Categories
વાચન સમૃદ્ધિ

પુષ્પાવલ્લી

જ. 3 જાન્યુઆરી, 1926 અ. 28 એપ્રિલ, 1991

તમિલ અને તેલુગુ ફિલ્મજગતનાં અભિનેત્રી પુષ્પાવલ્લીનો જન્મ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પેન્ટાપડુ ગામમાં થયો હતો. મૂળ નામ કંડાલા વેંકટ પુષ્પાવલ્લી તાયારમ્મા હતું, પરંતુ પુષ્પાવલ્લીના નામથી જ ફિલ્મજગતમાં જાણીતાં થયાં. ‘સંપૂર્ણ રામાયણ’ ચલચિત્રમાં બાળકલાકાર તરીકે બાળસીતાનું પાત્ર ભજવી, ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ કર્યા. ત્યારપછી બાળકલાકાર તરીકે અન્ય ચિત્રોમાં પાત્ર ભજવ્યાં. કુટુંબ માટે કલાકાર તરીકે મળતું મહેનતાણું ખૂબ આવશ્યક હતું. સતત ફિલ્મી સેટો પર સમય વીતતાં ફક્ત પાયાનું શિક્ષણ જ મેળવી શક્યાં. 1940માં વકીલ આઈ. વી. રંગાચારી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જોકે લગ્ન વધુ ના ટક્યાં અને 1946માં તેઓ જુદાં થયાં. રંગાચારી સાથેનાં લગ્નથી તેમને બે સંતાન થયાં. બાળકલાકારમાંથી તેઓ અભિનેત્રી તરીકે ચલચિત્રોમાં પાત્ર ભજવવા માંડ્યાં. જોકે મુખ્ય અભિનેત્રી તરીકે તેમનાં ખૂબ ઓછાં ચલચિત્રો હતાં. મોટા ભાગે તેઓ સહાયક અભિનેત્રી તરીકેનું જ પાત્ર ભજવતાં. બધું થઈને તેમણે કુલ 20-25 તેલુગુ અને તમિલ ચલચિત્રો કર્યાં હતાં. તેઓને ક્યારેય પોતાના અભિનય માટે પ્રશંસા મળી ન હતી. તેમનું ખૂબ વખણાયેલું ચલચિત્ર હતું ‘બાલા નાગમ્મા’ (1942), જેમાં સહાયક અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. 1947માં આવેલું ‘મીસ માલિની’ ક્રિટિક્સ દ્વારા વખાણાયેલું, પરંતુ બૉક્સઑફિસ પર નિષ્ફળ નીવડ્યું હતું. ‘મીસ માલિની’ ચલચિત્રથી તેઓ જેમિની ગણેશનના સંપર્કમાં આવ્યાં. ત્યારપછી પુષ્પાવલ્લી અને જેમિની ગણેશન સાથે રહેવા માંડ્યાં. બંને અગાઉથી પરણેલાં હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતાં. જેમિની ગણેશનથી પુષ્પાવલ્લીને બે પુત્રીઓ થઈ. રેખા અને રાધા. રેખા એટલે હિન્દી ફિલ્મજગતની ખ્યાતનામ અભિનેત્રી. જેમિની ગણેશનને અભિનેતા તરીકે ખૂબ નામના મળી હતી. તેમણે ક્યારેય પણ રેખા અને તેની બહેન રાધાને પુત્રી તરીકે અપનાવ્યાં ન હતાં. ધીમે ધીમે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. દીકરીઓના ઉછેર માટે તેમણે નાની નાની ફિલ્મોમાં સાધારણ પાત્રો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યારપછી પુષ્પાવલ્લીએ સિનેમૅટોગ્રાફર કે. પ્રકાશ સાથે લગ્ન કર્યાં અને પોતાનું નામ કે. પુષ્પાવલ્લી કર્યું. વધુ બે સંતાનોને જન્મ આપ્યો. પુત્રી રાધા લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી છે. પુત્રી ધનલક્ષ્મીએ તેજ સપ્રુ સાથે લગ્ન કર્યાં છે જ્યારે પુત્ર ડાન્સર સેશુ 1991માં અવસાન પામ્યો હતો. 1991માં પુષ્પાવલ્લીનું ડાયાબીટિસના રોગના કારણે અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

તામ્ર તકનીકી

તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી. ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં  આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

તાંબામાથી બનાવેલી વસ્તુઓ

ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તામ્ર તકનીકી, પૃ. 795 અથવા જુઓ https://gujarativishwakosh.org/તામ્ર-તકનીકી/)

Categories
વાચન સમૃદ્ધિ

દેવેન્દ્રપ્રસાદ ગુપ્ત

જ. 2 જાન્યુઆરી, 1933 અ. 26 ડિસેમ્બર, 2017

ભારતીય લોકશાહીના લડવૈયા, વનસ્પતિશાસ્ત્રી અને કેળવણીકાર દેવેન્દ્રપ્રસાદનો જન્મ બિહારમાં થયો હતો. તેમણે 1942માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જેને પરિણામે તેમના અભ્યાસમાં થોડાંક વર્ષો માટે રુકાવટ આવી ગઈ હતી. 11 વર્ષની નાની વયે તેઓ કૉંગ્રેસ સેવાદળના 1944થી 1947ના સભ્ય બન્યા હતા, જેમાં તેમને સ્વયંસેવકની તાલીમ મળી હતી અને તેઓ એક યુનિટના આગેવાન બન્યા હતા. 1942માં મહેશખુંટ ખાતે તેમને ડાબા પગની એડીમાં બંદૂકની ગોળી વાગવાથી ઈજા થઈ અને બે મહિના આરામ કરવો પડ્યો. તેમણે શાળામાં ત્રિરંગો લહેરાવ્યો હતો અને ‘હિંદ છોડો’ના કાર્યક્રમમાં ભાગ લીધો, આથી તેમણે શહેર છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે રાંચી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ લંડનમાં અભ્યાસ કર્યો. તેઓ રાંચી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થયા. ત્યારબાદ તેમણે આદિવાસી અને પછાત વર્ગના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમણે પોતાની કારકિર્દી એક ડેમૉન્સ્ટ્રેટર તરીકે શરૂ કરી અને ત્યારબાદ તેઓ પ્રગતિ કરતા ગયા અને છેવટે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ થયા. તેમણે બીજા બે પ્રોફેસરોની મદદથી માઇક્રોબાયૉલૉજી અને વનસ્પતિ પૅથૉલૉજીની શાખાઓ શરૂ કરી. વિદેશમાં તેઓ ઘણી બધી આંતરરાષ્ટ્રીય કન્વેનશન સાથે જોડાયેલા હતા અને તેમાં ભાગ લેતા હતા. તેઓએ ત્રીજી આંતરરાષ્ટ્રીય સિમ્પોસિયમ જે ઇટાલીમાં યોજાઈ હતી તેમાં પોતાનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ તેઓ ન્યૂ દિલ્હીના ભારતીય ફાયટોપૅથૉલૉજિકલ સોસાયટીના કાઉન્સિલર હતા અને બિહાર એજ્યુકેશન કાઉન્સિલ(ભારત)ના સભ્ય હતા. નિવૃત્તિ લીધા બાદ તેઓ બીથની યુનિવર્સિટી, કૅલિફૉર્નિયાના પ્રમુખ તેમજ સંશોધક થયા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે.