Categories
વાચન સમૃદ્ધિ

વૃંદાવનલાલ વર્મા

જ. ૯ જાન્યુઆરી, ૧૮૮૯ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯

હિન્દી નાટ્યકાર તથા નવલકથાકાર વૃંદાવનલાલનું ઐતિહાસિક અને પૌરાણિક ઉપન્યાસના વિકાસ માટે યોગદાન મહત્ત્વનું છે. તેઓએ ઐતિહાસિક ઘટનામાં અને પાત્રોની પ્રમાણભૂતતાની પરખ કરીને તેનો ઉપયોગ પોતાની નવલકથાઓમાં કર્યો છે. તેઓ ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે અને ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારા રચનાકાર છે. એમણે મધ્યકાળનો સમય પસંદ કર્યો છે. જે અરાજકતા અને અંધકારનો માહોલ છે. પંદરમી સદીમાં સિકંદર લોદીના સમયમાં ગુજરાત, માલવા, રાજસ્થાન વગેરેમાં અરાજકતા હતી. તે સમયે સ્ત્રીઓનાં અપહરણ, મારફાડ, વટાળપ્રવૃત્તિ જેવી દુનીતિઓ વચ્ચે ગ્વાલિયરના રાજવી માનસિંહ તોમર અને એમની રાણી મૃગનયનીનાં પ્રેમ, શૌર્ય અને ઉચ્ચ મૂલ્યોની કથા ‘મૃગનયની’ નવલકથામાં પ્રસ્તુત કરી છે. ‘રાની દુર્ગાવતી’, ‘વિરાટ કી પદ્મિની’, ‘કચનાર’ અને ‘ભુવન વિક્રમ’ જેવી ઐતિહાસિક નવલકથાઓ જાણીતી છે. તેમની નવલકથાઓમાં પ્રેમ અને યુદ્ધ કેન્દ્રમાં છે, જેના કારણે ઇતિહાસ વધારે રસિક બને છે. તેમની નવલકથાઓમાં બુંદેલખંડનાં લોકજીવન, પ્રકૃતિ અને પરિવેશનું જીવંત ચિત્રણ કર્યું છે. તેઓને ઉત્કૃષ્ટ સાહિત્ય માટે હિન્દી સાહિત્ય સંમેલન તથા આગ્રા વિશ્વવિદ્યાલય તરફથી ડિ.લિટ.ની માનદ પદવી મળી છે. ભારત સરકાર દ્વારા તેઓને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય જગતમાં તેઓના કામની પ્રશંસા થઈ છે. ‘ઝાંસી કી રાની’ માટે તેઓને ‘સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. તેમની લખેલી સામાજિક ઉપન્યાસ પર આધારિત હિન્દી ફિલ્મ ‘સંગમ’ અને ‘લગાન’ બની છે. એમની નવલકથાઓનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કડવી ચીરનું સુખ !

મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક વાર એક જંગલમાં આ ગુલામ સાથે શિકાર ખેલવા ગયેલો મહમૂદ ગઝનવી રસ્તો ભૂલ્યો. ખૂબ ભૂખ લાગી. પાસેનું ખાવાનું ખૂટી ગયું. એવામાં એક બગીચો જોયો. એના એક વૃક્ષ પર એક પાકેલું ફળ જોયું. બાદશાહ અને ગુલામ બંને ખૂબ ભૂખ્યા હતા. મહમૂદ ગઝનવીએ એ ફળ તોડ્યું અને એનો પહેલો ટુકડો ગુલામને ખાવા આપ્યો. આમેય એ પોતાનું ભોજન લેતાં પહેલાં દરેક વાનગીમાંથી થોડું ગુલામને ખાવા આપતો અને પછી પોતે ભોજન લેતો. આથી ખોરાકમાં ઝેર ભેળવ્યું હોય તો પોતાને કશો વાંધો ન આવે. એમાં પણ આ ફળ કયા પ્રકારનું છે એની બેમાંથી કોઈને જાણ ન હતી. કોઈ ઝેરી ફળ હોય તો શું થાય ? મહમૂદ ગઝનવીએ ફળની પહેલી ચીરી કરીને ગુલામને આપી. ગુલામ એ ચીર ખાઈ ગયો અને બીજી માગી. પછી ત્રીજી, ચોથી અને પાંચમી ચીર ગુલામ માગતો જ ગયો અને મહમૂદ ગઝનવીએ એને આપી. હવે છેલ્લી ચીર રહી હતી. ગુલામે એ માગી. બાદશાહે પ્યારા ગુલામને કહ્યું, ‘આ એક બાકી રહેલી છેલ્લી ચીર તો મને ખાવા દે.’ ગુલામે કહ્યું, ‘ના માલિક. મને ખાવા દો. મને આપો. એમ કહીને બાદશાહના હાથમાંથી એ ચીર છીનવી લેવાની કોશિશ કરી.’ મહમૂદ ગઝનવી અકળાયો. બાદશાહ સામે આવી ગુસ્તાખી ! આ ગુલામને એની હેસિયત અને મારી ભૂખનો કશો ખ્યાલ નથી ! આથી ગુલામ હાથમાંથી ચીર ઝડપે એ પહેલાં પોતે જ એને મોંમાં મૂકીને ખાવા લાગ્યા. તરત જ મોંમાંથી એ ચીર ફેંકી દેતાં મહમૂદે કહ્યું, ‘અરે ! આ તો કડવી ઝેર જેવી ચીર છે અને તું આટલી બધી ચીર ખાઈ ગયો ? કહેવું તો હતું કે કડવું વખ ફળ છે. તું તો વધુ ને વધુ માગતો રહ્યો. જાણે કોઈ અમૃત ફળ ન હોય !’ ગુલામે કહ્યું, ‘બાદશાહ, જિંદગીમાં ઘણી મધુર ચીજો આપના હાથે આપી છે. એનાથી મારી જિંદગી રોશન થઈ છે. એકાદ કડવી ચીજ એ જ હાથ પાસેથી મળે તો તેમાં વાંધો શું ? તમારા હાથે મને કેટલું બધું સુખ આપ્યું છે ? હવે એની પાસેથી થોડુંક દુઃખ મળે તો તે પણ સદભાગ્ય ગણાય. જે કંઈ આપના હાથના સ્પર્શથી મળે, તે બધાથી હું ધન્યતા અનુભવું છું.’

માનવી જીવનમાં પોતાના સ્વજનો પાસેથી સદૈવ સુખની આશા રાખે છે, કિંતુ પૂર્ણ સુખ કદી કોઈને પ્રાપ્ત થયું છે ખરું ? સુખના સાગરમાં દુ:ખની સરિતાનો સંગમ સધાતો હોય છે. મધુર ફળોની સાથે ક્યારેક કડવી ચીર પણ ખાવી પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દીનશા મુલ્લા

જ. ૮ જાન્યુઆરી, ૧૮૬૮ અ. ૨૭ એપ્રિલ, ૧૯૩૪

ભારતના વિખ્યાત કાયદાશાસ્ત્રી દીનશા મુલ્લાનો જન્મ મુંબઈમાં વેપારી કુટુંબમાં થયો હતો. બોરાબજારસ્થિત ઑનલૂકર મેન્શનમાં બચપણ અને યુવાની વિતાવી. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી ૧૮૯૨માં સૉલિસિટર ફર્મમાં કામ કર્યું અને ત્યારપછી ભાઈ એરૂચશો મુલ્લા સાથે ૧૮૯૫માં મુલ્લા ઍન્ડ મુલ્લા નામની સૉલિસિટર ફર્મ ખોલી. રેડીમની મેન્શનમાં એક નાનકડી ઑફિસથી શરૂઆત કરી છેવટે પીટિટ કુટુંબ પાસેથી મેન્શન ખરીદી, મુલ્લા હાઉસ બનાવ્યું. ત્યારપછી તે પેઢી અંગ્રેજી ફર્મ ક્રેગી (Craigie)બ્લન્ટ ઍન્ડ કેરો (Caroe) સાથે ભળી ગઈ. તેઓ વિદ્યાવ્યાસંગી અને મહેનતુ હતા. તેમણે ભારતીય કાયદાશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હતો. કોડ ઑવ્ સિવિલ પ્રોસિજર, હિન્દુ લૉ, મુસ્લિમ લૉ અને નાદારીનો કાયદો જેવા વિષયો પર એમણે લખેલાં પુસ્તકો તેમના જીવનકાળ દરમિયાન જ અદાલતોમાં પ્રમાણભૂત ગણાતાં હતાં. ૧૯૦૯માં સર લૉરેન્સ જેન્કિન્સના સૂચનથી તેમણે સૉલિસિટરનો વ્યવસાય છોડીને ઍડ્વોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત શરૂ કરી હતી. મુલ્લા તેમના સમયના સૌથી વિદ્વાન ધારાશાસ્ત્રી ગણાતા હતા. ૧૯૨૨માં મુંબઈ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થઈ હતી. થોડાં વર્ષો પછી તેમણે ન્યાયાધીશપદેથી રાજીનામું આપ્યું હતું. પછી તેઓ ઍડ્વોકેટ જનરલ અને વાઇસરૉયની કાઉન્સિલના કાયદા ખાતાના સભ્ય (લૉ મેમ્બર) બન્યા હતા. નાદારીના કાયદા પર તેમણે આપેલ ‘ટાગોર લૉ પ્રવચનો’ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ લિંકન્સ ઇનના માનાર્હ સભ્ય હતા. ૧૯૩૦માં તેમની નિમણૂક પ્રિવિ કાઉન્સિલની ન્યાયસમિતિ પર થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીએ તેમને એલ.એલ.ડી.ની માનાર્હ પદવી આપેલી અને અંગ્રેજ સરકારે ૧૯૩૦માં ‘સર’નો ઇલકાબ આપેલો.

અમલા પરીખ