Categories
વાચન સમૃદ્ધિ

પારકી આંખમાંથી પ્રેમી જોતો

હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કેશવચંદ્ર સેન

જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪

બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી થોડા સમય માટે બૅન્ક ઑવ્ બંગાળમાં ક્લાર્ક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૫૫માં ગુડવિલ ફ્રેટરનિટીના સેક્રેટરી બન્યા અને સાંજની શાળાની સ્થાપના કરી. તેઓ બ્રહ્મસમાજમાં જોડાયા. બ્રહ્મસમાજના મુખપત્ર ‘ઇન્ડિયન મિરર’ માટે લેખો લખ્યા. તેમણે ૧૮૬૩માં ‘ધ બ્રહ્મસમાજ વિન્ડિકેટેડ’ લખ્યું. તેમણે રાજા રામમોહન રાયે સ્થાપેલ બ્રહ્મોસમાજનું નેતૃત્વ કર્યું. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી માર્ગે ચલાવવા ઇચ્છતા હતા જ્યારે દેવેન્દ્રનાથ વેદ-ઉપનિષદના આધારે ચલાવવા ઇચ્છતા હતા. બ્રહ્મસમાજના ભાગલા પડતાં કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ કહેવાયો.

રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્રને મળ્યા ત્યારે કેશવ ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવી ગયા હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવથી બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. કેશવચંદ્રે ૧૮૮૧માં ‘નવવિધાન’ નામની સંસ્થા શરૂ કરી, જે પછીથી ‘ધ અર્થ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે જાણીતી બની.

તેમણે નવજાગૃતિ માટે કાર્ય કર્યું. સમાજમાં કન્યાઓને કેળવણી અને સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. તેમણે કન્યાશાળાઓ શરૂ કરી. બાળલગ્ન અટકાવવા અને વિધવાઓનાં પુનર્લગ્ન માટે કાર્યો કર્યાં. તેમણે કન્યાના લગ્ન માટે ૧૬ વર્ષની ઉંમર હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ‘સુલભ સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને ‘ધી ઇન્ડિયન મિરર’ પાક્ષિકને દૈનિક બનાવ્યું. તેમણે સમાજમાં નવજાગૃતિની સાથે સાથે પત્રકારત્વક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

જળકૂકડી (old world coot)

ગ્રુઇફૉર્મિસ શ્રેણીના રૅલિડે કુળનું એક જળચારી પક્ષી. જળકૂકડીનું વૈજ્ઞાનિક નામ Fulica atra Linn. છે. તેની શરીરરચના મરઘીના જેવી હોય છે તેમજ જળાશયોની આસપાસ નિવાસ કરવાને કારણે તે જળકૂકડી તરીકે ઓળખાય છે. બીજાં જળચારી પક્ષીની જેમ તેને પણ પુચ્છ હોતું નથી. તરતી વખતે અમુક અંતરે તેનો દેખાવ બતક જેવો હોય છે. મસ્તક સફેદ હોય છે. બતક કરતાં વજનમાં ભારે હોય છે. શરીર ભૂખરું કે કાળા રંગનું હોય છે. પુખ્ત જળકૂકડીની પીઠ કાળી અને વક્ષ બાજુએથી સફેદ હોય છે. બચ્ચાંઓનું મસ્તક ઊપસેલું અને ગળું પહોળું હોય છે. ચાંચ અણીદાર, હાથીદાંતના રંગની હોય છે તથા મસ્તક પર આવેલ ટોપને કારણે તે જુદી તરી આવે છે. ઉપાંગોમાં આવેલી આંગળી માંસલ, ખંડયુક્ત હોય છે. આ પક્ષી ભારતમાં બધે જોવા મળે છે. હિમાલયમાં ૨૦૦૦ મીટરની ઊંચાઈ પર પણ તે વાસ કરે છે. ઉપરાંત પાકિસ્તાન, બાંગલાદેશ, મ્યાનમાર અને ઉત્તરી શ્રીલંકાનાં મીઠા પાણીનાં જળાશયો અને તેની આસપાસ આવેલ ઝાડીઓમાં અને શહેરમાં આવેલ બાગબગીચાનાં જળાશયોમાં પણ જોવા મળે છે.

તેની કેટલીક જાતિઓ શિયાળામાં સ્થાનાંતર (migration) પણ કરતી હોય છે. રહેવાસી પક્ષીઓ વસંત ઋતુ દરમિયાન ઝાડીઓથી આચ્છાદિત નહેર પર દેખાય છે. શીત ઋતુમાં સ્થાનાંતર કરતી જળકૂકડીઓ મધ્ય અને પશ્ચિમ એશિયાનાં જળાશયોમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેની સંખ્યા નોંધપાત્ર હોય છે.

પક્ષીઓ પોતાના વિચિત્ર અવાજ પરથી ઓળખી શકાય છે. એકલ પ્રાણીનો અવાજ તીણો, કર્કશ ટેવક (tewk), કી-કાઉક (ki-kowk) હોય છે; પરંતુ સમૂહમાં, ખાસ કરીને ભક્ષક પ્રાણીની હાજરીથી વિક્ષેપ અનુભવતા હોય ત્યારે તેમનો અવાજ લાક્ષણિક હોય છે. અવાજ ઘણો મોટો ઊંચો દહાડ જેવો હોય છે. આ ઉપરાંત સ્પષ્ટ, મોટા વાજિંત્ર જેવા અવાજ ઉત્પન્ન કરી સંદેશાની આપ-લે કરે છે, જે મુખ્યત: રાત્રી દરમિયાનની પ્રક્રિયા છે.

સામાન્યત: જળકૂકડી પાણીની સપાટી પર તરતી હોય છે; પરંતુ વખતોવખત તે ઉડાન પણ કરે છે. વજનમાં ભારે હોવા છતાં શક્તિશાળી હોવાને કારણે તે સહેલાઈથી ઊડીને લાંબું અંતર કાપી શકે છે. તેની ઊડવાની પદ્ધતિ બતકથી જુદી હોય છે. પાંખોનો અવાજ કરીને તે પાણીને ધકેલે છે. તેની નળાકાર શરીરરચના અને ઊડતા સમયે ઉપાંગો પશ્ચ બાજુ આવવાને કારણે વિશિષ્ટ ઝડપી ગતિથી ઊડી શકે છે. તેનો ખોરાક મુખ્યત: વિવિધ વનસ્પતિનો બનેલો હોય છે. જોકે તે કીટકોનું પણ ગ્રહણ કરે છે. એટલે કીટભક્ષી તરીકે ઓળખાય છે. તેનો ખોરાક સામાન્યત: જલજ ઘાસ, જમીન પરનું ઘાસ, કીટકો અને નાનાં મૃદુકાય પ્રાણીઓનો હોય છે.

તે પ્રજનનઋતુ સમયે માળો બાંધે છે. એનો ઉપયોગ ઈંડાં અને બચ્ચાંના ઉછેર માટે કરે છે. જુલાઈ/ઑગસ્ટ મહિના દરમિયાન વનસ્પતિની ડાળી અને કાથી જેવાનો ઉપયોગ કરીને પાણીની સપાટીથી સહેજ ઉપર માળા બાંધે છે. તે ૬થી ૧૦ની સંખ્યામાં ઈંડાં મૂકે છે. તેમનો રંગ ભૂખરા ખડક જેવો હોય છે. એની ઉપર લાલ, કથ્થઈ કે જાંબલી ટપકાં કે લીટીઓ હોય છે. ઈંડાંમાંથી યોગ્ય સમયે બચ્ચાં ઉત્પન્ન થાય છે. ઉછેર માદા કરતી હોય છે.

જળકૂકડીની બીજી નિકટની જાત Fulica cristata છે જેની પાંખ સફેદ અને પટ્ટી વગરની હોય છે. આનો અવાજ કર્કશ અને તીણો હોય છે. શરીરમાં મસ્તક અને ઉપલા જડબાની વચ્ચે કોણીય કાળી રચના આવેલી હોય છે. મસ્તક પર લાલાશ પડતાં બે પૂઠાં હોય છે. ચાંચ ભૂરી હોય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન