Categories
વાચન સમૃદ્ધિ

દત્તોપંત ઠેંગડી

જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004

લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1936માં મોરિસ કૉલેજમાં દાખલ થયા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન સાથે જોડાયા. અનુસ્નાતક થયા પછી નાગપુરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેઓ 22 માર્ચ, 1942ના રોજ પ્રચારક બન્યા. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર કરવા માટે કાલિકટ ગયા. 1945માં કૉલકાતામાં પ્રચારક તરીકે ગયા. 1949માં બંગાળ-અસમ પ્રાંતપ્રચારક બન્યા. 1950માં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(INTUC)ના સંગઠનમંત્રી બન્યા. તેઓ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં જનસંઘના સંગઠનમંત્રી હતા. તેમણે ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમંચ, સામાજિક સમરસતામંચ, સર્વ પંથ સમાદર મંચ અને પર્યાવરણ મંચની સ્થાપના કરી. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસ્થાપક હતા. તેઓ 1964થી 1976 સુધી રાજ્યસભાના  સભ્ય હતા. 1969માં સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હંગેરી અને સોવિયેત રશિયાની મુલાકાત લીધી. તેઓ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન પરિષદમાં પ્રતિનિધિ તરીકે હંગેરી ગયા અને 1977માં જિનીવા ખાતે બીજી આંતરરાષ્ટ્રીય રંગભેદ વિરોધી પરિષદમાં હાજરી આપી. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.

તેઓ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લેખન કરતા હતા. તેમણે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વયંસંચાલન

આપમેળે નિયંત્રિત રીતે કાર્યો થાય તેવી વ્યવસ્થા.

ઉત્પાદનક્ષેત્રે અનેક પરિવર્તનો થતાં રહ્યાં છે. તેમાં સ્વયંસંચાલન એ ખૂબ મહત્ત્વની શોધ છે. ઉત્પાદનક્ષેત્રે મોટા જથ્થાના ઉત્પાદનમાં તેમ જ નાના ઉત્પાદનમાં સ્વયંસંચાલન એ મોટી ક્રાંતિ ગણાય છે. મોટા ભાગે કારખાનામાં યંત્રોમાં તથા યંત્રોનું સંચાલન કરનાર તંત્રમાં સ્વયંસંચાલનનો ઉપયોગ થાય છે. એક યંત્રને ચાલુ કરવામાં આવે ત્યાર પછી તેનું કામ પૂરું થતાં એની મેળે બંધ થઈ જાય. કામમાં ભૂલ થાય તો જાતે સુધારી લે અથવા યંત્રને અટકાવી દે અથવા વધુ જરૂરી હોય તો ચેતવણીની સાયરન વગાડે – આ બધું સ્વયંસંચાલનને આભારી છે. પ્રારંભે માનવ બધાં કામો પોતાના હાથથી કરતો. ધીમે ધીમે સમય જતાં તે હાથની સાથે મગજનો ઉપયોગ કરતો થયો. તેણે તેના કામમાં મદદરૂપ થાય તેવાં ઓજારો બનાવવાનું શરૂ કર્યું. અનેક વર્ષોના ગાળામાં માણસ સાદાં યંત્રોથી માંડીને ઢાળ, ગરગડી, સ્ક્રૂ, ચક્ર, ઉચ્ચાલન વગેરે બનાવતો થયો. વરાળયંત્રને કારણે યંત્રો નજીવા શ્રમથી વધુ ઝડપી બન્યાં. વીજળીશક્તિ અને વીજાણુશક્તિની શોધોએ અનેક યંત્રો આપમેળે ચાલે તેવી સુવિધા કરી આપી.

પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા કરાતું કાર્ય

સ્વયંસંચાલન એ ઉત્ક્રાંતિકારી બાબત છે. ઔદ્યોગિક ક્રાંતિમાં માનવકાર્ય મશીન વડે થતું ગયું ત્યારથી જ મશીન દ્વારા સ્વયંસંચાલનનો પ્રારંભ થયો. સ્વયંસંચાલનની રીતો ઇલેક્ટ્રિકલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રૉનિકલ, ન્યૂમેટિક (વાતીય) કે તેમાંની એકથી વધુના સંયુક્ત રૂપે હોઈ શકે. અત્યારના સમયમાં ઇલેક્ટ્રૉનિક્સનો ઉપયોગ કરતી રીતોનો ઉપયોગ વધી રહ્યો છે. સ્વયંસંચાલિત ઉત્પાદન બે પ્રકારનું હોઈ શકે – નિશ્ચિત (fixed) પ્રકારનું કે જેમાં ફેરફાર કરી શકાય નહિ અથવા તો તે કરવો મુશ્કેલ બને અને બીજું પ્રોગ્રામેબલ ઑટોમેશન. નિશ્ચિત સ્વયંસંચાલન એ મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ કે ન્યૂમેટિક સાધનોથી થાય છે અને તેને ‘Hard Automations’ કહેવાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા મશીન પર કરવાનાં બધાં કાર્યોનો અનુક્રમ તથા દરેકને લાગતો સમય નક્કી થાય છે. ઇલેક્ટ્રૉનિકલ ઉપકરણો અને કમ્પ્યૂટર દ્વારા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. પ્રોગ્રામ સહેલાઈથી બદલી શકાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશન એ ‘Soft Automation’ કહેવાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વયંસંચાલન, પૃ. 91)

Categories
વાચન સમૃદ્ધિ

ઇમરે કેરતેસ

જ. 9 નવેમ્બર, 1929 અ. 31 માર્ચ, 2016

ઇમરેનો જન્મ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે હજારો યહૂદીઓને પકડીને પોલૅન્ડની આશવિઝ શિબિરમાં મૂક્યા હતા, તેમાં કેરતેસ પણ હતા. ત્યારબાદ તેમને જર્મનીની શિબિરમાં મૂક્યા. યુદ્ધ પૂરું થયું અને મુક્તિ મળી પણ કેરતેસને શિક્ષણ મળ્યું જ નહીં. 19 વર્ષની વયે તેમણે સમાચારપત્રમાં કામ કર્યું. 1957થી હંગેરી પર કમ્યુનિસ્ટોનું શાસન આવ્યું. લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. રશિયાએ હંગેરીની પ્રજા પર અનેક સિતમ વરસાવ્યા. કેરતેસને ગુલામી પસંદ નહોતી, તેથી તેમણે નોકરી છોડવી પડી. ત્યારબાદ તેમણે નિત્શે ફ્રૉઇડ, વિટગેંસ્ટાઇન, શ્વાઇત્ઝર વગેરેના સાહિત્યનો અનુવાદ કરી તેની કમાણીમાંથી પેટગુજારો કર્યો. આ રીતે ચાળીસ વર્ષ વીતી ગયાં. આ કઠોર જીવનને લીધે તેમણે મુશ્કેલીઓ સામે હસતાં શીખી લીધું. તેઓ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા તેથી ઘણી યાતનાઓ વેઠવી પડી. સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમણે 2002માં મળ્યું. આ પારિતોષિક મેળવનાર તેઓ પહેલા હંગેરિયન છે. 1989માં સામ્યવાદી રશિયાનું માળખું તૂટી પડ્યું ત્યારે હંગેરી રશિયાની ચુંગાલમાંથી છૂટ્યું અને આઝાદીના શ્વાસ લીધા. ઇમરેની પ્રથમ નવલકથા ‘ફેટલેસ’ 1965માં લખાઈ, જે નોબેલ પારિતોષિક માટે મુખ્ય કારણ છે. ત્યારબાદ 1988માં ‘ફિઆસ્કો’, અને 1990માં ‘કૅડિશ ફોર એ ચાઇલ્ડ નોટ બોર્ન’ નામની નવલકથા લખી. 1992માં ‘ગેબી ડાયરી’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. આ સર્વ રચનામાં વીસમી સદીની ત્રાસદાયક ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તકો વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં. તેઓને ‘બ્રેન્ડેનબર્ગ’ જર્મન પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.