Categories
વાચન સમૃદ્ધિ

નિષ્ફળતાના માર્ગ પર સફળતા વસે છે

વિષાદ, ઉદાસી અને નિષ્ફળતા આવતાં આત્મવિશ્વાસ ડગવા માંડે છે. વિષાદને કારણે જગત દુ:ખમય લાગે છે. ઉદાસીનતાને લીધે બધું જ વ્યર્થ ભાસે છે અને નિષ્ફળતા એને નિષ્કર્મણ્યતા તરફ દોરી જાય છે. આવી કટોકટીની ક્ષણે કોઈ સફળ માનવીના જીવનનો વિચાર કરવો જોઈએ. સફળ માનવીઓ વિશે આપણો ખ્યાલ એવો છે કે  એ હંમેશાં સફળ જ રહ્યા છે. એમની પ્રત્યેક સિદ્ધિ એ એમને મળેલી અવિરત સફળતાનું પરિણામ છે. એમનો ભૂતકાળ અને વર્તમાનકાળ બધા જ સફળતાથી ભરપૂર છે, પરંતુ સફળ માનવીનું જીવન જરા ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે એની પ્રત્યેક સફળતા પાછળ કેટલીય નિષ્ફળતા છુપાયેલી છે ! હતાશા, વિષાદ અને સંઘર્ષ સામેની કેટલીય મથામણો બાદ એમણે સફળતા મેળવી છે. સફળતા-પ્રાપ્તિ એ તો એમની એક લાંબી સફરનો અંતિમ પડાવ છે. આને માટે નિષ્ફળતા, ભૂલ, પરાજય અને પછડાટની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. આત્મવિશ્વાસની કટોકટીની ક્ષણોમાં સફળ માનવીના જીવનનો સાચો તાગ મેળવીએ તો આત્મવિશ્વાસ ખંડિત નહીં થાય, બલકે આવી નિર્બળ ક્ષણોનો સામનો કઈ રીતે કરવો એનો નવો મંત્ર મળી રહેશે. સફળ માનવીએ સફળતા પૂર્વે અનુભવેલી નિષ્ફળતા જાણવાથી એ સમજાશે કે આવી નિષ્ફળતાથી હતાશ થવાની જરૂર નથી. મહાન ખેલાડીઓ રમવા જતી વખતે કદી નિષ્ફળતાનો ડર સેવતા નથી. એમને ખ્યાલ છે કે સફળતાના માર્ગમાં નિષ્ફળતા તો આવતી જ રહે ! નિષ્ફળતાને સાથે રાખીને એ આગળ વધતો રહે છે અને એ માર્ગે ચાલીને જ સફળતા પામે છે. નિષ્ફળતાના અનેક અલ્પવિરામ પછી સફળતાનું પૂર્ણવિરામ પ્રાપ્ત થાય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કાંશીરામ

જ. ૧૫ માર્ચ, ૧૯૩૪ અ. ૯ ઑક્ટોબર, ૨૦૦૬

‘બહુજન નાયક’, ‘માન્યવર’ અથવા ‘સાહબ કાંશીરામ’ વગેરે નામથી જાણીતા કાંશીરામનો જન્મ  પીર્થીપુર બન્ગા ગામ, રોપર જિલ્લો, પંજાબમાં થયો હતો. તેઓ ચમાર જાતિના શીખ પરિવારમાં જન્મ્યા હતા. વિવિધ સ્થાનીય શાળાઓમાં શિક્ષણ મેળવી, ૧૯૫૬માં રોપરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એસસી. થયા. ભણતર બાદ તેઓ પુણેની એક્સપ્લોઝિવ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ લૅબોરેટરીમાં જોડાયા. ડૉ. આંબેડકરના પુસ્તક ‘એનિહિલેશન ઑવ્ કાસ્ટ’ની તેમના ઉપર ખૂબ અસર થઈ હતી. તેમણે બહુજન, પછાત અને દલિતોના ઉદ્ધાર માટે કામ કરવાનું પ્રણ લીધું હતું. તેમણે ૧૯૮૧માં દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી હતી. દલિતોના સંગઠન અને વોટ ભેગા કરવા ૧૯૮૪માં તેમણે બહુજન સમાજ પાર્ટીની રચના કરી, ૧૯૮૪માં તેઓ પ્રથમ વાર છત્તીસગઢની જાંજગીર ચાપાં સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારપછી ૧૯૮૮માં તેમને ફરી હારનો સામનો કરવો પડ્યો. ૧૯૯૧માં મુલાયમિંસહ યાદવ સાથે ગઠબંધન કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. ૧૯૯૬માં બીજી વખત ચૂંટણી જીત્યા. ૨૦૦૧માં ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમણે સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો અને માયાવતીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યાં. ૧૯૮૨માં તેમણે ‘ધ ચમચા એજ’ પુસ્તક લખ્યું જેમાં જગજીવનરામ, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે જેવા નેતાઓને ‘ચમચા’ અર્થાત્ કઠપૂતળી કહી નિશાન બનાવ્યા હતા. ડૉ. આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ અવસાન થવાથી તે પૂર્ણ થઈ શકી ન હતી. ‘ધ ચમચા એજ’ ઉપરાંત, ‘બર્થ ઑવ્ બામસેફ’ નામનું પુસ્તક પ્રકાશિત થયુ હતું. ‘કાંશીરામ : લીડર ઑફ ધ દલિત’ બદ્રીનારાયણ તિવારીએ લખેલું તેમનું જીવનચરિત્ર છે. તેમણે આપેલાં ભાષણો પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયાં છે. એવું કહેવાય છે કે ભારતમાં આંબેડકરવાદ જીવિત રાખવાનું શ્રેય કાંશીરામને ફાળે જાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જેસલ-તોરલ

લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. ૧૯૪૮માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા-સંવાદ-ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં. ૧૯૭૧માં નિર્મિત ‘જેસલ-તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલનાં પાપના ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું. કચ્છમાં જેસલ-તોરલની સમાધિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

હરીશ રઘુવંશી