Categories
વાચન સમૃદ્ધિ

બંદાસિંહ બહાદુર

જ. ૨૭ ઑક્ટોબર, ૧૬૭૦ અ. ૯ જૂન, ૧૭૧૬

ખાલસા સેનાના અગ્રિમ શીખ લશ્કરી કમાન્ડર બંદાસિંહનો જન્મ રાજૌરીમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લચ્છમન દેવ હતું. તેમણે નાની ઉંમરે ઘોડેસવારી, કુસ્તી, તીરંદાજી અને તલવારબાજી જેવી કળાઓ સિદ્ધહસ્ત કરી હતી. જાનકીપ્રસાદ નામના તપસ્વીને મળ્યા પછી તેમણે ૧૫ વર્ષની ઉંમરે તપસ્વી બનવા ઘર છોડ્યું. તેમનું નામ માધોદાસ બૈરાગી રાખવામાં આવ્યું. તેમણે ગોદાવરી નદીના કિનારે નાંદેડમાં ડેરા સ્થાપ્યો. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ માધોદાસને મળ્યા. માધોદાસ તેમના શિષ્ય બન્યા અને તેમનું નામ ગુરબક્ષસિંહ રાખવામાં આવ્યું. જે આગળ જતાં બંદાસિંહ બની ગયું. ગોવિંદસિંહે તેમને ‘બહાદુર’નું બિરુદ આપ્યું. લડાઈ માટે તેમણે બંદાસિંહને પાંચ તીર આપ્યાં અને રાજકીય તથા લશ્કરી અધિકાર આપ્યો. બંદાસિંહે સોનીપત પર હુમલો કર્યો અને જીત મેળવી. તેમણે શાહી ખજાનો અને ધનિકોને લૂંટ્યા અને સઘળી સંપત્તિ વહેંચી દીધી. તેમણે મુઘલોની પ્રાંતીય રાજધાની સામના જીતી અને પંજાબમાં સત્તા સ્થાપી. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જમીન ખેડનારાઓને મિલકતના અધિકારો આપ્યા. તેમણે સરસિંહનો સમગ્ર વિસ્તાર અને તેના ૨૮ પરગણા પર વિજય પ્રાપ્ત કર્યો. તેનું સામ્રાજ્ય સતલજથી યમુના સુધી અને શિવાલિક પર્વતથી કુંજપરા, કરનાલ અને કૈથલ સુધી વિસ્તરેલું હતું. તેમણે મુખ્લીસગઢને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ લોહગઢ રાખ્યું. ત્યાં તેમણે પોતાની ટંકશાળમાં સિક્કા બહાર પાડ્યા. ૧૭૧૫માં મુઘલસેનાએ ગુરદાસ નાંગલમાં ઘેરો કર્યો અને બંદાસિંહ અને તેમના સાથીઓને પકડી લીધા. બંદાસિંહને લોખંડના પાંજરામાં પૂરી દિલ્હી લાવવામાં આવ્યા. બંદાસિંહને તેમના ચાર વર્ષના પુત્ર અજયસિંહને મારી નાખવાનું કહેવામાં આવ્યું. બંદાસિંહે ના પાડી તેથી પુત્રને ફાંસી આપવામાં આવી અને તેનું હૃદય કાપીને બંદાસિંહના મોંમાં નાખવામાં આવ્યું. ત્રણ માસની કેદ પછી બંદાસિંહની આંખો કાઢી નાખવામાં આવી. તેમનાં અંગો કાપી નાખવામાં આવ્યાં. તેમની ચામડી ઉતારવામાં આવી. અતિશય ત્રાસ આપીને તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

દાઝયો નથી ને !

ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો જેના નામ સાથે સંકળાયેલાં છે એવા સર આઇઝેક ન્યૂટન (ઈ. સ. ૧૬૪૨થી ઈ. સ. ૧૭૨૭) કલનશાસ્ત્ર (કૅલ્ક્યુલર), ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતાં સંશોધનો માટે પ્રસિદ્ધ છે. ન્યૂટને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન કોપરનિક્સ, ગૅલિલિયો, કેપ્લર, દકાર્ત જેવા મહાન વૈજ્ઞાનિકોનાં પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ જોડાયેલાં છે. નવા વૈજ્ઞાનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા આઇઝેક ન્યૂટને ઈ. સ. ૧૬૬૫ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કરી એનો વ્યાપક ઉપયોગ કર્યો. જે દ્વિપદી પ્રમેય એની કબર પર કોતરવામાં આવ્યું છે. ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ન્યૂટન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો વિશેની પોતાની નોંધ એક નોટબુકમાં વખતોવખત લખતા જતા હતા. એક વાર સંધ્યાના સમયે સર આઇઝેક ન્યૂટન પ્રયોગકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે એમનો કૂતરો એકાએક ધસી આવ્યો. એ કૂતરાએ સામે બિલાડીને જોઈને એને પકડવા માટે છલાંગ લગાવી અને એમ કરવા જતાં ટેબલ પર પડેલો લૅમ્પ અચાનક પડી ગયો. સંશોધનની નોંધોના કાગળો સળગવા લાગ્યા અને ન્યૂટનની કેટલાંય વર્ષોની મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. પોતાના સંશોધનકાર્યની હાથનોંધ સળગતી જોઈ રહ્યા અને માત્ર એટલું બોલ્યા, ‘અરે ! તેં મારી કેટલાય દિવસના પરિશ્રમ પછી તૈયાર કરેલી હાથનોંધને બાળી નાખી.’ સામાન્ય માનવી આવા સંજોગોમાં કૂતરાને સખત માર મારે, જ્યારે આઇઝેક ન્યૂટને પોતાના કૂતરાને નજીક બોલાવ્યો, એના પર હાથ ફેરવ્યો અને જોયું કે ક્યાંય એ દાઝ્યો તો નથી ને !,

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દિનકર મહેતા

જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૦૭ અ. ૩૦ ઑગસ્ટ, ૧૯૮૯

દિનકર મહેતા એક ભારતીય રાજકારણી અને ટ્રેડ યુનિયનિસ્ટ હતા. યુવાનીમાં તેઓ મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને ૧૯૩૦ના ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું. સવિનય કાનૂનભંગ ચળવળ માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. દિનકર મહેતાએ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક વિજ્ઞાન સાથે સ્નાતક થયા બાદ ૧૯૩૩ સુધી ત્યાં શિક્ષણકાર્ય પણ કર્યું હતું. ૧૯૩૪માં તેમણે કૉંગ્રેસ સમાજવાદી પક્ષ(CSP)ના ગુજરાત એકમની સ્થાપનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ૧૯૩૫માં તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને ૧૯૩૬માં પાર્ટીએ તેમને ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું. તેમણે ૧૯૩૬થી ૧૯૩૮ દરમિયાન સમાજવાદી પાર્ટીના સંયુક્ત સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ટ્રેડ યુનિયનો અને અન્ય  જનસંગઠનોનું આયોજન કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૨ અને ૧૯૪૮થી ૧૯૫૧ સુધી તેઓ થોડો સમય જેલમાં અને વધુ સમય ભૂગર્ભમાં રહ્યા હતા. ૧૯૫૩ના મદુરાઈ પાર્ટી કૉંગ્રેસમાં દિનકર મહેતા સીપીઆઈની સેન્ટ્રલ કમિટીમાં ચૂંટાયા હતા. ૧૯૫૭થી ૧૯૬૦ દરમિયાન તેઓ મહાગુજરાત જનતા પરિષદના ઉપપ્રમુખ હતા. તેઓ ૧૯૫૮થી ૧૯૬૦ દરમિયાન બૉમ્બે રાજ્યની વિધાન પરિષદના સભ્યપદે પણ હતા. ૧૯૬૪માં સીપીઆઈનું વિભાજન થવાથી તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી)માં જોડાયા. ઑક્ટોબર-નવેમ્બર ૧૯૬૪માં કૉલકાતા ખાતે યોજાયેલી સાતમી પાર્ટી કૉંગ્રેસમાં તેઓ સીપીઆઈ(એમ)ની ગુજરાત રાજ્ય સમિતિના સચિવ બન્યા હતા અને એ પદ તેમણે આજીવન નિભાવ્યું હતું. તેઓ ૧૯૬૬માં અમદાવાદના મેયર તરીકે ચૂંટાયા હતા અને ૧૯૬૭ સુધી મેયરપદે રહ્યા હતા. ૧૯૬૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર કાઝીપુર બેઠક પરથી અપક્ષ તરીકે તેમણે ચૂંટણી પણ લડી હતી. ગુજરાતી ભાષામાં માર્કસવાદી વિચારધારા પર તેમણે માતબર લેખનકાર્ય કર્યું છે.

અશ્વિન આણદાણી