Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહાન માનવી

ચીનના મહાન ચિંતક કૉન્ફ્યૂશિયસ સત્યના ઉપાસક હતા અને એમનું અંગત જીવન નમ્ર, ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ હતું. વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય કૉન્ફ્યૂશિયસ એમ કહેતા કે અપકારનો બદલો અપકારથી ન વાળો, પણ ઉપકારથી વાળો. એવા જ્ઞાની સંત કૉન્ફ્યૂશિયસને ચીનના સમ્રાટે બોલાવીને પૂછ્યું, ‘હે જ્ઞાની પુરુષ, આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે ?’ કૉન્ફ્યૂશિયસે હસીને કહ્યું, ‘સમ્રાટ, આપ વિશાળ સામ્રાજ્ય ધરાવો છો અને સામર્થ્યવાન છો, માટે મહાન છો.’ સમ્રાટે વળતો પ્રશ્ન કર્યો, ‘મારાથી મહાન કોણ હશે ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘ક્ષમા કરજો સમ્રાટ. હું સત્યનો ઉપાસક છું. ક્યારેય અસત્ય ઉચ્ચારતો નથી અને એ કારણે જ હું તમારાથી મહાન ગણાઉં.’ સમ્રાટે વળી પ્રશ્ન કર્યો, ‘આપણા બંનેથી પણ ચડિયાતી કોઈ મહાન વ્યક્તિ આ જગતમાં હશે ખરી ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘હા સમ્રાટ, ચાલો, જરા મહેલની બહાર એક લટાર મારી આવીએ.’ સંત અને સમ્રાટ મહેલની બહાર નીકળ્યા. બળબળતી બપોર હતી. ધોમધખતો તાપ હતો અને એવે સમયે એક નાનકડા ગામના પાદરે એક માણસ કોદાળી લઈને એકલો કૂવો ખોદી રહ્યો હતો. કૉન્ફ્યૂશિયસે એ માણસ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘સમ્રાટ, કોઈ પણ દેશના સમ્રાટ કે સંત કરતાં આ માનવી વધારે મહાન છે, કારણ કે એ કોઈનીય મદદ લીધા વિના બીજાના ભલા માટે કાર્ય કરી રહ્યો છે. એ એકલે હાથે જે કૂવો ખોદશે એનો લાભ આખા ગામને મળશે. સહુની તૃષા તૃપ્ત થશે, આથી બીજાની સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય.’

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ વર્ડઝવર્થ

જ. 7 એપ્રિલ, 1770 અ. 23 એપ્રિલ, 1850

અંગ્રેજી સાહિત્યના એક મહત્ત્વના રોમૅન્ટિક કવિ તથા ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમના ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વર્ડઝવર્થની પ્રસિદ્ધ રચના ‘ધ પ્રેલ્યુડ’ (The Prelude) છે. જે એક આત્મકથાત્મક કવિતા માનવામાં આવી છે. વર્ડઝવર્થ 1843થી તેમના મૃત્યુ સુધી ઇંગ્લૅન્ડના મહાકવિ રહ્યા હતા. 1818 સુધી તેઓ સાહિત્ય અને વ્યક્તિગત જીવન પર વધારે ધ્યાન આપતા હતા. તેમનાં બે બાળકોનાં મૃત્યુએ તેમને દુઃખથી ભાંગી નાખ્યા, છતાં તેમણે લખવાનું કામ ચાલુ રાખ્યું. 1798 અને 1808ની વચ્ચેનો દસકો તેમના રચનાત્મક જીવનનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓએ ‘લ્યુસી પોએમ્સ ટીનબર્ટ એબેટી’, ‘ધ પ્રેલ્યુડ’, ‘પોએમ્સ : ઇમિટેશન ઑફ ઇમોરાલિટી’ જેવી અમર રચનાઓ લખી. આ રચનાઓથી તેઓ એક પ્રશંસિત સાહિત્યકાર તરીકે ઓળખાયા અને તેઓને અંગ્રેજી રોમૅન્ટિક આંદોલનના પ્રમુખ સ્વર બનાવી દીધા. 1843માં તેઓ બ્રિટનના મહાકવિ તરીકે નિયુક્ત થયા, આ પદ તેઓએ જીવનપર્યંત નિભાવ્યું. ઇંગ્લૅન્ડની પ્રાકૃતિક સુંદરતા માણવા તેઓએ વિસ્તૃત પદયાત્રા કરી હતી. જેમાં આલ્પ્સ પર્વત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના અનેક પ્રદેશો આવરી લીધા હતા. તેમની રચનાઓમાં તેમની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ અને માનવીય ભાવનાઓ સ્પષ્ટ રૂપમાં છલકાય છે. તેમની પ્રમુખ રચનાઓ ‘સાઇમન લી’, ‘વી આર સેવન’, ‘પ્રિફેસ ટુ ધ લિરિકલ બલ્લાડ્સ’, ‘ઑડ ટૂ ડ્યૂટી’, ‘ધ સોલિટરી રીપર’ (1802), ‘ધ વર્લ્ડ ઇઝ ટૂ મચ વિથ અસ’, ‘માર્ય હાર્ટ લિપ્સ અપ’ વગેરે રચનાઓ છે. તેઓ માનતા હતા કે કવિતાની ભાષા સ્વાભાવિક બોલચાલની ભાષા જેવી સરળ હોવી જોઈએ તો આમ જનમાનસ તેને માણી શકે.

Categories
વાચન સમૃદ્ધિ

અરબી સમુદ્ર

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલો સમુદ્ર.

આ સમુદ્ર હિંદ મહાસાગરનો જ એક ભાગ ગણાય છે. તેની સીમા પર ભારત, પાકિસ્તાન, ઈરાન, યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમીરાત), ઓમાન, યેમેન અને સોમાલિયા દેશો આવેલા છે. તેમાં આવેલા મુખ્ય ટાપુઓમાં લક્ષદ્વીપ (ભારત), અલ મસિરા તથા ખુરિયાન-મુરિયાન (ઓમાન) અને સોકોત્રા(યેમેન)નો સમાવેશ થાય છે. હાર્મુઝની સામુદ્રધુની તથા બાબ-અલ-માન્ડેબની સામુદ્રધુની આ સમુદ્રના ભાગરૂપ છે. સિંધુ અને નર્મદા-તાપી જેવી મુખ્ય નદીઓનાં જળ આ સમુદ્રમાં ઠલવાય છે. તેનો કુલ વિસ્તાર આશરે ૩૮,૬૨,૦૦૦ ચો.કિમી. જેટલો છે. આ સમુદ્ર આશરે ૧૫ કરોડ વર્ષ પૂર્વે એટલે કે મધ્યજીવયુગના મધ્યકાળ વખતે અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે. આ સમુદ્રની સરેરાશ ઊંડાઈ ૩,૦૦૦ મીટરની છે. તેનું સૌથી વધુ ઊંડાણ ‘વ્હેકલી ઊંડાણ’ (wheakly deep) નામથી ઓળખાય છે, જેની ઊંડાઈ ૫,૮૦૩ મીટર જેટલી છે. અરબ પાળા અને ઓમાનના અખાતને જુદી પાડતી અધોદરિયાઈ મુરે ડુંગરધાર (Murray Ridge) પણ તેના તળ ઉપર આવેલી છે. સમુદ્રની મધ્યમાં એક પણ ટાપુ નથી. સમુદ્રના અગ્નિકોણમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ પરવાળાના બનેલા છે; જ્યારે પશ્ચિમ તરફનો સોકોત્રાનો ટાપુ દરિયાતળના ઉચ્ચપ્રદેશનો ભાગ છે.

અરબી સમુદ્રનું એક દૃશ્ય

જાન્યુઆરી માસમાં આ સમુદ્રની જળસપાટીનું લઘુતમ તાપમાન આશરે ૨૪°થી ૨૫° સે. તથા જુલાઈ માસ દરમિયાન મહત્તમ તાપમાન આશરે ૨૮° સે. રહે છે. કોઈ વાર હળવા દબાણવાળાં કેન્દ્રો સર્જાતાં ચક્રવાત જેવાં વાતાવરણીય તોફાનો પણ અનુભવાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાંથી સારડીન, બિલફિશ, વાહૂ, શાર્ક, લેનસેટફિશ, મુનફીન જેવી માછલીઓ મેળવાય છે. અહીંના જળક્ષેત્રમાં મોટે ભાગે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, યેમેન, ફ્રાન્સ, યુનાઇટેડ આરબ અમીરાત, દક્ષિણ કોરિયા અને માલદીવ વગેરે દેશોનાં જહાજો માછલીઓ પકડવા આવે છે. આ સમુદ્રને કિનારે આવેલાં મુખ્ય બંદરોમાં મુહમ્મદ બિન કાસિમ, કરાંચી, કંડલા, મુંબઈ, માર્માગોવા, કોચીન વગેરેનો સમાવેશ થાય છે. આ સમુદ્રના જળવિસ્તારમાં જહાજોની અવરજવર વધુ જોવા મળે છે. આથી વ્યૂહાત્મક અને સંરક્ષણની દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1