Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ બોઝ

જ. ૧ જાન્યુઆરી, ૧૮૯૪ અ. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪

ભૌતિકશાસ્ત્રના જગવિખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ ૧૯૧૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી., ૧૯૧૫માં પ્રથમ વર્ગમાં એમ.એસસી. થયા. ૧૯૧૬માં એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા.  ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોમાં ગણિતનો ઉપયોગ કરી સંશોધન કરવામાં તેમને ભારે રસ હતો. ૧૯૨૦માં એમણે પ્રો. મેઘનાદ સહાના સહયોગમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૯૨૧માં તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે નિમાયા. અહીં તેમણે નવી સંશોધનપ્રવૃત્તિ શરૂ કરી. મૅક્સ પ્લૅન્કના જાણીતા ‘પ્લૅન્ક નિયમ’ની મૌલિક સાબિતી આપતો એક નિબંધ લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિકવિજ્ઞાનના અગ્રિમ માસિકમાં છપાવ્યો. ૧૯૨૪-૨૫માં માદામ ક્યૂરી સાથે કામ કર્યું અને ૧૯૨૫-૨૬માં બર્લિનમાં તેઓ આઇન્સ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં આઇન્સ્ટાઇન સાથે કામ કરી ‘બોઝ-આઇન્સ્ટાઇન’ નામનો પ્રાથમિક કણોના કેટલાક ગુણધર્મો બતાવતો નૂતન સિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો. ૧૯૫૬થી ૫૮ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરપદે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના અને ૧૯૫૮માં રૉયલ સોસાયટી-લંડનના પણ ફેલો હતા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તથા નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેઓ માનતા કે વિજ્ઞાન માતૃભાષા દ્વારા શીખવવું જોઈએ. આથી ૧૯૪૮માં ‘બંગીય વિજ્ઞાન પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. ‘જ્ઞાન-ઓ-વિજ્ઞાન’ નામનું બંગાળી જર્નલ પ્રકાશિત કરી ઘણા લેખો લખેલા. તેમની સ્મૃતિમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રશંસાત્મક કાર્ય કરનારને પ્રતિવર્ષ ‘સત્યેન્દ્રનાથ બોઝ સ્મારક પુરસ્કાર’ આપવામાં આવે છે. ભારતની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી હતી. ૧૯૫૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

આપે તે દેવ અને રાખે તે રાક્ષસ

સંત વિનોબાજીએ માતાને ‘આચાર્ય’ કહ્યાં છે. આચાર્યનો અર્થ એ કે જે કઠણમાં કઠણ પ્રશ્ન શોધીને સરળ બનાવે. પોતે જાતે કઠણ કામ કરી જુએ, એનું આચરણ કરે અને પછી બીજાને એ વિશે કહે. સંત વિનોબાનાં માતા પડોશીની પત્ની બહારગામ ગયાં હોવાથી પોતાની રસોઈ બનાવીને પડોશીને ત્યાં રસોઈ બનાવવા જતાં હતાં. એક દિવસ વિનોબાએ એમનાં માતાને પૂછ્યું, ‘મા, પહેલાં તું આપણા ઘરની રસોઈ બનાવે છે, પછી પડોશીના ઘરની રસોઈ બનાવે છે, એ સ્વાર્થ ન કહેવાય ? પોતાનો સ્વાર્થ પૂરો કર્યા પછી પરમાર્થ થઈ શકે ખરો ?’ માતાએ જવાબ આપ્યો, ‘બેટા, પહેલાં  આપણા ઘરની રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું, જેથી એમને ઠંડું ખાવું ન પડે. ગરમ ભોજન મળે.’ વિનોબાજીના ઘરના વાડામાં ફણસનું ઝાડ હતું. એને રોજ પાણી પાય અને ક્યારે એ મોટું થાય અને પોતાને ફળ ખાવા મળે તેની વિનોબાજી રાહ જોતા હતા. ફણસનું ઝાડ મોટું થયું. ધીરે ધીરે એના પર ફળ બેઠેલાં જોયાં એટલે વિનોબાજીને તોડવાનું મન થયું. એમની માતાએ કહ્યું, ‘હજી આ ફણસ કાચું છે. એ પીળું અને ઢીલું થાય પછી તું તોડજે.’ થોડા દિવસ પસાર થયા. ફણસનું ફળ પીળું અને ઢીલું થયું. માતાની સંમતિ મેળવીને વિનોબાએ ઝાડ પરથી ફણસ  ઉતાર્યું અને સમાર્યું. એના રસાદાર ટુકડા ખાવા માટે વિનોબાજી અને એમના મિત્રો ઉત્સુક હતા ત્યારે એમની માતાએ કહ્યું, ‘પહેલું ફળ તો (ભગવાનને આપીને) વહેંચીને ખવાય. વિનોબાજી અને તેમના મિત્રો તો ફણસના રસાદાર ટુકડા ખાવા માટે  ઉત્સુક હતા. એમનો જીવ ઝાલ્યો રહેતો ન હતો ત્યારે એમનાં માતાએ પ્રશ્ન કર્યો, ‘તમને દેવ ગમે કે રાક્ષસ ?’ વિનોબાજી અને એમના મિત્રોએ એક અવાજે ‘દેવ’ કહ્યું. એટલે એમની માતાએ કહ્યું, ‘જે આપે એ દેવ અને જે રાખે તે રાક્ષસ.’ માતાની વાત સાંભળતાં બધાં બાળકો ફણસના રસાદાર ટુકડા લઈને એને વહેંચવા નીકળી પડ્યાં. એક સમયે માતાની નિશાળમાંથી બાળકને આ બધું શીખવા મળતું હતું. વિનોબાજીનાં માતા કશું ભણ્યાં નહોતાં. લખતાંવાંચતાં પણ આવડતું નહોતું, પરંતુ બાળકોને ઘડવા માટેની ઊંડી સૂઝ હતી. માતાનું આચરણ એ જ બાળકની પાઠશાળા હતી.

આજે સમાજની ભલે પ્રગતિ થઈ હોય, પણ  મૂલ્ય અને માનવતાનો હ્રાસ થયો છે. બીજાને માટે જાત ઘસનારની મજાક કરવામાં આવે છે અને બીજાના પર સત્તા જમાવનાર, શોષણ કરનારને કે બીજાના ધનની ઉચાપત કરીને ઘર ભરનારને રાક્ષસ નહીં, પણ દેવ ગણવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મલ્લિકાર્જુન મનસૂર

જ. ૩૧ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૨

મૃત્યુંજય સ્વરયોગી અને સશ્રદ્ધ ગાનપરંપરામાંના ‘તાર ષડજ’ તરીકે ઓળખાતા હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક. ધારવાડના એક નાના ગામમાં પિતા ભીમરાયપ્પા અને માતા નીલમ્માને ત્યાં જન્મેલ મલ્લિકાર્જુન પોતાના વતન મનસૂરને કારણે ગામના નામથી જ ઓળખાતા હતા. કન્નડ ભાષા-સાહિત્યના જ્ઞાતા હોવા છતાં તેમને હિંદુસ્તાની સંગીત તરફ આકર્ષણ થતાં પ્રસિદ્ધ ગુરુ નીલકંઠબુવા અલૂરમઠ પાસેથી ગ્વાલિયર ઘરાનાની ગાયકીને આત્મસાત્ કરી અને પોતાની ગાયકીથી સંગીતશ્રોતાઓને સંમોહિત પણ કરતા હતા. પછીથી તેમણે હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના પ્રખ્યાત ગાયક ઉસ્તાદ મંજીખા પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યનો આ ઉત્કટ પ્રેમભર્યો સંબંધ જવલ્લે જ જોવા મળે એવો રહ્યો. અત્રૌલી-જયપુર તથા ગ્વાલિયર બંને ઘરાનાની ગાયકીનો સમન્વય મલ્લિકાર્જુનના ગાયનમાં થયો. તેઓ કઠિન રાગોને પણ સહજતાથી રજૂ કરતા અને શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની જાય તેવી તાનો તેઓના કંઠેથી સાંભળવા મળતી. ખયાલ ગાયક હોવા છતાં તેઓ ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, કવન વગેરેના પણ જાણકાર હતા. એમની માતૃભાષા કન્નડની ‘વચન અને રગડે’ પ્રકારની ગદ્ય-પદ્ય સાહિત્યના મિશ્રણવાળી શૈલીને શુદ્ધ સંગીત શૈલીમાં ઢાળીને તેને લોકપ્રિય બનાવવાનું બહુમૂલ્ય કામ પણ તેમણે કર્યું હતું. કેટલોક સમય ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. બિહાગ, તોડી, કાનડા અને મલ્હાર તેમના પ્રિય રાગો હતા. તેમને ‘સંગીતરત્ન’, ‘ગંધર્વરત્ન’, કાલિદાસ સન્માન જેવી માનભરી પદવીઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા સંગીતક્ષેત્રે કરેલી ઉપકારક સેવાના ફલસ્વરૂપે ૧૯૭૦માં ‘પદ્મશ્રી’, ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ જેવા માનખિતાબોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખયાલ ગાયકીના એક ઉત્કૃષ્ટ ગાયક તરીકે સંગીતપ્રેમીઓમાં તેઓ હંમેશાં યાદ રહેશે.

પ્રીતિ ચોકસી