતી રહી કે ગઈ કાલે આવેલી અઢળક મુસીબતોનો મેં સામનો કર્યો છે. આજે પણ હિંમતભેર એ મુસીબતો સામે લડી રહી છું. તો પછી આવતીકાલે આવનારી ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા શા માટે કરવી? મનમાં એવો વિચાર પણ શા માટે લાવવો ? ડોરોથી ડિક્સે આજના આનંદમાં જીવતાં ને રહેતાં શીખી લીધું અને તેને પરિણામે આવતીકાલની ચિંતામાંથી ઊગરી ગઈ. એ કહેતી હતી, ‘જો હું કાલે એના પર વિજય મેળવી શકું, તો આજે કેમ નહીં?’ અને આ વિચારને કારણે એણે ક્યારેય પોતાની જાત માટે લાચારી અનુભવી નહીં કે અણધારી આફતોની કલ્પના કરીને ક્યારેય ભયભીત થઈ નહીં. એણે જોયું કે જિંદગીમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેક હસવું આવે છે તો ક્યારેક રડવું આવે છે. ડોરોથી ડિક્સે નક્કી કર્યું કે ગમે તેટલાં સંકટોથી ઘેરાયેલી હોઈશ તોપણ અને ચિંતામાં ડૂબેલી હોઈશ તેમ છતાં એ સઘળી વાતો પ્રત્યે હું હસીશ. સંકટોને કારણે દુ:ખી નહીં થાઉં, કારણ કે આ સંકટો જ મને જીવનનો અખિલાઈથી પરિચય આપે છે અને સંઘર્ષો મને શીખવી ગયા છે કે જેના જીવનમાં સંઘર્ષ નથી, એ કશું પ્રાપ્ત કરી શકતા નથી.

Categories
વાચન સમૃદ્ધિ

જયંતીલાલ છોટાલાલ શાહ

જ. 22 જાન્યુઆરી, 1906 અ. 4 જાન્યુઆરી, 1991

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જયંતીલાલ શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. શાળેય શિક્ષણ અમદાવાદની આર. સી. સ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1929માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજીની હત્યા પછી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેઓ ગાંધી હત્યા કેસમાં નાથુરામ ગોડસે અને બીજા આરોપીઓ સામે કેસ ચલાવતી પબ્લિક પ્રોસિક્યૂશન ટીમનો ભાગ હતા. તેઓ 1949માં બૉમ્બે હાઈકોર્ટમાં ગયા અને દસ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું. ઑક્ટોબર, 1959માં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 11 વર્ષ પછી 17 ડિસેમ્બર, 1970માં તેઓ સુપ્રીમ કોર્ટના બારમા મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેઓ 21 જાન્યુઆરી, 1971ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા. સુપ્રીમ કોર્ટના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 728 ચુકાદાઓ આપ્યા હતા અને 2094 બેન્ચ પર બેઠા હતા. કેરળમાં ફૂડ પોઇઝનિંગનાં કારણોની તપાસ માટે ભારત સરકાર દ્વારા એક પંચ નીમવામાં આવ્યું હતું. તેઓ આ ઝેર તપાસ પંચના અધ્યક્ષ હતા. 28 મે, 1977ના રોજ ભારત સરકારના ગૃહમંત્રાલયે કટોકટી દરમિયાન કરવામાં આવેલા અતિરેકની તપાસ કરવા માટે એક પંચની રચના કરી. આ પંચના વડા તરીકે જયંતીલાલ શાહને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ઑગસ્ટ, 1978ના રોજ શાહ કમિશનનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલનાં 26 પ્રકરણો હતાં. જેમાં શાહ કમિશને તારણ કાઢ્યું હતું કે ઇન્દિરા ગાંધી દ્વારા 21 મહિના દરમિયાન આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અને સંરક્ષણ નિયમોની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજકીય વિરોધીઓને નુકસાન પહોંચાડવા માટે કટોકટીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો; એટલું જ નહીં, તેમણે એ પણ નોંધ્યું કે દેશમાં કટોકટી જાહેર કરવી પડે એવી કોઈ આર્થિક કે કાયદો અને વ્યવસ્થાની કટોકટી નહોતી.