Categories
વાચન સમૃદ્ધિ

શિસ્ત

આખા સમાજની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે ઘડાયેલા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની વૃત્તિપ્રવૃત્તિ, જેનો ભંગ એ અશિસ્ત ગણાય છે.

શિસ્તનું સ્વરૂપ ક્ષેત્ર પ્રમાણેનું હોવાનું. લશ્કરમાં શિસ્તનું ચુસ્ત પાલન એ ગુણ ગણાશે, કારણ કે તેમાં જીવન-મરણનો પ્રશ્ન હોય છે. નોકરી, ધંધો, ઉદ્યોગમાં અન્યની સુવિધા, કાળજી અને સન્માન જાળવવા વિવેકપુર:સરનું નિયમપાલન જરૂરી હોય છે. ઘર, શાળા અને મનુષ્યત્વના વિકાસની પ્રવૃત્તિઓમાં શિસ્ત પ્રેમાધારિત અને ગુણવિકાસ તથા સંવાદી જીવન માટે હોય છે.

શિસ્ત ન હોય તો અરાજક્તા ફેલાય. વળી એકલી શિસ્તને જડતાપૂર્વક મહત્ત્વ અપાય તો એ ત્રાસરૂપ બની જાય છે. એટલે કટોકટી, યુદ્ધ કે લશ્કર સિવાયના રોજબરોજના જીવનમાં શિસ્ત સહજ વલણ રૂપે પ્રગટ થાય એ ઇષ્ટ સ્થિતિ છે. જે પ્રજા સ્વેચ્છાએ શિસ્ત જાળવે છે, સૌ માટે ઘડાયેલા નિયમો સ્વેચ્છાએ પાળે છે તે વધુ વિકસિત ગણાય છે. મનુષ્ય એકલો રહેતો હોય તો શિસ્તના પ્રશ્નો ઉદભવતા નથી; પરંતુ મનુષ્ય સમાજમાં  રહે છે, વિવિધ પ્રકારના માનસવાળા લોકો સાથે રહે છે એથી બીજાને અગવડ કે પ્રતિકૂળતા ન થાય તેવો વ્યવહાર કરવા શિસ્ત જરૂરી છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્વૈચ્છિક શિસ્તપાલન હોવું જોઈએ.

ટ્રાફિક સિગ્નલ શિસ્તનો એક ભાગ

શિસ્ત કોઈક વાર વ્યક્તિને પ્રતિકૂળ પણ લાગે; પરંતુ આખો સમાજ એ નિયમનું પાલન કરશે તો દરેક વ્યક્તિને માટે સુવિધાભર્યું, સલામત અને સંવાદી જીવન શક્ય બનશે. વ્યક્તિગત ઇચ્છા અને સામાજિક નિયમો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે અશિસ્ત સર્જાય છે. એટલે વિવેક કરવો પડે છે કે કેટલીક વ્યક્તિગત બાબતમાં સ્વાતંત્ર્ય હોય અને સમાજસંબંધિત બાબતોમાં સૌનું નિયમપાલન હોય. સૌએ ટિકિટ લઈને મુસાફરી કરવી, વાજબી કરવેરા ચોકસાઈથી ભરવા, પોતાની જવાબદારીનું નિષ્ઠાથી પાલન કરવું, ટ્રાફિકના નિયમો પાળવા, જાહેર સ્થાનની સ્વચ્છતા જાળવવી, સમયપાલન કરવું –આ સઘળાંનું પાલન થાય તો આખા સમાજને લાભ થાય છે. શિસ્ત બે પ્રકારની ગણી શકાય : (૧) કાયદા કે નિયમો રૂપે નિશ્ચિત થયેલ કામો કે વ્યવહારો. (૨) પ્રણાલી, પરંપરા રૂપે કે ગુણવિકાસ માટે સ્થિર થયેલા વ્યવહારો. જે પ્રજા કાયદા કે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે તે વિકસિત ગણાય. જે પ્રજા પરંપરા કે પ્રણાલી કે જીવનની ગુણવત્તા જાળવવા અમુક આચારો સ્થિર કરે અને તેનું પાલન કરે એ સમજદાર ગણાય. બાળકોની કાળજી, બહેનોનું સન્માન, વૃદ્ધોનો આદર –એ નિયમો નથી, પરંતુ સમાજના સ્વાસ્થ્ય માટેની શિસ્ત છે. જ્યાં નિયમો કે કાયદા છે ત્યાં હંમેશાં સજા, દંડ કે કેદ જોડાયેલાં હોય છે; કારણ કે એમાં આખા સમાજ માટેના નિયમોની જાળવણી કરવાનો ખ્યાલ હોય છે. એમાં ફરજિયાતપણું હોય છે. વાહન ડાબી બાજુ ચલાવવું, ચાર રસ્તે લાલ બત્તી હોય તો અટકવું – એ નિયમનો ભંગ અરાજકતા સર્જે છે એટલે તેની સાથે દંડ કે સજા જોડાયેલાં હોય છે. પરંતુ આખો સમાજ કેવળ દંડ કે સજાથી જીવી શકે નહિ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિસ્ત, પૃ. 300)

રાજશ્રી મહાદેવિયા

મનસુખ સલ્લા

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. પ્રમોદ કરણ સેઠી

જ. ૨૮ નવેમ્બર, ૧૯૨૭ અ. ૬ જાન્યુઆરી, ૨૦૦૮

વિશ્વભરમાં પ્રખ્યાત ‘જયપુર પગ’ના જનક ડૉ. પ્રમોદનો જન્મ બનારસ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેઓએ ઈ.સ. ૧૯૪૯માં સરોજિની નાયડુ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું હતું. ત્યારબાદ તેઓએ જનરલ સર્જન ૧૯૫૨ અને રૉયલ કૉલેજ ઑફ સર્જનમાંથી ૧૯૫૪માં એફ.આર.સી.એસ.(FRCS)ની ડિગ્રી લીધી હતી. અભ્યાસ પૂર્ણ કરી તેઓ ભારત પાછા આવી જયપુરની સવાઈ માનિંસહ મેડિકલ કૉલેજમાં સર્જરીમાં લેક્ચરર તરીકે જોડાયા. તેઓએ ઑર્થોપેડિક ડિપાર્ટમેન્ટ અને રિહેબિલિટેશન યુનિટને વિકસાવવામાં ખૂબ મહેનત કરી. તેમણે એક ઓછી કિંમતનો, લવચીક, ટકાઉ, વૉટરપ્રૂફ કૃત્રિમ પગ વિકસાવ્યો જે ૧૯૬૯માં જયપુર પગ(foot) તરીકે પ્રચલિત થયો. જે વ્યક્તિનો પગ કપાઈ ગયો હોય તે આ પગ પહેરી ખાડા-ટેકરાવાળી જગામાં પણ સહેલાઈથી ચાલી શકતો. કોઈ પણ કારણસર પગ ગુમાવવાવાળા લાખો-કરોડો લોકો પોતાના પગ પર ચાલવા માટે આ શોધથી કાબિલ બન્યા. આંતરરાષ્ટ્રીય રેડક્રૉસ કમિટીએ આ શોધનો લાભ અફઘાનિસ્તાન અને બીજાં સ્થળોએ પગ ગુમાવેલ વ્યક્તિઓને આપી તેઓને નવી જિંદગી બક્ષી. આ પગ બનાવવા માટે તેઓએ રામચંદ્ર શર્મા નામના કારીગરની મદદ લીધી હતી.

તેમણે ‘જયપુર ફૂટ’ની જાણકારી સૌપ્રથમ બૅંગાલુરુમાં સર્જન ડૉક્ટરના વાર્ષિક સંમેલનમાં આપી હતી. ત્યારબાદ ઑક્સફર્ડ તથા બ્રિટિશ ઑર્થોપેડિક સંમેલનમાં જ્યારે તેમણે રજૂ કર્યું ત્યારે તેની ખૂબ પ્રશંસા થઈ. તેઓને ઘણા ઍવૉર્ડ અને મેડલ મળ્યા. પશ્ચિમ ભારતની ઑર્થોપેડિક સોસાયટીએ સુવર્ણપદક, રેમન મેગ્સેસે ઍવૉર્ડ, ગિનિસ બુક ઍવૉર્ડ ફોર સાયન્ટિફિક એચીવમેન્ટ તથા ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઍવૉર્ડ મળ્યો. ત્યારબાદ તેઓને ડૉ. બી. સી. રૉય નૅશનલ ઍવૉર્ડ (૧૯૮૯) મળ્યો. ભારત ઑર્થોપેડિક ઍસોસિયેશનને ૨૦૦૪માં તેઓને લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો. ‘જયપુર પગ’ બનાવી તેમણે વિશ્વફલક પર સ્થાન મેળવ્યું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

રોજ સોનેરી સવાર ઊગે છે !

સવારે નિદ્રાત્યાગ કરતી વખતે તમારી મન:સ્થિતિ કેવી હોય છે ? કેટલીક વ્યક્તિઓ પથારીમાંથી ઊઠતાં પૂર્વે ઘણો લાંબો સમય આળસ સાથે આળોટ્યા કરે છે. કેટલાક જાગ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા તંદ્રાવસ્થામાં અધકચરાં સ્વપ્નોની મોહનિદ્રામાં ડૂબી જતા હોય છે. કોઈકને વળી ઊંઘ પૂરી થયા બાદ પથારીમાં પડ્યા પડ્યા લાંબા સમય સુધી આસપાસના અવાજો સાંભળવાની આદત હોય છે. કેટલાક આખી રાત ગાઢ નિદ્રા નથી આવી, તેના વસવસા સાથે પથારીમાં પડ્યા રહે છે અને પછી માંડ માંડ કોઈ હાથ ખેંચીને ઉઠાડતું હોય તેમ ઊઠે છે.

રાતભર સ્વપ્નોની સૃષ્ટિમાં રમણભ્રમણ કર્યા પછી થાકેલા મનથી એ આંખ ખોલે છે અને વીતેલાં સ્વપ્નોનો બોજ એના મન પર ટીંગાયેલો હોય છે. આ બધી બાબતો એ વ્યક્તિના સમગ્ર દિવસની કાર્યશક્તિ પર અસર કરતી હોય છે. જેના દિવસનો આરંભ વિષાદથી થાય છે એને વિષાદમાંથી બહાર નીકળવા માટે આખેઆખી સવાર જોઈએ છે. સૂર્ય મધ્યાહને આવે ત્યારે એનો ‘મૂડ’ બરાબર થાય છે. સવારની ક્ષણો સમગ્ર દિવસને ઘાટ આપતી હોય છે.

વ્યક્તિ આંખ ખોલે એ સાથે એણે મનોમન વિચારવું જોઈએ કે આજનો દિવસ એવો ઊગ્યો છે કે જેવો સુંદર દિવસ મારા જીવનમાં પૂર્વે કદાપિ ઊગ્યો નથી. આજની સવાર આયુષ્યની એક અનોખી સવાર છે, જેને કારણે આજે મારો આખો દિવસ સરસ જશે. પ્રારંભની ક્ષણોને જે આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે એનો આખો દિવસ આનંદની રંગોળી બની રહે છે. પ્રત્યેક દિવસ સોનેરી તક લઈને તમારી સામે આવે છે. પ્રત્યેક ઉષા જીવનમાં નૂતન ઉષાનું સર્જક કરે છે.

કુમારપાળ દેસાઈ