Categories
વાચન સમૃદ્ધિ

અડાલજની વાવ

અમદાવાદની ઉત્તરે આશરે ૨૦ કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. આ વાવ અડાલજના વાઘેલા રાવ વીરસિંહનાં ધર્મપત્ની રાણી રૂડાબાઈએ પોતાના પતિના સ્મરણાર્થે સંવત ૧૫૫૫(ઈ. સ. ૧૪૯૯ ?)માં બંધાવી હતી. આ વાવ બંધાવવામાં તે સમયના પાંચ લાખ ટાકા(રૂપિયા)નો ખર્ચ થયો હતો. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એક એક પ્રવેશદ્વાર – મુખ છે અને તેથી તે ‘જયા’ પ્રકારની વાવ ગણાય છે. દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે. વાવની લંબાઈ ૭૫.૩ મીટર છે. તેને ચાર મંડપ છે. ત્રણેય પ્રવેશદ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વારમંડપ ભેગા થાય છે.

અડાલજની કલાત્મક વાવ                    અડાલજની વાવમાંનો એક સુંદર ગોખ

વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે : (૧) કુંભી, (૨) સ્તંભ, (૩) ભરણું, (૪) સરું. સરુંના ભાગ પર આડા પાટડા છે. બધા જ પાટડા શિલ્પકામથી ભરપૂર છે. પ્રથમ મંડપને બે માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણની હારમાં ચાર ચાર એમ બાર સ્તંભ છે. સરું અને સ્તંભને જોડતાં ત્રાંસાં નેજવાં છે. ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે. કુંડને નવ મીટરના સમચોરસમાં ગોઠવેલ છે. બીજે માળે ઊતરતાં સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહ કંડારેલા છે. વાવમાં ૫૬ જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલાં છે.

શિલ્પસ્થાપત્યની દૃષ્ટિએ આખી વાવ સર્જનકળાનો શ્રેષ્ઠ નમૂનો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

જોસેફ નાઇસફોર નીસ

જ. 7 માર્ચ, 1765 અ. 3 જુલાઈ, 1833

છબીકલાના અગ્રણી ફ્રેન્ચ સંશોધક જોસેફ નાઇસફોર નીસનો જન્મ ફ્રાંસના સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ કલૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણથી આંતરિક દહનથી ચાલતું એન્જિન બનાવ્યું. તેનું નામ પાયરેલોફેર આપ્યું. ઉપરાંત તેમણે પિસ્ટન અને સિલિંડરની રચનાની શોધ કરી. 1813માં તે વખતની છાપકામની નવી નવી ટૅકનિક અંગેના પ્રયોગોમાં તે વ્યસ્ત થઈ ગયા. કોઈ પણ લખાણનું સ્વયં બિંબ મળી આવે તે શોધી કાઢવા તેમણે અનેક પ્રયોગો કર્યા. તેમણે મિશ્ર ધાતુના પતરા ઉપર હળવા છતાં પ્રકાશગ્રાહી પદાર્થોનું અસ્તર ચડાવી તે ઉપર કોતરાયેલા અક્ષરોની પ્રતિકૃતિ તડકામાં ઊપસી આવે તેમ કર્યું. 1816ના એપ્રિલમાં ફોટોગ્રાફી માટે નવા પ્રયોગો કરી હીલિયોગ્રાફીની શોધ કરી. આ એક પ્રકારના કૅમેરા સાથેનું સાધન હતું. પછી તો ફોટો પાડવા માટે પ્રકાશની તત્કાળ અસર ઝીલનારો કાગળ બનાવવા અને પ્રકાશની મદદથી તેના પર કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ અંકિત થાય તે માટે ભિન્ન ભિન્ન પદાર્થો પર તેમણે અનેક પ્રયોગો કર્યા. 1822માં તેમને આ પ્રયોગમાં સફળતા મળી. 1826માં કૅમેરાનો ઉપયોગ કરી પોતાની પ્રયોગશાળામાં બારી બહાર દેખાતા એક દૃશ્યને પ્યૂટર પ્લૅટ પર આબેહૂબ ઝીલ્યું. આમાંથી કોતરેલા પતરા કે શિલા પરથી આકૃતિને છાપવાની કલા વિકસતી ગઈ. આમ નીચે પ્રાકૃતિક દૃશ્યોને પ્રકાશની મદદથી હૂબહૂ પ્રતિબિંબિત કરી બતાવ્યાં; એટલું જ નહિ, પરંતુ સાથે સાથે સ્વયંસંચાલિત કાગળ પર ફરી વાર નીપજતાં પ્રતિબિંબની શોધ પણ કરી. જોકે પોતાની શોધખોળ સંપૂર્ણ સિદ્ધિને વરે તે પહેલાં નીસનું અવસાન થયું. પરંતુ તેમણે કરેલા પ્રયોગો વધુ ઊંડાણપૂર્વક ચાલુ રાખતાં ડેગ્વેર કાળક્રમે સફળ થયા. તેમણે પ્રતિબિંબને ઝીલવા માટેનો સમય અતિશય ટૂંકાવી નાખ્યો. આમ હીલિયોગ્રાફીની શોધના મૂળ જનક નીસ ગણાય છે. જોકે નીસનું નમ પશ્ચાદ્ભૂમિમાં ઠેલાઈ ગયું છે અને ડેગ્વેરનું નામ મોખરે રહ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ત્બિલિસિ (Tbilisi)

એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43´ ઉ. અ. તથા 44° 49´ પૂ. રે. પર કુરા નદીના બંને કાંઠે વસેલું છે. સોવિયેત સંઘના વિઘટન (1991) પછી જ્યૉર્જિયા સ્વતંત્ર પ્રજાસત્તાક બન્યું. આ નગરની કુલ વસ્તી 13,30,000 (2025, આશરે) હતી. તેના વાયવ્ય ખૂણે ગોરિ, નૈઋત્યે તેલાવિ તથા અગ્નિખૂણે રુસ્તાવિ નગરો આવેલાં છે. આઝરબૈજાન પ્રજાસત્તાકના પાટનગર બાકુથી તે નૈઋત્યમાં આશરે 435 કિમી.ના અંતરે છે. સમુદ્રની સપાટીથી તે 406થી 522 મી. ઊંચાઈ એ છે. નદીના કાંઠે તેનો પ્રલંબિત ભાગ 27 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. ત્યાં વિદ્યુતશક્તિ પર ચાલતાં રેલ-એન્જિનો, એન્જિનિયરિંગને લગતી વસ્તુઓ, મશીનટૂલ્સ, સુતરાઉ કાપડ, ચામડાની વસ્તુઓ, પગરખાં, કાગળ, લાકડાનું રાચરચીલું, યંત્રો, તમાકુની બનાવટો, ધાતુની ચીજવસ્તુઓ, રેશમની વસ્તુઓ, ખનિજતેલની પેદાશોનાં તથા દારૂ ગાળવાનાં કારખાનાં વિકસ્યાં છે. પચરંગી વસ્તી ધરાવતું આ શહેર સડક તથા રેલવ્યવહારનું કેન્દ્ર હોવાથી તથા બાજુના જળવિદ્યુત મથકમાંથી તેને વીજળીનો પૂરતો પુરવઠો પ્રાપ્ત થતો હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે તેણે હરણફાળ પ્રગતિ કરી છે.

ત્બિલિસિ શહેર

નગરમાં જ્યૉર્જિયા યુનિવર્સિટી(1918)નું મથક, જ્યૉર્જિયન અકાદમી ઑવ્ સાયન્સીઝ (1941), કલા અકાદમી, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિન તથા કૃષિ, વનવિજ્ઞાન, ઉદ્યોગો અને ટૅકનૉલૉજીને લગતી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. ત્યાં પાંચમી સદીનું યહૂદીઓનું દેવળ, છઠ્ઠી સદીનું આન્ચિખાટિ દેવળ, તેરમી સદીનાં મેટેખિ દુર્ગ તથા દેવળ અને નદીના જમણા કાંઠા પર આવેલ ટેકરી પર પ્રાચીન કિલ્લો, આધુનિક સમયગાળામાં ઊભાં કરવામાં આવેલ વસ્તુસંગ્રહાલયો, ઉદ્યાનો, નાટ્ય તથા સંગીતગૃહો વગેરે પર્યટકો માટે આકર્ષણનાં સ્થળો ગણાય છે. ઇતિહાસ : ચોથી સદીથી છઠ્ઠી સદી દરમિયાન જ્યૉર્જિયાના શાસકોનું તે પાટનગર હતું. સાતમી, આઠમી તથા નવમી સદી દરમિયાન તેના પર પર્શિયનો, આરબો તથા ગ્રીકોનાં આક્રમણો થતાં રહ્યાં. 1387માં મૉંગોલવિજેતા તૈમુર લંગે તેના પર આધિપત્ય જમાવ્યું હતું. 1795માં પર્શિયન આક્રમણખોરોએ તેનો સંપૂર્ણ વિનાશ કર્યો હતો. 1801માં રશિયાના ઝાર શાસકોએ કૉકેસસ પર્વતમાળાના તેમના પ્રદેશના પાટનગર તરીકે તેની પસંદગી કરી. 1918–21 દરમિયાન જ્યૉર્જિયાના સ્વતંત્ર પ્રજાસત્તાકનું તથા 1991માં જ્યૉર્જિયા સ્વતંત્ર થયું ત્યારથી તે નવા પ્રજાસત્તાકનું પાટનગર છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9