Categories
વાચન સમૃદ્ધિ

જેમ્સ વૉટ્સન

જ. 6 એપ્રિલ, 1928 અ. 6 નવેમ્બર, 2025

પ્રસિદ્ધ અમેરિકન જનીન-વિજ્ઞાની, જૈવ-ભૌતિકવિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિક સહવિજેતા. જન્મ શિકાગો, ઇલિનોય, યુ.એસ.એ.માં અને બાળપણ પણ શિકાગોમાં વિતાવ્યું. અભ્યાસ હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં કર્યો. ત્યારબાદ શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં 1943માં 15 વર્ષની વયે શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રયોગલક્ષી કૉલેજમાં દાખલ થયાં અને 1947માં સ્નાતકની ઉપાધિ મેળવી. બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં સૂક્ષ્મજીવવિજ્ઞાનના ક્ષેત્રે થતાં સંશોધનોથી તેઓ પ્રભાવિત હતા અને પક્ષીનિરીક્ષણનો રસ પણ તેમને જનીનવિદ્યાના અભ્યાસ તરફ દોરી ગયો. આથી શિષ્યવૃત્તિ મળતાં ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા અને વિષાણુશાસ્ત્રમાં જીવાણુભોજી વિષાણુઓ પર સંશોધન કરી 1950માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ હાંસલ કરી. 1950-51માં તેઓ મર્ક-ફેલો તરીકે કોપનહેગનમાં ગયા અને જીવાણુસંલગ્ન વિષાણુઓ પર સંશોધન કર્યું. 1951-53 દરમિયાન ક્વૅન્ડિશ પ્રયોગશાળામાં સંશોધક તરીકે જોડાયા અને X-કિરણ વિવર્તન ટૅકનિકનો અભ્યાસ કર્યો. તેઓ બ્રિટિશ જૈવ-ભૌતિકવિદ ફ્રાન્સિસ ક્રિકને મળ્યા અને બંનેએ DNA અણુઓની સંરચના ઉકેલવાના પ્રયત્નો કર્યા. પરિણામરૂપ 1953માં બ્રિટિશ જર્નલ ‘નેચર’માં DNA અણુના પ્રતિરૂપ વિશેનું પ્રકાશન બે સંશોધનપત્રો રૂપે કર્યું. આ દરમિયાન નોબેલવિજેતા ભૌતિકવિદ શ્રોડિન્જરના ‘What is life’ પુસ્તકના વાચનથી પ્રભાવિત થઈ સંભાવ્ય જટિલ સ્વરૂપના એક અણુ દ્વારા આનુવંશિકતાને લગતી જૈવિક વિધિનું નિયમન કઈ રીતે થાય છે તે જાણવા પ્રેરિત થવાથી લંડનના બાયૉફિઝિકલ યુનિટમાં જોડાયા અને કોષાંતર્ગત ન્યૂક્લીઇડ ઍસિડના પારજાંબલી સૂક્ષ્મવર્ણપટનો સ્પેક્ટ્રૉફોટોમિતીય અભ્યાસ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ન્યૂક્લીઇડ ઍસિડના અણુની સૂક્ષ્મતમ રચનાના અને આ અણુમાં સંકેતના સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી સંતાનમાં કઈ રીતે સ્થાનાંતર પામે છે તેને લગતા મૌલિક સંશોધન બદલ ક્રિક–વૉટ્સન–વિલ્કિન્સ ત્રિપુટીને 1962ના વર્ષનું દેહધર્મવિજ્ઞાન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું. વૉટ્સનનાં મહત્ત્વનાં પ્રકાશનોમાં ‘મોલેક્યુલર બાયૉલૉજી ઑવ ધ જીન’ (1965) અને ‘ધ ડબલ હેલિક્સ’(1968)ને ગણાવી શકાય. 1981માં તેમણે જોહન ટૂઝ સાથે લખેલ ‘ધ ડી.એન.એ. સ્ટોરી’ પ્રકાશિત કર્યું. 1988થી 1992 દરમિયાન ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ખાતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ ફાળો આપ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

થાઇલૅન્ડનું સ્થાપત્ય

થાઇલૅન્ડના સ્થાપત્યની શરૂઆત ઈસુની છઠ્ઠી સદીથી થઈ હતી. વિશ્વના બૌદ્ધ સ્થાપત્યથી પ્રભાવિત થયેલા થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્યને ચાર તબક્કામાં વર્ગીકૃત કરાય છે. પ્રથમ તબક્કો જેમાં દૃશ્યવર્તી સ્થાપત્યશૈલી પ્રચલિત હતી તે ઈ. સ.ની સાતમીથી દસમી સદીમાં પ્રસરેલો છે. આ તબક્કાનું થાઇલૅન્ડનું સ્થાપત્ય તત્કાલીન મ્યાનમારના સ્થાપત્યથી સંપૂર્ણ પ્રભાવિત હતું અને થાઇલૅન્ડની સ્થાનિક ઓળખ તેમાં નહિવત્ હતી. ઈંટ તથા પથ્થરના ચણતર વડે બનાવાયેલ લામ્પનનું વાટકુકુટ દેવળ આ તબક્કાની નોંધપાત્ર ઇમારત છે. ત્યારબાદ ઈસુની દસમીથી તેરમી સદીના ગાળામાં થાઇલૅન્ડમાં સ્થપાયેલ સ્વતંત્ર ખ્મેરલોપબુરી સામ્રાજ્યમાં સ્થાપત્યની સ્થાનિક પ્રાંતીય શૈલીનો પ્રસાર થયો. સ્થાપત્યની મૂળ ભાષા તથા બાંધકામની તકનીક અને સામગ્રીમાં નોંધપાત્ર ફેરફાર ન થવા છતાં આ ગાળામાં સ્થાપત્યમાં સ્વતંત્ર સામ્રાજ્યની છબી ઉપસાવવાનો પ્રયત્ન જરૂર દેખાઈ આવે છે. બારમી સદીમાં લોપબુરીમાં બનાવાયેલ વાટ મહાધાતુનું દેવળ તથા ચૌદમી સદીમાં સુખોથાઈમાં બનાવાયેલ વાટ મહાથાટનું દેવળ આ તબક્કાની ઇમારતોના ઉલ્લેખનીય નમૂના છે. જ્યારે ચિંગેમાલી નજીક આવેલ વાટ જેટ યોટ દેવળ ત્યારબાદના ઈસુની તેરમીથી સત્તરમી સદીમાં વિકસેલ થાઇલૅન્ડની સ્થાપત્યશૈલીની ઉલ્લેખનીય ઇમારત છે.

લામ્પનનું વાટકુકુટ દેવળ

આ તબક્કામાં થાઇલૅન્ડની અગાઉના તબક્કાની પ્રાંતીય શૈલીનો અન્ય બૌદ્ધ દેશોમાં વિકસેલ સ્થાપત્યશૈલી સાથે સુંદર સમન્વય થયો. ત્યારબાદ થાઇલૅન્ડની પ્રાચીન રાજધાની અયોધ્યાના નાશ પછી નવી રાજધાની બૅંગકૉકની સ્થાપના કરાઈ, જેનાથી પ્રચલિત થયેલ સ્થાપત્યશૈલીને બૅંગકૉક-શૈલી કહેવાય છે. અઢારમી સદીના પૂર્વાર્ધ તથા ઓગણીસમી સદીમાં વિકસેલ આ તબક્કાના સ્થાપત્યમાં ચીનના સ્થાપત્યની અસર સ્પષ્ટ દેખાય છે. આ તબક્કામાં બનાવાયેલ ઇમારતો પરનાં ઢળતાં છાપરાંના છેડા ઉપરની તરફ વળેલા રખાતા, જેનાથી તે હોડી જેવા આકારનાં તથા તરતાં હોય તેવી અનુભૂતિ કરાવતાં. તેના પર વળાંકાકાર નાગાકૃતિ અંકિત કરાતી જે પાછળથી થાઇલૅન્ડના સ્થાપત્યની ઓળખ બની રહી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ભાગ-9, પૃ. 122 અથવા જુઓ https://gujarativishwakosh.org/થાઇલૅન્ડનું સ્થાપત્ય/)

Categories
વાચન સમૃદ્ધિ

અન્ના ચંડી

જ. 5 એપ્રિલ, 1905 અ. 20 જુલાઈ, 1996

સંવેદનશીલ હૃદય, તીક્ષ્ણ બુદ્ધિશક્તિ તથા કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતાં અન્ના ચંડીનો જન્મ કેરળના તિરુવનંતપુરમ્(ત્રિવેન્દ્રમ્)માં થયો હતો. તે સમયે સ્ત્રીઓને મૅટ્રિકથી વિશેષ ભણવાની તક મળતી નહોતી. તેમ છતાં મહિલાઓના અધિકારોની બાબતમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં કેરળની મહિલાઓ વધુ પ્રગતિશીલ અને સાહસિક હતી. અન્નાએ 1926માં અનુસ્નાતક પદવી મેળવ્યા પછી સૌપ્રથમ કાયદાશાસ્ત્રમાં પદવી હાંસલ કરી. સમગ્ર કેરળ રાજ્યમાં આવું સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. એ પછી 1929થી બૅરિસ્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની સાથોસાથ એમણે સ્ત્રીઓના હક્કો માટે મલયાળમ ભાષામાં ‘શ્રીમતી’ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિકનાં તેઓ પ્રથમ સંપાદક બન્યાં અને મહિલા-અધિકાર માટે લડત શરૂ કરી. 1938માં તેઓ જ્યુડિશિયલ ઑફિસર અને 1949માં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ થયાં. 1959ની નવમી ફેબ્રુઆરીએ તેમની કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેઓને વડી અદાલતનાં પ્રથમ મહિલાન્યાયમૂર્તિ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું. એ સમયે વડી અદાલતનું ન્યાયમૂર્તિપદ મેળવનાર તેઓ વિશ્વનાં બીજાં મહિલા હતાં. 1967ની પાંચમી એપ્રિલ સુધી તેઓએ આ ગૌરવવંતા પદ પર કામગીરી બજાવી. અન્ના ચંડીના પતિ પોલીસઇન્સ્પેક્ટર હતા. બંને વચ્ચે સમજદારીનો સેતુ મજબૂત હતો, પરિણામે અન્ના સફળતા હાંસલ કરતાં ગયાં, પણ તે માટે પોતાના અંગત જીવનનો ઘણો ભોગ પણ આપવો પડ્યો હતો. એમના પતિની બદલી જુદાં જુદાં શહેરોમાં થતી હતી. આથી બંનેને પોતાના વ્યવસાય સંભાળવા જુદા રહેવું પડતું હતું. પરિણામે અન્નાને શિરે ઘરગૃહસ્થી, વ્યવસાય તથા બાળકોના ઉછેરની જવાબદારી આવી, પરંતુ પ્રતિકૂળ સંજોગોનો તેમણે હિંમતભેર સામનો કર્યો. અન્નાને વાંચન અને સર્જનનો શોખ હોવાથી ‘મર્ડર ઑફ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ’ (સેક્શન 206, પીનલ કોડ) નામના નાટકની રચના કરી; એટલું જ નહીં, પણ એનું સફળ નિર્દેશન કર્યું તથા નાટકમાં ભૂમિકા પણ ભજવી. તેમણે પોતાની આત્મકથા લખી છે જે 1973માં પ્રકાશિત થઈ હતી. તેઓ ત્રાવણકોર વિધાનસભાનાં સભ્ય બન્યાં હતાં અને આજીવન મહિલાઓના અધિકાર માટે લડત આપતાં રહ્યાં હતાં.