Categories
વાચન સમૃદ્ધિ

બૂટની જોડી

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકોની અહિંસક લડતના અગ્રણી નેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) (ઈ. સ. 1929થી 1968) પર ગાંધીજીનાં લખાણોનો અને એમની અહિંસાની વિચારધારાનો ઘણો પ્રભાવ પડ્યો. એમણે અશ્વેત લોકોના અધિકારો માટે અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. જાહેર બસમાં રંગભેદ અને અલગતાવાદ આચરવામાં આવતો હતો, એનો એમણે વિરોધ કર્યો અને લાંબા સમય સુધી જાહેર બસવ્યવહારનો બહિષ્કાર પોકારીને માર્ટિન લ્યૂથર કિંગે લડતની આગેવાની લીધી. અમેરિકામાં વિવિધ પ્રદેશોમાં એમણે રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે જેહાદ જગાવી. 1963ની 28મી ઑગસ્ટે અઢી લાખથી વધારે લોકોએ અમેરિકાની રંગભેદની નીતિ સામે વૉશિંગ્ટનમાં ઐતિહાસિક કૂચ યોજી. માર્ટિન લ્યૂથર કિંગ ઠેર ઠેર જાહેરસભાઓ ભરીને લોકજાગૃતિ સર્જતા હતા. એક વાર કોઈ સભામાં રંગભેદમાં માનતા એમના વિરોધીએ એમને નિશાન બનાવીને છુટ્ટો બૂટ ફેંક્યો. માર્ટિન લ્યૂથર કિંગને તે વાગ્યો નહીં, પણ એમના પગ પાસે પડ્યો. સભામાં ખળભળાટ મચી ગયો, પરંતુ સ્વસ્થ માર્ટિન લ્યૂથર કિંગે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું ને માર્મિક રીતે કહ્યું, ‘ધન્ય છે એ દેશને કે જે પોતાના સેવકોની નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે છે. મારા જેવા ખુલ્લા પગે ચાલતા સામાન્ય સેવકની પણ ચિંતા કરે છે. આ સભામાં ઉપસ્થિત એવા કોઈ દયાવાન સજ્જને ઉદારતા દાખવી છે, પરંતુ મને અફસોસ એટલો છે કે માત્ર એક જ બૂટ શા માટે આપ્યો ? બે બૂટ હોત તો વધારે સારું થાત !’ માર્ટિન લ્યૂથર કિંગનું વક્તવ્ય સાંભળીને લોકો સ્તબ્ધ બની ગયા. એમણે હસીને કહ્યું, ‘જે સજ્જને મને એક બૂટ આપવાની ઉદારતા દાખવી, તેમને મારી વિનંતી છે કે તેઓ બીજો બૂટ પણ આપે, તો એમની મહેરબાનીથી મને બૂટની જોડી મળી રહેશે.’ માર્ટિન લ્યૂથરની સ્વસ્થતા અને સહૃદયતાથી પ્રસન્ન એવા શ્રોતાજનોએ ‘લૉંગ લિવ માર્ટિન લ્યૂથર’ના નારા પોકાર્યા.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અનુતાઈ વાઘ

જ. ૧૭ માર્ચ, ૧૯૧૦ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૨

પૂર્વશાળાશિક્ષણનાં અગ્રણી અને મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ કેળવણીકાર. તેમનો જન્મ પુણેમાં થયો હતો. અનુતાઈનાં લગ્ન ઘણી નાની ઉંમરે શંકર વામન જાતેગાવકર સાથે થયેલાં, પણ દુર્ભાગ્યે છ મહિનામાં જ તેઓ વિધવા થયાં. આથી તેમણે વાઘ અટક જ ચાલુ રાખી. તેઓ વિધવા થયાં ત્યારે તેમની ઉંમર તેર વર્ષની હતી અને તે સમયના રીતિરિવાજો મુજબ તેમને શું કરવું તે મૂંઝવણ હતી, પણ સદભાગ્યે તેમના કુટુંબીજનો દ્વારા તેમને અભ્યાસ કરવા સાથ આપ્યો. ૧૯૨૫ની વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યાં. ત્યારબાદ ૧૯૨૯માં પુણેની ‘વિમેન્સ ટ્રેનિંગ કૉલેજ’માંથી ‘પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ’ કર્યો. ૧૯૨૯થી ૧૯૩૩ સુધી તેમણે નાશિક જિલ્લાના ચાંદવડ તાલુકાની શાળામાં વિદ્યાર્થિનીઓને ભણાવ્યું. ૧૯૫૦માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી; એટલું જ નહીં, ૧૯૬૧માં એકાવન વર્ષે મોતિયાની તકલીફ સાથે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૪૫માં તેઓ તારાબાઈ મોડકને મળ્યાં અને તારાબાઈએ પાલઘરમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવાની યોજના જણાવી. આ એક પ્રયોગાત્મક શાળાની યોજના હતી જેમાં અનુતાઈએ પોતાનો સહકાર આપવાનું વચન આપ્યું જે જિંદગીભર નિભાવ્યું. અહીં ઓછા ખર્ચે શિક્ષણ આપી બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ હતો. તારાબાઈ મોડકના ‘શિક્ષણ પત્રિકા’ માસિક દ્વારા અનુતાઈને પણ બાળ-શિક્ષણમાં ઘણો રસ પડ્યો અને તેઓ તારાબાઈનાં વ્યાવસાયિક સાથીદાર તરીકે જોડાયાં. ૧૯૭૩માં તેઓએ કોસબાડામાં આદિવાસી શિક્ષણસંસ્થાના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૯૮૦માં અનુતાઈએ ‘બહેરાં-મૂંગાં’ બાળકો માટે શાળા શરૂ કરી. ૧૯૮૧માં ‘સ્ત્રી-શક્તિ જાગૃતિ સમિતિ’ તરફથી ‘સાવિત્રી’ માસિકની શરૂઆત કરી. તેમના પ્રદાન માટે તેમને મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨માં ‘આદર્શ શિક્ષિકા’ અને ૧૯૭૫માં ‘દલિત મિત્ર’, ૧૯૮૦માં ‘સાવિત્રી ફુલે, ૧૯૮૪માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ તથા ૧૯૮૫માં જમનાલાલ બજાજ પારિતોષિકો મળેલાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

સર્વોદય અને ભૂદાન

‘સર્વનો ઉદય, સર્વનું કલ્યાણ’ એવા ગાંધીમાર્ગી આચાર-વિચારની પ્રણાલી. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી ‘सर्वेत्र सुखिनः सन्तु ।’ (અહીંયાં સૌ સુખી થાઓ) અને ‘सर्वभूतहिते रताः ।’ (સૌ પ્રાણીઓનું કલ્યાણ થાઓ)ની ભાવના વણાયેલી છે. તે ઉપરાંત ‘वसुधैव कुटुम्बकम्’ – ધરતી પરની સકળ સૃષ્ટિ એક જ પરિવાર છે –એવી ભાવના પણ પ્રચલિત છે. ૧૯૦૮માં જ્યારે રસ્કિનના પુસ્તક ‘Unto This Last’નો ગાંધીજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પ્રગટ થયો ત્યારે તેના મથાળા માટે ગાંધીજીએ ‘સર્વોદય’ શબ્દ પ્રયોજ્યો. ‘સર્વોદય’ એટલે સર્વનો ઉદય, સૌનું કલ્યાણ. સર્વોદયની ભાવના નવી નથી. સર્વોદયની ભાવના આ દેશની સંસ્કૃતિના મૂળમાં જ છે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ એમણે નીચેના સિદ્ધાંતો તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું, શ્રમનું, ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે.

વિનોબા દ્વારા શરૂ કરાયેલ ભૂદાનયજ્ઞ

આ રીતે ‘સર્વોદય’ એક નવી વિચારધારાનો દ્યોતક શબ્દ બન્યો. સર્વનો ઉદય, વધુનો કે માત્ર છેલ્લાનો નહિ. રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું અને જ્યારે એ પરિપક્વ થયું ત્યારે ‘સર્વોદય’ના મંત્ર રૂપે પ્રગટ થયું. સર્વોદયી સમાજરચનાનું સ્વરૂપ કેવું હોય તેની રૂપરેખા સંક્ષેપમાં ‘હિંદ સ્વરાજ’માં મળે છે. ગાંધીજીએ નવા યુગમાં ‘સર્વોદય’નો વધારે ઉચિત અર્થ કરી બતાવ્યો. સમાજ અને શરીર સરખાં છે. હૃદય, મગજ, પાચનતંત્ર, શ્વસનતંત્ર, મૂત્રપિંડ વગેરે બધા જ શરીરના અવયવો અગત્યના છે. કોઈ પણ અવયવમાં ક્ષતિ આવે તો શરીરનું તંત્ર કથળે. તેવી જ રીતે ખેડૂત, શ્રમિક, સેવક, વેપારી, સૈનિક, શિક્ષક, શાસક– એ બધા સમાજના અવયવો છે. તે સર્વનું આરોગ્ય સચવાય તો જ સમાજ નીરોગી બને; તો જ તેનો બધી રીતે ઉદય– સર્વોદય થાય. સમાજના એક વર્ગના ભોગે બીજો વર્ગ તાગડધિન્ના કરી શકે નહિ. ગાંધીજી જીવનભર સર્વોદયની આ ફિલસૂફીને ચરિતાર્થ કરવા માટેનું ચિંતન, મનન  અને આચરણ કરતા રહ્યા. ગાંધીજી બાદ વિનોબા દ્વારા આ દિશાનું કાર્ય આગળ વધ્યું અને તેમાંથી ભૂદાનયજ્ઞનો જન્મ થયો. વિનોબા ભાવે પોતાની આગવી પ્રતિભાથી તેનો વિકાસ કરતા રહ્યા. ૧૯૫૧ની ગાંધીજયંતીને દિવસે વિનોબાએ ૧૯૫૭ સુધીમાં દેશની કુલ ખેડાણની જમીનનો છઠ્ઠો ભાગ, અર્થાત્, પાંચ કરોડ એકર જમીન દાનમાં મેળવવાનો નિર્ધાર કરી પદયાત્રા આરંભી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્વોદય અને ભૂદાન, પૃ. ૪૬)

અમલા પરીખ