Categories
વાચન સમૃદ્ધિ

હાનેસ આલ્વેન

જ. 30 મે, 1908 અ. 2 એપ્રિલ, 1995

સ્વીડનના પ્રસિદ્ધ ખગોળ-ભૌતિક વિજ્ઞાની અને પ્લાઝમા વિજ્ઞાની હાનેસ આલ્વેનનો જન્મ સ્વીડનના નોરકૂપિંગમાં થયો હતો. તેમણે અપ્સલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1934માં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1940માં તેઓ સ્ટોકહોમના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અને વિદ્યુતમાન જેવા વિષયના પ્રોફેસર બન્યા. 1945માં તેમને ઇલેક્ટ્રૉનિક્સ વિભાગના અધ્યક્ષનું પદ પ્રાપ્ત થયું. 1963માં તેમને પ્લાઝમા ભૌતિકી-વિજ્ઞાનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1967થી કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તેમજ ઑસ્લોની રૉયલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યુત-અભિયાંત્રિકી વિભાગમાં શિક્ષણકાર્ય કર્યું હતું. 1967માં તેમણે થોડો સમય સોવિયત સંઘમાં વિતાવ્યો. ત્યારબાદ અમેરિકામાં જઈ ત્યાં કાર્ય કર્યું. તેમણે પ્લાઝમા ભૌતિકીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમણે અરોરા વિજ્ઞાન, વેન ઍલન વિકિરણ બેલ્ટ, મૅગ્નેટોહાઇડ્રોડાયનેમિક્સ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર ચુંબકીય તોફાનોનો પ્રભાવ, સ્થલીય ચુંબક મંડળ અને મિલ્કીવે વગેરેમાં પાયાનું કામ કર્યું હતું. ચુંબકીય ઝંઝાવાત અને ધ્રુવીય જ્યોતિ (aurora) અંગેના તેમના સંશોધને પૃથ્વીના ચુંબકમંડળ (megneto Sphere) અંગેના આધુનિક સિદ્ધાંત પર ઊંડો પ્રભાવ પાડ્યો. ન્યૂક્લિયર સંલયન(fusion) પ્રક્રિયાને અંકુશમાં રાખવા માટે આલ્વેનનું સંશોધન પથદર્શક (pioneering) હતું. અંતરીક્ષ ભૌતિકશાસ્ત્રનું પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પ્રક્રિયા અંગેનું ‘ફ્રોઝન-ઇન-ફલક્સ’ પ્રમેય તેમનું અગત્યનું પ્રદાન છે. આનો ઉપયોગ તેમણે કૉસ્મિક કિરણોની ઉત્પત્તિ સમજાવવા માટે કર્યો હતો. 1942માં તેમણે કરેલી વિદ્યુતચુંબકીય તરંગોની શોધને ‘આલ્વેન તરંગો’ કહેવામાં આવે છે. તેમને તેમના જીવનકાળ દરમિયાન અનેક સુવર્ણપદકો તથા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ 1970માં તેમને ફ્રાન્સના લુઇ નીલ સાથે સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દારેસલામ

ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48´ દ. અ. અને 39° 17´ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે.  આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર : 1393 ચોકિમી. તેની વસ્તી આશરે 85 લાખ (2025) છે. આ શહેર વિષુવવૃત્તની દક્ષિણે આવેલું છે. ત્યાં હવા ગરમ અને ભેજવાળી હોય છે. આખા વરસ દરમિયાન સરેરાશ તાપમાન 26° સે. રહે છે. વરસ દરમિયાન સરેરાશ 1067 મિમી. વરસાદ પડે છે. અહીં ડાંગર, મકાઈ, શેરડી, રૂ, સીસલ, કૉફી, નારિયેળ, તમાકુ, કાજુ અને લવિંગ ખેતીના પાકો છે. સોનું, હીરા, મીઠું અને ફૉસ્ફેટ એ ત્યાંનાં મુખ્ય ખનિજો છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી આ નગરનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. કાપડ, સાબુ, રંગ, સિમેન્ટ, રસાયણ, દવા, કાચ, સિગારેટ, મોટર વગેરે ઉદ્યોગો ઉપરાંત દારૂ, ધાતુની વસ્તુઓ અને ખોરાકી ચીજો બનાવવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે. 1956 પૂર્વે આ બંદરે આરબ વહાણો અને બજરા (barge) અને લાઇટરો દ્વારા માલની ચડઊતર થતી હતી. 1956માં ઊંડા પાણીમાં પ્રિન્સેસ માર્ગારેટ ધક્કો બંધાતાં કિનારા સુધી સ્ટીમરો આવે છે. આ બંદર દ્વારા રૂ, સીસલ, કૉફી, ચામડાં, હીરા, સોનું, મીઠું અને કાજુની નિકાસ થાય છે; જ્યારે યંત્રો, દવા, પેટ્રોલિયમ, કાપડ વગેરેની આયાત થાય છે. 1907માં દારેસલામને ટાંગાનિકા સરોવર ઉપરના કિગોમાને જોડતી 1,255 કિમી. લાંબી રેલવેલાઇન નંખાઈ. તેની એક શાખા ટબોરાથી ઉત્તરે લેક વિક્ટોરિયા ઉપરના મ્વાંઝા સુધી અને બીજી શાખા કીલોસાથી કિલોમ્બેરો ખીણ અને રૂવુથી ટાંગા લાઇન ઉપરના મન્યુસી સુધી જાય છે. અહીં હવાઈ મથક પણ છે. 1945 પછીથી ત્યાં સરકારી અને વેપારીગૃહોનાં આલીશાન મકાનો બંધાયાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દારેસલામ, પૃ. 311 અથવા જુઓ https://gujarativishwakosh.org/દારેસલામ/)

Categories
વાચન સમૃદ્ધિ

હીરાબાઈ બરોડેકર

જ. 29 મે, 1905 અ. 20 નવેમ્બર, 1989

શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં ગાયિકા હીરાબાઈ બરોડેકરનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મિરજમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચંપાકલી હતું. પિતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને માતા તારાબાઈ. તેમણે પુણેની હજુરપાગા સ્કૂલ અને પછી સેન્ટ મેરી કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ તેમના ભાઈ સુરેશબાબુ માને પાસેથી અને પછી ઉસ્તાદ અબ્દુલ વહીદખાન પાસેથી મેળવી. તેમણે 1921માં પુણેના ગાંધર્વ મહાવિદ્યાલયના સંગીતસમારોહમાં પ્રથમ કાર્યક્રમ આપ્યો. તેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ છોટા ખ્યાલ, બડા ખ્યાલ, ઠૂમરી, મરાઠી નાટ્યસંગીત, અભંગ અને ભજન માટે જાણીતાં હતાં. તેમણે ‘નૂતન સંગીત વિદ્યાલય નાટ્યશાળા’ની સ્થાપના કરી હતી. HMVએ તેમની મરાઠી ભજનોની અને હિન્દીની રેકર્ડસ બહાર પાડી હતી. તેમની 75 જેટલી રેકર્ડસ રિલીઝ થઈ હતી. ચાળીસ જેટલાં રેડિયોસ્ટેશન પરથી તેમનાં ગીતો પ્રસારિત થયાં છે. જલંધરમાં દર વર્ષે યોજાતા હરિવલ્લભ મેળામાં ગાનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેમણે સંગીત ઉપરાંત નાટકમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ‘સૌભદ્ર’, ‘સાધ્વી મીરાંબાઈ’, ‘સંશય કલ્લોલ’, ‘યુગાંતર’, ‘વિદ્યાહરણ’, ‘સ્ત્રી-પુરુષ’ વગેરે નાટકોમાં તેમજ ‘સુવર્ણમંદિર’, ‘પ્રતિભા’, ‘સંત જનાબાઈ’ વગેરે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે પણ કામ કર્યું હતું. 15 ઑગસ્ટ, 1947ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી વંદે માતરમ્ ગાવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે 1949માં દક્ષિણ આફ્રિકા અને 1953માં ચીનની મુલાકાત લીધી હતી. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, વિષ્ણુદાસ ભાવે પુરસ્કાર, બાલગંધર્વ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘ગાનહીરા’ પદવી આપી હતી.