ચીનના મહાન સંત અને ચિંતક કૉન્ફ્યૂશિયસે(ઈ. પૂ. 551થી ઈ. પૂ. 479) 17 વર્ષની ઉંમરે ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતનો અભ્યાસ કર્યો અને બાવીસમા વર્ષે તો પોતાના ઘરમાં જ પાઠશાળા સ્થાપીને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. નમ્ર, વિવેકી અને સત્યવક્તા કૉન્ફ્યૂશિયસની શિક્ષણ આપવાની પદ્ધતિ સૉક્રેટિસની જેમ પ્રશ્નોત્તર સ્વરૂપની હતી. એક વાર કેટલાક રાજનીતિજ્ઞો એમની સાથે વિચારવિમર્શ કરવા આવ્યા અને એમાંના એક નેતાએ પ્રશ્ન પૂછ્યો, ‘કૃપા કરીને અમને કહો કે કઈ વ્યક્તિ આદર્શ અને ઉત્તમ શાસક બની શકે ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘મહાનુભાવ, જેની પાસે પ્રજાના પાલન-પોષણ માટે પર્યાપ્ત સાધન હોય, દેશની રક્ષા માટે જરૂરી સેના અને શસ્ત્રાસ્ત્ર હોય અને જેના પર પ્રજાને પૂર્ણ વિશ્વાસ હોય, એ જ વાસ્તવમાં ઉત્તમ અને આદર્શ શાસક સાબિત થઈ શકે.’ રાજનીતિજ્ઞે વળતો પ્રશ્ન પૂછ્યો, ‘પરંતુ આ ત્રણમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત કઈ ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘આ બધાંમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ પ્રજાનો વિશ્વાસ છે. શાસક કે સરકાર પ્રત્યે જો જનતાનો વિશ્વાસ ડગી જાય, તો એનું પતન નિશ્ચિત છે, કારણ કે આધુનિક શસ્ત્રો કે સર્વોત્તમ સાધન વગેરે તો ધનથી ખરીદી શકાય, પરંતુ પોતાનું સર્વસ્વ આપી દેવા છતાં વિશ્વાસ ખરીદી શકાતો નથી.’ આ સાંભળી નેતાએ વળતો પ્રશ્ન કર્યો, ‘પ્રજાનો આવો વિશ્વાસ કઈ રીતે સંપાદિત થાય ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે ઉત્તર આપતાં કહ્યું, ‘આ વિશ્વમાં વિશ્વાસ એક એવી બાબત છે કે જે વ્યક્તિ પોતાની દૃષ્ટિ અને આચરણથી પ્રાપ્ત કરી શકે છે. આને માટે આત્માની શુદ્ધતા આવશ્યક છે. જો જનતાનો વિશ્વાસ કોઈ મોટા રાજનેતા પરથી ઊઠી જાય, તો એ જ ક્ષણે પ્રજાની નજરમાંથી આકાશમાંથી સીધો જમીન પર ફેંકાઈ જાય છે.’
કુમારપાળ દેસાઈ
