Categories
વાચન સમૃદ્ધિ

પ્રહલાદ પારેખ

જ. ૨૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન યુગના સૌન્દર્યનિષ્ઠ કવિતાના સર્જક પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં જેઠાલાલ અને મંગળાબહેનને ત્યાં થયો હતો. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના ઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો, જેલવાસ ભોગવ્યો, પાછો અભ્યાસ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. વધુ અભ્યાસ અર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ અભ્યાસ કર્યો. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યમાં કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક થયા. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫થી છેવટ સુધી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક રહ્યા.

રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારી બહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા તેમની કવિતાનું આગવું લક્ષણ છે. આ સંગ્રહમાં તેની પ્રતીતિ થાય છે. ‘સરવાણી’ તેમનો ગીતસંગ્રહ છે. પ્રકૃતિપ્રેમ અને માનવપ્રેમ એ તેમની કવિતાના મુખ્ય વિષયો રહ્યા છે. માનવહૃદયના કોમળ ભાવોને તેમણે પ્રકૃતિના નિમિત્તે સુંદર રીતે વ્યક્ત કર્યા છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ ધ્યાનપાત્ર છે. અમૂર્ત ભાવોને તેમણે મૂર્ત સ્વરૂપે રજૂ કર્યા છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની જાણીતી રચનાઓ છે. ભાષા અને છંદની સાફસૂથરી માવજત, તાજગીભરી કલ્પનલીલા અને સંયમપૂર્વકની અનુભવમૂલક નિરૂપણરીતિના કારણે ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહી બિરદાવી છે. તેમણે ગુજરાતી લોકગીતોના તેમજ બંગાળીના પયાર આદિના લયઢાળોનો પણ એમની કવિતામાં સરસ વિનિયોગ કરી બતાવ્યો છે. ‘ગુલાબ અને શિવલી’ – એ ભાઈબહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલાક અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) તેમની પરિચયપુસ્તિકા છે. તેમની પાસેથી બાળવાર્તાઓ અને બાળકાવ્યો પણ મળ્યાં છે. તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

જયપુર

રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનનું પ્રાચીન ઐતિહાસિક શહેર અને પાટનગર. તે દિલ્હીથી નૈર્ઋત્યમાં આશરે ૨૫૯ કિમી. અંતરે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : ૧૧,૫૮૮ ચોકિમી., જિલ્લાની વસ્તી : ૬૬,૬૩,૯૭૧ (૨૦૧૧). તેની સ્થાપના (૧૭૨૮માં) મહારાજા સવાઈ જયસિંહે કરી હોવાથી આ શહેરનું નામ ‘જયપુર’ રાખવામાં આવ્યું હતું. ૧૮૮૩માં રાણી વિક્ટોરિયાના પ્રિન્સ આલ્બર્ટે આ શહેરની મુલાકાત લીધી હતી. શહેરનાં તમામ મકાનો ગુલાબી રંગનાં હોવાને કારણે આ શહેર ‘ગુલાબીનગર’ તરીકે જાણીતું છે. નગરની ચારે બાજુ લગભગ ૬.૦૩ મી. ઊંચો અને ૧.૮૨૮ મી. પહોળો કોટ આવેલ હતો, જે આજે ભગ્ન અવશેષ રૂપે જોવા મળે છે. આ પ્રાચીન નગરને ૮ પ્રવેશદ્વાર છે, જેમાં અજમેરી ગેટ, સાંગાનેરી ગેટ તેમજ ચાંદપોલ અને ઘાટ દરવાજો મુખ્ય છે. ચોરસ આકારના આ શહેરના કેટલાક રસ્તા ૩૪ મીટર કરતાં વધુ પહોળા છે. બધા જ રસ્તા કાટખૂણે છેદતા અને સીધા છે. આ શહેરનાં જોવાલાયક સ્થળોમાં રાજમહેલ, ચંદ્રમહેલ, હવામહેલ, ગૈટોર, ગલતા વેધશાળા ઉપરાંત અગાઉની રાજધાનીનો આમેર (અંબર) કિલ્લો મુખ્ય છે.

હવામહેલ, જયપુર

શહેરના સાતમા ભાગના ક્ષેત્રફળમાં પથરાયેલ રાજમહેલમાં ૭ પ્રવેશદ્વાર આવેલાં છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વારને ‘સિંહદ્વાર’ કહે છે. આ મહેલમાં દીવાને આમ, દીવાને ખાસ ઉપરાંત શસ્ત્રાગાર, વસ્ત્રાગાર અને પુસ્તકાલય જોવાલાયક છે. મધ્યયુગનાં રાજપૂતી શસ્ત્રો, કીમતી વસ્ત્રો તેમજ દુર્લભ પુસ્તકોનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. વિખ્યાત ઇતિહાસકાર અબુલફઝલે કરેલું ‘મહાભારત’નું ફારસી ભાષાંતર અહીં સંગ્રહાયેલું છે. ચંદ્રમહેલમાં સુંદર ચિત્રો તેમજ હસ્તકલાકૌશલના નમૂના ખાસ જોવાલાયક છે. શહેરની વચ્ચોવચ આવેલ હવામહેલ શિલ્પસ્થાપત્યનું સુંદર સ્થળ છે. મહારાજા સવાઈ પ્રતાપસિંહજીએ બંધાવેલ પાંચ માળના આ ભવ્ય મહેલની રસ્તા પર પડતી અસંખ્ય અટારીઓ અર્ધઅષ્ટકોણ આકારની છે. જયપુરના દિવંગત રાજવીઓનાં સ્મારકો ગૈટોરમાં આવેલ છે. ગલતા પહાડીઓ વચ્ચે આવેલ સૂર્યમંદિર જોવાલાયક છે. જયપુર શહેરથી ૧૨ કિમી. દૂર આમેર કિલ્લો જૂની રાજધાનીનું સ્થળ છે. અહીં શીલામાતાનું મંદિર, શીશમહેલ, દીવાને આમ – દીવાને ખાસ તેમજ ભવ્ય મહેલ જોવાલાયક છે. રાજા જયસિંહે ભારતનાં પાંચ શહેરોમાં વેધશાળાઓ બંધાવી હતી જેમાંની સૌથી મોટી વેધશાળા અહીં આવેલી છે. રાજસ્થાન યુનિવર્સિટીનું તે મુખ્ય મથક છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે.

મહેશ ત્રિવેદી

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

નટવરલાલ પ્રભુલાલ બૂચ

જ. ૨૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૯ જાન્યુઆરી, ૨૦૦૦

ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બૂચનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું હતું. સંસ્કૃત અને  અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૨૭માં બી.એ. તથા તે પછી  એમ.એ. થયા. ૧૯૩૦થી ૧૯૮૧ દરમિયાનનાં વર્ષોમાં તેઓએ વત્સલ અને વિદ્વાન શિક્ષક-અધ્યાપક તરીકે દક્ષિણામૂર્તિ વિનયમંદિર અને ઘરશાળા હાઈસ્કૂલ, ભાવનગરમાં તથા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, આંબલા તેમજ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરામાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાનું શિક્ષણકાર્ય કર્યું. અહીં તેમણે આચાર્ય ઉપનિયામક તથા સહનિયામક તરીકે પણ કાર્ય કર્યું. પ્રવાસવર્ણનથી સર્જનનો આરંભ કરનાર આ હાસ્ય-નિબંધકાર તથા કવિતાના સર્જકે નિબંધ ઉપરાંત નાટ્ય પ્રહસન, હાસ્યકવિતા – પ્રતિકાવ્યસ્વરૂપે મર્મપૂર્ણ નિર્દંશ રચનાઓ આપી છે. મૌલિક લેખન ઉપરાંત તેમણે ધર્મ-તત્ત્વજ્ઞાન, સમાજચિંતન અને અર્થશાસ્ત્ર જેવાં વિષયક્ષેત્રોનાં અંગ્રેજી પુસ્તકોનાં અનુવાદ તથા સંપાદનો કર્યાં છે. ‘રામરોટી પહેલી’ (૧૯૩૯), ‘રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો’ (૧૯૫૩), ‘રામરોટી ત્રીજી’ (૧૯૬૮), ‘છેલવેલ્લું’ (૧૯૮૨), ‘હળવાં ફૂલ’ (૧૯૮૩), ‘કાગળના કેસૂડા’ (૧૯૮૬) વગેરે તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે.

તેમણે નિબંધોમાં માનવસ્વભાવની સારી-નરસી લાક્ષણિકતાઓ માર્મિકતાથી પ્રગટ કરી છે. ગંભીર વસ્તુને હળવા દૃષ્ટિકોણથી જોવાની તેમની ખાસિયત નોંધપાત્ર છે. નૈસર્ગિક હાસ્ય ઉપજાવવાની કળા એમને ઊંચી કોટિના હાસ્યલેખક તરીકે પ્રતિષ્ઠા આપે છે. તેમણે કરેલા અનુવાદોમાં ‘ડેવિડ કોપર ફિલ્ડ’, ‘ગાંધીજીનો જીવનસંદેશ’, ‘સામૂહિક વિકાસયોજના’, ‘ઈસુને પગલે’, ‘સમાનતા આપણો ભારતદેશ’, ‘નગદ નારાયણ’ વગેરે મહત્ત્વના છે.

બૂચકાકાના નામે જાણીતા નટવરલાલે ‘ઉદયપુર-મેવાડ’ પ્રવાસવર્ણન રમૂજી છતાં રસિક શૈલીમાં લખ્યું છે. ‘રામરોટી ત્રીજી’ સંગ્રહમાંના ‘અસત્યનો મહિમા’, ‘માંદગી માણીએ’, ‘ઉપવાસીના વિચારો’ વગેરે અલગ તરી આવે છે. તેમણે કેટલીક પરિચય પુસ્તિકાઓ તથા બાળકાવ્યોના સંગ્રહ પણ સર્જ્યા છે. પ્રતિકાવ્યો દ્વારા તેમણે નિર્દંશ હાસ્યતરંગો પ્રસાર્યા છે; જેમ કે ‘એક જ દે ચિનગારી’નું તેમણે રચેલું પ્રતિકાવ્ય –

‘યાચે શું ચિનગારી મહાનર યાચે શું ચિનગારી ?

ચકમક લોઢું મૂક પડ્યું ને બાકસ લે કર ધારી,

કેરોસીનમાં છાણું બોળી ચેતવ સગડી તારી.

૧૯૯૬માં તેમને દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક (શૈક્ષણિક) ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ