Categories
વાચન સમૃદ્ધિ

રાવણના મૃત્યુથી રામની આંખોમાં આંસુ !

રામાયણ અનેક રૂપે મળે છે. ભારતની પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે છે. જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. લક્ષ્મણે શ્રીરામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા ! લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, ‘મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો અવસર છે.’ શ્રીરામે કહ્યું, ‘લક્ષ્મણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું, એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ ખરું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !

લક્ષ્મણે પૂછ્યું, ‘કેવો લાગે છે રાવણ ?’

રામે કહ્યું, ‘રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.’ લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, ‘દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ રડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.’ આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, ‘સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.’ રાવણનો આ ઉત્તર સાંભળીને લક્ષ્મણ સ્તબ્ધ બની ગયો. પોતાના દુશ્મનના સારા ગુણો ભાગ્યે જ કોઈને દેખાય છે. દુશ્મનને દાનવ ચીતરવો સહુને ગમે છે. શત્રુના દોષને ઘણા મોટા કરીને જુએ છે પછી એને વિશે અવગુણોનું કાળું ચિત્ર પોતાના મનમાં દોરે છે. આનાથીય એની વૈરભાવનાને સંતોષ થતો નથી, ત્યારે એ કાળા ચિત્ર પર લાગે કે ન લાગે, તોય વધુ કાળો રંગ લગાડે જાય છે. રામ અને રાવણ એકબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર હરિનંદ મૂલાણી

જ. ૧ નવેમ્બર, ૧૮૬૭ અ. ૧૪ ડિસેમ્બર, ૧૯૫૭

જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. જૂનાગઢમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ ઘરે રહી ધાર્મિક કાર્યો અને સંસ્કૃત ભાષાના ગ્રંથોનું નિયમિત વાંચન કરતા. સંસ્કૃતના પ્રખર વિદ્વાન પાસે અભ્યાસ પણ કર્યો. ધારી ગામમાં ગ્રામ વિકાસ અધિકારી તરીકે કાર્ય આરંભ્યું, પરંતુ મુંબઈ જવાનું થતાં નોકરી છોડી દેવી પડી. કેટલોક સમય સંઘર્ષમાં વિતાવી ‘સત્યવક્તા’ સાપ્તાહિકમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. તેઓ પોતાની કટાર ‘ઘનઘટા’માં સત્યઘટનાઓ વર્ણવતા. આ સાપ્તાહિકના તંત્રી પણ બનેલા. પ્રારંભથી જ નાટ્યલેખનનો શોખ હોવાથી ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં લેખક તરીકે નોકરી સ્વીકારી. તેમનું પહેલું નાટક ‘શાકુંતલ’ (૧૮૮૯) અને બીજું નાટક ‘રાજબીજ’ (૧૮૯૧) જે ગેઇટી થિયેટરમાં ભજવવામાં આવેલું તે વ્યાવસાયિક રીતે સફળ પણ થયું. ત્યારબાદ ‘કુંદબાળા’ (૧૮૯૨) અને ‘માનિંસહ અભયસિંહ (૧૮૮૩) જેવાં નાટકો લખ્યાં હતાં.

તેમની તબિયત અસ્વસ્થ રહેતાં વતન પાછા આવ્યા, જ્યાં કેટલાંક સફળ નાટકોની રચના કરી, જેમાં ‘મૂળરાજ સોલંકી’ (૧૮૯૫) અને નંદશંકર મહેતાના કરણઘેલો પર આધારિત ‘કરણઘેલો’(૧૮૯૬) વગેરે. તેમણે શેક્સપિયર તથા કાલિદાસનો અભ્યાસ કરી ‘બૅરિસ્ટર’ (૧૮૯૭) નામનું નાટક લખ્યું, જેમાં એક યુવકને પશ્ચિમી વિશ્વ પ્રત્યેના આકર્ષણથી બરબાદ થતો દર્શાવ્યો છે. તેમણે ગુજરાતી રંગભૂમિને કરુણાંતિકાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ‘જયરાજ’ (૧૮૯૮) અને ‘અજબકુમારી’ (૧૮૯૯) નાટકો લખાયાં. તેમની ઉચ્ચ નાટ્યપ્રતિભાનાં દર્શન તો ‘સૌભાગ્યસુંદરી’ નાટક ભજવાવાથી થયું. આ નાટકમાં જયશંકર ભોજકે નાયિકાનો સુંદર અભિનય કરેલો. ત્યારથી તેઓ ‘સુંદરી’ કહેવાયા. ‘જુગલજુગારી’ (૧૯૦૨) તેમનું સામાજિક થીમનું નાટક હતું. તો ‘કૃષ્ણચરિત્ર’ (૧૯૦૬) ભક્તિભાવ અને ધાર્મિક ભાવનાવાળું, ‘એક જ ભૂલ’માં તેમણે રડારથી વિમાનનું નિયંત્રણ બતાવી વૈજ્ઞાનિક વાતને સૌપ્રથમ વાર દર્શાવી. તેમણે સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પર પચાસથી વધુ નાટકો લખ્યાં હતાં, જેમાંથી લગભગ અઠ્ઠાવીસ મંચસ્થ થયાં હતાં. ૧૯૧૫માં તેમણે ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ છોડી. ૧૯૨૦માં તેમણે ‘આર્યસુબોધ’ ગુજરાતી નાટક મંડળી સાથે કાર્ય કર્યું. રંગભૂમિક્ષેત્રે તેમના વિશિષ્ટ પ્રદાન માટે ગુજરાત વિદ્યાસભા તેમજ મુંબઈની સંસ્થાએ એમનું સન્માન કરેલું.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

શાહમૃગ

આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું પક્ષી.

શાહમૃગ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા શુષ્ક પ્રદેશોમાં વસે છે. નર શાહમૃગની ઊંચાઈ ત્રણ મીટર અને વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું હોય છે. નર શાહમૃગ દેખાવમાં સુંદર હોય છે. તે સફેદ અને કાળા રંગનાં પીંછાં ધરાવે છે, જ્યારે માદાનાં પીંછાં રંગે ભૂખરાં હોય છે. શાહમૃગના પગ લાંબા અને મજબૂત હોય છે. તેની ડોક લાંબી અને માથું નાનું હોય છે. ડોક, માથું તથા પગ પીંછાં વગરનાં હોય છે. તેની પાંખો નાની હોય છે.

ટૂંકી પાંખો હોવાથી શાહમૃગ ઊડી શકતું નથી; પણ તે દોડવામાં પાવરધું છે. તે કલાકના ૭૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તેના પગમાં બે આંગળાં હોય છે. બે આંગળાં ધરાવતું આ એક જ પક્ષી છે. પગથી તે જોરદાર લાત લગાવી શકે છે. તેનું ઉત્સર્જનતંત્ર અંશત: સસ્તન પ્રાણીઓના ઉત્સર્જનતંત્રને મળતું આવે છે. શાહમૃગના ભક્ષક સિંહ, ચિત્તો, શિકારી કૂતરા, જરખ વગેરે છે. ચિત્તા સિવાયના બીજા ભક્ષકોથી તે વધારે ઝડપથી દોડી શકે છે અને તે રીતે બચી જાય છે. જરૂર પડે તો તેના પગથી જોરદાર લાત મારીને પણ તે પોતાનું તથા પોતાનાં ઈંડાં કે બચ્ચાંનું રક્ષણ કરે છે. તે લાત મારીને સિંહને પણ હંફાવી શકે છે. શાહમૃગનો ખોરાક વનસ્પતિ તથા ગરોળી, કાચિંડા, કાચબા જેવાં નાનાં પ્રાણીઓ છે. તેને દાંત હોતા નથી (આમેય પક્ષીઓને દાંત હોતા નથી.), તેથી ખોરાક ગળી જાય છે. તેના પાચન માટે તે રેતી અને કાંકરા ખાય છે ! તે પાણી વગર લાંબો સમય ચલાવી શકે છે.

શાહમૃગ ભય લાગે ત્યારે રેતીમાં માથું છુપાવી પોતે સુરક્ષિત હોય તેવું માને છે. તે વાત બિલકુલ વજૂદ વગરની છે. તે ક્યારેક ભક્ષકની નજરથી બચવા રેતીમાં ડોક લંબાવીને બેસી જાય છે. આથી દૂરથી તે રેતીના ઢગલા જેવું દેખાય છે તો ક્યારેક રેતી અને કાંકરા મેળવવા રેતીમાં મોઢું નાખે છે તેથી ઉપર્યુક્ત ભાસ થાય છે. સંવનન-ૠતુમાં શાહમૃગ ટોળામાં ફરે છે. તેમાં પથી ૧૦૦ જેટલી સંખ્યા હોય છે. જ્યારે વરસાદની અછત હોય ત્યારે પણ તે ઝિબ્રા કે હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓની જોડે વિચરે છે.

નર શાહમૃગ રેતીમાં દર ખોદી માળો બનાવે છે. તેમાં તેની દરેક માદા ૧૦થી ૧૨ ઈંડાં મૂકે છે. શાહમૃગનાં ઈંડાં બધાં પક્ષીઓનાં ઈંડાં કરતાં મોટા કદનાં હોય છે. તે ૧.૫ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. માદા ભૂખરા રંગની હોય છે અને તે દિવસે ઈંડાં સેવે છે આથી ભક્ષકની નજરે પડતી નથી, જ્યારે રાતના અંધારામાં કાળો રંગ ધરાવતા નરનો વારો ઈંડાં સેવવાનો હોય છે. ૫થી ૬ અઠવાડિયાં બાદ બચ્ચાં જન્મે છે.

શાહમૃગનું આયુષ્ય ૭૦ વર્ષ જેટલું હોય છે. તેનાં આકર્ષક પીંછાંથી વસ્ત્રો અને હૅટને સુશોભિત કરાય છે. પીંછાં માટે તેનો શિકાર થાય છે. આ બધાં કારણોસર એશિયામાં વસતાં શાહમૃગો નાશ પામ્યાં છે.

શાહમૃગ સારું દોડતાં હોવાથી, તેની ઉપર ઘોડાની જેમ સવારી પણ કરાય છે ! ક્યારેક મનોરંજન માટે શાહમૃગની દોડ-સ્પર્ધા યોજાય છે. દક્ષિણ અમેરિકામાં શાહમૃગને મળતું આવતું રીહા પક્ષી જ્યારે ઑસ્ટ્રેલિયામાં એમુ પક્ષી જોવા મળે છે. આ પક્ષીઓ ઊડી શકતાં નથી પણ શાહમૃગની જેમ દોડવામાં પાવરધાં હોય છે. ન્યૂઝીલૅન્ડમાં શાહમૃગને મળતું મોઆ પક્ષી જોવા મળતું, જે હવે નામશેષ થઈ ગયું છે. આ પક્ષી શાહમૃગ કરતાં પણ ઊંચું હતું.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી