Categories
વાચન સમૃદ્ધિ

કાર્યકુશળતાનો પ્રભાવ

ગ્રીસમાં એક નિર્ધન બાળક આખો દિવસ જંગલમાં લાકડાં કાપતો હતો અને સાંજે લાકડાનો ભારો બનાવીને બજારમાં વેચવા બેસતો હતો. એની કમાણી એ જ આખા પરિવારના ભરણપોષણનું સાધન હતી. આથી એ છોકરો ખૂબ મહેનત કરતો અને ખૂબ સુંદર રીતે લાકડાંનો ભારો બાંધતો. એક વાર આ છોકરો બજારમાં ભારો વેચવા માટે બેઠો હતો, ત્યારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. એમણે જોયું તો આ છોકરાએ ખૂબ કલાત્મક રીતે લાકડાંનો ભારો બાંધ્યો હતો. બીજા લોકો જેમતેમ લાકડાંનો ભારો બાંધતા હતા. થોડાં લાકડાં બહાર નીકળી ગયાં હોય અને થોડાં સહેજ આમતેમ લબડતાં પણ હોય, જ્યારે આ છોકરાએ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે ભારો બાંધ્યો હતો. પેલા સજ્જને એ છોકરાને પૂછ્યું, ‘શું આ લાકડાંનો ભારો તમે પોતે બાંધ્યો છે ?’ છોકરાએ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, ‘હા જી, હું આખો દિવસ લાકડાં કાપું છું અને જાતે જ ભારો બાંધું છું અને આ બજારમાં વેચવા આવું છું.’ સજ્જને વળી પ્રશ્ન કર્યો, ‘તો શું તું આ ભારો ફરી ખોલીને બાંધી શકે ખરો ?’ છોકરાએ ‘હા’ કહીને માથું ધુણાવ્યું અને ભારો ખોલી ફરી એને  અત્યંત સ્ફૂર્તિ અને ચપળતાથી સુંદર રીતે બાંધ્યો. આ સજ્જન આ બાળકનો આત્મવિશ્વાસ અને એની કાર્યકુશળતાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને એમ લાગ્યું કે આ બાળક પાસે નાનામાં નાના કામને સુંદર અને વ્યવસ્થિત રીતે કરવાની ક્ષમતા છે. જો એને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળે, તો એ જરૂર જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે. એ સજ્જને એ છોકરાને કહ્યું, ‘તું મારી સાથે ચાલ. હું તને ભણાવીશ.’અને છોકરો એ સજ્જન સાથે ગયો. એ સજ્જન હતા ગ્રીસના તત્ત્વચિંતક ડેમોક્રિટ્સ અને એણે જે બાળકને મદદ કરી તે હતો ગ્રીસનો મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરસ. જેના ‘પાયથાગોરસ પ્રમેય’ આજે પણ પ્રચલિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

આર. ડી. બર્મન

જ. ૨૭ જૂન, ૧૯૩૯ અ. ૪ જાન્યુઆરી, ૧૯૯૪

ભારતીય સિનેમાજગતના સંગીતનિર્દેશક, ગાયક, વાદક, એરેન્જર, મૂર્ધન્ય સંગીતકાર. એસ. ડી. બર્મન તથા કવયિત્રી મીરા દેવ બર્મનને ત્યાં જન્મેલા રાહુલ દેવ બર્મન ‘પંચમ’ના નામથી પણ જાણીતા છે. ભારતીય સંગીતને પાશ્ચાત્ય તેમ જ વિદેશી સંગીત સાથે કલાત્મક રીતે વણીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરનાર આર. ડી. બર્મન દરેક જમાનામાં પ્રસ્તુત રહ્યા. વિશ્વસંગીતના અભ્યાસી પંચમે ‘રેસો-રેસો’, માદલ તથા અન્ય પરકશ્ન્સનાં વાદ્યોનો સાંગીતિક સૌંદર્ય વધારવામાં ઉપયોગ કર્યો. બાળપણમાં પિતાએ ઉસ્તાદ અલી અકબર ખાન પાસે સરોદ તેમજ પંડિત સામતા પ્રસાદ પાસે તબલાંની  શિસ્તબદ્ધ તાલીમ અપાવી. શરૂઆતનાં વર્ષોમાં સંગીતનિર્દેશનમાં પિતાના સહાયક તરીકે સેવા આપી અને અનુભવ મેળવ્યો. ૧૯૬૧માં ‘છોટે નવાબ’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને તેમણે ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. પિતા સાથે અનેક વખત ઑરકેસ્ટ્રામાં હાર્મોનિયમ, તબલાં અને વિવિધ વાદ્યો વગાડ્યાં. પ્રયોગશીલ એવા આર. ડી. બર્મન પરંપરાને એવી રીતે બદલતા કે ક્યાંય રસભંગ ના થાય.  જે જમાનામાં રેકૉર્ડિંગમાં તકનીકી સધ્ધરતા ન હતી એ જમાનામાં આર. ડી. બર્મને રેકૉર્ડિંગમાં પ્રયોગો કર્યા. પોતાના સંગીતવાદકોને પોતાને ભોગે આર્થિક મદદ કરીને એક નિસ્વાર્થ સાચા કલાકારનો ગુણ સાકાર કરતા હતા. દરેક પ્રકારનાં રસ અને ફ્લેવર એમના સંગીતમાંથી મળતાં. ‘કિનારા’, ‘શાન’, ‘સાગર, ‘અમરપ્રેમ’, ‘કટીપતંગ’, ‘આરાધના’, ‘શોલે’ એવી અનેક ફિલ્મોમાં પંચમે સંગીતનિર્દેશન કર્યું. અનેક ફિલ્મફેર તથા લતા મંગેશકર ઍવૉર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૪માં એમના અવસાન પછી એમની અંતિમ ફિલ્મ ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ તરત રજૂ થઈ હતી. વિવિધ ભાષા, ગાયકો તેમજ કવિઓ સાથે એમણે કામ કર્યું હતું. ગુલઝાર એમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય તેમ જ વિદેશી ટી. વી. સિરિયલ તેમજ આલબમમાં એમણે સંગીત આપ્યું. ૨૦૧૩માં ભારત સરકારે એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરી. એમણે વિશિષ્ટ અવાજમાં અનેક ગીતો ગાયાં અને અભિનય પણ કર્યો. અલગ અનોખા સંગીત માટે આર. ડી. બર્મન સદાય યાદ રહેશે.

Categories
વાચન સમૃદ્ધિ

સિંગાપોર

મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ-દેશ.

આ દેશ અગ્નિ-એશિયામાં આશરે ૦૧° ૧૭´ ઉ. અ. તથા ૧૦૩° ૫૧´ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વમાં દક્ષિણ ચીની સમુદ્ર, પશ્ચિમમાં મલાક્કાની સામુદ્રધુની, ઉત્તરમાં મલેશિયા તથા દક્ષિણમાં ઇન્ડોનેશિયાના દેશોની જલસીમાઓ આવેલી છે. તે ‘પૂર્વના પ્રવેશદ્વાર’ તરીકે જાણીતું છે. તેના મધ્યસ્થ સ્થાનને લીધે તેનું ખૂબ મહત્ત્વ છે. સિંગાપોર આશરે ૬૧૬.૩ ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. તેની વસ્તી આશરે ૬૦,૪૦,૦૦૦ (૨૦૨૪) જેટલી છે. તે વિશ્વની સૌથી વિશેષ લાંબી મલાક્કાની સામુદ્રધુની(આશરે ૭૭૪ કિમી.)ના પ્રવેશદ્વાર પર નિયંત્રણ ધરાવે છે. સિંગાપોર એક નાનકડો ટાપુ છે. તેના પૂર્વના ચાંગી પૉઇન્ટથી પશ્ચિમના જુરૉન્ગ સુધીની તેની લંબાઈ આશરે ૪૨ કિમી. છે, જ્યારે તેની ઉ.દ. પહોળાઈ લગભગ ૨૨.૫ કિમી. જેટલી છે. મુખ્ય ટાપુ ઉપરાંત તેની આસપાસના લગભગ ૫૪ જેટલા અન્ય નાના નાના ટાપુઓ મળીને ‘સિંગાપોરનું પ્રજાસત્તાક’ બને છે. સિંગાપોર ટાપુનો આકાર પાંખો પહોળી કરીને ઊડતા ચામાચીડિયા જેવો છે.

સિંગાપોર

ભૂરચનાત્મક દૃષ્ટિએ જોતાં તેને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (૧)મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ, (૨) પશ્ચિમનો ડુંગર તથા ખીણપ્રદેશ અને (૩) પૂર્વનો સપાટ પ્રદેશ. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં ગ્રૅનાઇટ ખડકો પથરાયેલા છે. આ ભાગમાં નદીઓનું અગત્યનું સ્રાવક્ષેત્ર આવેલું છે. તેમાંથી સિંગાપોરની મુખ્ય નદીઓ સુન્ગેઈ સેલેતર તથા સુન્ગેઈ કૉલાન્ગ ઉદભવ પામે છે. અહીં વિખ્યાત માઉન્ટ ફેબર આવેલો છે. તે પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણ છે. સિંગાપોરમાં જંગલોનું પ્રમાણ નહિવત્ છે. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં આછાં વર્ષાજંગલોના છૂટાછવાયા વિસ્તારો આવેલા છે. અહીંનાં વર્ષાજંગલોમાં વિશ્વવિખ્યાત ‘રાત્રિ સફારી’ આવેલો છે. અહીંનાં ૯૦% પ્રાણીઓ-પક્ષીઓ રાત્રિ દરમિયાન વિહરે છે. પર્યટકો રાત્રે હરીફરીને ત્યાંનાં પ્રાણીઓ-પક્ષીઓને જોઈ શકે છે. જુરોન્ગ ખાતે એક પક્ષીઉદ્યાન પણ આવેલો છે. સિંગાપોરનું પ્રાણીસંગ્રહાલય પણ જોવાલાયક છે. તેમાં એશિયાભરના વન્ય જીવો જોવા મળે છે. પ્રાણીસંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ અહીંનું માનવસર્જિત જંગલ છે. આ સંગ્રહાલયના જુદા જુદા વિભાગોની સીમાઓ ખડકો ગોઠવીને તથા ખાઈઓમાં પાણી ભરીને એવી આકર્ષક રીતે કંડારેલી છે કે દર્શકને તે કુદરતસર્જિત હોવાનો ભાસ કરાવે છે. આ ટાપુના કુલ વિસ્તારના આશરે અર્ધા ભાગમાં ખેતી કરવામાં આવે છે. રબર, નાળિયેરી, શાકભાજી તથા ફળો અહીંના મુખ્ય પાકો છે. મત્સ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી જુરોન્ગ નામના મત્સ્યબંદરની સ્થાપના થઈ છે. આ દેશમાં કલાઈગાળણ અને શોધન, ખનિજતેલ-શોધન, જહાજ-બાંધકામ; કાપડ, રબર, લાકડાં, યંત્રસામગ્રી, રાસાયણિક પેદાશો, ખાદ્યચીજો વગેરના ઔદ્યોગિક એકમો તેમ જ પ્રવાસન અને બૅન્કિંગ સેવાઓને લગતા ઉદ્યોગો વિક્સેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંગાપોર, પૃ. ૨૦૪)