Categories
વાચન સમૃદ્ધિ

ભગવાન બુદ્ધની ખેતી !

મગધ રાજ્યના નાનકડા ગામમાં વસતા બ્રાહ્મણ ભારદ્વાજે એક ભોજન-સમારંભ યોજ્યો હતો. એના ખેતરમાં આકરી મહેનત કરીને ધાન્ય ઉગાડનારા ખેડૂતોને એ મિજબાની આપતો હતો. આ સમયે ભગવાન બુદ્ધ અહીંથી પસાર થતા હતા. એમણે આ દૃશ્ય જોયું એટલે તેઓ ખેતરના છેડે ભિક્ષાપાત્ર લઈને ઊભા રહ્યા. બ્રાહ્મણ ભારદ્વાજની આ ભિક્ષુક પર નજર પડી. એ ભગવાન બુદ્ધને જાણતો નહોતો. એણે તો વિચાર્યું કે ક્યાં રાત-દિવસ પરસેવો પાડીને કામ કરતા આ ખેડૂતો અને ક્યાં આ તૈયાર ભોજન આરોગતા ભિક્ષુઓ ! ન એમને કશું વાવવાનું છે કે ન કશું લણવાનું છે ? એમને તો માત્ર તૈયાર ભોજન ઉડાડવાનું છે. બ્રાહ્મણ ભારદ્વાજે ભિક્ષાપાત્ર લઈને ઊભેલા ભગવાન બુદ્ધને કહ્યું, ‘અમે તો મહેનતનું રળી ખાનારા છીએ. ધોમધખતા તાપમાં ખેતર ખેડું છું. મુશળધાર વરસાદ વચ્ચે વાવણી કરું છું અને કડકડતી ઠંડીમાં લણણી કરું છું. રાત-દિવસ ખેતીનું ધ્યાન રાખું છું અને એમાંથી ઊગેલા અનાજથી મારો નિર્વાહ ચલાવું છું. તમે આવી કોઈ મહેનત કરતા નથી અને માત્ર ભિક્ષા માગતા ભટકી રહ્યા છો.’

ભગવાન બુદ્ધે હસીને કહ્યું, ‘ભાઈ, હું પણ ખેતી કરું છું. માત્ર તારાથી થોડા જુદા પ્રકારની.’ આ સાંભળીને બ્રાહ્મણ ભારદ્વાજ ખડખડાટ હસી પડ્યો, ‘તમે અને ખેતી ? તમે તો ખેડવાને બદલે વિહાર કરો છો. વાવણી કરવાને બદલે યાચના કરો છો અને લણણી કરવાને બદલે અમારી સમક્ષ ભિક્ષાપાત્ર ધરો છો. તમે તે વળી ક્યાંના ખેડૂત ? નથી તમારી પાસે હળ કે નથી કોઈ ઓજાર. છે માત્ર ભિક્ષાપાત્ર. તમારી ખેતી તે વળી કયા પ્રકારની ?’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘પ્રજ્ઞા એ મારું હળ છે. પાપભીરુતા એ હળનો વચલો દાંડો છે. મનરૂપી દોરાથી તે હળ બાંધેલું છે. સ્મૃતિ એ મારા હળનું ફળુ છે. અને એ જ મારી ચાબુક છે. મારો ઉત્સાહ એ મારા બળદ છે. શ્રદ્ધા એ બીજ છે. તેના પર સદાચરણરૂપી વર્ષા થાય છે. મારી ખેડની દિશા એ નિર્વાણ છે. મારી ખેતી એ સર્વ દુ:ખથી મુક્ત કરીને અમૃત ફળ આપનારી છે.’ બ્રાહ્મણ ભારદ્વાજ સંતોની ખેતીને સમજ્યો. એ તરત જ મોટી થાળીમાં દૂધની ખીર લઈને આવ્યો અને કહ્યું, ‘હે ભગવન્ ! આપ આ ખીરનો સ્વીકાર કરો. હું તો જમીનની ખેતી કરું છું. આપ તો માનવમનમાં પુણ્યની ખેતી કરો છો.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘હે ભારદ્વાજ ! મને ભિક્ષા આપવામાં તને સંશય જાગ્યો, માટે આજે તારી આ ભિક્ષા નહીં સ્વીકારી શકું. તું અન્ય કોઈ સંતને એનાથી સંતૃપ્ત કરજે.’

આજે સમાજમાં સાધુસંતોની ટીકા કરવાની એક ફૅશન ચાલી છે. ક્યાંક થોડોક સડો હોય તો આખા સાધુ સમાજને સડેલો બનાવવાની રીત ચાલી છે. આ દેશની સંસ્કૃતિને ટકાવી રાખનારું બળ સાધુ-સંતો હતા અને છે. માટે ખોટા સાધુને ખુલ્લા પાડીને સાચા સાધુનો સત્સંગ કરવો જોઈએ. ભગવાન બુદ્ધે બ્રાહ્મણ ભારદ્વાજને અંતિમ વાક્ય એ કહ્યું કે, ‘સાધુ-સંત એ પુણ્યનાં ખેતરો છે.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જે. સી. કુમારપ્પા

જ. ૪ જાન્યુઆરી, ૧૮૯૨ અ. ૩૦ જાન્યુઆરી, ૧૯૬૦

તેઓ ભારતના અર્થશાસ્ત્રી હતા. તેમનું નામ જોસેફ ચેલ્લાદુરઈ કૉર્નલિઅસ હતું. મહાત્મા ગાંધીના તેઓ નિકટના સહયોગી હતા. તેઓએ ગ્રામ-વિકાસ સંબંધી આર્થિક સિદ્ધાંતો અને ગાંધીવાદ પર આધારિત આર્થિક સિદ્ધાંતોનો વિકાસ કર્યો હતો. તેઓ રચનાત્મક કાર્યકર અને પાયાની કેળવણીના પ્રખર હિમાયતી હતા. તેમનો જન્મ તમિલનાડુમાં મધ્યમવર્ગના ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેઓ લંડન જઈને એકાઉન્ટન્સી, અમેરિકાની સિરૅક્યૂસ યુનિવર્સિટીના બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન વિષયમાં સ્નાતક અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા હતા. મુંબઈમાં ઑડિટર તરીકે કામ કર્યા પછી ગાંધીજીની વિચારસરણીના પ્રભાવ હેઠળ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ભારતમાં વિદેશી શાસનનાં અનિષ્ટો ખુલ્લાં પાડવા બદલ ૧૯૩૧માં કારાવાસ ભોગવ્યો. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોનો અહેવાલ તૈયાર કરવા રાષ્ટ્રીય કૉંગ્રેસે તેમની નિમણૂક કરી. તેમણે ગુજરાતના ગ્રામવિસ્તારોની તથા મધ્યપ્રાંતની ઔદ્યોગિક મોજણી કરી હતી. કુમારપ્પાએ ‘ઇકૉનૉમિક એક્સપ્લોઇટેશન ઑવ્ ઇન્ડિયા બાય ધ બ્રિટિશ’ તેવા શીર્ષક હેઠળ એક મહાનિબંધ લખ્યો હતો. જેનાથી ગાંધીજી પ્રભાવિત થયેલા અને તેઓએ ‘યંગ ઇન્ડિયા’માં પ્રકાશિત કર્યો હતો. કુમારપ્પાને ગાંધીવાદી અર્થશાસ્ત્રના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. ગાંધીજીની આર્થિક વિચારસરણીનું અર્થઘટન કરી ભારતની વિશિષ્ટ પરિસ્થિતિમાં તેની આવશ્યકતા અને વ્યાવહારિકતાની જોરદાર હિમાયત કરી હતી. તેઓ ગૃહઉદ્યોગના પુરસ્કર્તા હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવામાં અર્પણ કર્યું હતું. તેઓએ ઘણાં બધાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ૧૯૯૨માં દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેમની જન્મશતાબ્દી ઊજવાઈ હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રવણ

પુરાણોમાં આવતું અંધ માતા-પિતાની સેવા કરનાર આદર્શ પુત્રનું પાત્ર.

બ્રહ્મપુરાણ પ્રમાણે શ્રવણના પિતા એક તપસ્વી બ્રાહ્મણ હતા. તેમનું નામ શાંતનુ. તેમનાં બીજાં નામ કંદર્પ, અંધક, ગ્રહભાનુ, શાંતવન વગેરે હતાં. તેમની માતાનું નામ જ્ઞાનવતી. વાલ્મીકિરામાયણ પ્રમાણે તેના પિતા વૈશ્ય અને માતા શૂદ્ર હતાં. શ્રવણ મોટો થતાં વૃદ્ધ બનેલાં અંધ માતા-પિતાએ તીર્થયાત્રા કરવાની ઇચ્છા દર્શાવી. માતૃભક્ત અને પિતૃભક્ત શ્રવણે તેમની ઇચ્છા પૂરી કરવા કમર કસી. તેણે કાવડ બનાવી. તેમાં માતા-પિતાને બેસાડી પગપાળા ચાર ધામ, બાર જ્યોતિર્લિંગ તથા ૬૮ તીર્થોની યાત્રા  કરાવી.

માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવતો શ્રવણ

ઘેર પાછા ફરતી વખતે તેઓ માર્ગમાં સરયૂ નદીને કાંઠે પાણી પીવા રોકાયાં. તે સમયે અયોધ્યાના યુવરાજ દશરથ સરયૂ નદીને કાંઠે મૃગયા ખેલવા આવ્યા હતા. રાત્રિના સમયે નદીમાં અનેક પ્રાણીઓ પાણી પીવા આવતાં. તેમનો શિકાર કરવાની ઇચ્છાથી દશરથ રાજા સરયૂતટે ગયા અને એક વૃક્ષ પાછળ છુપાઈને શિકારની રાહ જોવા લાગ્યા. દરમિયાન શ્રવણ માતા-પિતાની તરસ છિપાવવા ઘડો લઈને આવ્યો. તેના ઘડામાં પાણી ભરાતાં બુડ…બુડ અવાજ થયો. એ અવાજ કોઈ પ્રાણીનો હોવાનું માની દશરથે રાત્રિના અંધારામાં શબ્દવેધી બાણ છોડ્યું. શ્રવણને તે વાગતાં તેનો આર્તનાદ દશરથને સંભળાયો. દશરથ રાજા સ્તબ્ધ થઈ ગયા. શ્રવણના શબ્દો દશરથના કાને પડ્યા, ‘અરેરે, રાત્રિના સમયે હું જળ લેવા આવ્યો છું ત્યારે મને કોણે બાણ માર્યું ? મેં કોનો અપરાધ કર્યો છે ? મારા મરણ પછી મારાં વૃદ્ધ અંધ માતા-પિતાનું શું થશે ? એ કેવી રીતે જીવી શકશે ?’ શ્રવણે દશરથને જોઈને કહ્યું, ‘રાજન્ ! હું મારાં માતા-પિતા માટે જળ લેવા અહીં આવ્યો હતો. તેઓ ખૂબ તરસ્યાં છે અને બહુ આતુરતાથી મારી વાટ જોતાં હશે. કૃપા કરી તમે આ ઘડામાં પાણી લઈ જઈને તેમને પિવડાવો.’ શ્રવણ દશરથના બાણથી વીંધાઈને ધરતી પર પડ્યો હતો. તેણે દશરથને પોતાનાં માતા-પિતા માટેનું સેવાકામ સોંપીને પ્રાણ છોડ્યા. શ્રવણનાં માતા-પિતાએ પછી પુત્રવિયોગમાં દશરથ રાજાને પણ પોતાના જેવું પુત્રવિયોગનું દુ:ખ ભોગવવું પડશે એવો શાપ આપતાં પ્રાણ છોડ્યા. અન્ય પુરાણો અનુસાર, શ્રવણને દેહાવસાન બાદ આકાશમાં ભગવાને તેજસ્વી તારા રૂપે સ્થાન આપી અમર કર્યો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ