Categories
વાચન સમૃદ્ધિ

બેવડી જવાબદારી

સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લૉંગફેલો(ઈ.સ. 1807થી ઈ.સ. 1882)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની. મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠ્યાં. હેન્રી ડબલ્યુ. લૉંગફેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું. એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દૃશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા. ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુ:ખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય. પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે રમવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળ્યે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા. બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના ‘ધ ચિલ્ડ્રન્સ અવર’ કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લૉંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વિનાયક સાવરકર

જ. 28 મે, 1883 અ. 27 ફેબ્રુઆરી, 1966

સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિકારી, પ્રખર હિંદુત્વવાદી સમાજસુધારક અને સાહિત્યકાર વિનાયક સાવરકરનો જન્મ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચશિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. 1904માં મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ વર્ષ એલએલ.બી.ની તથા 1905માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની આર્થિક સહાયથી 1906માં બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયા. 1909માં બાર-ઍટ-લૉની પરીક્ષા પાસ કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. પંદર વર્ષની વયે સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. 1900માં નાશિક ખાતે યુવા સંગઠનની રચવાની પહેલ, 1903માં રાષ્ટ્રભક્તિથી અભિભૂત થઈ પ્રથમ કવિતા ‘જ્યોસ્તુતે’ની રચના કરી સાહિત્યસર્જનની શરૂઆત કરી. 1904માં ‘અભિનવ ભારત’ ક્રાંતિ-સંગઠનની સ્થાપનામાં પણ સક્રિય ભાગ લીધો. 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઉજવણીમાં ભાગ લીધો. ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના કર્ણધાર જૉસેફ મૅઝિનીના લખેલ ચરિત્રનું પ્રકાશન કર્યું. 1910માં પૅરિસ ખાતે બૉમ્બ બનાવવાની ટૅકનિક જાણવા ગયા પણ ત્યાં ધરપકડ થઈ. ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શૌચાલયમાંથી દરિયામાં છલાંગ મારી અને ડિસેમ્બરમાં ‘કાળાપાણી’ની જન્મટીપની કઠોર શિક્ષા ભોગવી. તેમને આંદામાનની સેલ્યુલર જેલની એકલ કોટડીમાં ગોંધી રાખી ઘાણી ચલાવવા જેવી કઠોર શારીરિક શ્રમની સજા કરી. કેદીઓ પરના જુલમોનો વિરોધ કરવા ભૂખહડતાળ અને સામૂહિક પ્રદર્શન ચાલુ રાખ્યાં. મરાઠીમાં રચેલું ‘કમલા’ મહાકાવ્યનું નિર્માણ ખીલી જેવી અણીદાર વસ્તુથી જેલની કોટડીની ભીંત પર કોતર્યું હતું. લગભગ એક વર્ષ સુધી બંગાળની અલિપુર જેલ તથા મુંબઈની રત્નાગિરિ જેલમાં પૂરવામાં આવ્યા. થોડો સમય પુણેની યરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા. 1924ના જાન્યુઆરીમાં રાજકારણમાં ભાગ નહીં લેવાની તથા રત્નાગિરિ જિલ્લાની સરહદની બહાર ન જવાની શરતે છોડવામાં આવ્યા. 1970માં તેમની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. 2002માં પૉર્ટ બ્લેર ઍરપૉર્ટને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ જાહેર કરવામાં આવ્યું. 2003માં ભારતીય સંસદમાં તેમનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

આબુ પર્વત

રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ. આબુ પર્વત ૨૪° ૩૬´ ઉ. અક્ષાંશ અને ૭૨° ૪૫´ પૂ. રેખાંશ પર આવેલ છે. તે અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ છે. તેની લંબાઈ આશરે ૩ કિમી. અને પહોળાઈ ૧૦ કિમી. જેટલી છે. આબુ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ‘ગુરુશિખર’ સમુદ્રની સપાટીથી ૧૭૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતનાં મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભિગાલિયા ટેકરી, અધ્ધરદેવી ટેકરી, અચલગઢ અને સનસેટ પૉઇન્ટ મુખ્ય છે. માઉન્ટ આબુ હવા ખાવાનું પ્રખ્યાત સ્થળ ગણાય છે. દિલ્હી-અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. ઈ. સ. ૧૯૫૬ સુધી આબુ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો; પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે.

પુરાણકથા પ્રમાણે પ્રાચીન કાળમાં અહીં ખીણ-વિસ્તાર પણ હતો. બાજુમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ હતો. ઋષિની ગાય કોઈ કોઈ વાર ખીણમાં પડી જતી. આથી ઋષિએ તેમના શિષ્ય અર્બુદને બોલાવી ખીણ પુરાવી દીધી. અર્બુદ પોતે ખીણ ઉપર વસી ગયો. આ ઉપરથી આ પર્વત અર્બુદાચલ કહેવાયો. સમયાંતરે તેનું નામ ‘આબુ’ થયું. અધ્ધરદેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. પર્વત ઉપર ઘણાં પૌરાણિક-ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો છે. હિન્દુઓ અને જૈનોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે. આરસની સુંદર કોતરણીવાળાં દેલવાડાનાં દેરાં અનુપમ છે. વારંવાર જોવાનું મન થાય એવું તેનું શિલ્પ અને સ્થાપત્ય તેની એક આગવી અસ્મિતા દાખવે છે. ગુજરાતના તે સમયના જૈન મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે તે બંધાવેલાં. આ ઉપરાંત નખી તળાવ, ટૉડ રૉક, ગૌમુખ, રઘુનાથજીનું મંદિર વગેરે પણ જોવાલાયક સ્થળો છે. ગિરિમથક હોવાને કારણે ઉનાળામાં અહીં પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. પ્રવાસીઓ માટે અહીં આવાસની સુંદર સુવિધા છે. અહીં કેટલીક મિશનરી શાળાઓ પણ આવેલી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીનો આશ્રમ પણ અહીં છે. આ ઉપરાંત ગુરુશિખરની નજીકની ટેકરી પર સંદેશાવ્યવહારની સુવિધા માટે ટાવર ઊભું કરાયું છે. આ રીતે જોતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આબુ પર્વત, પૃ. 112)