Categories
વાચન સમૃદ્ધિ

મહેનતનો જાદુ

ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડ્યું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં. અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તોપણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા. આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમૉક્રૅટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડ્યા. એમણે ન્યૂયૉર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા. સમય જતાં અલ સ્મિથ ન્યૂયૉર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢ્યા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા. એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી 1928માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ ડિગ્રી એનાયત કરી. આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો માનદ પદવીધારક બની રહ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

એમર્સન રાલ્ફ વાલ્ડો

જ. 25 મે, 1803 અ. 27 એપ્રિલ, 1882

અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ એમર્સન રાલ્ફ વાલ્ડોનો જન્મ અમેરિકાના બોસ્ટનમાં થયો હતો. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બોસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી તેમની ફોઈએ તેમની સંભાળ રાખી હતી. તેમણે બૉસ્ટનની પબ્લિક લૅટિન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 18 વર્ષની ઉંમરે તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવી લીધી હતી. બૉસ્ટનની એક શાળામાં ત્રણ વર્ષ સુધી તેઓ શિક્ષક તરીકે રહ્યા હતા. 1825માં 22 વર્ષની વયે હાર્વર્ડની ડિવિનિટી સ્કૂલમાં દાખલ થયેલા. 1829માં પોતે પાદરી બન્યા, પરંતુ મનથી તેઓ જુનવાણી પ્રથાઓનો સ્વીકાર કરી શક્યા નહિ. તેમનાં પત્નીનું અવસાન થતાં 1832માં તેઓ પાદરીપદેથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. 1833માં તેઓ કૉન્કોર્ડમાં વસ્યા. અહીં તેમણે ‘ધ ફિલૉસૉફી ઑવ્ હિસ્ટરી’, ‘હ્યૂમન કલ્ચર’, ‘હ્યૂમન લાઇફ’ અને ‘ધ પ્રેઝન્ટ એજ’ જેવા વિષયો ઉપર રસપ્રદ વ્યાખ્યાનો આપ્યાં. ‘નેચર’ (1836) તેમનું પ્રથમ પ્રકાશન હતું. ‘રોડોરા’, ‘ઝેનોફેનીઝ’, ‘ઇચ ઍન્ડ ઑલ’, ‘ધ સ્નો સ્ટોર્મ’ વગેરે ઊર્મિકાવ્યો કૉન્કોર્ડના વસવાટ દરમિયાન રચાયાં. ‘ધી અમેરિકન સ્કૉલર’ હાર્વર્ડના બૌદ્ધિકોને ઉદ્દેશીને રજૂ થયેલાં વ્યાખ્યાનો છે. ‘એડ્રેસ એટ ડિવિનિટી કૉલેજ’માં ધાર્મિક સંસ્થાઓ અને જિસસના દેવત્વને આડખીલીરૂપ ગણાવ્યાં છે. અગોચર જ્ઞાનને પામવા મથતી તેમની ‘યૂન્સેન્ડેન્ટલ ક્લબ’ યુવકો માટે નવી પ્રેરણાનો સ્રોત્ર બની હતી. ‘યુરિયલ’ બોધકથા નવા સત્યને પામવાની મથામણ દર્શાવે છે. તેમણે ‘ધ ડાયલ’ નામનું સામયિક શરૂ કરેલું. ત્યારપછી તેમણે પોતાના નિબંધો બે ભાગમાં પ્રકાશિત કર્યા. જેમની ખ્યાતિ દેશદેશાવરમાં પ્રસરી હતી. ‘થ્રેનોડી’, ‘પોએમ્સ’ અને ‘મે-ડે’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘રિપ્રેઝન્ટેટિવ મૅન’, ‘ઇંગ્લિશ ટ્રેટ્સ’, ‘ધ કન્ડક્ટર ઑવ્ લાઇફ’, ‘થોરો’, ‘ધ બૉસ્ટન હિમ’, ‘વોલન્ટરિઝ’ તેમની અન્ય કૃતિઓ છે. ‘સોસાયટી ઍન્ડ સૉલિટ્યૂડ’ (1870) તેમની છેલ્લી ગદ્યકૃતિ હતી. તેમના પત્રવ્યવહારમાં 5000 પત્રોનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

આદિવાસી

જે તે પ્રદેશના મૂળ વતનીઓ. આદિવાસીઓ દેશની સંસ્કૃતિના એક ભાગરૂપ છે. તેઓ મુખ્યત્વે પહાડો અને જંગલોમાં વસતા આવ્યા છે; તેથી તેમને ગિરિજનો, વનવાસી, વનફૂલ, આદિવાસી, ‘પ્રિમિટિવ્ઝ’ વગેરે નામોથી ઓળખવામાં આવ્યા છે. ભારત સરકારે અલ્પ કે ઓછા વિકસિત સમુદાયોની જે યાદી તૈયાર કરી હતી તેમાં તેમને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે; તેથી તેઓ ‘અનુસૂચિત જનજાતિ’ના કહેવાયા. દેશમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબ સિવાય બધાં રાજ્યોમાં તેમની ઓછીવત્તી વસ્તી છે. દેશમાં આજે તેમની ૪૧૪ જેટલી જાતિઓ છે. ભારતના આદિવાસીઓને પોતાનો ધર્મ છે; જે પ્રકૃતિપૂજા, ગોત્રચિહ્ન, ગૂઢ આત્મવાદ, જાદુ, માનતા, મંત્ર-તંત્ર, ભગત-ભૂવા, ભૂત-પ્રેત, પિતૃપૂજા વગેરે પર આધારિત છે. પ્રકૃતિપૂજામાં તેઓ માને છે. ધરતી, પહાડ, ઝાડ, સૂર્ય, ચંદ્ર, વરસાદ વગેરેમાં તેઓ ગૂઢ શક્તિ હોવાનું માને છે. દુ:ખ, આફત, દુષ્કાળ, પૂર, વિનાશ, રોગચાળો, મરણ વગેરે પ્રકૃતિનાં તત્ત્વો નાખુશ થવાથી થાય છે એમ તેઓ માને છે; તેથી બલિ-ભોગ વગેરે દ્વારા તેમને ખુશ રાખવા પૂજા વગેરે કરે છે.

દેવતાની પૂજા કરતા આદિવાસીઓ   ભાંગોરિયા જાતિનું આદિવાસી નૃત્ય

મોટા ભાગના આદિવાસીઓને તેમના સમુદાયનાં સંચાલન અને નિયંત્રણ માટે તેમનાં પોતાનાં પરંપરાગત જ્ઞાતિપંચો હોય છે. આઝાદી પછી રાજકીય પક્ષો અને ચૂંટણીઓના પરિણામે રાજકીય સભાનતા અને હક્કોની સભાનતા તેઓમાં વધી છે. મિશનરીઓના સંપર્કના કારણે તેઓમાં ખ્રિસ્તીકરણ વધ્યું છે. પરિણામે ઈશુની માન્યતા, હિંદુ દેવ-દેવીઓની માન્યતાઓ, પૂજાવિધિ વગેરેમાં તેની અસર દેખાય છે. ગુજરાતના આદિવાસીઓ : ગુજરાત આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે. ઉત્તરે અંબાજીથી દક્ષિણના ઉમરગામ સુધીની સળંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં છૂટીછવાઈ આદિવાસી વસ્તી જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આદિવાસી, પૃ. 105)