Categories
વાચન સમૃદ્ધિ

વિજય તેંડુલકર

જ. ૬ જાન્યુઆરી, ૧૯૨૮ અ. ૧૯ મે, ૨૦૦૮

ભારતપ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની ઉંમરે કારણોવશાત્ શિક્ષણ છોડવું પડ્યું પણ એક સંનિષ્ઠ શિક્ષક અનંત કાણેકરે વિજયની ક્ષમતાનો ખ્યાલ આવવાથી મરાઠી સંવાદકલાની સમજણ આપી અને તેંડુલકરની નાટ્યશક્તિને વેગ મળ્યો. આમ ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન એમણે ઊગતા નાટ્યકાર તરીકે સ્થાન મેળવ્યું. પહેલું નાટક ૧૯૫૭માં લખ્યું, પણ મરાઠી અગ્રગણ્ય નાટ્યકાર તરીકે સ્થાન ‘અજગર આણિ ગંધર્વ’ ૧૯૬૬માં પ્રકાશિત થયું. તે રંગમંચ પર અનેક વાર ભજવાયું. ૧૯૬૭માં ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ નાટકે ભારતીય નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠા અપાવી. તે ચૌદ ભાષાઓમાં અનુવાદિત થયું છે. આધુનિક ભારતનાં શ્રેષ્ઠ નાટકોમાં તેમને સ્થાન મળ્યું છે અને સંગીતનાટક અકાદમીનું કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક મળ્યું છે. મધ્યમવર્ગ અને બૌદ્ધિક વર્ગને છોડીને ગ્રામીણ અને તળપદી ભાષાના લોકનાટ્ય અને ‘તમાશા’ શૈલીનો પ્રયોગ કર્યો છે. ‘સખારામ બાઇન્ડર’ (૧૯૭૨) તથા ‘ગીધાડે’ (૧૯૬૧)માં પ્રતિબંધિત થયેલા પણ લાંબી કોર્ટની કાર્યવાહી પછી પ્રતિબંધ ઉઠાવાયેલો. તેમણે નાટકોમાં મરાઠી લોકસંગીતનો પણ પ્રયોગ કરી નાટકોને વધુ રસપ્રદ બનાવેલાં. આથી જ ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ યુરોપ અને અમેરિકામાં પણ ભજવાયું હતું.

તેમણે ફિલ્મના ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. તે માટે કથાનક તથા સંવાદો લખ્યાં છે. એમની ફિલ્મ ‘નિશાન્ત’, ‘આક્રોશ’, ‘આદત’, ‘ભૂમિકા’ અને ‘અર્ધસત્ય’ને રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. એમણે સમાચારપત્રોના તંત્રી તરીકે પણ નામના મેળવી છે. ‘મરાઠા’ તથા ‘લોકસત્તા’ પત્રોના તંત્રીલેખો માટે રાજ્ય સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે. તેમના નિબંધસંગ્રહો ‘રાતરાણી’ (૧૯૮૧) અને ‘ગોવ્યાચી ઉન્હે’(૧૯૮૨)ને મહારાષ્ટ્ર રાજ્ય તરફથી પુરસ્કાર મળ્યો છે. ૧૯૭૯માં તેમને રાષ્ટ્રીય નાટ્યસંસ્થાનના ઉપકુલપતિપદે નિયુક્ત કરવામાં આવેલા. પાંચ વર્ષ સુધી તે પદને શોભાવ્યું. ૧૯૮૪માં નાટકના ક્ષેત્રમાં મહત્ત્વના પ્રદાન માટે પદ્મભૂષણના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જાલોન (Jalaun)

ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે ૨૬ ૦૯´ ઉત્તર અક્ષાંશ અને ૭૯ ૨૧´ પૂર્વ રેખાંશની આજુબાજુનો ૪૫૬૫ ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ ૯૩ કિમી. લંબાઈ અને ઉત્તર-દક્ષિણ ૬૮ કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લામથક જાલોન પરથી પડેલું છે. જિલ્લામથક જાલોન હોવા છતાં ઓરાઈ વહીવટી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે ઝાંસી વિભાગનો જિલ્લો ગણાય છે. તેની ઉત્તરે ઓરૈયા, પૂર્વમાં કાનપુર, અગ્નિ અને દક્ષિણ તરફ હમીરપુર, દક્ષિણ તરફ ઝાંસી જિલ્લા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા આવેલાં છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : બુંદેલખંડ પ્રદેશના સમતળ મેદાનમાં આ જિલ્લો પથરાયેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સીમા પરથી યમુના નદી વહે છે. ઉત્તર તરફ યમુના નદી આ જિલ્લાને ઓરૈયા અને કાનપુર જિલ્લાઓથી અલગ પાડે છે; તેમજ બેતવા (સહાયક) નદી તેની દક્ષિણ સીમા અને પાહુજ નદી તેની પશ્ચિમ સીમા રચે છે. જ્યારે નોન (Non) અને મેલુંજા નદીઓ તેના મધ્ય ભાગમાંથી પસાર થતી હોવાથી ત્યાં ઊંડાં કોતરો રચાયાં છે. અહીંનું ઉનાળાનું સરેરાશ તાપમાન ૪૦ સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન ૧૦ સે. રહે છે. આ જિલ્લો સમુદ્રથી દૂર અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી અહીં દુષ્કાળની પરિસ્થિતિ અવારનવાર સર્જાય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૮૦૦ મિલી. જેટલો પડે છે.

વનસ્પતિ : અહીં વૃક્ષો અને વનસ્પતિનું પ્રમાણ ઓછું (૬%) છે; તેમ છતાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. ઉત્તરના ભાગોમાં આંબા અને મહુડાનાં વૃક્ષો વધુ છે.

‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત

ખેતી-પશુપાલન : આ જિલ્લામાં મુખ્યત્વે જુવાર, બાજરી, ડાંગર, જવ, તેલીબિયાં, ઘઉં, કઠોળ, શેરડી વગેરે જેવા કૃષિ પાકો લેવાય છે. બાગાયતી ખેતીમાં ડેરીની સ્થાનિક જાતની વાડીઓ આવેલી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં વગેરેનો ઉછેર થાય છે. અહીંની ગાયની અજયગઢ ઓલાદ વધુ જાણીતી છે. ગૃહઉદ્યોગ-વેપાર : અહીં ખેતી અને પશુપાલન પર આધારિત ગૃહઉદ્યોગો વિકસેલા છે; જેમાં ખાસ કરીને ચર્મઉદ્યોગ, હાથસાળ, ખાદ્યપ્રક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. નિકાસ થતી વસ્તુઓ પૈકી  ઘઉં, બટાટા અને શેતરંજી તથા આયાતી વસ્તુઓ પૈકી ગંધક, સૂતર, કાપડ અને ઘી મુખ્ય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાંથી કાનુપર-લખનૌ અને ઝાંસીને જોડતો રેલમાર્ગ ઓરાઈ પાસેથી પસાર થાય છે. કાનપુરથી ઝાંસી જતો મધ્ય રેલમાર્ગ આ જિલ્લાના મોટા ભાગને આવરી લે છે. એ જ રીતે ઉપર્યુક્ત મથકોને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૫ રેલમાર્ગને સમાંતર પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ નં. ૨૧ જાલોન નગરને ઓરાઈ સાથે તેમજ ઇટાવાહ જિલ્લાના ઓરૈયા મથકને સાંકળે છે. સડક માર્ગોની કુલ લંબાઈ આશરે ૮૦૦ કિમી. જેટલી છે. આ જિલ્લામાં મંદર સાહિબ, ગફૂર ઝંઝાની, ચૌલ બીબી, બહાદૂર શહીદ, ચૌરસી ગુંબજ (લોદી શાહ બાદશાહની કબર અથવા સિકંદર લોદીની કબર), સીરી દરવાજા જોવાલાયક સ્થળો ગણાય છે. અહીં કેટલાક સ્વાતંત્ર્ય-સેનાનીઓ થઈ ગયા છે, તેમની યાદમાં ૨૫મી ડિસેમ્બરે મેળો ભરાય છે. આ ઉપરાંત જિલ્લામાં ‘કલ્પી’ કિલ્લો આવેલો છે, તે યમુના નદી પર છે તેમજ તેનું ઐતિહાસિક મહત્ત્વ વધુ છે. ‘લંકા’ નામે જાણીતી ઊંચી ઇમારત અહીંના બાબુ મથુરાપ્રસાદે બંધાવેલી, તેમાં દશ મસ્તકવાળું રાવણનું પૂતળું મૂકેલું છે. લોકો-વસ્તી : ૨૦૧૧ મુજબ આ જિલ્લાની વસ્તી ૧૬,૭૦,૭૧૮ જેટલી છે. અહીં ૧૦ શહેરો અને ૧૧૫૧ (૨૦૯ વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ લોકોની વસ્તી છે. તેઓ મોટે ભાગે હિંદી અને ઉર્દૂ ભાષાઓનો ઉપયોગ કરે છે. આ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યકેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી

Categories
વાચન સમૃદ્ધિ

રાધેશ્યામ શર્મા

જ. ૫ જાન્યુઆરી, ૧૯૩૬ અ. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧

ગુજરાતી નવલકથાકાર, કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક રાધેશ્યામનો જન્મ ગાંધીનગરના વાવોલમાં થયો હતો. પિતા સીતારામ ગુજરાતમાં કીર્તનાચાર્ય તરીકે જાણીતા હતા. પિતા તરફથી ધાર્મિક સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ૧૯૫૭માં ગુજરાત કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને તે પછી સ્વતંત્ર લેખનકાર્યની શરૂઆત કરી. સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમીનાં સામયિકો ‘પરબ’ અને ‘શબ્દસૃષ્ટિ’માં નિયમિત લેખો લખ્યા. ‘ઉદ્દેશ’ અને ‘કુમાર’ જેવાં માસિકો તથા ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘સમભાવ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં દૈનિકોમાં સ્વતંત્ર લેખન કર્યું. તેઓએ ‘ધર્મલોક, ‘યુવક’ અને ‘ધર્મસંદેશ’નું સંપાદન કર્યું હતું. તેઓ ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક પણ હતા. સાહિત્યના ઊંડા અભ્યાસી રાધેશ્યામ લેખનમાં તેમની પ્રયોગશીલતા માટે જાણીતા છે. ‘આંસુ અને ચાંદરણું’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ‘ફેરો’ નવલકથા અને ‘સ્વપ્નતીર્થ’ લઘુનવલે તેમને ખૂબ યશ-કીર્તિ અપાવ્યાં. વાર્તાક્ષેત્રે ‘બિચારા’થી ‘વાતાવરણ’ની પ્રયોગશીલ રચનાઓ સુધીની તેમની સર્જનયાત્રા ખૂબ નોંધનીય રહી. ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ નામે દળદાર ગ્રંથોમાં સમકાલીન જીવંત લેખકો-કલાકારોનાં જીવનકવનને તેમણે ગ્રંથસ્થ કર્યાં છે. તેમની રચનાઓમાં સમકાલીન લેખકોની નવી સંવેદનશીલતા તથા વિશેષતાઓ પ્રતિબિંબિત થાય છે. તેમની લઘુકથાઓમાં સંક્ષિપ્તતા તથા અપરિચિત વિષયો – એ તેમની વિશેષતા છે. તેમનાં લગભગ ચોત્રીસ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. સાહિત્યક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન બદલ તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક(૧૯૯૫), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪), કુમાર સુવર્ણચંદ્રક(૨૦૧૨)થી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારનાં પારિતોષિકો, ગુજરાત સાહિત્યમંડળ – કલકત્તાનો પુરસ્કાર, ક્રિટિક્સ ઍવૉર્ડ, કવિલોક ઍવૉર્ડ, અનંતરાય રાવળ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ