Categories
વાચન સમૃદ્ધિ

અણહકનું ન લેવાય

ફ્રાંસના સરકારી અધિકારી પોલની પાસે યોજના મંજૂર કરવાનો આખરી નિર્ણય લેવાની સત્તા હતી. એક કૉન્ટ્રાક્ટરને એ ખ્યાલ આવ્યો એટલે એણે વિચાર્યું કે લાખો ફ્રેન્કની કમાણી કરી આપે એવી આ યોજના કોઈ પણ સંજોગોમાં હાથ કરી લેવી. એ એક સૂટકેસમાં નોટોનાં બંડલ ભરીને કૉન્ટ્રાક્ટર પોલને ઘેર ગયો. આ સમયે પોલ ઘરમાં બેસીને કંઈક લખી રહ્યા હતા. કૉન્ટ્રાક્ટરે જોયું તો પોલનું ઘર એક સામાન્ય માનવીના ઘર જેવું હતું. એ જાણતો પણ હતો કે આ સરકારી અધિકારીનો હોદ્દો ઊંચો છે પણ એનો પગાર ઘણો ઓછો છે. આ સમયે મકાનમાલિક આવી ચડે છે અને પોલ પાસે ભાડાની ઉઘરાણી કરે છે. કૉન્ટ્રાક્ટરને થયું કે પોતે ખરેખર યોગ્ય સમયે જ આવ્યો છે. એણે મકાનમાલિકને કહ્યું, ‘સાહેબના ભાડાની ફિકર ન કરો. હું તમને ચૂકવી દઈશ.’ પોલે કહ્યું, ‘ભાઈ, એવી તકલીફ લેવાની જરૂર નથી. હું એક સામયિક માટે એક લેખ લખું છું. એનો પુરસ્કાર મળશે એટલે તરત ભાડું ચૂકવી દઈશ.’ કૉન્ટ્રેક્ટરે પૂછ્યું, ‘સાહેબ, રેલવેલાઇન નાખવા અંગેની મારી દરખાસ્ત આપને મળી ચૂકી હશે. એ અંગે આપ શું વિચારો છો ? મારા પર કૃપા કરો તો ઘણું સારું.’ કૉન્ટ્રાક્ટરે સૂટકેસ ખોલી અને કહ્યું, ‘સાહેબ, બસ તમે સંમતિ આપો એટલી જ વાર છે. આપને માટે પચાસ હજાર ફ્રેન્ક લાવ્યો છું. આખી જિંદગીમાં પણ આટલી કમાણી નહીં થાય.’ કૉન્ટ્રાક્ટરની ધૃષ્ટતા જોઈને પોલ અકળાઈ ગયા અને કોપાયમાન થઈને બોલ્યા, ‘ચાલ્યા જાવ અહીંથી, નહીં તો પોલીસના હવાલે કરી દઈશ.’ પોલનો અવાજ સાંભળીને એમનાં પત્ની રસોઈગૃહમાંથી બહાર દોડી આવ્યાં. કૉન્ટ્રાક્ટરે એમને જોઈને કહ્યું, ‘બહેન, આપના પતિદેવને સમજાવો. મારી આ ભેટનો સ્વીકાર કરે.’ શ્રીમતી પોલે કહ્યું, ‘આ ભેટ નથી, લાલચ છે. અમારું સીધુંસાદું જીવન જોઈને તમને થયું હશે કે તમે અમને ભોળવી જશો, પણ અમને અમારી સાદાઈ માટે ગૌરવ છે અને જુઓ, અણહકનું તો કદી ન લેવાય. માટે સૂટકેસ બંધ કરીને અહીંથી વિદાય થઈ જાવ.’

Categories
વાચન સમૃદ્ધિ

પરવીન બાબી

જ. 4 એપ્રિલ, 1954 અ. 20 જાન્યુઆરી, 2005

ભારતીય હિન્દી ફિલ્મજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીનો જન્મ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો. પિતા વલિ મહોમદ તથા માતા જમાલ બખ્તેનું એ એકમાત્ર સંતાન હતાં. દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં અમદાવાદ સ્થળાંતર કર્યું. શાળાકીય શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મેળવ્યું તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની પદવી મેળવી. 1972માં મૉડલિંગજગતમાં પદાર્પણ કર્યું. દરમિયાન નિર્માતા નિર્દેશક બી. આર.  ઇશારાના ધ્યાનમાં આવતાં 1974માં ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનય કરીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. 1974માં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં નાયિકાના પાત્ર દ્વારા દર્શકો માટે ધ્યાનાકર્ષક અભિનેત્રી બન્યાં. ‘અમર અકબર ઍન્થની’, ‘દીવાર’, ‘સુહાગ’, ‘અર્પણ’, ‘ખુદ્દાર’, ‘મહાન’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. 70 અને 80ના દશકમાં સૌથી વધુ વળતર લેતાં અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં જાણીતાં બન્યાં. સુંદર તથા નિર્ભીક અભિનેત્રી પરવીન બાબી પોતાના આધુનિક દેખાવ તથા સ્વતંત્ર અભિગમથી જાણીતાં હતાં. 1976માં ‘ટાઇમ’ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર પરવીન બાબીની તસવીર છપાઈ, જે ભારતીય અભિનેત્રી માટેની પ્રથમ ઘટના હતી. પરવીન બાબીનું અંગત જીવન ઘણું ચર્ચાસ્પદ તથા દુઃખી રહ્યું. અતિ સંવેદનશીલ આ અભિનેત્રીનું બાળપણ ઘણું કપરું રહ્યું હતું. પ્રણયસંબંધોમાં અનેક નિષ્ફળતા એમના માનસિક રોગોનું કારણ બની. 1983માં તેમણે ફિલ્મકારકિર્દી છોડીને અમેરિકા સ્થળાંતર કર્યું અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું, પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ માનસિક રોગને કારણે તેઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં નહિ અને 1989માં ભારત પાછાં ફર્યાં. ત્યારબાદ એમનું જીવન એકલતા, હતાશા તથા માનસિક બીમારીમાં વીત્યું. 2005માં જૂહુના એમના નિવાસસ્થાનમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યાં. અતિ સુંદર, મોહક તથા પ્રતિભાશાળી પરવીન બાબી એમના સમયમાં વિશેષ ખ્યાતિ પામ્યાં. ફિલ્મજગતમાં અવિસ્મરણીય અભિનેત્રી તરીકે પરવીન બાબીનું સ્થાન અવિચળ છે.

Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યા

ઉત્તરપ્રદેશનું ધાર્મિક મહત્ત્વ ધરાવતું પ્રાચીન શહેર. તે ૨૬° ૪૮´ ઉ. અ. અને ૮૨° ૧૨´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ઘાઘ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું છે. આ નદીના ઉત્તર કાંઠે અયોધ્યા અને દક્ષિણ કાંઠે ફૈઝાબાદ વસેલું છે. પ્રાચીન સમયના કોટાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાને કારણે આ નગરનો ખૂબ મહિમા છે. દશરથ રાજાના સમયમાં તે સમૃદ્ધ હતું. તે પછી શ્રીરામે ત્યાં રાજ્ય કર્યું હતું. પાછળથી વેરાન બનેલા નગરને ઋષભ રાજાએ ફરી વસાવ્યું. ૭મી સદીમાં અહીં ચીની યાત્રી શ્યેન ચાંગ આવેલો. બૌદ્ધકાળ દરમિયાન બૌદ્ધ સાધુ ફાહિયાને પણ અયોધ્યા મહત્ત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ કરેલો છે. અહીં સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર હતું.

રામમંદિર, અયોધ્યા

અહીં રામચંદ્રજીનાં અનેક મંદિરો કે સ્થાનકો છે. તેમાં હનુમાનગઢી, સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામચંદ્રજીનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, મણિપર્વત વગેરે મુખ્ય છે. ૧૮મી અને ૧૯મી સદીનાં મંદિરોમાં કનકભવન, નાગેશ્વરનાથ અને દર્શનસિંહ જોવાલાયક છે. બાબરે બંધાવેલી મસ્જિદ(બાબરી મસ્જિદ)ના અવશેષ આ વિસ્તારમાં છે. ૧૯૮૦ પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને જોડિયું નગર અસ્તિત્વમાં આવ્યું. શહેરની વસ્તી આશરે ૮૦ લાખ (૨૦૨૫) છે. એમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને જૈન લોકોનો સમાવેશ થાય છે. આ સ્થળ પાંચ જૈન તીર્થંકરોની પણ જન્મભૂમિ હોવાથી અઢારમી સદીમાં અહીં પાંચ જૈન મંદિરો પણ બાંધવામાં આવ્યાં છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં રામલલ્લાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અયોધ્યા, પૃ. 58)