Categories
વાચન સમૃદ્ધિ

વિરોધીની ચિંતા

ગ્રીસના અત્યંત પ્રભાવશાળી રાજપુરુષ, પ્રખર વક્તા અને ઍથેન્સ નગરના જનરલ પેરિક્લિસે (ઈ. સ. પૂર્વે ૪૯૫થી ઈ. સ. પૂર્વે ૪૨૯) ઍથેન્સ નગરના સમાજજીવન પર ગાઢ પ્રભાવ પાડ્યો. એને ઍથેન્સનો ‘પ્રથમ નાગરિક’ તરીકે ઓળખવામાં આવ્યો. એણે ઍથેન્સમાં કલા અને સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપીને પ્રાચીન ગ્રીસના આ નગરને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું. પેરિક્લિસ એ લોકશાહીનો પ્રબળ પુરસ્કર્તા હતો અને ઉત્તમ શાસક હોવા છતાં પ્રજામાં એના ટીકાખોરો અને નિંદાખોરો તો હતા. એક દિવસ એના એક પ્રખર વિરોધીએ પેરિક્લિસ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. સવારથી એને વિશે બેફામ વિધાનો કર્યાં. દોષારોપણ કર્યાં અને ગુસ્સાભેર એની સમક્ષ અપમાનજનક વચનો કહ્યાં. પેરિક્લિસ વિરોધીઓની ટીકાથી સહેજે અકળાતો નહીં. એ શાંતિથી  સઘળું સાંભળતો રહ્યો. એના વિરોધીએ આખી બપોર આક્ષેપબાજીમાં ગાળી અને સાંજ પડી છતાં એ અટક્યા નહીં. અંધારું થવા લાગ્યું. પેલો વિરોધી બોલી બોલીને અને હાથ ઉછાળી ગુસ્સો કરીને થાક્યો. એ ઘેર જવા લાગ્યો ત્યારે પેરિક્લિસે એના સેવકને બોલાવીને કહ્યું, ‘તું એની સાથે ફાનસ લઈને જા. અંધારામાં એને રસ્તો નહીં જડે અને ક્યાંક ભૂલો પડી જશે.’ પેરિક્લિસનાં આ વચનો સાંભળી એનો પ્રખર વિરોધી વિચારમાં પડ્યો. એના પર આક્ષેપોની ઝડી વરસાવી. કશું કહેવામાં બાકી રાખ્યું નહીં છતાં પેરિક્લિસ મારી આટલી બધી સંભાળ લે છે. આમ વિચારતાં એનો ગુસ્સો ઓગળી ગયો અને પોતાના દુર્વર્તન બદલ ક્ષમા માગી.

Categories
વાચન સમૃદ્ધિ

ખ્વાજા અહમદ અબ્બાસ

જ. ૭ જૂન ૧૯૧૪, પાનીપત, હરિયાણા અ. ૧ જૂન ૧૯૮૭, મુંબઈ, મહારાષ્ટ્ર

પત્રકાર અને ચિત્રપટકથાલેખક. પ્રાથમિક શિક્ષણ પાણીપતમાં, ઉચ્ચશિક્ષણ અલીગઢ વિશ્વવિદ્યાલયમાં. વિદ્યાર્થીકાળ દરમિયાન ‘અલીગઢ ઓપિનિયન’ નામનું તે સંસ્થાનું મુખપત્ર શરૂ કરેલું. કારકિર્દીના આરંભમાં કેટલોક સમય ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં કામ કર્યું. ૧૯૩૫માં તેઓ ‘બૉમ્બે ક્રોનિકલ’માં જોડાયા. તેમાં ચિત્રપટના સમીક્ષક તરીકે મોટા નિર્માતાઓની કડક ટીકા કરતાં અચકાતા નહિ. સ્વતંત્ર પત્રકાર તરીકેનું તેમનું સાચું સ્વરૂપ ‘બ્લિટ્ઝ’માં પ્રગટ્યું. એ પત્રની ખ્યાતિ પામેલું કૉલમ ‘લાસ્ટ પેજ’ તેમની બાહોશ કલમનું સાહસ હતું, જે તેમણે જીવનની અંતિમ ઘડી સુધી ચાલુ રાખેલું. ‘બ્લિટ્ઝ’ હિન્દી અને ઉર્દૂમાં પણ પ્રસિદ્ધ થવા માંડ્યું ત્યારે તેમાં પણ ‘આઝાદ કલમ’ના નામથી છેલ્લું પાનું અબ્બાસ લખતા. આ રીતે ભારતમાં પત્રકારત્વની દુનિયામાં નિર્ભય વાતાવરણ ઊભું કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો. ડાબેરી વિચારસરણી તેમને કોઠે ઊતરી ચૂકી હતી, તેથી સામાન્ય જનતાના પ્રશ્નો માટે સંઘર્ષ કર્યા વગર રહી શકતા નહિ, પછી તે પત્રકારત્વ, સાહિત્ય કે ચિત્રપટ કોઈ પણ માધ્યમ હોય ! ‘નીચાનગર’ (૧૯૪૬), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯), અને રાજ કપૂરની ‘આવારા’ (૧૯૫૧), ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫), ‘મેરા નામ જોકર’ (૧૯૭૦), ‘બોબી’ (૧૯૭૩), ‘હીના’ (૧૯૯૧)ના પટકથા-લેખક તરીકે જાણીતા હતા. ૧૯૬૯માં તેમને પદ્મશ્રી એનાયત થયેલો. ૧૯૪૬માં ‘નીચાનગર’ માટે ગોલ્ડન પામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, ૧૯૫૭માં ‘જાગતે રહો’ માટે ક્રિસ્ટલ ગ્લોબ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમની ફિલ્મોમાં ‘ધરતી કા લાલ’ અને ‘શહેર ઔર સપના’ પ્રસિદ્ધ છે. બીજી ફિલ્મને રાષ્ટ્રીય સહિત અનેક પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. સાહિત્યકાર તરીકે ‘એક લડકી’, ‘ઝાફરાન કે ફૂલ’, ‘ગેહૂં ઔર ગુલાબ’, ‘કહેતે હૈં જિસ કો ઇશ્ક’ અને ‘નઈ ધરતી, નયે ઇન્સાન’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘ઇન્કિલાબ’ નામે એક નવલકથા પણ તેમણે લખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સિક્કિમ

ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. તે ૨૭ ૩૫´ ઉ અ અને ૪૮ ૩૫´ પૂ રે ની આજુબાજુનો ૭,૦૯૬ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય તથા પશ્ચિમે નેપાળ આવેલાં છે. ગંગટોક તેનું પાટનગર છે. તેની વસ્તી ૬,૯૮,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. સિક્કિમનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે. અહીં હિમાલય વિભાગના પર્વતો, અવરજવર માટેના ઘાટ, ખીણપ્રદેશો તેમ જ કોતરો આવેલાં છે. ભારતનું પ્રથમ ક્રમે આવતું અને દુનિયામાં ત્રીજા ક્રમે ગણાતું ઊંચામાં ઊંચું શિખર કાંચનજંઘા અહીં આવેલું છે. હિમાલયની કેટલીક હિમનદીઓ પણ અહીં જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીની સહાયક તિસ્તા અહીંની મુખ્ય નદી છે. તે ઉપરાંત રંગીત અને રેંગપો અન્ય નદીઓ છે.

રાજ્યનો ૩,૧૨૭ ચોકિમી. જેટલો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. પાઇન, ફર, ઓક અને હોલી અહીં જોવા મળતાં મુખ્ય વૃક્ષો છે. ઓછી ઊંચાઈવાળા પહાડી ભાગોમાં સાલવૃક્ષોનાં જંગલો આવેલાં છે. અહીં ૪,૦૦૦થી વધુ જાતિનાં ઝાંખરાં અને છોડવા, ૬૬૦ જુદી જુદી જાતિના ઑર્કિડ, રહોડોડેન્ડ્રોન તેમ જ અન્ય ફૂલો થાય છે. ઊંચાઈવાળા પહાડી વિસ્તારમાં સદાહરિત જંગલો તથા વર્ષાજંગલો જોવા મળે છે. સિક્કિમનું વનસ્પતિજીવન ખૂબ જ સમૃદ્ધ છે. ખેતી સિક્કિમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂતો અહીંના ઊભા પહાડી ઢોળાવોને ખોતરીને સીડીદાર ખેતરો બનાવે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, ડાંગર, મકાઈ, બાજરી અને કઠોળનો સમાવેશ થાય છે. રોકડિયા પાકોમાં ચા, બટાકા, મોટી ઇલાયચી, આદું અને નારંગી મુખ્ય છે. અહીં ફળો પૅક કરવાનો નાના પાયા પરનો ઉદ્યોગ વિકસ્યો છે. પશુપાલનનો વ્યવસાય પણ અહીં ચાલે છે. અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળોમાં ગંગટોક, બખીમ (નૈસર્ગિક બાગ), યામથાંગ, દુબડી મઠ, તાશ્દિંગ મઠ, રામટેક મઠ, પેમાયાન્ત્સે મઠ, સોમગો મઠ તથા ફોડોંગ મઠનો સમાવેશ થાય છે. અહીંનો ખાન્ગચેન્દઝોન્ગ નૅશનલ પાર્ક દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈએ આવેલો છે. યાક અને કસ્તૂરીમૃગ આ રાજ્યમાં જોવા મળે છે. ઘણા લોકો અહીં ટ્રૅકિંગની મોજ માણે છે. ૧૯૭૫ સુધી સિક્કિમ એક અલગ દેશ હતો. ૧૯૭૫માં તે ભારતીય સંઘનું ૨૨મા ક્રમનું રાજ્ય બન્યું. સિક્કિમની રાજધાની ગંગટોકથી ૫૬ કિમી.ના અંતરે નાથુલા ઘાટ ભારત-ચીનની સીમારેખા પર ૪૪૦૪.૪ મીટરની ઊંચાઈએ આવેલો છે. આ માર્ગ ૫૬૩ કિમી. લાંબો છે. નાથુલા ઘાટ પર ભારતીય સીમાનું છેલ્લું ગામ શેરથાંગ અને તિબેટ (ચીન) સીમા પરનું છેલ્લું ગામ ચુમા લહરી છે. ઑર્ગેનિક રીતે ખેતી કરવામાં સફળ થનાર સિક્કિમ ભારતનું સર્વપ્રથમ રાજ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કિમ, પૃ. ૧૯૧)