Categories
વાચન સમૃદ્ધિ

ઇજિપ્ત (મિસર)

આફ્રિકા ખંડના ઈશાન ખૂણામાં આવેલો દેશ.

તે ૨૨°થી ૩૨° ઉ. અ. અને ૨૫°થી ૩૬° પૂ. રે. વચ્ચેનો ૧૦,૦૨,૪૫૦ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો વિકાસ ઇજિપ્તમાં નાઇલ નદીને કિનારે થયો હતો. ઇજિપ્તની ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, ઈશાનમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ગાઝાપટ્ટી આવેલા છે. પૂર્વમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં સુદાન અને પશ્ચિમમાં લિબિયા આવેલા છે. ઇજિપ્ત વિશ્વનો ૧૪મો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પ્રાકૃતિક રચના પ્રમાણે ઇજિપ્તને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (૧) નાઇલની પૂર્વમાં અરબસ્તાનનું રણ, (૨) નાઇલની પશ્ચિમમાં લિબિયાનું રણ અને (૩) નાઇલની ખીણનો ફળદ્રૂપ પ્રદેશ. મોટા ભાગનું ઇજિપ્ત નાઇલ નદીના કિનારે વસેલું છે. તેના કુલ વિસ્તારના આશરે 90% જેટલો ભાગ રણપ્રદેશ છે. નાઇલ નદીમાં દર વર્ષે ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં પ્રચંડ પૂર આવે છે. આ નદીનાં પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તેના માટે નહેરો તૈયાર કરવામાં આવી છે. આસ્વાન બંધ, સુએઝ નહેર, યૂસુફ નહેર અને અહમદી નહેર જાણીતાં છે. ઇજિપ્તના દરિયાકિનારાની લંબાઈ લગભગ ૨,૪૫૦ કિમી. છે.

અહીં ભેંસ, બકરાં, ઘેટાં, ઊંટ, ગધેડાં અને મરઘાં જેવાં પાલતુ પ્રાણીઓ અને થોડા પ્રમાણમાં શિયાળ, લોંકડી, ભુંડ, જરખ, મગર અને હિપોપૉટેમસ મળે છે. ઇજિપ્તમાં મુખ્ય પાક ખજૂરનો છે. તે મબલક થાય છે. ઉત્તમ પ્રકારના રૂ માટે ઇજિપ્ત બીજા ક્રમે આવે છે. અહીં દ્રાક્ષ, નારંગી, ઑલિવ, અંજીર, મોસંબી, લીંબુ, કપાસ, ઘઉં, બાજરી અને શેરડીના પાકો લેવામાં આવે છે. અહીં ખનિજસંપત્તિ નહિવત્ છે. રાજધાની કૅરો આફ્રિકાનું સૌથી મોટું અને ઝડપથી વિકસતું શહેર છે. ઍલેક્ઝાન્ડ્રિયા વેપારનું મોટું મથક છે. આ દેશની વસ્તી ૧૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન મિસરના લોકોએ કલા, શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રે અજોડ પ્રગતિ સાધી હતી. ઇજિપ્તના રાજવીઓ ‘ફારોહ’ કહેવાતા. શંકુઘાટના પિરામિડો નામે ઓળખાતી રાજા-રાણીઓની કબરો ઇજિપ્તની વિશિષ્ટતા છે. ગિઝેહ (ગીઝા) પાસે આવેલ પિરામિડ તથા સ્ફિંક્સની મહાકાય પ્રતિમા જોવા લાખો પ્રવાસીઓ ઇજિપ્તની મુલાકાત લે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇજિપ્ત (મિસર), પૃ. 148)

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ રોક્સબર્ગ

જ. 29 જૂન, 1751 અ. 18 ફેબ્રુઆરી, 1815

સ્કોટિશ તબીબ અને વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્સબર્ગનો જન્મ ક્રેગી નજીક આયરશાયર(Ayershire)માં થયો હતો. ભારતમાં વનસ્પતિશાસ્ત્રક્ષેત્રે આવેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ભારતીય વનસ્પતિવિજ્ઞાનના જનક (Father of Indian Botany) માનવામાં આવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ‘અંડરવુડ પૅરિસ’ શાળામાં લીધું. 1771માં મૅટ્રિક પાસ કર્યા બાદ તેમણે ડૉ. એલેકઝાન્ડર મોનરોના હાથ નીચે તબીબી શસ્ત્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જોન હોપના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1772માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાં સર્જન તરીકે ભારત આવ્યા. અહીં મદ્રાસ (ચેન્નાઈ) અને બીજાં કેટલાંક બંદરો પર પોતાની સેવાઓ આપી. 28 મે, 1776ના રોજ તેઓ ચેન્નાઈ મેડિકલ સર્વિસમાં સહાયક સર્જન તરીકે અને 1780માં મુખ્ય સર્જન તરીકે નિયુક્ત થયા. તેમને પ્રથમ ડૉક્ટરેટ(M.D.)ની ઉપાધિ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી મળી જ્યારે બીજી ડૉક્ટરેટની પદવી એબરડીનની મેરિશ્ચલ(Marischal) કૉલેજમાંથી પ્રાપ્ત થઈ. ભારતમાં રહી તેમણે વનસ્પતિ, છોડ, પર્ણ તથા જડીબુટ્ટીઓનો ગહન અભ્યાસ કર્યો. 1793માં તેઓને કૉલકાતાના શિવપુરમાં આવેલા રૉયલ બૉટનિકલ ગાર્ડનના અધિક્ષક નિયુક્ત કરાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પોતાનાં સંશોધનો માટે ભારતીય કલાકારોને અસંખ્ય વનસ્પતિઓનું ચિત્રીકરણ કરવાનું કામ સોંપ્યું. તેમણે વનસ્પતિની અનેક પ્રજાતિઓનું વર્ણન Icones Roxburghianeeમાં પ્રકાશિત કર્યું. તેમણે ભારતની હજારો વનસ્પતિઓની પ્રમાણભૂત માહિતી આપતો દસ્તાવેજ રજૂ કરી આધુનિક વનસ્પતિશાસ્ત્રનો પાયો નાંખ્યો. તેમણે ‘ફ્લોરા ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું જે ભારતીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓના જ્ઞાન માટેનો સૌપ્રથમ આધારભૂત દસ્તાવેજ ગણાય. 1791માં તેમને રૉયલ સોસાયટી ઑફ એડિનબરોના ફેલો બનાવવામાં આવ્યા. 1805માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ આર્ટસનો સુવર્ણચંદ્રક, 1803માં ભારતમાં વૃક્ષોના વિકાસ પરના સંશોધનો માટેનો સુવર્ણચંદ્રક અને 1814માં નોફોર્ડના ડ્યુક દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરાયા. તેમને અનેક મરણોત્તર સન્માનો પણ પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગા

હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા, (8) વિંધ્યવાસિની દુર્ગા અને (9) રિપુમારી દુર્ગાનો સમાવેશ થાય છે. આગમો જણાવે છે કે નીલકંઠી ધન અને સુખ આપે છે, ક્ષેમંકરી તંદુરસ્તી આપે છે, હરસિદ્ધિ ઇચ્છેલું ફળ આપે છે, જયદુર્ગા સિદ્ધિ આપે છે અને રિપુમારી દુર્ગા શત્રુઓનો સંહાર કરે છે. જ્યારે વારાહપુરાણમાં દુર્ગાનાં નવ રૂપોમાં (1) શૈલપુત્રી, (2) બ્રહ્મચારિણી, (3) ચંદ્રઘંટા, (4) કૂષ્માણ્ડા, (5) સ્કંદમાતા, (6) કાત્યાયની, (7) કાલરાત્રી, (8) મહાગૌરી અને (9) સિદ્ધિદાત્રીને ગણાવવામાં આવ્યાં છે. પરિણામે શાક્તો અને તાંત્રિકો દુર્ગાની એક મૂર્તિ કે બીજાક્ષર કેન્દ્રમાં સ્થાપી તેની આજુબાજુ ચાર દિશાઓમાં ચાર અને ચાર કોણોમાં ચાર મળીને કુલ નવ દુર્ગાની મૂર્તિઓ કે બીજાક્ષરો મૂકી દુર્ગાની પૂજા કરે છે. ભારતમાં ચૈત્ર અને આસોની નવરાત્રીમાં દિવસમાં ત્રણ વાર દુર્ગાની પૂજા થાય છે અને દુર્ગાસપ્તશતીનો પાઠ કરાય છે. આઠમે કે નવમે દિવસે દસમા ભાગના પાઠને હોમીને નવચંડી વગેરે કરવામાં આવે છે અને કોળા(કૂષ્માણ્ડ)નું બલિદાન આપવામાં આવે છે. વળી શાક્ત સંપ્રદાયમાં નવ વર્ષની ઉંમરની રોહિણી નામથી ઓળખાતી કુમારી કન્યાને દુર્ગા તરીકે પ્રત્યક્ષ પૂજવામાં આવે છે.

દુર્ગાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. દેવી-ભાગવત મુજબ દુર્ગ કે દુર્ગમ નામના અસુરનો સંહાર કરવાથી તેનું નામ દુર્ગા પડ્યું છે. જ્યારે માર્કણ્ડેયપુરાણ મુજબ મહિષાસુર, શુંભ, નિશુંભ વગેરે રાક્ષસોનો સંહાર દુર્ગાએ કર્યો છે. ખાસ કરીને મહિષાસુરમર્દિની દુર્ગાનું સ્વરૂપ અતિપ્રસિદ્ધ છે. એ નોંધપાત્ર છે કે ભારતમાં દુર્ગાનાં પ્રસિદ્ધ મંદિરો પર્વતનાં શિખરો પર આવેલાં છે. બંગાળમાં નવરાત્રિના દિવસોમાં દુર્ગામહોત્સવથી અનેરો ઉત્સાહ વ્યાપી રહે છે. કલાકારો મહિષાસુરમર્દિની દુર્ગાની વૈવિધ્યપૂર્ણ પ્રતિમાઓ બનાવે છે; તેમની પૂજા કરે છે અને અંતિમ દિવસે તેમનું હુગલી આદિ નદીઓમાં વિસર્જન કરે છે. ‘દુર્ગાકલ્પદ્રૂપ’માં દુર્ગાના આરાધના-ઉપાસના વિશે વિગતે માહિતી મળે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી